અનુક્રમણિકા




  1. અંતિમ આદેશની પ્રસ્તાવના
  2. પાંચમી આવૃત્તિનું આમુખ
  3. પરિચય
  4. પુરાવા
  5. શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશ વિરુદ્ધ ઉઠેલા સીધા સંલગ્ન વાંધાઓ
  6. “નિયુક્તિ ટેપ”
  7. બીજા સંબંધિત વાંધાઓ
  8. નિષ્કર્ષ
  9. ઋત્વિક એટલે શું?
  10. દીક્ષા
  11. શ્રીલ પ્રભુપાદની શિક્ષાઓમાંથી અનુરૂપ અવતરણો
    1. શું ગુરુ શારીરિક રીતે ઉપસ્થિત હોવા જરૂરી છે?
    2. આદેશને અનુસરો, શરીરને નહિ
    3. પુસ્તકો પર્યાપ્ત છે
    4. શ્રીલ પ્રભુપાદ આપણા સનાતન ગુરુ છે
  12. પરિશિષ્ટ
    1. ૯ જુલાઈ, ૧૯૭૭ પત્રઃ "તમામ જી.બી.સી. અને મંદિર પ્રમુખો માટે"
    2. ૧૦ જુલાઈ, ૧૯૭૭ પત્ર
    3. ૧૧ જુલાઈ, ૧૯૭૭ પત્ર
    4. ૨૧ જુલાઈ, ૧૯૭૭ પત્ર
    5. ૩૧ જુલાઈ, ૧૯૭૭ પત્ર
    6. શ્રીલ પ્રભુપાદનું વસિયતનામું (૪ જૂન, ૧૯૭૭ ) અને વસિયત-પુરવણી (૫ નવેમ્બર, ૧૯૭૭ )
    7. ખંડ વાર્તાલાપ
    8. પિરામીડ ગૃહ એકરાર ડિસેમ્બર ૩, ૧૯૮૦





અંતિમ આદેશની પ્રસ્તાવના

ધાર્મિક અભ્યાસના વરિષ્ઠ અધ્યાપિકા, લીડ્‍સ વિશ્વવિદ્યાલય, યુ.કે. દ્વારા

એક વર્તમાન લેખ ‘ઇનસાઇડર એન્ડ આઉટ્‍સાઇડર પર્સેપ્શન્સ ઑફ શ્રીલ પ્રભુપાદ’ વિષય પર સંશોધન કરતી વેળા, હું પરંપરા વિષયક ભક્તોની વિભિન્ન વિચારધારાઓ વિશે તેમજ ૧૯૭૭માં શ્રીલ પ્રભુપાદના અંતર્ધ્યાન બાદ ગુરુઓની ભૂમિકા પર ન્યાય કરવાનો પ્રયત્ન કરતી હોઉં એવું મને લાગ્યું. એમ તો વ્યક્તિગત ગુરુઓના પતન તેમજ તેમના દીક્ષારંભ ગ્રહણ શિષ્યો, ગુરુબંધુઓ અને ગુરુબહેનોને થયેલા આઘાત અને શોકના વમળોને સંલગ્ન કટોકટીના સમય અંગે મને પહેલેથી જ જાણ હતી. મેં પણ બીજી વ્યક્તિઓની જેમ આશા રાખી હતી કે ૧૯૮૦ના અંતમાં ગુરુ-સુધારણા થકી ઇસ્કૉનની આગેવાની અને દીક્ષારંભની સમસ્યાઓ ઉકેલાઈ જશે. આ લેખ તૈયાર કરતી વખતે આ સમસ્યાઓને ફરી જોતાં મેં વર્તમાન પ્રણાલીની તરફેણમાં અને તેના વિરોધમાં કેટલીક દલીલો વાંચી, તેમજ ગુરુ અને પરંપરાના પ્રશ્નો વિશે બીજા વિદ્વાનોના લેખ પણ વાંચ્યા. આ ચોક્કસ હજુય એક જીવંત મુદ્દો હતો. જન બ્રઝેઝીન્સ્કિ ‘જર્નલ ઑફ વૈષ્ણવ સ્ટ્‍ડીઝ’ ના ભાગ ૫ માં આવતા અતિ આધુનિક લેખ ‘પરંપરા ઇન્સ્ટિટ્યૂશન’ માં ઇસ્કૉનના ભાવિ માટે એક લાયક અને પ્રભાવશાળી આગેવાની પર ભાર આપી આના વિભિન્ન પાસાઓ પર ચર્ચા કરે છે. આ તેમની ફક્ત એક વિચારધારા થઈ, પરંતુ એ આંદોલનમાં અને તેની બહાર ઉત્સાહ જગાડવાના આ વિષયના સામર્થ્યને દર્શાવે છે.

૧૯૯૬ના અંતમાં મને અંતિમ આદેશ વાંચવા, તેના પર મારો અભિપ્રાય આપવા અને તેમાં ઉઠાવેલા પ્રશ્નો પર ચર્ચા કરવા આમંત્રણ અપાયું. આ વાંચતાં મને કોઈ સંશય રહ્યો નહિ કે ઇસ્કૉન માટે આ અતિ અગત્યનો મુદ્દો હતો અને તે વિશે ઘણા ભક્તો વ્યથિત હતા. મને એવું લાગ્યું કે તેમાં આધ્યાત્મિક અધિકૃતિ અને તેના પ્રસારને લગતા, શિષ્ય અને કૃષ્ણના પ્રતિનિધિ ગુરુ વચ્ચેના સંબંધ વિશે, અને સેવા-ભક્તિના યોગ્ય હેતુઓને લગતા મહત્વના બ્રહ્મશાસ્ત્રિક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. એક બાહ્ય વ્યક્તિ તરીકે હું આ બાબતે ન્યાય કરવા તદ્દન અસમર્થ છું (અને વર્તમાન આચાર્ય પ્રણાલીના પ્રમાણના વિરોધમાં અહીં રજૂ કરાયેલા પુરાવાને સરખાવવા અસમર્થ છું). તેમ છતાં, અહીં જે રજૂ કરવામાં આવ્યું છે તેને હું એક મુકદ્દમાની દલીલ કરવાના ગંભીર પ્રયાસ તરીકે ભલામણ કરવા સક્ષમ છું કે, શ્રીલ પ્રભુપાદે ઋત્વિક ગુરુઓની પ્રણાલી પ્રસ્થાપિત કરી હતી જેઓ શિષ્યોને તેમના વતી દીક્ષારંભ આપે એમ તેઓ ઇચ્છતા હતા. હું આશા રાખું છું કે આ ધ્યાનપૂર્વક વંચાય અને વ્યાપકરૂપે ચર્ચાય, એટલા માટે નહિ કે હું તેનું સમર્થન કે વિરોધ કરું છું, પરંતુ એટલા માટે કે આ જે તલસ્પર્શી મુદ્દાઓ ઉઠાવે છે તે તમામ સ્તરે વિચારણા માંગી લે તેમ છે. આ વિષયમાં દરેક ભક્તનું સાચું હિત રહેલું છે.

એમાં કોઈ સંશય નથી કે એક બાહ્ય વ્યક્તિ તરીકે મારે આવી પ્રસ્તાવના લખવી અયોગ્ય છે, પરંતુ મારો ઉદ્દેશ આ આંદોલન પ્રતિ મારી આસક્તિ અને બધા ભક્તો પ્રત્યે મારી શુભેચ્છાઓ છે.
કીમ નૉટ, ફેબ્રુઆરી ૧૯૯૭

પાંચમી આવૃત્તિનું આમુખ


૧૯૯૬માં અંતિમ આદેશની પ્રથમ આવૃત્તિના મુદ્રણ બાદ એક દાયકો વીતી ગયો. મૂળરૂપે મેં અંતિમ આદેશનું વર્ણન “ઇસ્કૉનમાં દીક્ષારંભ વિશે શ્રીલ પ્રભુપાદની સૂચનાઓ પર ચર્ચા લેખ” તરીકે કર્યું હતું. જેઓ આ આંદોલન વિશે જાણે છે તેઓ નકારી ન શકે કે આ લેખમાં સારા પ્રમાણમાં “ચર્ચા” થઈ છે, અને આમ આ લેખ આ મુદ્દાને પ્રકાશમાં લાવવાના તેના ઉદ્દેશ્યમાં સફળ થયું છે.

ઇસ્કૉન આગેવાનોને હવે વિશ્વાસપૂર્વક એવો દાવો કરવો મુશ્કેલ હશે કે તેઓ શ્રીલ પ્રભુપાદ દ્વારા સ્વ-હસ્તાક્ષરિત આ કાનૂની દસ્તાવેજોથી અજાણ છે જેમાં તેમણે સ્થાપિત કરેલા આધ્યાત્મિક આંદોલનમાં મુખ્ય દીક્ષા ગુરુ તરીકે રહેવાની તેમની ઇચ્છા સ્પષ્ટપણે જણાવેલી છે. આ એ કાનૂની દસ્તાવેજો છે જે અંતિમ આદેશ લેખનું ગર્ભ રચે છે, અને આ લેખનું વિતરણ હવે વિશ્વસ્તરે થઈ રહ્યું છે, અને તે વર્લ્ડ વાઈડ વેબ પર ઉપલબ્ધ છે. અંતિમ આદેશનું અનુવાદ હજુ ઘણી ભાષાઓમાં બાકી છે (સપ્ટેમ્બર ૨૦૦૮ સુધીમાં, અનુવાદ આ ભાષાઓમાં ઉપલબ્ધ છેઃ ફ્રેન્ચ, સ્પેનીશ, જર્મન, રશિયન, ચાઈનીઝ, હિન્દી, બંગાળી, કન્નડ, સીઝેચ, ઈટાલિયન, હેંગરિયન, બીજી ઘણી ભાષાઓમાં અનુવાદ ચાલુ છે); આમાં ઇસ્કૉન આગેવાનોએ તમામ ઇસ્કૉન કેન્દ્રોમાં આ લેખના વિતરણ પર પ્રચ્છન્ન પ્રતિબંધ લગાડી દીધો છે. આ કારણોસર બહોળા વિજ્ઞાપન અહેવાલ અને વિવાદ છતાં ઇસ્કૉન સંલગ્ન ઘણા સામાન્ય જનસમૂહને આ લેખ હજુય વાંચવા મળ્યો નથી. પરંતુ ઇસ્કૉનના કારોબારી આગેવાનો અને ગુરુઓ માટે તો આધ્યાત્મિક દીક્ષારંભ વિશે શ્રીલ પ્રભુપાદના આ આદેશની અજ્ઞાનતા હવે કોઈ બહાનું નથી. અંતિમ આદેશના પરિચયમાં અમે જણાવ્યું કેઃ

“અમને લાગે છે કે આપણા સંસ્થાપક-આચાર્યના સીધા આદેશનું કોઈ જાણીજોઈને અનાદર કરતું હોય અથવા બીજાને અનાદર કરવા કારણભૂત હોય એવી શક્યતા ખૂબ ઓછી છે.”

અંતિમ આદેશ પ્રત્યે જી.બી.સી.નાં ઉડાઉ જવાબ, મૂંઝવણ, હિંસક દબાણ અને ચોખ્ખી અપ્રામાણિકતાને ધ્યાનમાં લેતાં આ ઉપરોક્ત વાક્યને હવે કદાચ ફેરબદલ કરવાની જરૂર જણાય.

ઇસ્કૉન પુનઃચેતન આંદોલન (આઇ.આર.એમ.) નામે હવે એક વિશ્વસ્તરીય સંગઠન છે જેની પાસે તેના આધારભૂત તરીકે અંતિમ આદેશ છે, અને તેની સ્થાપના સવિશેષ અંતિમ આદેશમાં આપેલા નિષ્કર્ષોના પ્રચાર હેતુ થઈ છે. આ જ લેખક દ્વારા લખાયેલા ૧૦૦ થી વધુ લેખો ધરાવતી વેબસાઈટ છે (www.iskconirm.com) અને તે Back To Prabhupada નામે એક ત્રિમાસિક રંગીન સામયિક પ્રકાશિત કરે છે જેનું વિતરણ વિશ્વસ્તરે હજારોની સંખ્યામાં વિના મૂલ્યે કરવામાં આવે છે. ઘણાં મુદ્રણ લેખો અને બી.બી.સી.માં કોલમો સહિત આઇ.આર.એમ.ની પ્રવૃત્તિઓનું વિજ્ઞાપન વિશ્વસ્તરે થયું છે. ઇન્ટરનેશનલ કલ્ટિક સ્ટ્‍ડીઝ ઍસોસિયેશન, સેસનુર અને અમેરિકન ઍકેડમી ઑફ રેલિજીયન જેવી મોટી શૈક્ષણિક પરિષદોમાં પણ આઇ.આર.એમ.એ વક્તૃત્વ પ્રસ્તુત કર્યું છે. આ ઉપરાંત, અંતિમ આદેશના લેખકનું પ્રકાશન કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ, ફર્મા કે.એલ.એમ., કન્ટિનમ ઇન્ટરનેશનલ પબ્લિશિંગ અને ફૅક્સ ઑન ફાઇલ જેવા વિવિધ સંસ્કાર અને શૈક્ષણિક પ્રકાશનો દ્વારા થયું છે. આ માધ્યમો મારફત આઇ.આર.એમ.ને વિદ્વાન સમાજ દ્વારા ઇસ્કૉનમાં સુધારણાનો આદરણીય અવાજ તરીકે વિસ્તૃત આવકાર્ય મળ્યું છે. આઇ.આર.એમ.ની શરૂઆતથી જ અખિલ વિશ્વમાં વધતી સંખ્યામાં ઇસ્કૉન કેન્દ્રો અને ભક્તોએ અંતિમ આદેશના નિષ્કર્ષોને આવકાર્યા છે.

ઇસ્કૉન પુનઃચેતન આંદોલન (આઇ.આર.એમ.) વિશે પૂછાયેલા સામાન્ય પ્રશ્નોઃ
(૧) આઇ.આર.એમ. શું છે?
આઇ.આર.એમ. એ વિશ્વસ્તરે ઇસ્કૉન ભક્તોનું મંડળ છે જેઓ ઇસ્કૉનને તેના સંસ્થાપક - શ્રીલ પ્રભુપાદની નિર્દેશિકાઓ અનુરૂપ ફરી ચેતનવંતુ જોવા માંગે છે.

(૨) આઇ.આર.એમ.ના અસ્તિત્વનું કારણ શું છે?
૧૪ નવેમ્બર ૧૯૭૭માં ઇસ્કૉન સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદના શારીરિક પ્રસ્થાનના સમયકાળથી ઇસ્કૉનની આધ્યાત્મિક શુદ્ધતા અને તેની જન પ્રતિષ્ઠા ભારે નાશ પામી છે. વિશ્વને આપેલી એક મહાન ભેટ તરીકે ૧૯૬૬માં શ્રીલ પ્રભુપાદે એકલા હાથે ઇસ્કૉનની સ્થાપના કરી, અને જ્યારે તેઓ ગયા તે સમયે ઇસ્કૉન એક વિસ્તરણ પામતું ગતિ બળ હતું; માનવતા માટે એક દીવાદાંડી સમાન હતું. દુર્ભાગ્યવશ આજે તે વિખંડિત થઈ રહ્યું છે, અને આ હકીકત મે ૨૦૦૦ની સાલમાં તે સમયના જી.બી.સી. અધ્યક્ષ રવીન્દ્ર-સ્વરૂપ દાસના એક ટાંચણમાં સ્વીકારવામાં આવી:

“આથી પ્રશ્ન છેઃ તો પછી આપણે શું કરવું? આપણે આપણા ધ્રુવીભૂત અને વિખંડિત થતા સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો?”

આ અધોગતિનું કારણ શ્રીલ પ્રભુપાદે આપેલી સૂચનાઓ અને ધારાધોરણોમાં થયેલાં વિવિધ વિચલનો છે, જેમાં મુખ્ય બાબત છે તેમને ઇસ્કૉનના મુખ્ય દીક્ષા ગુરુમાંથી હટાવવામાં આવ્યા. ઇસ્કૉન માટે આખરી સત્તા અને દીક્ષા ગુરુ તરીકે તેમની ભૂમિકાથી શરૂ કરી શ્રીલ પ્રભુપાદે આપેલાં તમામ સૂચનો અને ધારાધોરણો ફરી લાગુ પાડી ઇસ્કૉન પુનઃચેતન આંદોલન ઇસ્કૉનને તેની જૂની કીર્તિ, શુદ્ધતા તથા આધ્યાત્મિક વિચારધારા સંબંધિત પવિત્રતામાં પુનઃસ્થાપિત કરવા ઇચ્છે છે. આઇ.આર.એમ.નું સ્થાન ‘અંતિમ આદેશ’ અને ‘નો ચેન્જ ઈન ઇસ્કૉન પેરાડિમ’ જેવા લેખોમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બંન્ને લેખો અમારી વેબસાઈટઃ www.iskconirm.com પર પણ ઉપલબ્ધ છે.

(૩) શું આઇ.આર.એમ. ઇસ્કૉનથી અલગ છે?
આ એક આંદોલનની અંદર આંદોલન છે, તે ઇસ્કૉનને સુધારવા અને તેને ફરી ચેતનવંતુ કરવા ઇચ્છતા ઇસ્કૉન સભ્યોથી રચાયેલું છે.

(૪) શું આઇ.આર.એમ.નો હેતુ એક નવું આંદોલન શરૂ કરવાનો છે?
ના. તેનો હેતુ મૂળ ઇસ્કૉનનું પુનઃસ્થાપન કરવાનો છે જે શ્રીલ પ્રભુપાદ આપણને સોંપી ગયા હતા. આમ થતાં જ આઇ.આર.એમ. બરખાસ્ત થશે.

(૫)  મુખ્ય દીક્ષા ગુરુ તરીકે શ્રીલ પ્રભુપાદના પુનઃસ્થાપનથી શું ફેર પડે?
પ્રથમ, આધ્યાત્મિક જીવનનો મુખ્ય સિદ્ધાંત છે કે આપણે ફક્ત ગુરુના આદેશોનું યોગ્ય રીતે પાલન કરીને જ પ્રગતિ સાધી શકીએ. જો ગુરુ દૂધ માંગે અને આપણે તેમને પાણી આપીએ તો તેઓ કઈ રીતે પ્રસન્ન થાય? અને જો ગુરુ પ્રસન્ન ન થાય તો આપણે ભગવાન શ્રીકૃષ્ણની સન્મુખ કઈ રીતે જઈ શકીએ?
 
લગભગ ત્રણ દાયકાઓથી ઇસ્કૉન શ્રીલ પ્રભુપાદના આદેશો અનુસાર કાર્યરત નથી. જ્યારથી શ્રીલ પ્રભુપાદ આપણને છોડી શારીરિક રીતે જતા રહ્યા ત્યારથી આપણે તેમને તેમની ઋત્વિક પ્રતિનિધિત્વ પ્રણાલી મારફત કોઈ પણ વ્યક્તિનું દીક્ષારંભ કરવા દીધું નથી. સંસ્થામાં દીક્ષારંભ ચાલુ રાખવા તેમણે અધિકૃત કરેલી આ એકમાત્ર દીક્ષારંભ પ્રણાલી છે. જો ઇસ્કૉન સભ્યો તેમના આદેશોનું અનુસરણ કરવાનું ફરી શરૂ કરે તો સ્વાભાવિક રીતે તેઓ ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરી શકે, અને તેનાથી બધી આધ્યાત્મિક સફળતાઓ ફળે. તદ્‍ઉપરાંત, શ્રીલ પ્રભુપાદના શિષ્યો તરીકે દરેકનો સીધો-સમાન સંબંધ હોવા સાથે વિભાગીકરણની શક્યતા રહેતી નથી. લગભગ ત્રીસ વર્ષોમાં પ્રથમ વાર દરેક જણ એક સમાન ધ્યેય હેતુ – શ્રીલ પ્રભુપાદ અને શ્રીકૃષ્ણની સેવા અને ગુણગાન – કાર્યરત રહેવાની સાથે તેઓમાં સંયુક્ત ભાવ રહેશે. ઘણા ઇસ્કૉન “ગુરુઓ” સ્થૂળ પાપભરી પ્રવૃત્તિઓનો ભોગ બન્યા છે; અને જ્યારે તેઓ સંસ્થા છોડી જતા રહે છે ત્યારે તેઓ તેમની સાથે ઘણી વાર કરોડો ડૉલર અને તેમના ઘણા શિષ્યોને પણ લેતા જાય છે. શ્રદ્ધા, સંપત્તિ અને વ્યક્તિઓનું આ સદંતર નુકસાન બંધ થશે કેમ કે શ્રદ્ધા કેવળ શ્રીલ પ્રભુપાદમાં સ્થિત હશે, દોષપાત્ર વૈકલ્પિકોમાં નહિ.  પૈસો જે હાલ તેમના શિષ્યો પાસેથી દક્ષિણારૂપે (પૈસાની ભેટ) ૮૦ જેટલા “ગુરુઓ” ના ખિસ્સામાં જાય છે તેને બદલે મંદિરોને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં જશે.

(૬) કયા કારણસર આઇ.આર.એમ. આટલું નિશ્ચિંત છે કે તેમનું સ્થાન સાચું છે અને જી.બી.સી.નું સ્થાન ખોટું છે?
આઇ.આર.એમ.ને પોતાનું સ્થાન સાચું લાગે છે કેમ કે આ સમગ્ર આંદોલનને જાહેર થયેલા હસ્તાક્ષરિત કાનૂની દસ્તાવેજો પર આધારિત છે. જ્યારે જી.બી.સી.એ સંપૂર્ણ વિરોધાભાસી હોય એવા ઓછામાં ઓછા ત્રણ સત્તાકીય સ્થાન લેખો રજૂ કર્યા છે (જેમાંનું એકેય કાનૂની દસ્તાવેજ પર આધારિત નથી) અને આથી તકનીકી રીતે જી.બી.સી. પાસે કોઈ સ્થાન નથી, સાચા સ્થાનની તો વાત જ જવા દો. આપણે જણાવવું જોઈએ કે જી.બી.સી.ના આ વિવિધ લેખો અંદરો-અંદર વિરોધાભાસી હોવા ઉપરાંત પ્રસંગોપાત્ત સ્વ-વિરોધાભાસી પણ છે. દાખલા તરીકે, જો આપણે કેવળ એક સરળ પ્રશ્ન પણ લઈએ કે ક્યારે શ્રીલ પ્રભુપાદે ઇસ્કૉનમાં દીક્ષા ગુરુ તરીકે તેમનું સ્થાન બદલવા અધિકૃતિ આપી, તો આપણને નિમ્ન ત્રણ સત્તાકીય જી.બી.સી. લેખોમાં નીચે પ્રમાણે ઉત્તર મળે છેઃ

(અ) મારા આદેશથી સમજાયું  (જી.બી.સી., ૧૯૯૫): જે સમયે શ્રીલ પ્રભુપાદે ભક્તોને તેમના વતી કાર્યરત રહેવાનો આદેશ આપ્યો તે જ સમયે તેમણે ગુરુઓ માટેનો આદેશ આપ્યો હતો, અને આ ૭ જુલાઈ ૧૯૭૭ના રોજ બન્યું હતું (ઇસ્કૉનમાં ગુરુઓ અને દીક્ષારંભ, જી.બી.સી. ૧૯૯૫, પૃષ્ઠ ૨૮).

(બ) મારા શિષ્યના શિષ્ય  (એચ.એચ. ઉમાપતિ સ્વામી, ૧૯૯૭): ૨૮ મે ૧૯૭૭ના રોજ અગિયાર દીક્ષા ગુરુઓ નક્કી થઈ ગયા હતા કેમ કે “ઋત્વિક” નો અર્થ “કાર્યકારી આચાર્ય” થાય, અને તેનો મતલબ “દીક્ષા ગુરુ” થાય.

(ક) પ્રભુપાદનો આદેશ  (બદ્રીનારાયણ દાસ, ૧૯૯૮): ૯ જુલાઈ ૧૯૭૭ના રોજ અગિયાર જણ પૂર્ણ રીતે ગુરુઓ તરીકે કાર્યરત હતા, પરંતુ તેઓ શ્રીલ પ્રભુપાદની હાજરીમાં કેવળ શિષ્ટાચારનું પાલન કરી રહ્યા હતા.

ઉપર આપણે જોઈએ છીએ કે ક્યારે શ્રીલ પ્રભુપાદે તેમનું સ્થાન બદલવા મંજૂરી આપી તે વિશે જી.બી.સી.એ ત્રણ જુદી જુદી તારીખો આપી છે. (અ) બગીચામાં થયેલા વાર્તાલાપના સંદર્ભમાં છે, (બ) શ્રીલ પ્રભુપાદ અને તેમના વરિષ્ઠ શિષ્યો વચ્ચે થયેલી બેઠકના સંદર્ભમાં છે, જ્યારે (ક) દીક્ષારંભ વિષયક હસ્તાક્ષરિત નિર્દેશિકાના સંદર્ભમાં છે, જેના પરથી આ પુસ્તકનું શીર્ષક અપાયું. આમ, તમામ જી.બી.સી. સ્થાન લેખ તદ્દન અલગ જ વાર્તા કરે છે. આ મુદ્દાને વધુ ખરાબ બનાવવાઃ

ફેબ્રુઆરી ૨૦૦૪માં માયાપુર ખાતે તેમની વાર્ષિક સભામાં જી.બી.સી.એ “મારા આદેશથી સમજાયું” લેખમાં “જૂઠાણાં” હતાં અને તે “પૂર્ણપણે પ્રામાણિક નથી” એવું ખાનગીમાં સ્વીકારી આ લેખ સત્તાકીય રીતે પાછો ખેંચી લીધો. આ એ જ લેખ હતો જેને પડકારવા મૂળરૂપે અંતિમ આદેશ રજૂ કરાયું હતું (કૃપા કરી જુઓ પરિચય, પૃષ્ઠ xi) અને આ લેખ આટલી શરમજનક રીતે હવે પાછો ખેંચી લીધો છે એ હકીકત આઇ.આર.એમ.ના સ્થાનને વધુ મજબૂત બનાવી શકે.

ક્યારે ઉત્તરાધિકારી દીક્ષા ગુરુઓ અધિકૃત કરાયા તે વિશે જી.બી.સી. તદ્દન સ્પષ્ટપણે મૂંઝવણમાં છે. આઇ.આર.એમ. દલીલ કરે છે કે આ ટાળી ન શકાય કેમ કે શ્રીલ પ્રભુપાદે ક્યારેય કોઈ દીક્ષા ગુરુઓ બનાવ્યા ન હતા, તેમણે કેવળ ઋત્વિકોનું નિર્માણ કર્યું હતું; અને આ જ ઋત્વિક પ્રણાલી હતી જેને રદ કરવાના કોઈ આદેશ વગર ચાલુ રાખી તેઓ જતા રહ્યા. આ આધારે અમે દલીલ કરીએ છીએ કે જી.બી.સી.એ પ્રથમ એક સ્થાન નક્કી કરવું અને ત્યાર બાદ જ અમે તેની પ્રમાણતા તપાસવા સક્ષમ હોઈશું.

દુઃખની વાત એ છે કે આજ દિન સુધી જે કોઈ વ્યક્તિ જી.બી.સી.ના વિસંગત પુરાવાની ગંધ પ્રત્યે શંકા કરે છે તેમને સંસ્થામાંથી ક્રૂરતાપૂર્વક ખદેડી મૂકવામાં આવે છે.

કૃષ્ણકાંત
સપ્ટેમ્બર, ૨૦૦૮

વિના મૂલ્યે અમારું સામયિક મેળવવા સહિત જો તમને આઇ.આર.એમ. વિશે વધુ જાણકારી મેળવવી હોય અથવા અંતિમ આદેશમાં આપેલી માહિતી વિષયક પ્રશ્નો પૂછવા હોય તો લેખકને ઈમેલ કરવા અનુરોધઃ
irm@iskconirm.com
અથવા
અમારી વેબસાઈટની મુલાકાત લેવા વિનંતીઃ
www.iskconirm.com


પરિચય


શ્રીલ પ્રભુપાદ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘમાં (ઇસ્કૉન) દીક્ષારંભ કઈ રીતે ચાલુ રાખવા ઇચ્છતા હતા તે વિશે તેમણે વહીવટી મંડળ આયોગને (“જી.બી.સી.”) આપેલા આદેશોને રજૂ કરવાનો પ્રયાસ આ પુસ્તકમાં થયો છે. વરિષ્ઠ ઇસ્કૉન ભક્તો દ્વારા આ વિષય પર પ્રકાશિત ઘણા લેખો અમે સંદર્ભમાં લઈશું, છતાં સંદર્ભના મુખ્ય મુદ્દાઓ દીક્ષારંભ વિષયક જી.બી.સી.ની હાલની સત્તાકીય પુસ્તક “ઇસ્કૉનમાં ગુરુઓ અને દીક્ષારંભ” (હવેથી “જી.આઈ.આઈ.” તરીકે ઉલ્લેખીશું) અને જી.બી.સી. લેખ “મારા આદેશ હેઠળ સમજાયું” માંથી લઈશું જેનો ઉલ્લેખ “ઇસ્કૉનના કાયદાઓ” વિભાગ ૧.૧ માં કરવામાં આવ્યો છેઃ

“જી.બી.સી. આ ‘મારા આદેશ હેઠળ સમજાયું’  લેખ માન્ય રાખે છે જે શ્રી શ્રીમદ્‍ના પ્રસ્થાન બાદ પરંપરા ચાલુ રાખવાની શ્રીલ પ્રભુપાદની ઇચ્છા વિશે અંતિમ સિદ્ધાંતને ઇસ્કૉન નિયમ તરીકે પ્રસ્થાપિત કરે છે. [જુઓ વિભાગ ૨: આ વિભાગમાં જી.બી.સી. સ્થાન લેખો.]” (જી.આઈ.આઈ., પૃષ્ઠ ૧)

જી.આઈ.આઈ.માં જી.બી.સી.ના સ્પષ્ટ લેખિત ઇરાદાઓ છે કે ગુરુઓ, શિષ્યો અને ગુરુ-તત્વ સંબંધિત ઇસ્કૉનના કાયદાઓ અને નિયમોમાંથી વિરોધાભાસ અને વિસંગતતાઓ દૂર થાય, અને આમ એક અંતિમ સિદ્ધાંત (ફિલસૂફીકલ નિષ્કર્ષ) પ્રસ્થાપિત થાય. આપણે નિખાલસપણે પ્રાર્થના કરીએ કે આ લેખ આ ધ્યેયોને અનુરૂપ હોય.

વધુ સુસંગતતા અને આધ્યાત્મિક વિચારધારાની પવિત્રતાના હિતમાં અમને લાગે છે કે જી.આઈ.આઈ.માં હજુય એક કે બે ખામીઓ રહી ગઈ છે જેને જી.આઈ.આઈ.માં સંપૂર્ણ રીતે સંબોધવામાં આવી નથી અને જે વધુ તપાસ અને ચર્ચામાં ઉપયોગી નીવડી શકે. ભલે આ ખામીઓ સામે ઉઠેલા કેટલાક મુદ્દાઓ તદ્દન ધરમૂળ લાગતા હોય, તે સાથે વ્યવહાર કરવો દુઃખદ પણ હોય, પરંતુ અમને લાગે છે કે હવે તેનો ઉકેલ લાવવાથી ભવિષ્યમાં થનાર ગૂંચવણ અને સંભવિત વિચલન મહદ્‍અંશે ઘટી શકે. આ કંઈ અપૂર્વ નથી કે ઇસ્કૉનમાં ગુરુ પ્રણાલીઓ તદ્દન ધરમૂળ પરીક્ષણ હેઠળ આવી છે. ભૂતકાળમાં પ્રતીકો હટાવવામાં આવ્યાં, સમારંભો રોકવામાં આવ્યા અને વિચારધારા બદલવામાં આવી – આ બધું વધુ પડતા લાંબા વિક્ષેપ વગર.

આમ જોઈએ તો ઇસ્કૉન એ નિઃસંદેહ આ ગ્રહ પર એક અતિ અગત્યની સંસ્થા છે. આથી એ અતિ આવશ્યક છે કે તેના પર સતત નિરીક્ષણ રાખવામાં આવે કે આપણા સંસ્થાપક-આચાર્યએ આપેલા ફિલસૂફીકલ અને વ્યવસ્થાપન પરિબળોથી તે જરાય વિચલિત ન થાય. શ્રીલ પ્રભુપાદે ભારપૂર્વક કહ્યું હતું કે આપણે કશો ફેરફાર કરવો નહિ, કશું ઉપજાવવું નહિ કે ખોટી અટકળ કરવી નહિ, અને તેમણે ખૂબ કાળજી અને ખંતતાથી જે પ્રસ્થાપિત કર્યું છે તેને જ કેવળ આગળ ધપાવવું. શ્રીલ પ્રભુપાદના મિશનને આપણે કેવી રીતે આગળ ધપાવીએ છીએ તેની ઝીણવટ ચકાસણી માટે આ તેમના સુવર્ણ જ્યંતી વર્ષ (૧૯૯૬) કરતાં વધુ સારો સમય કયો હોય?

અમને પૂરતી ખાતરી છે કે ઇસ્કૉનમાં વર્તમાન ગુરુ પ્રણાલીને શ્રીલ પ્રભુપાદની અંતિમ હસ્તાક્ષરિત નિર્દેશિકા પ્રમાણે, ૯ જુલાઈ ૧૯૭૭ના રોજ જાહેર થયેલા દીક્ષારંભ વિષયક તેમના અંતિમ આદેશ અનુસાર સુસંગત કરવી આવશ્યક છે (કૃપા કરી જુઓ પૃષ્ઠ ૧૦૯). લોકો ઘણી વખત બીજા પત્રો કે શિક્ષાઓ કરતાં આ પત્ર પર મૂકાયેલા ભાર વિશે પ્રશ્નો કરે છે. અમારા બચાવમાં અમે કેવળ આ સ્વતઃસિદ્ધ વિધાનનું પુનરાવર્તન કરીશું જેનો પ્રયોગ જી.બી.સી. સ્વયં જી.આઈ.આઈ. પુસ્તકમાં કરે છે.

“તર્ક-વિતર્કમાં, આગામી વિધાનો પૂર્વ વિધાનો કરતાં મહત્વનાં હોય છે.” (જી.આઈ.આઈ., પૃષ્ઠ ૨૫)

૯ જુલાઈ પત્ર ખરેખર ઇસ્કૉનમાં સમગ્ર આંદોલનને સંબોધિત દીક્ષારંભ વિષયક અંતિમ આદેશ હોવાથી આ પત્ર તે જ રીતે પ્રયોગમાં લેવાવો જોઈએ. એવું દર્શાવીશું કે આ આદેશનો સંપૂર્ણ સ્વીકાર અને અમલ કોઈ પણ રીતે શ્રીલ પ્રભુપાદની શિક્ષાઓથી વિરુદ્ધ નથી.

કાવાદાવામાં અમને કોઈ રસ નથી, નથી અમને કોઈની વ્યક્તિગત આધ્યાત્મિક મુશ્કેલીઓ પર કાદવ ઉછાળવાની ઇચ્છા. જે થઈ ગયું તે થઈ ગયું. આપણે ભૂતકાળમાં થયેલી ભૂલો પરથી શીખી શકીએ છીએ, પરંતુ ભૂતકાળમાં થયેલાં કૌભાંડો પર વધુ વિચારવા કરતાં આપણે પુનઃએકતા અને ક્ષમાનો હકારાત્મક ભાવિ માર્ગ મોકળો કરવા મદદ કરીએ. જ્યાં સુધી લેખકને ખ્યાલ છે, ઇસ્કૉનમાં સૌથી વધુ ભક્તો પૂરી નિખાલસતાથી શ્રીલ પ્રભુપાદને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે; અમને લાગે છે કે આપણા સંસ્થાપક-આચાર્યના સીધા આદેશનું કોઈ જાણીજોઈને અનાદર કરતું હોય અથવા બીજાને અનાદર કરવા કારણભૂત હોય એવી શક્યતા ખૂબ ઓછી છે. તેમ છતાં, કોઈક રીતે એવું લાગે છે કે પાછલાં ઓગણીસ વર્ષોમાં જ્ઞાનમીમાંસા અને વ્યવસ્થાપન વિષયક કેટલાંક વિચલનોએ જન ઇસ્કૉન વ્યવહારમાં પ્રવેશ કર્યો છે. આ વિચલનો અને ભૂલોને ઓળખી બતાવી અમે પ્રાર્થના કરીએ છીએ કે શ્રીકૃષ્ણ અને શ્રીલ પ્રભુપાદ પ્રતિ આપણી સેવા-ભક્તિમાં નડતર બિનજરૂરી અવરોધોને દૂર કરવામાં મદદરૂપ થઈએ.

આ પુસ્તકમાં આપણે એક પુરાવા તરીકે સ્વયં શ્રીલ પ્રભુપાદ દ્વારા આપવામાં આવેલા હસ્તાક્ષરિત દસ્તાવેજ અને વાર્તાલાપની પ્રતિલિપિઓ રજૂ કરીશું, જેને જી.બી.સી. પણ પ્રમાણિત ગણી સ્વીકારે છે. ત્યાર બાદ આપણે આ પ્રમાણોનાં વિષય તથા સંદર્ભનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું, અને જોઈશું કે શું તેને શબ્દશઃ સમજવું કે પછી બીજી ફેરફારજનક સૂચનાઓ પણ છે જે આધારે આ પ્રમાણોનાં અર્થ કે પ્રયોગિતા શક્યઅંશે બદલાય શકે. આ પુરાવાના સંબંધમાં ઉઠેલા ફિલસૂફીકલ મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરીશું, તથા દીક્ષારંભ વિષયક ૯ જુલાઈ નીતિ દસ્તાવેજના સીધા સ્વીકારની વિરુદ્ધ ઉઠેલા જન-સામાન્ય વાંધાઓના ઉત્તરો આપીશું. અને અંતે આપણે જોઈશું કે ૯ જુલાઈ આદેશમાં જણાવેલી “કાર્યકારી આચાર્ય-પ્રણાલી” નજીવા વ્યવધાન સાથે કઈ રીતે લાગુ પાડી શકાય.

અમે અમારી તમામ દલીલો શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકો, પત્રો, પ્રવચનો અને વાર્તાલાપમાં આપેલી ફિલસૂફી અને આદેશોને આધીન રાખીશું. અમે નમ્રભાવે તમામ વૈષ્ણવગણની કૃપા અર્ચના કરીએ છીએ કે અમારાથી કોઈનું પણ અપમાન થાય નહિ, અને શ્રી શ્રીમદ્‍ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદના પ્રાણમૂલક મિશનને કોઈ પણ રીતે ક્ષતિ પહોંચે નહિ.

પુરાવા


જે વ્યક્તિ શ્રીલ પ્રભુપાદને જાણતી હતી તેમણે ઘણી વાર તેમના ચીવટભર્યા સ્વભાવની નોંધ લીધી હશે. તેમની સેવા-ભક્તિની દરેક વિગત ખૂબ ચોક્ક્સાઈપૂર્વક ધ્યાનથી નિહાળવી એ શ્રીલ પ્રભુપાદની એક અલગ વિશેષતા હતી; અને જેમણે નજદીકથી તેમની સેવા કરી છે તેઓ માટે શ્રીલ પ્રભુપાદ ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ તેમના ઊંડા પ્રેમ અને ભક્તિના સચોટ ઉદાહરણ હતા. તેમનું સમગ્ર જીવન તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીલ ભક્તિસિદ્ધાંતના આદેશ પાલનમાં અર્પિત હતું, આ કાર્યમાં તેઓ ખૂબ સચેત હતા. તેમણે ભાગ્યભરોસે કશું છોડ્યું ન હતું, ઇસ્કૉન પ્રસ્થાપિત કરવાના તેમના પ્રયત્નોમાં તેઓ હંમેશાં તેમના શિષ્યોને માર્ગદર્શન આપતા, ભૂલ સુધારતા તથા શિક્ષા કરતા હતા. તેમના માટે તેમનું મિશન જ તેમનો આત્મા અને જીવન હતું.

ચોક્ક્સ આ વાત સંપૂર્ણપણે શ્રીલ પ્રભુપાદના સ્વભાવ બહારની હશે કે તેમણે તેમની હ્રદયપ્રિય સંસ્થામાં ભાવિ-દીક્ષારંભ જેવા અતિ અગત્યના મુદ્દાને આમ અનિર્ણાયક, અનિશ્ચિતતા અથવા વાદ-વિવાદમાં કે અટકળ માટે છોડી દીધો હોય. તેમના પોતાના આધ્યાત્મિક ગુરુના મિશનનું શું થયું તે ધ્યાનમાં લેતાં આવું ખાસ કરીને છે; તેઓ ઘણી વાર જણાવતા કે તેનું ખંડન ઘણા અંશે અનધિકૃત ગુરુ પ્રણાલીના આચરણથી થયું હતું. આ વાત ધ્યાનમાં રાખી ચાલો આપણે એવી હકીકતોથી વાત ચાલુ કરીએ જેના પર કોઈ વિવાદ નથીઃ

૯ જુલાઈ ૧૯૭૭, તેમના શારીરિક પ્રસ્થાનના ચાર માસ પહેલાં, શ્રીલ પ્રભુપાદે “આચાર્યના  પ્રતિનિધિઓ” અથવા “ઋત્વિકોને” કાર્યમાં લેતી એક દીક્ષારંભ પ્રણાલીની સ્થાપના કરી. શ્રીલ પ્રભુપાદે આદેશ કર્યો કે આ “કાર્યકારી આચાર્ય” પ્રણાલીનો તાત્કાલિક અમલ થાય અને આ સમયથી, અથવા “હવેથી”, સંચાલનમાં રહે (જુઓ પરિશિષ્ટ પૃષ્ઠ ૧૦૯). આ વહીવટી નિર્દેશિકામાં, જે આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના તમામ વહીવટી આયોગ મંડળના સભ્યો અને મંદિર પ્રમુખોને મોકલવામાં આવી હતી, એવો આદેશ આપવામાં આવ્યો હતો કે તે સમયથી જ ૧૧ નામાંકિત ઋત્વિકો પાસેથી નવા શિષ્યોને આધ્યાત્મિક નામ આપવામાં આવશે તથા તેમની માળા અને ગાયત્રીમંત્ર લેવડાવવામાં આવશે. આ ઋત્વિકો શ્રીલ પ્રભુપાદ વતી કાર્યરત રહે તે હેતુ હતા, અને નવા દીક્ષારંભ ગ્રહણ તમામ ભક્તો શ્રીલ પ્રભુપાદના શિષ્યો બનતા. આમ શ્રીલ પ્રભુપાદે કોનું દીક્ષારંભ થશે તે વિશે ઋત્વિકોને પૂરી સત્તા સોંપી દીધી, અને તેમણે સ્પષ્ટ કરી દીધું કે તે સમયથી જ આ બાબતે હવે તેમને પૂછવું નહિ (ઋત્વિકોના કાર્યની વિગત માટે પૃષ્ઠ ૯૧ પર જુઓ વિભાગ “ઋત્વિક એટલે શું?”).

૧૪ નવેમ્બર ૧૯૭૭ના રોજ શ્રીલ પ્રભુપાદના શારીરિક પ્રસ્થાન બાદ તુરંત જી.બી.સી.એ આ ઋત્વિક પ્રણાલી બંધ કરી દીધી. ૧૯૭૮ની ગૌર-પૂર્ણિમાના દિવસે આ ૧૧ ઋત્વિકોએ પોતાના શિષ્યો સ્વીકારી ક્ષેત્રિય આચાર્ય દીક્ષા ગુરુઓ તરીકે ભૂમિકા ધારણ કરી લીધી. આ પાછળ તેમનું કારણ શ્રીલ પ્રભુપાદે આપેલો આક્ષેપિત આદેશ હતો કે માત્ર તેઓ જ દીક્ષા આચાર્યો તરીકે તેમને અનુગામી થાય. થોડાં વર્ષો પછી આ ક્ષેત્રિય આચાર્ય પ્રણાલીને જ પડકારવામાં આવી, અને તેને ઋત્વિક પ્રણાલીના પુનઃસ્થાપનથી નહિ પરંતુ જેઓ વિચલિત થયા હતા તેઓ સામે વ્યવહાર કરવા અંકુશ તથા પ્રતિઅંકુશની જટિલ પ્રણાલી સાથે બીજા ડઝનબંધ ગુરુઓ ઉમેરી બદલવામાં આવી. આ પરિવર્તન પાછળનો તર્ક એ આપવામાં આવ્યો કે ગુરુ બનવાનો આદેશ, જેમ આપણને પહેલાં કહેવામાં આવેલું, માત્ર ૧૧ જણ માટે ન હતો પરંતુ જે કોઈ ચુસ્તપણે અનુસરતું હોય અને જેમણે જી.બી.સી. મંડળ તરફથી બે-તૃતીયાંશ બહુમતી પ્રાપ્ત કરી હોય તેઓ સર્વ માટે સામાન્ય આદેશ હતો.

ઉપરોક્ત અહેવાલ એક રાજકીય અભિપ્રાય નથી, પરંતુ જી.બી.સી સહિત દરેકે સ્વીકારેલી એક ઐતિહાસિક હકીકત છે.

ઉપર જણાવ્યું તેમ, ૯ જુલાઈ પત્ર તમામ જી.બી.સી. અને મંદિર પ્રમુખોને મોકલવામાં આવ્યો હતો, અને આજ દિન સુધી આ પત્ર ભાવિ દીક્ષારંભ વિષયક શ્રીલ પ્રભુપાદે સમગ્ર સંસ્થાને આપેલો એકમાત્ર હસ્તાક્ષરિત આદેશ છે. ૯ જુલાઈ પત્ર પર ટિપ્પણી કરતાં શ્રીપદ્‍ જયઅદ્વૈત સ્વામીએ હાલમાં જ લખ્યું:

“આ પત્રની અધિકૃતતા બિનશંકાસ્પદ છે […] આ પત્ર સ્પષ્ટપણે ઋત્વિક ગુરુ પ્રણાલીનું જ પ્રસ્થાપન કરે છે.”
(જયઅદ્વૈત સ્વામી, જ્યાં ઋત્વિક લોકો ખોટા છે, ૧૯૯૬)

આ વિવાદ બે ફેરફારોના કારણે ઉદ્‍ભવે છે જે પાછળથી આ સ્પષ્ટ અને અધિકૃત નિર્દેશિકા પર ઠોકી બેસાડવામાં આવ્યાઃ

ફેરફાર અ) : પ્રતિનિધિઓ કે ઋત્વિકોની નિયુક્તિ માત્ર કામચલાઉ હતી, અને તે વિશેષરૂપે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે રદ થાય.

ફેરફાર બ) : તેઓના પ્રતિનિધિત્વ તરીકેના કાર્યનો અંત થતાં જ ઋત્વિકો આપોઆપ દીક્ષા ગુરુ બને અને ભક્તોનું દીક્ષારંભ કરી તેઓના પોતાના શિષ્યો બનાવે, નહિ કે શ્રીલ પ્રભુપાદના.

ક્ષેત્રિય આચાર્ય પ્રણાલીની ફેરસુધારણા, જે ૧૯૮૭ની આસપાસ થઈ હતી, તેમાં આ બે ધારણાઓ યથાવત્‍ રાખવામાં આવી. આ બે ધારણાઓ એ જ છે જેને આધારે ક્ષેત્રિય પ્રણાલી રચાઈ હતી. ઉપરોક્ત ધારણાઓ (અ) અને (બ)ને અમે ફેરફારો તરીકે ઉલ્લેખીશું કેમ કે આ કથનો ૯ જુલાઈ પત્રમાં કે આ આદેશને અનુવર્તી શ્રીલ પ્રભુપાદે આપેલા અન્ય કોઈ નીતિ-દસ્તાવેજોમાં નથી.

જી.બી.સી.ના જી.આઈ.આઈ. લેખમાં ઉપરોક્ત જણાવેલા ફેરફારોને સ્પષ્ટરૂપે કાયમી રાખવામાં આવે છેઃ

“જ્યારે શ્રીલ પ્રભુપાદને પૂછવામાં આવ્યું કે તેમના શારીરિક પ્રસ્થાન બાદ કોણ દીક્ષારંભ આપશે ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ તેમના કેટલાક શિષ્યોની “ભલામણ” કરશે અને “આદેશ” આપશે, તેઓ તેમના જીવનકાળ દરમ્યાન તેમના વતી અને પાછળથી “નિયમિત ગુરુઓ” તરીકે દીક્ષારંભ આપશે, તેઓના શિષ્યો શ્રીલ પ્રભુપાદના શિષ્યના શિષ્યો હશે.”
(જી.આઈ.આઈ., પૃષ્ઠ ૧૪)

સમય જતાં ઘણા ભક્તોએ આ મૂળ ધારણાઓ પાછળની અધિકૃતિ પર પ્રશ્નો ઉઠાવ્યા. ઘણાને કદીય તેના યોગ્ય પ્રમાણ આપવામાં આવ્યા નહીં, અને તેથી સંસ્થામાં તેમજ સંસ્થાની બહાર શંકાની ગંધ અને અવિશ્વસનીયતા વધવા માંડી. હાલમાં પુસ્તકો, લેખો, ઈમેલ અને વેબસાઈટ્‍સ પર ઇસ્કૉન અને તેની આક્ષેપિત વિચલિત ગુરુ પ્રણાલી વિશે લગભગ રોજની ખબર છપાય છે. શ્રીલ પ્રભુપાદના આંદોલનની ખરેખર સરાહના કરતા દરેક જણ માટે આ વિવાદનો કોઈ જાતનો ઉકેલ જે થકી પણ આવે તે હકારાત્મક હોવો જોઈએ.

આ મુદ્દા પર દરેક જણ સંમત છે કે ઇસ્કૉનના તમામ સભ્યો માટે શ્રીલ પ્રભુપાદ આખરી સત્તા છે, તેથી તેમની ઇચ્છા અને આદેશ જે પણ હતાં તેને અનુસરવાની આપણી ફરજ બને છે. સંમતિનો બીજો મુદ્દો એ છે કે ભાવિ દીક્ષારંભ વિશે એકમાત્ર હસ્તાક્ષરિત નીતિ-નિવેદન ૯ જુલાઈ આદેશ હતો, અને તે સંસ્થાના તમામ આગેવાનોને મોકલવામાં આવ્યો હતો.

અગત્યની નોંધ લેવી કે આ એકમાત્ર સ્થળે જ્યાં મૂળ અગિયાર “આચાર્યો” નો ખરેખર ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં જી. આઈ.આઈ.માં આ ૯ જુલાઈ પત્રના અસ્તિત્વનો જરાય ઉલ્લેખ પણ નથી. આ પત્રની બાદબાકી મૂંઝવણભરી છે, ખાસ કરીને જ્યારે જી.આઈ.આઈ. પાસે આ પૂરા મુદ્દા પર “અંતિમ સિદ્ધાંત” રજૂ કરવા અપેક્ષા રાખવામાં આવી હતી.

તો ચાલો આપણે ૯ જુલાઈ આદેશને બારીકાઈથી ચકાસીએ અને જોઈએ કે તેમાં ખરેખર એવું કંઈક છે જે ઉપરોક્ત ધારણાઓ (અ) અને (બ)ના સમર્થનમાં હોયઃ

આદેશ

જેમ અગાઉ જણાવ્યું, ૯ જુલાઈ આદેશમાં જણાવ્યું છે કે ઋત્વિક પ્રણાલીનું આચરણ “હેન્સફૉર્વડ” થવું જોઈએ. પ્રયોગમાં લીધેલા આ વિશેષ શબ્દ “હેન્સફૉર્વડ”નો એક જ અર્થ થાય છે, એટલે કે “હવેથી”. આ શબ્દના શ્રીલ પ્રભુપાદે અગાઉ કરેલા પ્રયોગ અનુસાર તેમજ આ શબ્દના અંગ્રેજી ભાષામાં થતાં અર્થ અનુસાર આમ જ થાય. બીજા શબ્દોથી વિપરીત, “હેન્સફૉર્વડ” શબ્દ અસંદિગ્ધ છે કેમ કે શબ્દકોશમાં તેની એક જ પરિભાષા છે. ફોલિયોમાં મળતા બીજા ૮૬ પ્રસંગોમાં જ્યાં શ્રીલ પ્રભુપાદે “હેન્સફૉર્વડ” શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યારે આ શબ્દનો અર્થ “હવેથી” કરતાં કંઈક જુદો જ થતો હોવો જોઈએ તેવી શક્યતા પણ કોઈને ઊભી થઈ ન હતી. “હવેથી” શબ્દનો અર્થ “જ્યાં સુધી હું પ્રસ્થાન ન કરું ત્યાં સુધી” એમ થતો નથી. આ શબ્દનો અર્થ કેવળ “હવેથી” જ થાય છે. આ પત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે આ પ્રણાલી રદ થાય; ન તો આ પ્રણાલી માત્ર તેમની હાજરીમાં જ ચાલુ રહે એવો કોઈ ઉલ્લેખ છે. ઉપરાંત, એવી દલીલ કે આખી ઋત્વિક પ્રણાલી એક જ શબ્દ – “હેન્સફૉર્વડ” – પર “આધારિત” છે એમાં કોઈ દમ નથી, કેમ કે જો આપણે આ પત્રમાંથી આ શબ્દ કાઢી નાખીએ તોપણ કશું બદલાતું નથી. તોપણ તેમના પ્રસ્થાનના ૪ માસ પહેલાં શ્રીલ પ્રભુપાદ દ્વારા સુયોજિત અને તેને રદબાતલ કરવાના કોઈ અનુવર્તી આદેશ વિના આ ઋત્વિક પ્રણાલી યથાવત્‍ રહે છે. આવા કોઈ પ્રતિ-આદેશ વિના આ પત્ર દીક્ષારંભ વિશે શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશ તરીકે માનવામાં આવવો જોઈએ, અને તેથી તેનું અનુસરણ કરવું જ રહ્યું.

સમર્થન આપતા આદેશો

 ૯ જુલાઈ પત્ર પછીના દિવસોમાં શ્રીલ પ્રભુપાદ અને તેમના સચિવ દ્વારા બીજા અહેવાલો છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ઋત્વિક પ્રણાલી વિના રુકાવટ ચાલુ રહે તે હેતુ હતીઃ

ભવિષ્યમાં અનુસરાશે એ દીક્ષારંભ પ્રક્રિયા.” (જુલાઈ ૧૧, ૧૯૭૭)

“ઋત્વિક બનવાનું ચાલુ રાખો તથા મારા વતી કાર્યરત રહો.”
(જુલાઈ ૧૯, ૧૯૭૭)

“ઋત્વિક તરીકે ચાલુ રહો અને મારા વતી કાર્યરત રહો.”
(જુલાઈ ૩૧, ૧૯૭૭)
(કૃપા કરી જુઓ પરિશિષ્ટ).

આ દસ્તાવેજોમાં આપણે “ચાલુ રહો” તથા “ભવિષ્યમાં” જેવા શબ્દો જોઈએ છીએ જે “હેન્સફૉર્વડ” શબ્દ સાથે ઋત્વિક પ્રણાલીનું કાયમીપણું દર્શાવે છે. શ્રીલ પ્રભુપાદ તરફથી એવું કોઈ કથન નથી જે એવો ઇશારો પણ કરતું હોય કે તેમના પ્રસ્થાન સમયે આ પ્રણાલી રદ થાય.

અનુવર્તી આદેશો

એકવાર ઋત્વિક પ્રણાલી સ્થપાઈ અને ચાલુ થઈ ત્યાર બાદ શ્રીલ પ્રભુપાદે ક્યારેય તેને રદબાતલ કરવાનો અનુવર્તી આદેશ આપ્યો ન હતો, અને ન તો તેમણે ક્યારેય એવું જણાવ્યું કે તેમના પ્રસ્થાન સાથે આ પ્રણાલી બંધ કરી દેવી. ભૂલથી કે બીજા કોઈ કારણે આવું બને તે પ્રત્યે સાવધ હોઈ, તેમણે તેમના અંતિમ વસિયતનામાની શરૂઆતમાં જ જણાવ્યું કે ઇસ્કૉનમાં રચાયેલી “વ્યવસ્થાપન પ્રણાલી” ચાલુ રહે અને તેને બદલી ન શકાય – એક આદેશ જેને તેમના પ્રસ્થાનના ૯ દિવસ આગળ જ ઉમેરાયેલી વસિયત-પુરવણીમાં પણ યથાવત્‍ રાખવામાં આવ્યો હતો. જો તેમની ઇચ્છા ઋત્વિક પ્રણાલી રદ કરી દેવાની હોત તો સાચે જ તેમ કરવા માટે આ એક સારી તક હતી. દીક્ષારંભ ભક્તોનાં નામ આપવાં ઋત્વિકોનો ઉપયોગ એક “વ્યવસ્થાપન પ્રણાલી” હતી એવું નિમ્ન દાખલાઓને આધારે સમજી શકાય છેઃ

૧૯૭૫માં એક પ્રારંભિક જી.બી.સી. ઠરાવમાં એવું મંજૂર કરવામાં આવ્યું કે જી.બી.સી.ના માથે વ્યવસ્થાપન કાર્યોની પૂરી જવાબદારી રહેલી છે. આ જ વર્ષમાં જી.બી.સી.એ વ્યવહાર કરેલા કેટલાક વ્યવસ્થાપન મુદ્દાઓ નીચે મુજબ છેઃ

“પ્રથમ દીક્ષારંભ મેળવવા માટે તેમણે ૬ માસ સુધી કાયમી સભ્ય હોવું જરૂરી છે. દ્વિતીય દીક્ષારંભ માટે પ્રથમ દીક્ષારંભ બાદ ન્યૂનતમ બીજું એક વર્ષ થવું જરૂરી છે.”  (જી.બી.સી. ઠરાવ નં. ૯, માર્ચ ૧૯૭૫)

“સંન્યાસીને દીક્ષારંભ આપવાની પદ્ધતિ”. (જી.બી.સી. ઠરાવ નં. ૨, માર્ચ ૧૯૭૫)

આ ઠરાવો શ્રીલ પ્રભુપાદ દ્વારા જાતે જ મંજૂર થયા હતા. આ ઠરાવો નિર્ણાયકપણે દર્શાવે છે કે દીક્ષારંભની સંચાલન પદ્ધતિ એક “વ્યવસ્થાપન પ્રણાલી” ગણાતી. જો દીક્ષારંભના સંચાલન માટેની આખી પદ્ધતિ શ્રીલ પ્રભુપાદ દ્વારા એક “વ્યવસ્થાપન પ્રણાલી” ગણાતી હોય, તો દીક્ષારંભનો એક ઘટક—આધ્યાત્મિક નામ આપવા ઋત્વિકોનો ઉપયોગ—પણ આ જ શરત-સંદર્ભમાં આવવો જોઈએ.

આમ દીક્ષારંભની ઋત્વિક પ્રણાલીમાં કરેલો ફેરફાર શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશનું સીધું જ ઉલ્લંઘન હતું.

શ્રીલ પ્રભુપાદની વસિયતમાં બીજો એક આદેશ છે, જે ઋત્વિક પ્રણાલીનું ઇચ્છિત કાયમીપણું દર્શાવે છે, તેમાં એવું જણાવવામાં આવે છે કે ભારતમાં તેમની કાયમી મિલકતો માટે વહીવટી નિયામકોની પસંદગી માત્ર શ્રીલ પ્રભુપાદના “દીક્ષારંભ ગ્રહણ શિષ્યો”માંથી જ કરી શકાયઃ

“… બાકીના નિયામકો દ્વારા ઉત્તમ અધિકારી નિયામક કે નિયામકો નિયુક્ત કરી શકાય, જો નવા નિયામક મારા દીક્ષારંભ ગ્રહણ શિષ્ય હોય તો.”  (શ્રીલ પ્રભુપાદનું વસિયતનામું, જૂન ૪, ૧૯૭૭)

આવું ત્યારે જ બની શકે જો દીક્ષારંભની ઋત્વિક પ્રણાલી શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ પણ ચાલુ રહે, નહિતર ભાવિ નિયામકોની સંખ્યા સમયાંતરે ઘટતી જાય.

તદ્‍ઉપરાંત, ૯ જુલાઈ બાદ જ્યારે જ્યારે શ્રીલ પ્રભુપાદ દીક્ષારંભ વિશે બોલ્યા ત્યારે તેમણે ઋત્વિક પ્રણાલીની જ પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે કદીય એવો કોઈ નિર્દેશ કર્યો ન હતો કે તેમના પ્રસ્થાન સાથે આ પ્રણાલી રદ થાય અથવા દીક્ષાની ભૂમિકા લેવા તૈયાર ગુરુઓ બાજુએ રાહ જોતા હશે. આમ જ્યાં સુધી પ્રત્યક્ષ પુરાવાનો સવાલ છે, અગાઉ જણાવેલી ધારણાઓ (અ) અને (બ)ના સમર્થનમાં કશું જ નથી. જેમ જણાવ્યું, આ ધારણાઓ – કે ઋત્વિક પ્રણાલી તેમના પ્રસ્થાન સાથે રદ થાય અને પછી ઋત્વિકો દીક્ષા ગુરુઓ બને – ઇસ્કૉનની વર્તમાન ગુરુ પ્રણાલીના મુખ્ય આધારસ્તંભ છે. જો આ ધારણાઓ ખોટી પુરવાર થાય તો જી.બી.સી.ને ચોક્કસ ધરમૂળ ફેરફાર કરવા પડશે.

ઉપરોક્ત બાબતો પરથી ચિત્ર સ્પષ્ટ થાય છે. ૯ જુલાઈ આદેશ, સમર્થન આપતા આદેશો તેમજ અનુવર્તી આદેશો ઋત્વિક પ્રણાલી ચાલુ રહે તેનું જ સમર્થન કરે છે. લાગતાંવળગતાં તમામે કબૂલ કર્યું છે કે શ્રીલ પ્રભુપાદે તેમના પ્રસ્થાન સાથે ઋત્વિક પ્રણાલી રદ થાય એવો કોઈ આદેશ આપ્યો ન હતો. લાગતાંવળગતાં તમામે વધુમાં સ્વીકાર્યું છે કે શ્રીલ પ્રભુપાદે ૯ જુલાઈથી અમલ માટે ઋત્વિક પ્રણાલી સુયોજિત કરી હતી. આમ આપણે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં આચાર્યએઃ

૧) ઋત્વિક પ્રણાલી આચરણમાં લેવા એક સ્પષ્ટ આદેશ આપ્યો છે;
૨) ઋત્વિક પ્રણાલીનું અનુસરણ તેમના શારીરિક પ્રસ્થાન સાથે બંધ થાય એવો કોઈ આદેશ આપ્યો નથી.

આ પરિણામરૂપ, એક શિષ્યને આ આદેશનું અનુસરણ બંધ કરી દેવા કોઈ પાક્કો પુરાવો આપવાની આવશ્યકતા રહે છે. ખરેખર શ્રીલ પ્રભુપાદે આપણને ફક્ત ઋત્વિક પ્રણાલીનું અનુસરણ કરવાનું કહ્યું છે. તેમણે આપણને આ પ્રણાલીનું અનુસરણ બંધ કરી દેવા કે ફક્ત તેમની શારીરિક ઉપસ્થિતિમાં જ તેનું અનુસરણ કરવા કદી કહ્યું નથી. આધાર અને પુરાવા આપવાની જવાબદારી સ્વાભાવિક રીતે તેઓના માથે હોય જેઓ આપણા આચાર્યએ અમલમાં મૂકેલી અને નિરંતર ચાલુ રહેવા આપેલી કોઈ પણ પ્રણાલીને બંધ કરી દેવા ઇચ્છતા હોય. આ એક સ્પષ્ટ વાત છે; ગુરુના આદેશનું પાલન મનફાવે બંધ કરી ન દેવાયઃ

“… પ્રક્રિયા એ છે કે તમે આધ્યાત્મિક ગુરુના આદેશને બદલી શકો નહિ.”  
(શ્રીલ પ્રભુપાદ, શ્રીચૈતન્ય-ચરિતામૃત પ્રવચન, ૨/૨/૧૯૬૭, સન ફ્રાન્સિસ્કૉ)

ગુરુ તરફથી મળેલા એક પ્રત્યક્ષ આદેશનું અનુસરણ ચાલુ રાખવા શિષ્યને કોઈ કારણ આપવાની જરૂર રહેતી નથી; ખાસ કરીને જ્યારે તેમને તેનું અનુસરણ ચાલુ રાખવા કહેવામાં આવ્યું હોય. આ સિદ્ધાંત છે, અને આનો જ અર્થ શિષ્ય થાયઃ

“જ્યારે કોઈ શિષ્ય બને છે ત્યારે તેઓ આધ્યાત્મિક ગુરુના આદેશનું અનાદર કરી શકે નહિ.” 
(શ્રીલ પ્રભુપાદ, ભગવદ્‍-ગીતા પ્રવચન, ૧૧/૨/૧૯૭૫, મૅક્સિકૉ)

શ્રીલ પ્રભુપાદના શારીરિક પ્રસ્થાન સાથે ઋત્વિક પ્રણાલી રદ કરી દેવી એવું જણાવતા કોઈ પ્રત્યક્ષ પુરાવા ન હોવાથી તેને રદબાતલ કરવાનો મુકદ્દમો ફક્ત પરોક્ષ પુરાવા પર જ આધારિત હોય શકે. પરોક્ષ પુરાવા શબ્દશઃ પ્રત્યક્ષ આદેશ સંબંધિત વિશેષ પરિસ્થિતિમાંથી ઉદ્‍ભવી શકે. આ નબળી પરિસ્થિતિઓ, જો અસ્તિત્વમાં હોય તો, તેને શબ્દશઃ આદેશના અર્થઘટન માટે આધાર તરીકે લઈ શકાય. આપણે હવે ૯ જુલાઈ આદેશ સંબંધિત પરિસ્થિતિઓનું પરીક્ષણ કરીશું અને જોઈશું કે શું આવી પરિવર્તનશીલ પરિસ્થિતિઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે, તથા શું આ ધારણાઓ (અ) અને (બ)ના સમર્થનમાં કંઈક તારણજનક છે કે નથી.


શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશ વિરુદ્ધ ઉઠેલા સીધા સંલગ્ન વાંધાઓ

૧. “૯ જુલાઈ પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઋત્વિક પ્રણાલી શ્રીલ પ્રભુપાદની શારીરિક હાજરી સુધી જ પ્રસ્થાપિત હતી.”


૯ જુલાઈ પત્રમાં એવું કશું જણાવ્યું નથી કે આ આદેશ શ્રીલ પ્રભુપાદની શારીરિક હાજરી પૂરતો જ મર્યાદિત હતો. ખરેખર તો આ પત્રમાં આપેલી માહિતી અનુસાર ઋત્વિક પ્રણાલી શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ પણ ચાલુ રહે છે. એ નોંધનીય છે કે ૯ જુલાઈ પત્રમાં ત્રણ વખત જણાવવામાં આવ્યું છે કે જેમનું દીક્ષારંભ થયું તેઓ શ્રીલ પ્રભુપાદના શિષ્યો છે. જી.બી.સી.એ તેમની વર્તમાન ગુરુ પ્રણાલી માટે પુરાવા રજૂ કરતાં જોરશોર દલીલ કરી છે કે શ્રીલ પ્રભુપાદે પહેલેથી જ એકદમ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તેમનો સવાલ છે, આ એક અભેદ્ય કાયદો છે કે તેમની હાજરીમાં કોઈ દીક્ષારંભ ન આપી શકે. આમ ભાવિ શિષ્યો પર શ્રીલ પ્રભુપાદની માલિકી જણાવવાની આવશ્યકતા જ દર્શાવે છે કે આ આદેશ એવા સમય માટે હતો જ્યારે માલિકીનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ખાસ કરીને તેમના પ્રસ્થાન બાદ.

કેટલાંક વર્ષો સુધી શ્રીલ પ્રભુપાદ માળા પર જાપ કરવા, અગ્નિ યજ્ઞ કરવા, ગાયત્રી મંત્ર આપવા વગેરે કાર્યો માટે પ્રતિનિધિઓને ઉપયોગમાં લેતા હતા. ત્યારે આવો સવાલ કોઈએ ક્યારેય કર્યો નહીં કે આ નવા દીક્ષારંભ ગ્રહણ ભક્તો કોના શિષ્યો છે. ૯ જુલાઈ પત્રની શરૂઆતમાં જ ભારપૂર્વક જણાવ્યું છે કે જેમની નિમણૂક કરવામાં આવે છે તેઓ શ્રીલ પ્રભુપાદના “પ્રતિનિધિઓ” છે. આ પત્રમાં પછી એકમાત્ર નવીનતા પ્રતિનિધિઓની ભૂમિકાનું નિર્દિષ્ટીકરણ હતું; જે ભાગ્યે જ તેઓને માટે પૂર્ણ દીક્ષા ગુરુઓ બનવાના એક સીધા આદેશ સાથે ગેરસમજ હોય. જો આ પ્રણાલી માત્ર તેમની હાજરીમાં જ સંચાલિત કરવા માટે હોત તો શિષ્ય અધિકારત્વ પર શ્રીલ પ્રભુપાદનો ભાર આથી બિલકુલ અનાવશ્યક ગણાય, કેમ કે જ્યાં સુધી શ્રીલ પ્રભુપાદ હાજર હતા તેઓ જાતે જ ખાતરી કરી શકતા હતા કે શિષ્ય અધિકારત્વનો ખોટો દાવો કોઈ ન કરે. ઉપરોક્ત જણાવ્યું તેમ, આ ટૂંકાટચ અને મુદ્દાસર પત્રમાં આ વાત ત્રણ વખત ભારપૂર્વક જણાવેલી છે.    

“આમ જ્યારે કોઈ વસ્તુ પર ત્રણ વખત ભાર આપવામાં આવે તો તેને છેવટનું સમજવું.”            
(શ્રીલ પ્રભુપાદ, ભગવદ્‍-ગીતા પ્રવચન, ૨૭/૧૧/૧૯૬૮, લૉસ ઍન્જેલીસ)

૯ જુલાઈ પત્રમાં જણાવ્યું છે કે નવા દીક્ષારંભ ગ્રહણ શિષ્યોનાં નામ “શ્રીલ પ્રભુપાદને” મોકલવાં. શું આ એવું દર્શાવે છે કે પ્રણાલી માત્ર શ્રીલ પ્રભુપાદની શારીરિક હાજરીમાં જ સંચાલિત થવા માટે હતી? કેટલાક ભક્તોએ એવી દલીલ કરી છે કે આપણે હવે આ નામ શ્રીલ પ્રભુપાદને મોકલી શકતા ન હોવાથી ઋત્વિક પ્રણાલી રદ થવી જોઈએ.

પ્રથમ નોંધનીય વાત શ્રીલ પ્રભુપાદને નામ મોકલવાં પાછળનો હેતુ છે, એટલે કે જેથી આ નામ તેમનાં “દીક્ષારંભ ગ્રહણ શિષ્યો” નામના પુસ્તકમાં ઉમેરી કરી શકાય. આપણે ૭ જુલાઈના રોજ થયેલા વાર્તાલાપ (કૃપા કરી જુઓ પરિશિષ્ટ, પૃષ્ઠ ૧૨૮) પરથી જાણીએ છીએ કે આ પુસ્તકમાં નવાં નામ દાખલ કરવાં સાથે શ્રીલ પ્રભુપાદને કશું લેવાદેવા ન હતું; આ તેમના સચિવ દ્વારા થતું. વધુ પુરાવો કે આ નામ પુસ્તકમાં સમાવેશ માટે મોકલવાં, નહિ કે વિશેષરૂપે શ્રીલ પ્રભુપાદને, એ બીજે જ દિવસે હંસદૂત્તને લખાયેલા એક પત્રમાં જણાવ્યો છે, જેમાં તમાલ કૃષ્ણ ગોસ્વામી હંસદૂત્તને તેમની નવી ઋત્વિક જવાબદારીઓ સમજાવે છેઃ

“… તમારે તેઓનાં નામ શ્રીલ પ્રભુપાદના “દીક્ષારંભ ગ્રહણ શિષ્યો” નામના પુસ્તકમાં સમાવેશ માટે મોકલવાં.”  
(તમાલ કૃષ્ણ ગોસ્વામી તરફથી હંસદૂત્તને પત્ર, ૧૦/૭/૧૯૭૭)

આ નામ શ્રીલ પ્રભુપાદને મોકલવાની આવશ્યકતાનો અહીં કોઈ ઉલ્લેખ નથી. આ પદ્ધતિ શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ પણ સરળપણે ચાલુ રાખી શકાય હોત. અંતિમ આદેશમાં એવું કશું નથી જે મુજબ જો “દીક્ષારંભ ગ્રહણ શિષ્યો” નામનું પુસ્તક શ્રીલ પ્રભુપાદથી શારીરિકપણે અલગ પડે તો બધાં દીક્ષારંભ સ્થગિત કરી દેવાં.

બીજી વાત એ છે કે શ્રીલ પ્રભુપાદને નવા દીક્ષારંભ ગ્રહણ શિષ્યોનાં નામ મોકલવાની આ પદ્ધતિ કોઈ પણ સંજોગોમાં દીક્ષારંભ પછીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. શિષ્યોનું દીક્ષારંભ થઈ ગયા પછી જ તેમનાં નામ મોકલી શકાય. આમ દીક્ષારંભ પછી શું કરવું જોઈએ એ સંબંધિત આદેશ દીક્ષારંભ પહેલાંની વિધિ કે દીક્ષારંભ વેળાની પદ્ધતિઓને બદલવા કે કોઈક રીતે રોકવા વાપરી ન શકાય (ખરું દીક્ષારંભ થાય તે પૂર્વે જ ઋત્વિકોની ભૂમિકા પરિપૂર્ણ થઈ ચૂકી હોય છે). નામ શ્રીલ પ્રભુપાદને મોકલી શકાય કે નહિ તેની દીક્ષારંભ પ્રણાલી પર કોઈ અસર પડતી નથી, કેમ કે જે તબક્કે નવાં નામ મોકલવાં તૈયાર હોય ત્યારે દીક્ષારંભ થઈ ગયું હોય છે.

છેલ્લી વાત કે જો શ્રીલ પ્રભુપાદને નામ મોકલવું એ ખરેખર દીક્ષારંભ વિધિનો એક અગત્યનો ભાગ હોત તો શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન પહેલાં પણ આ પ્રણાલી અમાન્ય બની હોત અથવા તો એમ થવાના પૂરેપૂરા જોખમ હોત. એવું ઘણુંખરું મનાતું કે શ્રીલ પ્રભુપાદ કોઈ પણ સમયે આ જગત છોડી જશે, આમ નામ મોકલવાં હયાત ન હોવાનો ભય આદેશ જાહેર થયો તે દિવસથી જ હતો. બીજા શબ્દોમાં કહીએ તો, ઋત્વિક પ્રણાલી હેઠળ કોઈ શિષ્યના દીક્ષારંભ થયાના બીજે જ દિવસે શ્રીલ પ્રભુપાદ આ ગ્રહ છોડી જાય છે એવો એક શક્ય કિસ્સો લઈએ તો ઉપર જણાવેલા વિરોધ મુજબ ટપાલ-સેવાની ઝડપના કારણમાત્ર શિષ્યનું દીક્ષારંભ થયું ન ગણાય. આપણે શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં કશે એવો ઉલ્લેખ નથી જોતા કે દીક્ષાની આ દિવ્ય પ્રક્રિયા, જેને પૂર્ણ થવા કદાચ ઘણા જન્મો લાગે, ટપાલ-સેવાની વિપરીતતાથી બાધિત થઈ શકે. ચોક્કસપણે એવું કશું ન હોય શકે જેથી નવા દીક્ષારંભ ગ્રહણ ભક્તોનાં નામ હાલ પણ શ્રી શ્રીમદ્‌ના “દીક્ષારંભ ગ્રહણ શિષ્યો” નામના પુસ્તકમાં દાખલ થતા અટકાવી શકે. આ પુસ્તક પછી અનુકૂળ સમયે શ્રીલ પ્રભુપાદને અર્પણ કરી શકાય.

૨. “આ પત્રમાં વિશેષરૂપે એવું નથી જણાવ્યું કે ‘આ પ્રણાલી શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ ચાલુ રાખવી’; આથી શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે ઋત્વિક પ્રણાલીને રદ કરવું યોગ્ય હતું.”


કૃપા કરી નિમ્ન મુદ્દાઓ ધ્યાનમાં લોઃ

૧. ૯ જુલાઈ પત્રમાં એવું પણ વિશેષરૂપે નથી જણાવ્યું કેઃ ‘ઋત્વિક પ્રણાલી શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે રદ થાય’. છતાં તેમના પ્રસ્થાન બાદ તેને તુરંત રદ કરાઈ. 
૨.  આ પત્રમાં એવું પણ નથી જણાવ્યું કેઃ ‘જ્યાં સુધી શ્રીલ પ્રભુપાદ હાજર છે ત્યાં સુધી ઋત્વિક પ્રણાલી ચાલુ રાખવી’. છતાં તેમની હાજરીમાં તેનું સંચાલન કરાયું.
૩. આ પત્રમાં એમ પણ નથી જણાવ્યું કેઃ ‘ઋત્વિક પ્રણાલી શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સુધી જ ચાલુ રાખવી’. છતાં તેને તેમના પ્રસ્થાન સુધી જ ચલાવવામાં આવી.
૪. આ પત્રમાં એવું પણ નથી જણાવ્યું કેઃ ‘ઋત્વિક પ્રણાલી રદ કરવી’. છતાં તેને રદ કરવામાં આવી.

સારાંશમાં, જી.બી.સી. નિમ્ન વાતો પર અડગ છેઃ
૯ જુલાઈ પત્ર કે બીજા હસ્તાક્ષરિત આદેશમાં આ ઉપરોક્ત ધારણાઓ જોવા મળતી નથી; તેમ છતાં આ ધારણાઓ ક્ષેત્રિય આચાર્ય પ્રણાલી અને વર્તમાન “બહુ આચાર્ય ઉત્તરાધિકારી પ્રણાલી” (એમ.એ.એસ.એસ.) નો મુખ્ય આધાર રચે છે. (આ સંદર્ભમાં આપણે આચાર્ય શબ્દ તેના મૂળ અર્થમાં લઈશું—દીક્ષારંભ કરતા ગુરુ અથવા દીક્ષા ગુરુ તરીકે).

એવી દલીલ તદ્દન તર્કહીન છે કે પત્રમાં તેના સંચાલનની અવધિનો કોઈ વિશેષ ઉલ્લેખ ન હોવાથી તેનું સંચાલન શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે રદ થાય. આ પત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે ઋત્વિક પ્રણાલીનું અનુસરણ ૯ જુલાઈના રોજ પણ કરવું, આથી આ તર્ક મુજબ ઋત્વિક પ્રણાલીનું અનુસરણ ક્યારેય ન થવું જોઈતું હતું. “હેન્સફૉરવર્ડ” શબ્દનો અર્થ આદેશ જાહેર થયો તે દિવસના અંત સુધી એમ સ્વીકારીએ તોપણ, અને આ પ્રણાલીનો અમલ ૧૦ જુલાઈના રોજ થવો જોઈએ એવો કોઈ ઉલ્લેખ ન હોવાથી, કદાચ તે ત્યાંરે રદ થવી જોઈતી હતી.

માત્ર પૂર્વ નિર્ધારિત સમયગાળા પૂરતું જ ઋત્વિક પ્રણાલીના સંચાલનની માંગ ૨૪ કલાકના ૧૨૬ અલગ અલગ સમયગાળા માટે (એટલે કે ૪ માસ માટે) થયેલા તેના સંચાલનથી વિસંગત છે, કારણ કે આ ૧૨૬ અલગ અલગ સમયગાળા પૈકી એકેયનો ઉલ્લેખ આ પત્રમાં નથી, તેમ છતાં આ પ્રણાલી આ સમયગાળા દરમ્યાન સંચાલિત થઈ તે સામે કોઈને વાંધો ન હતો. જો “હેન્સફૉરવર્ડ” શબ્દનો શબ્દશઃ અર્થ આપણે “અચોક્ક્સ મુદત માટે” એમ ન લઈએ તો ઋત્વિક પ્રણાલીને આપણે ૯ જુલાઈ પછી ક્યારેય પણ રદ કરી શકતા હતા, તો પછી પ્રસ્થાનનો જ સમય કેમ પસંદ કરાયો?

શ્રીલ પ્રભુપાદે પ્રયોગમાં લીધેલા આ “હેન્સફૉરવર્ડ” શબ્દના ૮૬ નોંધમાં અથવા અંગ્રેજી ભાષાના સમગ્ર ઇતિહાસમાં એવું ઉદાહરણ નથી જ્યાં “હેન્સફૉરવર્ડ” શબ્દનો અર્થ કદી આ પ્રમાણે થયો હોયઃ

“જેમણે આદેશ જાહેર કર્યો તે વ્યક્તિના પ્રસ્થાન સુધીનો દરેક સમયગાળો.” 

તેમ છતાં વર્તમાન વિચાર મુજબ “હેન્સફૉરવર્ડ”  શબ્દનો અર્થ ૯ જુલાઈ પત્રમાં આમ જ થયો હોવો જોઈએ. આ પત્રમાં કેવળ જણાવ્યું છે કે ઋત્વિક પ્રણાલીનો અમલ “હેન્સફૉરવર્ડ” કરવો. તો શા માટે તેનો અમલ બંધ કરી દેવાયો?

૩. “કેટલીક સૂચનાઓ શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ સ્વાભાવિક રીતે ચાલુ ન રહી શકે, અને તેથી એવું સમજાય છે કે આવી સૂચનાઓ શ્રીલ પ્રભુપાદની હાજરીમાં જ અમલ માટે હતી; દા.ત. શ્રીલ પ્રભુપાદને નિયમિત માલિશ કરવા કોઈની નિયુક્તિ “હેન્સફૉરવર્ડ” થઈ હોય. ઋત્વિક આદેશ કદાચ આ પ્રકારનો હોય?”  


જો કોઈ આદેશનું પાલન કરવું અશક્ય હોય, જેમ કે શ્રીલ પ્રભુપાદને તેમના પ્રસ્થાન બાદ રોજ માલિશ કરવું, તો સ્વાભાવિક રીતે આમ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એક શિષ્યની ફરજ ગુરુના આદેશને તેનો અમલ અશક્ય ન બને ત્યાં સુધી અથવા ગુરુજી આદેશમાં ફેરફાર ન કરે ત્યાં સુધી કેવળ અનુસરવાની છે. પ્રશ્ન પછી એ છે કે જે વ્યક્તિએ આ ઋત્વિક પ્રણાલી સુયોજિત કરી તેમની શારીરિક ગેરહાજરીમાં શું તેનું અનુસરણ કરવું શક્ય છે કે નથી.

હકીકતમાં, ઋત્વિક પ્રણાલી શ્રીલ પ્રભુપાદની કોઈ પ્રકારની શારીરિક શામિલગીરી વગર ચલાવવા વિશેષરૂપે સુયોજિત થઈ હતી. જો ઋત્વિક પ્રણાલી તેમના પ્રસ્થાન બાદ ચાલુ રખાઈ હોત તો આ પ્રણાલી જેમ શ્રીલ પ્રભુપાદની હાજરીમાં અનુસરણ થતું તેમ તમામ બાબતે સમાન હોત. ૯ જુલાઈ બાદ શ્રીલ પ્રભુપાદની શામિલગીરી અસ્તિત્વહીન બની, અને આથી તે તબક્કે પણ ઋત્વિક પ્રણાલી એવી રીતે સંચાલિત થતી હતી કે જાણે શ્રીલ પ્રભુપાદ આ જગત છોડી ગયા હોય. આ પરિણામરૂપ, આપણે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન કારણ ઋત્વિક પ્રણાલીને અક્રિયાત્મક ન ગણી શકીએ, કારણ કે તેમના પ્રસ્થાનથી આ પ્રણાલીના સંચાલન પર કોઈ અસર પડતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, શ્રીલ પ્રભુપાદ જાણે આ ગ્રહ પર હાજર ન હોય એમ માની આ પ્રણાલીનું સંચાલન કરવા વિશેષ સુયોજન થયું હોવાથી આ ગ્રહ પરથી તેમના શારીરિક પ્રસ્થાનનું કારણ ઋત્વિક પ્રણાલીના અક્ષમતાનું કારણ ન હોય શકે.

૪. “આ આદેશ પુસ્તકમાં નહિ ‘માત્ર’ પત્રમાં જ જાહેર થયો હતો, આથી આપણે તેનું પરોક્ષ અર્થઘટન કરી શકીએ છીએ.” 


આ “પત્રો વિરુદ્ધ પુસ્તકો” વાળી દલીલ આ કિસ્સામાં લાગુ પડતી નથી કેમ કે આ કોઈ સામાન્ય પત્ર ન હતો. સામાન્યતઃ શ્રીલ પ્રભુપાદ કોઈ શિષ્યના કોઈ વિશેષ પ્રશ્નના જવાબમાં અથવા વ્યક્તિગત માર્ગદર્શન આપવા કે શિક્ષા કરવા હેતુ પત્ર લખતા હતા. સ્વાભાવિકપણે, આવા કિસ્સાઓમાં ભક્તનો મૂળ પ્રશ્ન, પરિસ્થિતિ કે વિચલન અર્થઘટનનું કારણ હોય શકે. શ્રીલ પ્રભુપાદના પત્રોમાં આપેલી દરેક વિગત વૈશ્વિકસ્તરે લાગુ પાડી ન શકાય. પરંતુ દીક્ષારંભ વિષયક અંતિમ આદેશનું આવું અર્થઘટન થતું નથી, કેમ કે આ પત્ર કોઈ વિશેષ વ્યક્તિના કોઈ વિશેષ પ્રશ્નના જવાબમાં અથવા કોઈ ભક્તની વ્યક્તિગત પરિસ્થિતિ કે અભિવ્યક્તિને સંબોધવા લખાયેલો ન હતો. ૯ જુલાઈ પત્ર એક કાર્યકારી આદેશ અથવા વ્યવસ્થાપન નીતિ-વિષયક દસ્તાવેજ હતો, જે સંસ્થાના તમામ આગેવાનોને મોકલવામાં આવ્યો હતો. 

આ પત્ર પણ શ્રીલ પ્રભુપાદે આપેલી અને જેનું ખોટા અર્થઘટન વગર પાલન થાય તેવી બીજી મહત્વપૂર્ણ સૂચનાઓના માળખા જેવો જ છે. આ પત્ર તેમણે જાતે જ લખાણમાં મૂક્યો, હસ્તાક્ષર કર્યા અને પછી તેમના આગેવાનોને મોકલ્યો. ઉદાહરણ તરીકે, ૨૨ એપ્રિલ ૧૯૭૨ના રોજ તેમણે “તમામ મંદિર પ્રમુખોને” સંબોધી એક પત્ર મોકલાવ્યોઃ

“ક્ષેત્રિય સચિવોની ફરજ તેમના ક્ષેત્રમાં આવતાં તમામ મંદિરોમાં આધ્યાત્મિક સિદ્ધાંતો સરસ રીતે જળવાઈ રહે તે જોવાની છે. અન્યથા દરેક મંદિર સ્વતંત્ર અને સ્વ-નિર્ભર રહે.”  (તમામ મંદિર પ્રમુખોને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૨/૪/૧૯૭૨)

જ્યારે જ્યારે કોઈ મહત્વપૂર્ણ સૂચના આપવી હોય ત્યારે શ્રીલ પ્રભુપાદે કોઈ નવું પુસ્તક બહાર પાડ્યું નથી, પછી ભલે આ સૂચના તેમના પ્રસ્થાન બાદ ચાલુ રાખવાની હોય. આમ, આપેલી સૂચનાનું માળખું તેને પરોક્ષ અર્થઘટનનો શિકાર બનાવતું નથી, અને તેની માન્યતા કોઈ રીતે ઘટાડતું નથી.

૫. “આ આદેશ પાછળ કદાચ કોઈ વિશેષ પરિસ્થિતિ હતી જે તેને શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ લાગુ પડતા અટકાવતી હોય?” 


જો એવા કોઈ સંજોગો હોત તો શ્રીલ પ્રભુપાદે ૯ જુલાઈ પત્રમાં કે તેને સંલગ્ન કોઈ દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ કર્યો હોત. તેમની સૂચનાઓને યોગ્ય રીતે લાગુ પાડી શકાય તે માટે શ્રીલ પ્રભુપાદ હંમેશાં પૂરતી માહિતી આપતા હતા. તેઓ એવી ધારણા પર ન ચાલતા કે તેમના મંદિર પ્રમુખો બધા જાદુઈ મન વાંચનાર છે અને આથી તેમણે અધકચરી અને અધૂરી નિર્દેશિકાઓ જ મોકલવાની જરૂર રહેતી જે પછી અભિવ્યક્તિથી સમજાય જાય. ઉદાહરણ માટે, જો શ્રીલ પ્રભુપાદની ઇચ્છા તેમના પ્રસ્થાન સાથે ઋત્વિક પ્રણાલીને રદ કરવાની હોત તો તેમણે ૯ જુલાઈ પત્રમાં આ નિમ્ન સાત શબ્દો ઉમેર્યા હોત—“આ પ્રણાલી મારા પ્રસ્થાન સાથે રદ થશે”. આ પત્ર પર નજર નાખતાં સમજાય છે કે શ્રીલ પ્રભુપાદ તેને “હેન્સફૉરવર્ડ” ચાલુ રાખવા માંગતા હતા (કૃપા કરી જુઓ પરિશિષ્ટ, પૃષ્ઠ ૧૦૯).

કેટલીક વાર એવી દલીલ કરવામાં આવે છે કે ઋત્વિક પ્રણાલીનું સુયોજન શ્રીલ પ્રભુપાદની માંદગીવશ થયું હતું. 

ભક્તગણ શ્રીલ પ્રભુપાદની માંદગી વિશે ભલે જાણ કે અજાણ હતા, પરંતુ એક પત્ર કે જેમાં તેમની તબિયતનો કોઈ ઉલ્લેખ નથી તે પરથી તેઓ કઈ રીતે ધારી શકે કે આવો આદેશ આપવાનું આ જ એકમાત્ર કારણ હતું? શ્રીલ પ્રભુપાદે એવું ક્યારે કહ્યું કે તેમણે આપેલી કોઈ પણ સૂચનાનું અર્થઘટન તેમના તાજા તબીબી પ્રમાણપત્રના સંદર્ભમાં જ કરવું? દીક્ષારંભ વિષયક આ અંતિમ આદેશ મેળવનારાઓ કયા કારણસર એવું નથી માનતા કે આ પત્ર કોઈ ખોટા અર્થઘટન વગર અમલ થાય તે માટેની એક મહત્વપૂર્ણ સૂચના હતી?

શ્રીલ પ્રભુપાદે પહેલેથી જ જણાવી દીધું હતું કે તેઓ પોતાના દેહ ત્યાગ હેતુ વૃંદાવન આવ્યા હતા. ત્રિકાલ-જ્ઞાની (ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણનાર) હોવાથી સંભવિતપણે તેમને ખબર હતી કે તેઓ ચાર માસના સમયકાળે પ્રસ્થાન કરશે. તેમની ચળવળને આગળ ધપાવવા તેમણે અંતિમ આદેશો આપી દીધા હતા. વિશેષ કરીને તેમના નિકટ પ્રસ્થાન બાદ માર્ગદર્શન પૂરું પાડવા તેમણે પહેલેથી જ તેમનું વસિયતનામું અને બી.બી.ટી. (ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ) તથા જી.બી.સી. સંબંધિત બીજા દસ્તાવેજો  કરાવ્યા હતા. એકમાત્ર મુદ્દો હજુ સ્પષ્ટ ન હતો કે તેમના ગયા બાદ દીક્ષારંભ કઈ રીતે સંચાલિત થશે. આ સમયે હજુ અનિશ્ચિતતા હતી કે આ બધું કઈ રીતે સંચાલિત થશે. ૯ જુલાઈ આદેશમાં દરેકને સચોટપણે સ્પષ્ટ જણાવી દીધું કે તેમની ગેરહાજરીમાં દીક્ષારંભ કઈ રીતે આગળ ચાલશે.

સારાંશમાં, એક આદેશને તમે એવી માહિતી સાથે ન બદલી શકો જેની ખબર જેમને આદેશ અપાયો તેઓને જ ન હતી. શા માટે શ્રીલ પ્રભુપાદ ઇરાદાપૂર્વક એવો આદેશ આપે જે વિશે તેઓ અગાઉથી જ જાણતા હોય કે કોઈ તેનું બરાબર પાલન ન કરી શકે, કેમ કે તેમણે આદેશમાં તેઓને પૂરતી માહિતી ન આપી? જો ઋત્વિક પ્રણાલીનું સુયોજન તેમની માંદગીવશ થયું હોત તો શ્રીલ પ્રભુપાદે ૯ જુલાઈ પત્રમાં કે અન્ય સંલગ્ન દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ કર્યો હોત. શ્રીલ પ્રભુપાદ આ રીતે ઇરાદાપૂર્વક સંદિગ્ધ અને અપૂરતી વિગત આપતા હોય એવી કોઈ નોંધ નથી, ખાસ કરીને જ્યારે તેઓ સમગ્ર ચળવળને આદેશ આપતા હોય. શ્રીલ પ્રભુપાદે કદીય લાપરવાહીથી કશાક પર હસ્તાક્ષર કર્યા નથી, અને જ્યારે આ આદેશની માત્રાને ધ્યાનમાં લઈએ તો એ અકલ્પનીય છે કે તેમાં કોઈ અગત્યની માહિતી આપવાનું તેઓ ચૂકી ગયા હોય. 


૬. “શું ‘નિયુક્તિ ટેપ’ માં એવી કોઈ અગત્યની માહિતી નથી જેનાથી સ્પષ્ટ થતું હોય કે ૯ જુલાઈ આદેશ આ ગ્રહ પર શ્રીલ પ્રભુપાદની પ્રત્યક્ષ હાજરી પૂરતો જ હતો?”


જી.બી.સી.ના જી.આઈ.આઈ. લેખમાં ફેરફાર (અ) અને (બ)ના સમર્થનમાં આપેલો મુખ્ય પુરાવો ૨૮ મે ૧૯૭૭ના રોજ થયેલી વાતચીતમાંથી લેવાયો છે. આ લેખમાં એવો સ્વીકાર જણાય છે કે બીજો કોઈ સૂચનાત્મક પુરાવો નથી જેનો સીધો સંબંધ શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ ઋત્વિકોના કાર્ય સાથે હોય:

“ભલે શ્રીલ પ્રભુપાદે તેમનાં અગાઉનાં વિધાનોનું પુનરાવર્તન ન કર્યું, પણ એવું સમજાયું કે આ શિષ્યો ભાવિ દીક્ષારંભ કરે એવી તેમની ઇચ્છા હતી.”
(જી.આઈ.આઈ., પૃષ્ઠ ૩૫)

૨૮ મે વાર્તાલાપ મુખ્ય પુરાવો હોવાથી અમે તેને આ પુસ્તકના પૃષ્ઠ ૩૪ પર એક અલગ વિભાગમાં પ્રસ્તુત કર્યો છે. એવું કહેવું પૂરતું છે કે ૯ જુલાઈ પત્રમાં તેનો કોઈ ઉલ્લેખ નથી, અને ન તો શ્રીલ પ્રભુપાદે એવી માંગ કરી હતી કે આ નોંધનીય વાર્તાલાપની એક નકલ અંતિમ આદેશની સાથે અપાય. આ પરથી આપણે સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકીએ કે આ વાર્તાલાપમાં એવી કોઈ ફેરફારજનક માહિતી ન હોય શકે જે અંતિમ આદેશને સમજવા અગત્યની હોય. હકીકતમાં, ૨૮ મે વાર્તાલાપ શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ કેટલાંય વર્ષો સુધી જાહેર થયો ન હતો. આમ ફરી વાર આપણી પાસે એક સ્પષ્ટ લેખિત આદેશને એવી માહિતી સાથે બદલવા અપેક્ષા રખાઈ કે જે માહિતી એ જ લોકોને પ્રાપ્ત ન હતી જેઓને આદેશ જાહેર થયો. અગાઉ જોઈશું તે મુજબ મે વાર્તાલાપમાં એવું કશું જ નથી જે અંતિમ આદેશથી વિરોધાભાસી હોય.

એક સામાન્ય મુદ્દા તરીકે ગુરુના હાલના આદેશો પૂર્વ આદેશોથી હંમેશાં અગ્ર ગણાય છે; અંતિમ આદેશ એ અંતિમ આદેશ છે, અને તેનો અમલ થવો જ જોઈએ:

“હું તમને ઘણી વસ્તુઓ કહું, પરંતુ જ્યારે હું તમને કંઈક પ્રત્યક્ષ કહું, “આ કરો”, ત્યારે તમારી પ્રથમ ફરજ તે કરવાની છે. તમે એવી દલીલ ન કરી શકો – “સાહેબ, તમે પહેલાં મને આમ કરવાનું કહ્યું હતું ”. ના,  એ તમારી ફરજ નથી. હું તમને હમણાં જે કહું તમે તે કરો. આને આજ્ઞાપાલન કહેવાય. તમે દલીલ ન કરી શકો.” (શ્રીલ પ્રભુપાદ, શ્રીમદ્‍ ભાગવતમ્ પ્રવચન‍, ૧૫/૪/૧૯૭૫, હૈદરાબાદ)

જેમ ભગવાન કૃષ્ણએ ભગવદ્‍-ગીતામાં અર્જુનને ઘણા આદેશો આપ્યા, તેઓ ધ્યાન યોગથી માંડી જ્ઞાન યોગ સુધી દરેક પ્રકારના યોગ વિશે બોલ્યા, પરંતુ અંતિમ આદેશ આ બધાથી અધિક છે:

““તમે બધું છોડી દો અને મારા સેવા-ભક્ત બનો” – આને ભગવાનનો અંતિમ આદેશ સમજવો, અને દરેકે આ સિદ્ધાંતનું પાલન કરવું.”
(ભગવાન શ્રીચૈતન્યની શિક્ષાઓ, પ્રકરણ ૧૧)

શંકરાચાર્યનો અંતિમ આદેશ, “ભજ ગોવિંદ”, એ પણ તેમના ઘણાં પૂર્વ વિધાનોથી અધિક હતો—હકીકતમાં તેમનાં બધાં જ વિધાનોથી. આ પુસ્તકના પરિચયમાં જેમ જણાવ્યું, જી.બી.સી. પોતે જ આને સ્વતઃસિદ્ધ તાર્કિક સિદ્ધાંત ગણે છેઃ

“તર્ક-વિતર્કમાં, આગામી વિધાનો પૂર્વ વિધાનો કરતાં મહત્વનાં હોય છે.” (જી.આઈ.આઈ., પૃષ્ઠ ૨૫)

અંતિમ વિધાન પછી કોઈ વિધાન હોવું સંભવ નથી. આથી જી.બી.સી.ના પોતાના જ તર્ક મુજબ આપણે ઋત્વિક પ્રણાલીનો અમલ કરવો જ રહ્યો.



૭. “શ્રીલ પ્રભુપાદે ઘણી વખત જણાવ્યું કે તેમના તમામ શિષ્યોએ ગુરુ બનવું. આમ સાચે જ આ સાબિત કરે છે કે શ્રીલ પ્રભુપાદ ઋત્વિક પ્રણાલીને કાયમી ધોરણે રાખવા ઇચ્છતા ન હતા?”


તેમના પ્રસ્થાન બાદ દીક્ષા ગુરુ થવા માટે શ્રીલ પ્રભુપાદે કદીય કોઈની નિમણૂક કરી ન હતી, ન તો એવો કોઈને આદેશ આપ્યો હતો. આવા દાવા માટે કોઈ પુરાવા ક્યારેય રજૂ કરાયા નથી, ખરેખર ઇસ્કૉનમાં અનેક વરિષ્ઠ આગેવાનોએ આ વાત સ્વીકારી છેઃ

“અને એ સત્ય છે કે શ્રીલ પ્રભુપાદે એવું ક્યારેય નથી કહ્યું ‘બહુ સારું, આ રહ્યા આગામી આચાર્ય’, અથવા ‘આ રહ્યા આગામી અગિયાર આચાર્યો અને ચળવળ કે જગત માટે તેઓ અધિકૃત ગુરુઓ છે’. તેમણે એવું કર્યું ન હતું.” (જયઅદ્વૈત સ્વામી, ઇસ્કૉન સાઉથ લંડન, ૧૯૯૩)

શ્રીલ પ્રભુપાદે અસંદિગ્ધ રીતે જણાવ્યું કે દીક્ષા ગુરુ એક મહા-ભાગવત (ભગવત ભાવનામાં સર્વોચ્ચ સ્તર પ્રાપ્ત) હોવા જોઈએ, અને વિશેષ તેમના પોતાના ગુરુ દ્વારા અધિકૃત હોવા જોઈએ. જેઓ પાસે યોગ્ય લાયકાત અને અધિકૃતિ ન હતી તેઓ દ્વારા ગ્રહણ ગુરુપદનો તેમણે હંમેશાં સખત વિરોધ કર્યો હતો. નીચે આપણે  શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાંથી એક અવતરણ લઈએ જ્યાં દીક્ષા ગુરુની લાયકાતો જણાવી છે.

મહા-ભાગવત-શ્રેષ્ઠો બ્રાહ્મનો વૈ ગુરુર નૃનામ
સર્વેસામ ઇવ લોકાનામ અસૌ પૂજ્યો યથા હરિઃ
મહા-કૂલ-પ્રસૂતો  ‘પી સર્વ-યજ્ઞેસુ દીક્ષિતઃ
સહશ્ર-શાખાદ્યાયી ચ ન ગુરુહ સ્યાદ અવૈષ્ણવઃ

“ગુરુનું સ્થાન સેવા-ભક્તિના સર્વશ્રેષ્ઠ સ્તરે હોવું જોઈએ. ભક્તોની ત્રણ શ્રેણીઓ હોય છે, અને ગુરુની પસંદગી સર્વશ્રેષ્ઠ શ્રેણીમાંથી જ કરવી.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૨૪.૩૩૦, ભાવાર્થ)

“જ્યારે કોઈ મહા-ભાગવતનું સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારે તેમને એક ગુરુ તરીકે સ્વીકારવા અને ભગવાન શ્રીહરિની જેમ પૂજવા. માત્ર આવી જ વ્યક્તિ ગુરુના સ્થાન માટે લાયક છે.” (શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૨૪.૩૩૦, ભાવાર્થ)

લાયકાત ઉપરાંત, શ્રીલ પ્રભુપાદે એવું પણ શીખવ્યું છે કે દીક્ષા ગુરુ તરીકે વર્તી શકે તે પહેલાં તેમના પુરોગામી આચાર્ય પાસેથી વિશેષ અધિકૃતિ પણ હોવી જરૂરી છેઃ

“ટૂંકમાં, તમે જાણી લો કે તેઓ મુક્તજીવ નથી, અને તેથી તેઓ કોઈ પણ વ્યક્તિને કૃષ્ણભાવનામાં દીક્ષારંભ આપી શકે નહિ. આ માટે ઉપરી સત્તાઓ તરફથી વિશેષ આધ્યાત્મિક આશીર્વાદ જરૂરી છે.” (જનાર્દનને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૬/૪/૧૯૬૮)

“દરેકે ગુરુ-પરંપરામાંથી આવતા સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ પાસેથી દીક્ષારંભ ગ્રહણ કરવું જોઈએ, જે તેમના પુરોગામી આધ્યાત્મિક ગુરુ દ્વારા અધિકૃત હોય. આને દીક્ષા-વિધાન કહેવાય છે.” ( શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૪.૮.૫૪, ભાવાર્થ)


 ભારતીય વ્યક્તિઃ    “તમે કૃષ્ણભાવનામૃતના આધ્યાત્મિક નેતા ક્યારે બન્યા?”
   શ્રીલ પ્રભુપાદઃ    “એ શું?”
બ્રહ્માનંદઃ  “તેઓ પૂછે છે કે તમે કૃષ્ણભાવનામૃતના આધ્યાત્મિક નેતા ક્યારે બન્યા?”
      શ્રીલ પ્રભુપાદઃ  “જ્યારે મારા ગુરુ મહારાજે મને આદેશ આપ્યો. આ જ ગુરુ-પરંપરા છે.”
  ભારતીય વ્યક્તિઃ  “શું આ…”
      શ્રીલ પ્રભુપાદઃ “સમજવાની કોશિશ કરો. ઉતાવળ ન કરો. એક ગુરુ ત્યારે જ ગુરુ બની શકે જ્યારે તેમને તેમના ગુરુ દ્વારા આદેશ મળે. બસ. અન્યથા કોઈ ગુરુ ન બની શકે.”
(ભગવદ્‍-ગીતા પ્રવચન, ૨૮/૧૦/૧૯૭૫)


આમ શ્રીલ પ્રભુપાદ મુજબ, કોઈ ત્યારે જ દીક્ષા ગુરુ બની શકે જ્યારે તેમની પાસે લાયકાત   અને અધિકૃતિ  એમ બંને હોય. શ્રીલ પ્રભુપાદે આવા ગુરુઓ અધિકૃત કર્યા ન હતા; ન તો તેમણે એવું જણાવ્યું હતું કે તેમના કોઈ શિષ્ય દીક્ષારંભ આપવા લાયક હતા. ઊલટું, ૯ જુલાઈ પૂર્વે, તેઓ સંમત હતા કે તેમના શિષ્યો હજુ “બદ્ધ જીવ” હતા; અને નિરીક્ષણ જરૂરી હતું જેથી કોઈ પોતે ગુરુ હોવાનો ડોળ ન કરે (કૃપા કરી જુઓ પરિશિષ્ટ, પૃષ્ઠ ૧૨૬, એપ્રિલ ૨૨, ૧૯૭૭ વાર્તાલાપ)

ઋત્વિક પ્રણાલીના વિરોધમાં રજૂ કરાયેલા પુરાવા મુખ્યત્વે ત્રણ વિભાગમાં પડે છેઃ

૧. દરેકને ગુરુ બનવા શ્રીલ પ્રભુપાદનું વારંવાર કહેવું, મુખ્યત્વે શ્રીચૈતન્ય-ચરિતામૃતના “આમાર આજ્ઞા ગુરુ હના” Åલોકના સંદર્ભમાં.

૨.
ઘણા વ્યક્તિગત પત્રો જેમાં શ્રીલ પ્રભુપાદ તેમના શિષ્યોને તેમના પ્રસ્થાન બાદ દીક્ષા ગુરુ તરીકે વર્તવા જણાવે છે.

૩.
શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકો અને પ્રવચનોમાંથી બીજાં એવાં વિધાનો જ્યાં શિષ્યો દીક્ષા ગુરુ બને એવા સિદ્ધાંતનો ઉલ્લેખ છે.  

સૌપ્રથમ વિભાગ-૧) નું  વિÅલેષણ કરીએઃ

દરેકને ગુરુ બનવાની સૂચના શ્રીચૈતન્ય-ચરિતામૃતના નિમ્ન Åલોકમાં જણાવેલી છે, આ Åલોકનો ઉલ્લેખ શ્રીલ પ્રભુપાદે ઘણી વખત કર્યો.

“ભગવદ્‍-ગીતા અને શ્રીમદ્‍ ભાગવતમ્‌માં જણાવ્યા મુજબ ભગવાન શ્રીકૃષ્ણના આદેશોનું દરેકને અનુસરણ કરવા કહો. આ રીતે એક આધ્યાત્મિક ગુરુ બનો અને આ ભૂમિ પર દરેકને મુક્ત કરવાનો પ્રયત્ન કરો.” (શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૭.૧૨૮)

પરંતુ ભગવાન શ્રીચૈતન્ય દરેકને કયા પ્રકારના ગુરુ બનવા પ્રોત્સાહિત કરે છે તે આ Åલોક પછી આવતા ભાવાર્થોમાં સ્પષ્ટપણે પ્રસ્થાપિત થાય છે:

“એટલે, ઘરમાં રહેવું, હરે કૃષ્ણ મંત્રનો જાપ કરવો અને ભગવદ્‍-ગીતા અને શ્રીમદ્‍ ભાગવતમ્‌માં જણાવ્યા મુજબ કૃષ્ણના આદેશોનો પ્રચાર કરવો.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૭.૧૨૮, ભાવાર્થ)

“કોઈ ગૃહસ્થ, ચિકિત્સક, ઈજનેર અથવા કંઈક બીજું હોય શકે. એમાં કોઈ વાંધો નથી. દરેકે કેવળ શ્રીચૈતન્ય મહાપ્રભુના આદેશનું પાલન કરવું, હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો અને સગા-સંબંધી તેમજ મિત્રોને ભગવદ્‍-ગીતા અને શ્રીમદ્‍ ભાગવતમ્‌ના ઉપદેશો આપવા […] એ ઉત્તમ છે કે કોઈ શિષ્યો  સ્વીકારવા નહીં.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૭.૧૩૦, ભાવાર્થ)

આપણે જોઈ શકીએ છીએ કે આ સૂચનોમાં એવી કોઈ શરત નથી કે ગુરુ તરીકે કાર્ય કરતા પહેલાં આ ગુરુઓએ પ્રથમ સાક્ષાત્કારનું કોઈ નિશ્ચિત સ્તર પ્રાપ્ત કરવું. આ નિવેદન તત્કાલ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે દરેકને તેઓ જે જાણતા હોય તેવું પ્રચાર કરવા કેવળ પ્રોત્સાહિત કરાય છે, અને આમ કરી શિક્ષા ગુરુ બનવા આહવાન કરાય છે. આનું વધુ સ્પષ્ટીકરણ શિક્ષા ગુરુ માટે તે જ સ્થાને રહેવા અને આગળ વધી દીક્ષા ગુરુ ન બનવાના બંધન પરથી થાય છેઃ 

“એ ઉત્તમ છે કે કોઈ શિષ્યો સ્વીકારવા નહીં.” (શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૭.૧૩૦, ભાવાર્થ)

શિષ્યો સ્વીકારવા એ દીક્ષા ગુરુનું મુખ્ય કાર્ય છે, જ્યારે એક શિક્ષા ગુરુએ કેવળ તેમનું સેવા-કાર્ય ચાલુ રાખી તેમની ક્ષમતા પ્રમાણે કૃષ્ણભાવનાનો પ્રચાર કરવો. શ્રીલ પ્રભુપાદનાં ભાવાર્થો પરથી એ સ્પષ્ટ છે કે ઉપરોક્ત Åલોકમાં ભગવાન શ્રીચૈતન્ય ખરેખર શિક્ષા ગુરુઓ અધિકૃત કરે છે, દીક્ષા ગુરુઓ નહિ.

અન્ય ઘણા સંદર્ભોમાં જ્યાં શ્રીલ પ્રભુપાદ દરેકને ગુરુ બનવા પ્રોત્સાહિત કરે છે તેમાં પણ આ વાત તદ્દન સ્પષ્ટ થાય છેઃ

યારે દેખ, તારે કહ, ‘કૃષ્ણ’ ઉપદેશ. [શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય ૭.૧૨૮]. તમારે કશું ઉપજાવવાનું નથી. કૃષ્ણએ જે કહ્યું છે તમે તે જ ફરી કહો. પૂરું. કશું ઉમેરવું કે ફેરફાર કરવો નહિ. પછી તમે ગુરુ બનો […] હું મૂર્ખ કે મૂઢ હોઉં […] આથી આપણે આ માર્ગનું અનુસરણ કરવું રહ્યું, કે તમે ગુરુ બનો, તમારા પાડોશની વ્યક્તિઓ, સંબંધીઓનો ઉદ્ધાર કરો, પરંતુ શ્રીકૃષ્ણના પ્રમાણિત શબ્દોનું જ ઉચ્ચારણ કરવું. ત્યારે તે કામ કરશે જ […] કોઈ પણ કરી શકે. એક બાળક કરી શકે.”
(શ્રીલ પ્રભુપાદ, સંધ્યાકાળ દર્શન, ૧૧/૫/૧૯૭૭, ઋષિકેશ)

“લોકો અંધકારમાં હોવાથી તેઓને જ્ઞાન આપવા આપણને ઘણા મિલિયન ગુરુઓની જરૂર છે. આથી શ્રીચૈતન્ય મહાપ્રભુનો ઉદ્દેશ છે કે [...] તેમણે કહ્યું કે, ‘તમે દરેક જણ ગુરુ બનો.’”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૨૧/૫/૧૯૭૬, હોનોલુલુ)

“તમે કેવળ કહો [...] કૃષ્ણએ કહ્યું. ‘નિરંતર મારું સ્મરણ કરો, અને મારા ભક્ત બનો. મારી પૂજા કરો અને મને પ્રણામ કરો.’ કૃપા કરી આ બધું કરો. આમ જો તમે કોઈ વ્યક્તિને આવું કરવા પ્રેરિત કરી શકો તો તમે ગુરુ બનો. શું તેમાં કોઈ મુશ્કેલી છે?”
(શ્રીલ પ્રભુપાદ વાર્તાલાપ, ૨/૮/૧૯૭૬, ન્યૂ માયાપુર)

“સાચા ગુરુ એ છે જેઓ કૃષ્ણએ કહેલા ઉપદેશો આપે છે. […] તમારે કેવળ એ જ કહેવાનું છે, ‘આ આવું છે.’ બસ. શું આ ઘણું કઠિન કાર્ય છે?” 
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૨૧/૫/૧૯૭૬, હોનોલુલુ)

“... ‘પરંતુ મારી પાસે કોઈ લાયકાત નથી. હું કઈ રીતે ગુરુ બની શકું?’ લાયકાતની કોઈ આવશ્યકતા નથી […] ‘તમે જેમને મળો, તમે કેવળ એ જ કહો જે કૃષ્ણએ કહ્યું છે. બસ. તમે ગુરુ બનો.’”         
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૨૧/૫/૧૯૭૬, હોનોલુલુ)

(આશ્ચર્યપણે, કેટલાક ભક્તોએ ઉપરોક્ત અવતરણો “લઘુત્તમ લાયકાત ધરાવતા દીક્ષા ગુરુઓ”*(૧) નાં સમર્થનમાં વાપર્યાં છે, જ્યારે આ શબ્દનો ઉલ્લેખ શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકો, પત્રો, પ્રવચનો કે વાર્તાલાપમાં એકેય વખત કરાયો નથી.)

આવા ગુરુનું ઉદાહરણ કે જેમની પાસે પોતે શું સાંભળ્યું છે તેનું પુનરાવર્તન કરવા સિવાય બીજી કોઈ યોગ્યતા નથી એ ઇસ્કૉનમાં કોઈ ભક્ત ભરતી અભ્યાસક્રમમાં મળી શકે છે. આથી આ તદ્દન સ્પષ્ટ છે કે ઉપરોક્ત અવતરણો ખરેખર ઉપદેશ આપનાર આધ્યાત્મિક ગુરુઓ અથવા શિક્ષા ગુરુઓ બનવા માટે આહવાન છે. આપણે આવું જાણીએ છીએ કારણ કે શ્રીલ પ્રભુપાદે તેમનાં પુસ્તકોમાં એક દીક્ષા ગુરુ બનવા માટેની ચુસ્ત આવશ્યકતાઓ પહેલેથી જ આપણા માટે સ્પષ્ટ કરેલી છેઃ

“જ્યારે કોઈ મહા-ભાગવતના સર્વોત્તમ સ્થાનને પ્રાપ્ત કરે છે ત્યારે તેમને એક ગુરુ તરીકે સ્વીકારવા અને ભગવાન શ્રીહરિની જેમ પૂજવા. માત્ર આવી જ વ્યક્તિ ગુરુના સ્થાન માટે લાયક છે.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૨૪.૩૩૦, ભાવાર્થ)

“દરેકે ગુરુ-પરંપરામાંથી આવતા સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ પાસેથી દીક્ષારંભ ગ્રહણ કરવું જોઈએ, જે તેમના પુરોગામી આધ્યાત્મિક ગુરુ દ્વારા અધિકૃત હોય. આને દીક્ષા-વિધાન કહેવાય છે.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૪.૮.૫૪, ભાવાર્થ)

ઉપરોક્ત અવતરણમાં શ્રીલ પ્રભુપાદ જણાવે છે કે દીક્ષા ગુરુ બનવાનો આદેશ વિશેષરૂપે પોતાના ગુરુ તરફથી મળેલો હોવો જોઈએ. ભગવાન શ્રીચૈતન્ય તરફથી મળેલો સામાન્ય આદેશ ૫૦૦ વર્ષથી અસ્તિત્વમાં છે. આથી એ દેખીતું છે કે શ્રીલ પ્રભુપાદે “આમાર આજ્ઞા ગુરુ હના” Åલોકને દીક્ષાના સંદર્ભમાં ખાસ લીધો ન હતો, નહિતર શા માટે આપણને આપણા આચાર્ય પાસેથી એક બીજા વિશેષ આદેશની જરૂર રહે? બધા માટે ભગવાન શ્રીચૈતન્યનો આ સામાન્ય આદેશ શિક્ષા ગુરુના સંદર્ભમાં જ હોવો જોઈએ, દીક્ષા ગુરુના સંદર્ભમાં નહિ. દીક્ષા ગુરુ એક અપવાદ છે, નિયમ નથી. જ્યારે શ્રીલ પ્રભુપાદે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત લાખો શિક્ષા ગુરુઓની કલ્પના કરી હતી.

હવે વિભાગ-૨) નું વિÅલેષણ કરીએઃ

શ્રીલ પ્રભુપાદની હાજરીમાં પોતાના શિષ્યોનું દીક્ષારંભ કરવા આતુર અને વધુ પડતા આત્મવિશ્વાસું હોય એવા મૂઠીભર ભક્તો હતા, જેમને શ્રીલ પ્રભુપાદે પત્રો લખ્યા હતા. આ પત્રો એમ.એ.એસ.એસ.ના સમર્થનમાં વપરાયા છે. આવી મહત્વાકાંક્ષી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવા શ્રીલ પ્રભુપાદ પાસે એક સીધો અને સાફ રસ્તો હતો. સામાન્યતઃ શ્રીલ પ્રભુપાદ તેઓને ચુસ્ત તાલીમ કેળવવાનું કહેતા, અને તેમના પ્રસ્થાન પછી ભવિષ્યમાં તેઓ શિષ્યો સ્વીકારી શકે એમ કહેતાઃ

“પ્રથમ વાત, હું અચ્યુતાનંદને ચેતવણી આપું છું, દીક્ષારંભ આપવાનો પ્રયત્ન ન કરશો. હાલ તમે કોઈનું પણ દીક્ષારંભ કરવાની યોગ્ય અવસ્થામાં નથી. […] આવી માયાથી લોભાશો નહિ. હું તમને બધાને ભાવિ આધ્યાત્મિક ગુરુ બનવાની કેળવણી આપી રહ્યો છું, પરંતુ ઉતાવળ કરશો નહિ.”
(અચ્યુતાનંદ અને જય ગોવિંદને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૧/૮/૧૯૬૮) 

“થોડાક સમય પહેલાં તમે કેટલાક શિષ્યો સ્વીકારવા માટે મારી અનુમતિ માંગી હતી, હવે એ સમય જલદી આવી રહ્યો છે જ્યારે તમારા સશક્ત પ્રચાર દ્વારા તમારા ઘણા શિષ્યો હશે.”
(અચ્યુતાનંદને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૬/૫/૧૯૭૨) 

“મેં એવું સાંભળ્યું છે કે બીજા ભક્તો દ્વારા તમારી પૂજા કરાય છે. એક વૈષ્ણવને નમન કરવું એ અલબત્ત યોગ્ય છે, પરંતુ આધ્યાત્મિક ગુરુની હાજરીમાં નહિ. આધ્યાત્મિક ગુરુના પ્રસ્થાન બાદ આવો તબક્કો આવશે, પરંતુ હમણાં રાહ જુઓ. નહિતર આમાંથી ઘણા અલગ પક્ષો ઉદ્‍ભવશે.”
(હંસાદૂત્તને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧/૧૦/૧૯૭૪)

“ચુસ્તપણે કેળવણી લો અને પછી તમે સંનિષ્ઠ ગુરુ, અને આ જ સિદ્ધાંત પર તમે શિષ્યો સ્વીકારી શકશો. પરંતુ એક શિષ્ટાચાર તરીકે રિવાજ છે કે તમારા આધ્યાત્મિક ગુરુના જીવનકાળ દરમ્યાન તમે ભાવિ શિષ્યોને તેમની પાસે લઈ જાવ, અને તેમની ગેરહાજરી કે અંતર્ધ્યાન બાદ તમે કોઈ પ્રકારના બંધન વગર શિષ્યો સ્વીકારી શકો. આ ગુરુ-પરંપરાનો કાયદો છે. મારા શિષ્યો સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ બને અને કૃષ્ણભાવનામૃતનો વ્યાપક પ્રચાર કરે એવું હું ઇચ્છું છું. આનાથી મને તેમજ કૃષ્ણને ઘણો આનંદ થશે.”
(તુષ્ટ કૃષ્ણને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨/૧૨/૧૯૭૫)

એ નોંધનીય છે કે જી.આઈ.આઈ.માં જ્યારે એમ.એ.એસ.એસ. પ્રથાના સમર્થનમાં ઉપરોક્ત “કાયદો” જણાવ્યો છે ત્યારે આ જ દસ્તાવેજમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આ ખરેખર કોઈ કાયદો નથીઃ

“ગુરુની હાજરીમાં દીક્ષારંભ આપતા શિષ્યો વિશે શાસ્ત્રોમાં આવા ઘણા પ્રસંગો છે, [...] શાસ્ત્રોમાં એવી કોઈ વિશેષ સૂચના નથી કે શિષ્યએ તેમના ગુરુની હાજરીમાં દીક્ષારંભ નહિ આપવું.”
(જી.આઈ.આઈ., પૃષ્ઠ ૨૩)

પૂજન અને અનુયાયીઓ સ્વીકારવાની અધીરાઈ આધ્યાત્મિક ગુરુની એક ગેરલાયકાત છે. આપણે અહંકારનો પ્રકોપ જોઈ કેવળ આશ્ચર્યચકિત થઈ શકીએ કે આ ગ્રહ પર હાજર અભૂતપૂર્વ અને સૌથી સશક્ત આચાર્યની હાજરીમાં પણ કેટલીક વ્યક્તિઓને શ્રીલ પ્રભુપાદના નાક હેઠળ તેઓ પોતે તેમના પોતાના શિષ્યોનું દીક્ષારંભ કરવા પૂરતા લાયક હોય એમ લાગ્યું!*(૨)
એ દેખીતું છે કે આ ભક્તોને પત્ર લખી અને તેઓ શિષ્યો સ્વીકારી શકશે જો તેઓ હજુ થોડીક ધીરજ રાખે એમ કહી શ્રીલ પ્રભુપાદ તેઓને સેવા-ભક્તિમાં રાખવાનો કેવળ પ્રયાસ કરતા હતા. આમ કરવાથી કંઈક સંભાવના હતી કે સમય જતાં તેઓનો મહત્વાકાંક્ષી મનોભાવ કદાચ શુદ્ધ બને.

નમ્ર ભક્તો જેમણે તેઓના આધ્યાત્મિક ગુરુની નિઃસ્વાર્થ ત્યાગ ભાવથી ખંતપૂર્વક સેવા કરી તેમણે કદી દીક્ષા ગુરુ તરીકે તેમનું ઉજ્જવલ ભવિષ્ય જણાવતો પત્ર મેળવ્યો ન હોય. શા માટે શ્રીલ પ્રભુપાદ વધુ મહત્વાકાંક્ષી અને આથી ઓછી લાયકાત ધરાવતા લોકોને જ ગંભીરતાપૂર્વક દીક્ષા ગુરુપદનું વચન આપે?

શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ તેમના શિષ્યો દીક્ષારંભ આપવા મુક્ત છે એવા કથનો સત્ય છે. જેમ કે ઇંગ્લૅન્ડમાં કોઈ ૧૭ વર્ષના થતાં જ તે મોટરગાડી ચલાવવા મુક્ત છે. પરંતુ આપણે પેલી બે નાની શરતો ભૂલવી નહિ. પ્રથમ, તેમને કાર ચલાવતા આવડવું જોઈએ, અને બીજું ડ્રાઈવિંગ લાયસન્સ અધિનિયમ દ્વારા પોતે અધિકૃત હોવા જોઈએ. આ પરથી વાંચનાર પોતે જ સમજી શકે છે.

એમ.એ.એસ.એસ.ના સમર્થનમાં વપરાયેલા બીજા એક પત્રમાં જણાવ્યું છેઃ

“૧૯૭૫ સુધીમાં, તમામ જેઓ ઉપરોક્ત બધી પરીક્ષાઓમાં સફળ થયા હોય તેઓને દીક્ષારંભ વિધિ કરવા અને કૃષ્ણભાવનામૃત ભક્તો વધારવા વિશેષ અધિકાર મળશે.”
(કીર્તનાનંદને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૨/૧/૧૯૬૯)

શું આ ઉપરોક્ત કથન દીક્ષારંભ વિષયક અંતિમ આદેશને રદ કરે છે?

આવા વ્યક્તિગત પત્રોને આધારે ઋત્વિક પ્રણાલીને રદ કરવાનો પ્રયાસ હોવાથી આપણે અહીં શ્રીલ પ્રભુપાદનો “ગુરુ-પરંપરાનો કાયદો” જોઈશું. “કાયદા”નો પ્રથમ ભાગ જણાવે છે કે એક શિષ્યએ તેમના ગુરુની હાજરીમાં દીક્ષા ગુરુ તરીકે વર્તવું જોઈએ નહિ. કેમ કે આ એક “કાયદો” હતો, સ્પષ્ટરૂપે આ ઉપરોક્ત પત્ર શ્રીલ પ્રભુપાદના શિષ્યો તેઓના પોતાના શિષ્યોને દીક્ષા આપે એ સંદર્ભમાં ન હોય શકે; ૧૯૭૫માં શ્રીલ પ્રભુપાદ હજુ હયાત હતા. આથી આપણે ફક્ત એ જ નિષ્કર્ષ કરી શકીએ કે ૧૯૬૯થી જ શ્રીલ પ્રભુપાદ કોઈ પ્રકારની “કાર્યકારી” દીક્ષારંભ પ્રણાલીનો વિચાર કરી રહ્યા હતા. જેમ પાછળથી જણાયું તેમ, ૧૯૭૫ સુધીમાં શ્રીલ પ્રભુપાદે કીર્તનાનંદ જેવા ભક્તોને માળા જપવા અને તેમના વતી દીક્ષારંભ આપવા ખરેખર સત્તા કે અધિકૃતિ આપી હતી. તો પછી ઉપરોક્ત પત્ર દીક્ષારંભ હેતુ પ્રતિનિધિઓને ભવિષ્યમાં ઉપયોગમાં લેવાની આગાહી કરતો જણાય છે. પાછળથી શ્રીલ પ્રભુપાદે આ પ્રતિનિધિઓને “ઋત્વિકો” કહ્યા અને ૯ જુલાઈ આદેશમાં તેઓના કાર્યને ઔપચારિક રૂપ આપ્યું. ફરી વાર, એવું કહેવું કે શ્રીલ પ્રભુપાદ કીર્તનાનંદને કેટલીક પરીક્ષાઓમાં ઉત્તીણ થતાં જ સંપ્રદાય દીક્ષા આચાર્ય તરીકે કાર્ય કરવા અધિકૃત કરતા હતા એ મૂર્ખામીભર્યું હશે.

“જે કોઈ તેમના સંનિષ્ઠ પ્રતિનિધિના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રીચૈતન્યના આદેશનું અનુસરણ કરતું હોય તે આધ્યાત્મિક ગુરુ બની શકે, અને હું ઇચ્છું છું કે મારી ગેરહાજરીમાં મારા તમામ શિષ્યો સમગ્ર વિશ્વમાં કૃષ્ણભાવનામૃતના પ્રચાર હેતુ સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ બને.”
(મધુસુદનને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨/૧૧/૧૯૬૭)

ઉપરોક્ત અવતરણના આધારે એવી દલીલ થઈ છે કે શ્રીલ પ્રભુપાદ તેમના શિષ્યોને તેમની ગેરહાજરીમાં આધ્યાત્મિક ગુરુઓ બનવા જણાવતા હોવાથી તેઓ દીક્ષાના સંદર્ભમાં જ ઉલ્લેખતા હોવા જોઈએ, કેમ કે તેઓ શિક્ષા ગુરુઓ તો પહેલેથી જ હતા. જોકે શ્રીલ પ્રભુપાદ કદાચ તેમના તમામ શિષ્યોને સારા શિક્ષા ગુરુઓ બનવા તેમના સામાન્ય પ્રોત્સાહનની પુનરુક્તિ કરતા હોય શકે, અને ફરી જણાવતા હોય કે તેમની ગેરહાજરીમાં પણ તેઓએ સારા શિક્ષા ગુરુઓ બનવાનું ચાલુ રાખવું જોઈએ. ઉપરોક્ત અવતરણમાં ચોક્ક્સપણે એવો કોઈ ઉલ્લેખ નથી કે તેમના શિષ્યો તેઓના પોતાના શિષ્યો સ્વીકારે. આ વિધાન “સમગ્ર વિશ્વમાં કૃષ્ણભાવનામૃતના પ્રચાર હેતુ સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ” એક શિક્ષા ગુરુને પણ સમાનરૂપે લાગુ પડે છે.

જો આવા પત્રોમાં બીજા કોઈ પ્રકારની ગુરુ પ્રણાલીનો આડતરો સંકેત હોય તોપણ આ પત્રો ૯ જુલાઈ અંતિમ આદેશને બદલવા વાપરી શકાય નહિ, કેમ કે આ સૂચનાઓની પુનરુક્તિ સમગ્ર આંદોલનને થઈ ન હતી. આ પ્રસ્તુત પત્રો ૧૯૮૬ સુધી તો પ્રકાશિત પણ થયા ન હતા. પ્રસંગોપાત્ત એવું જણાવવામાં આવતું કે આવા કેટલાક વ્યક્તિગત પત્રોની જાણ સંસ્થાના બીજા સભ્યોને પણ થઈ. આવું કદાચ બન્યું હોય કે ન હોય, પરંતુ મહત્વનો નોંધનીય મુદ્દો એ છે કે આવી વિતરણ શૈલી કદીય શ્રીલ પ્રભુપાદ દ્વારા સ્વયં માન્ય કે પ્રસ્થાપિત  જણાતી નથી. આપણે એવા કોઈ પુરાવા જોયા નથી જ્યાં શ્રીલ પ્રભુપાદે ક્યારેય આદેશ કર્યો હોય કે તેમના ખાનગી પત્રવ્યવહારનું વિતરણ દરેકને થાય. તેમણે એક વખત આકસ્મિતપણે જણાવ્યું હતું કે તેમના પત્રો “જો સમય મળે” તો પ્રકાશિત કરી શકાય, પરંતુ તેમણે ક્યારેય એવો અણસાર નથી આપ્યો કે આ દસ્તાવેજો વગર કોઈ જાણી ન શકે કે તેમના પ્રસ્થાન બાદ એમ.એ.એસ.એસ.નું  સંચાલન ચોક્કસપણે કઈ રીતે કરી શકાય.

૧૯૭૭માં શું બન્યું હોવું જોઈએ એ નક્કી કરવા તે સમયે અધિકૃત પ્રકારે સરળતાથી ઉપલબ્ધ પુરાવાનો જ ઉપયોગ કરી શકાય. ૧૦ હજાર વર્ષ માટે  શ્રીલ પ્રભુપાદે દીક્ષારંભનું આયોજન કઈ રીતે કર્યું એ બાબતે જો આ પત્રો ખરેખર મહત્વના હોત તો નિશ્ચિતરૂપે તેમણે આ પત્રોના પ્રકાશન અને  જથ્થાબંધ વિતરણને એક અત્યંત મહત્વની બાબત ગણાવી હોત. છેવટે તો એવી ઘણી શક્યતા હતી કે તેમના તમામ આગેવાનો પૈકી કોઈકે તો તેમના ખાનગી પત્રવ્યવહારો વાંચ્યા ન હોય, અને પરિણામે એવી સ્પષ્ટ સમજણ મેળવી ન હોય કે તેમના પ્રસ્થાન બાદ દીક્ષારંભનું સંચાલન ચોક્ક્સપણે કેવી રીતે થશે. અમે આને એક શક્યતા કરતાં વિશેષ સમજીએ છીએ કેમ કે સમગ્ર જી.બી.સી.ને ૨૮ મે ૧૯૭૭ સુધી હજુ ખ્યાલ ન હતો કે શ્રીલ પ્રભુપાદ શું આયોજન કરી રહ્યા હતા (કૃપા કરી જુઓ પરિશિષ્ટમાં મે ૨૮ વાર્તાલાપ, પૃષ્ઠ ૧૨૭). 

ઉપરોક્ત જણાવ્યું તે પરથી, આ મૂઠીભર પત્રોને આધારે ૯ જુલાઈ આદેશને બદલવાનો પ્રયાસ કેવળ બેકાળજીપૂર્વક અનુચિત ગણાય. જો આવા પત્રો તેમના અંતિમ આદેશ તરીકે મહત્વના પરિશિષ્ટ હોત તો શ્રીલ પ્રભુપાદે તેમના અંતિમ આદેશમાં કે તેને અનુવર્તી દસ્તાવેજમાં ચોક્ક્સપણે તેનું સ્પષ્ટીકરણ કર્યું હોત.

આમ છેલ્લે, કોઈને પણ મળેલી દીક્ષારંભ વિષયક અધિકૃતિ એ માત્ર ઋત્વિકો કે આચાર્યના પ્રતિનિધિઓ તરીકેની જ અધિકૃતિ છે.

અંતે આપણે વિભાગ ૩) જોઈએ:

ઋત્વિક પ્રણાલી રદ કરવા પાછળ શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકો અને પ્રવચનોમાંથી વિવિધ કથનો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. હવે આપણે આ પુરાવા ચકાસીએ.

શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં આપણે સામાન્ય પરિભાષામાં જણાવેલી દીક્ષા ગુરુની યોગ્યતા જોઈએ છીએ. તેમના પોતાના શિષ્યો આગળ જઈ દીક્ષા ગુરુ બને એવો કોઈ વિશેષ ઉલ્લેખ નથી. ઊલટું, આ અવતરણોમાં કેવળ એ જ વાતની પુનરુક્તિ થાય છે કે કોઈ દીક્ષા ગુરુ બનવાનો પ્રયાસ કરે તે પહેલાં  તેમણે ઉચ્ચ યોગ્યતા અને અધિકૃતિ મેળવવી અનિવાર્ય છે.

“હાલ જે શિષ્ય છે તેઓ ભાવિ આધ્યાત્મિક ગુરુ છે. અને તેમના આધ્યાત્મિક ગુરુના આદેશનું ચુસ્ત પાલન વિના કોઈ સંનિષ્ઠ અને અધિકૃત આધ્યાત્મિક ગુરુ બની શકે નહીં.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૨.૯.૪૩, ભાવાર્થ)

ઉપરોક્ત કથન કેવળ ગુરુના પ્રસ્થાન કારણસર કોઈને પણ કોઈક રીતે દીક્ષા આપવાની છૂટ આપતું નથી. અહીં ગુરુના પ્રસ્થાનની વાતનો ઉલ્લેખ પણ નથી; પરંતુ તેઓ અધિકૃત અને ચુસ્ત આજ્ઞાકારી હોવા જોઈએ તેનો જ માત્ર ઉલ્લેખ છે. આપણે એવું પણ જાણીએ કે તેઓએ સૌપ્રથમ મહા-ભાગવતનું સ્થાન પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. 

કેટલાક ભક્તોએ “અન્ય ગ્રહોની સરળ યાત્રા” માં આવતા “મોનિટર ગુરુઓ” વિભાગને (પૃષ્ઠ ૩૨) એમ.એ.એસ.એસ. પ્રથાના સમર્થનમાં અને તે પરિણામરૂપ ઋત્વિક પ્રણાલીને રદ કરવાના પુરાવા તરીકે લીધો છે. પરંતુ, આ હોશિયાર વર્ગખંડવાળી સામ્યતા સ્પષ્ટપણે શિક્ષા ગુરુઓના સ્થાનને વ્યાખ્યાયિત કરે છે, દીક્ષા ગુરુઓના સ્થાનને નહિ. આ ફકરામાં મોનિટર એક શિક્ષક વતી કાર્યરત છે. તે પોતે એક શિક્ષક નથી. તે એક શિક્ષક તરીકેની યોગ્યતા ધરાવી શકે છે, પરંતુ તે એક પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા શિક્ષકના (જે અહીં દીક્ષા ગુરુના સંદર્ભમાં છે) પ્રસ્થાનથી મોનિટર આપોઆપ શિક્ષક બની જાય એવી નથી. વ્યાખ્યા મુજબ એક મોનિટર ગુરુને માત્ર શિક્ષા શિષ્યો હોય શકે, અને તે પણ મર્યાદિત સંખ્યામાં. જ્યારે આવા મોનિટર યોગ્યતા પ્રાપ્ત કરે, એટલે કે મહા-ભાગવતનું સ્થાન પ્રાપ્ત કરે, અને પછી તેમના પુરોગામી આચાર્ય થકી અધિકૃત બને, ત્યાર પછી તેમને મોનિટર કહેવાનો અર્થ રહેતો નથી; તેઓ પોતે જ એક શિક્ષક બને છે. જ્યારે તેઓ પોતે એક શિક્ષક બને છે ત્યારે તેઓ અસંખ્ય માત્રામાં શિષ્યો સ્વીકારી શકે છે. આમ મોનિટર એક શિક્ષા ગુરુ છે જ્યારે શિક્ષક એક દીક્ષા ગુરુ છે, અને દીક્ષા ગુરુનું ચુસ્ત પાલન કરી શિક્ષા ગુરુ દીક્ષા અધિકૃતિ સૈદ્ધાંતિક રીતે મેળવે તે પહેલાં જરૂરી ઉચ્ચ સ્થાને ક્રમશઃ પહોંચી શકે છે. આ ઉપરાંત, મોનિટર તેના શિક્ષકની હાજરીમાં કેવળ તેમને મદદરૂપ બને છે. આ ફરી એમ.એ.એસ.એસ. પ્રણાલીના સમર્થનમાં વપરાયેલા ગુરુ-પરંપરાના “કાયદા”થી વિપરીત હોય, જ્યાં મોનિટર પોતે જ દીક્ષા ગુરુઓ હતા. બીજા શબ્દોમાં કહીએ તો, મોનિટર એ નથી જે તેના શિક્ષકના સ્થાને હોય કે તેમને અનુગામી થાય, પરંતુ તેનું અસ્તિત્વ શિક્ષકની સાથે સાથે છે.

ચોક્કસપણે મોનિટર પ્રણાલી કોઈ પણ રીતે જી.બી.સી. ધારણાઓના સમર્થનમાં નથીઃ કે (અ) ઋત્વિક પ્રણાલી શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે રદ થાય, અને (બ) ઋત્વિકો પછી આપોઆપ દીક્ષા ગુરુઓમાં ફેરવાય.

શ્રીલ પ્રભુપાદના વ્યક્તિગત પત્રો સિવાય બીજા અન્ય સંદર્ભ છે જેનો ઉલ્લેખ તેમના શિષ્યો દીક્ષા ગુરુ બને તેની અધિકૃતિ તરીકે કરવામાં આવે છે:

“હવે દસમા, અગિયારમા, બારમા… મારા ગુરુ મહારાજ શ્રીચૈતન્ય મહાપ્રભુ પછી દસમા છે, હું અગિયારમો છું, તમે બારમા છો. આમ આ જ્ઞાનનું વિતરણ કરો.”
 (શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૧૮/૫/૧૯૭૨, લૉસ ઍન્જેલીસ)

“તે જ સમયે, હું તેઓ સર્વને આધ્યાત્મિક ગુરુ બનવા વિનંતી કરીશ. તમે દરેક જણ આગામી આધ્યાત્મિક ગુરુ બનો.”
(શ્રીલ પ્રભુપાદ વ્યાસ-પૂજા સંબોધન, ૫/૯/૧૯૬૯, હેમ્બર્ગ)

પ્રથમ અવતરણ સ્પષ્ટ જણાવે છે કે શ્રીલ પ્રભુપાદના શિષ્યો પહેલેથી જ બારમા છે - “તમે બારમા છો”. આમ આ અવતરણ તેઓ માટે ભાવિ દીક્ષા ગુરુઓ બનવા કોઈ અધિકૃતિ નથી, પરંતુ આ એક વિધાન છે કે તેઓ પરંપરાનો સંદેશો પહેલેથી જ ચાલુ રાખે છે. બીજું અવતરણ પણ એવું જ છે. આ નિઃસંદેહ જણાવે છે કે તેમના શિષ્યો હરોળમાં આગામી છે. પરંતુ જેમ પ્રથમ અવતરણ જણાવે છે તેમ, શિષ્યોના પ્રબળ પ્રચારના કારણે પરંપરા પહેલેથી જ સ્થપાઈ ચૂકી હતી. બંને અવતરણોમાં શિષ્યો સ્વીકારવાનો કોઈ સ્પષ્ટ આદેશ નથી, પરંતુ  કેવળ પ્રચાર કરવાનું જ સૂચન છે. માત્ર એ કારણસર કે શ્રીલ પ્રભુપાદ તેમના શિષ્યોને આગામી આધ્યાત્મિક ગુરુઓ બનવા કહે છે એનો અર્થ એવો નથી કે શ્રીલ પ્રભુપાદની ઇચ્છા તેઓ આગામી દીક્ષા ગુરુ બને તેવી હતી. તેઓ એવું જ ઇચ્છતા હતા એમ સમજવું કેવળ મનોમંથન હશે. ખરું જોતાં, આપણે જાણીએ છીએ કે આ ખોટું છે કેમ કે અંતિમ આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેમના શિષ્યો માત્ર આચાર્યના પ્રતિનિધિઓ તરીકે કાર્યરત રહે તે માટે હતા, નહિ કે કોઈ પ્રકારની દીક્ષા કે દીક્ષારંભ આપવાની ક્ષમતામાં.
   
આવાં કથનો અંતિમ આદેશને રદ કરતાં હોવાં જોઈએ એવી દલીલ આધારહીન છે અને તેને શ્રીલ પ્રભુપાદનાં બીજાં વિધાનોનો ઉલ્લેખ કરી સરળતાથી તોડી શકાય છે, વિશેષરૂપે આ વિધાનો તેમના પ્રસ્થાન બાદ શું બનશે તે સંબંધિત છે અને આવી દરખાસ્તથી વિપરીત છેઃ

              તંત્રીઃ    “તમારા મરણ પશ્ચાત્‌‍ ‍અમેરિકામાં આ આંદોલનનું શું થશે?”
શ્રીલ પ્રભુપાદઃ    “હું કદી ન મરીશ.”
    ભક્તોઃ  “જય! હરિબોલ!” (હાસ્ય.)
શ્રીલ પ્રભુપાદઃ “હું મારાં પુસ્તકોમાં જીવંત રહીશ અને તમે તેનો લાભ લેશો.”
(શ્રીલ પ્રભુપાદ પ્રેસ સભા, ૧૬/૭/૧૯૭૫)

જો શ્રીલ પ્રભુપાદની ઇચ્છા એમ.એ.એસ.એસ. પ્રથા રચવાની હોત તો તેની યોજના ઘડવાની તેમના માટે અહીં એક તક હતી. પરંતુ તેમના શિષ્યો દીક્ષા ગુરુ તરીકે તેમને અનુગામી થશે એવું જણાવવાને બદલે તેમણે કહ્યું કે તેઓ કદી નહિ મરે અને બાકી જરૂરી કામ તેમનાં પુસ્તકો કરશે. ઉપરોક્ત વાતચીત પરથી એવું સમજાય શકે છે કે શ્રીલ પ્રભુપાદ એક જીવંત આધ્યાત્મિક ગુરુ છે જેઓ તેમનાં પુસ્તકો થકી આધ્યાત્મિક જ્ઞાન (દીક્ષાનો મુખ્ય ઘટક)  આપવાનું ચાલુ રાખે છે; અને જ્યાં સુધી ઇસ્કૉનનું અસ્તિસ્ત્વ છે ત્યાં સુધી આ ચાલુ રહે છે. તેમના શિષ્યોની ભૂમિકા આ પ્રક્રિયામાં સહાય કરવાની હતી.

“અપરિપક્વ આચાર્ય ન બનો. સૌપ્રથમ આચાર્યના આદેશને અનુસરો, અને તમે પરિપક્વ બનો. પછી આચાર્ય બનવું ઉચિત રહેશે. કારણ કે આપણે આચાર્ય તૈયાર કરવામાં રસ છે, પરંતુ શિષ્ટાચાર છે કે જ્યાં સુધી ગુરુ હાજર છે ત્યાં સુધી કોઈએ ગુરુ બનવું નહિ. તેઓ સંપૂર્ણ પરિપક્વ હોય તોપણ નહિ, કારણ કે શિષ્ટાચાર છે કે જો કોઈ દીક્ષારંભ માટે આવે તો તેમનું કર્તવ્ય આ ભાવિ ઉમેદવારને તેમના આચાર્ય પાસે લઈ જવાનું છે.”  (શ્રીલ પ્રભુપાદ, શ્રીચૈતન્ય-ચરિતામૃત પ્રવચન, ૬/૪/૧૯૭૫)  

ઉપરોક્ત અવતરણમાં જરૂર એવો સિદ્ધાંત જણાવ્યો છે કે આગળ જતાં તેમના શિષ્યો આચાર્ય બની શકે. પરંતુ, હાલ તેઓએ આમ ન કરવું જોઈએ તેના પર ભાર મૂકાયો છે. હકીકતમાં શ્રીલ પ્રભુપાદ તેમની હાજરીમાં તેઓને આમ નહિ કરવા કેવળ ચેતવણી આપતા અને તેમના શિષ્યો આચાર્ય બને એવા સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા જણાય છે. આ ઉપરોક્ત જણાવેલા તેમના વ્યક્તિગત પત્રો જેવું જ છે. આ ચોક્ક્સપણે કોઈ વ્યક્તિઓને તેઓના પોતાના શિષ્યો સ્વીકારવા માટે કોઈ વિશેષ આદેશ નથી, પરંતુ એક સામાન્ય સૈદ્ધાંતિક વિધાન છે. આગળ “નિયુક્તિ ટેપ”માં (પૃષ્ઠ ૩૪) જોઈશું તે મુજબ, જેનો ઉપયોગ જી.આઈ.આઈ.માં એમ.એ.એસ.એસ. પ્રથાના મુખ્ય પુરાવા તરીકે થયો છે, શ્રીલ પ્રભુપાદે મે ૧૯૭૭ સુધી પણ દીક્ષા ગુરુનો આદેશ આપ્યો ન હતો (“મારા આદેશથી [...] પરંતુ મારા આદેશ થકી [...] જ્યારે હું આદેશ કરું”). અને આ પરિસ્થિતિ તેમના પ્રસ્થાન સુધી યથાવત્‍ રહી. આ ઉપરાંત, પાછળથી આ જ પ્રવચનમાં, શ્રીલ પ્રભુપાદ આ આચાર્ય મહત્વાકાંક્ષાને યોગ્ય માર્ગે વાળવા તેમના શિષ્યોને નીચે પ્રમાણે પ્રોત્સાહિત કરે છેઃ

“અને આચાર્ય બનવું બહુ મુશ્કેલ નથી. [...] આમાર આજ્ઞા ગુરુ હના તાર ઈ દેશ, યારે દેખ તારે કહ ‘કૃષ્ણ’-ઉપદેશઃ “મારા આદેશનું પાલન કરી તમે ગુરુ બનો.” [...] પછી ભવિષ્યમાં...ધારોકે હાલ તમારી પાસે દસ હજાર છે. આપણે તેને વિસ્તારીને લાખ કરીશું. એ જરૂરી છે. પછી લાખથી મિલિયન; અને મિલિયનથી દસ મિલિયન.”
(શ્રીલ પ્રભુપાદ, શ્રીચૈતન્ય-ચરિતામૃત પ્રવચન, ૬/૪/૧૯૭૫, માયાપુર) 

એવું પહેલેથી જ દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીચૈતન્યની સૂચના દરેકને જોરદાર પ્રચાર કરવા અને અનેક કૃષ્ણભાવનામય અનુયાયીઓ બનાવવાની હતી, નહિ કે શિષ્યો સ્વીકારવાની. આ મુદ્દા પર વધુ ભાર આપવામાં આવે છે જ્યારે શ્રીલ પ્રભુપાદ તેમના શિષ્યોને વધુ ને વધુ ભક્તો બનાવવા પ્રોત્સાહિત કરે છે. એ નોંધનીય છે કે શ્રીલ પ્રભુપાદ જણાવે છે “ધારોકે હાલ તમારી પાસે દસ હજાર છે...”(એટલે કે શ્રીલ પ્રભુપાદની હાજરીમાં). આ પરથી એ સ્પષ્ટ છે કે તેઓ કૃષ્ણભાવનામય અનુયાયીઓની વાત કરે છે, નહિ કે “શિષ્યોના શિષ્યની”, કેમ કે આ પ્રવચનનો મુખ્ય મુદ્દો એ હતો કે તેઓએ તેમની હાજરીમાં દીક્ષારંભ ન આપવું. આ પરથી તારણ એવું નીકળે છે કે જો તે સમયે કૃષ્ણભાવનામય અનુયાયીઓ લગભગ દસ હજાર હોય તો ભવિષ્યમાં મિલિયન વધુ ઉમેરી શકાય. ઋત્વિક પ્રણાલી આ ખાતરી માટે હતી કે જ્યારે આ અનુયાયીઓ દીક્ષારંભ માટે યોગ્ય બને ત્યારે તેઓ શ્રીલ પ્રભુપાદ તરફથી દીક્ષા ગ્રહણ કરી શકે, એવી જ રીતે જ્યારે તેમણે આ ઉપરોક્ત પ્રવચન આપ્યું ત્યારે તેઓ મેળવી શકતા.

નિષ્કર્ષ

શ્રીલ પ્રભુપાદ તેમના શિષ્યોને દીક્ષા ગુરુ બનવા માટે કોઈ વિશેષ આદેશ આપતા હોય અને આમ ઋત્વિક પ્રણાલી સામે બીજો વિકલ્પ સ્થાપતા હોય એવા કોઈ પુરાવા નથી.

આપણી પાસે (આ સમયે) કેવળ મૂઠીભર બિનપ્રકાશિત વ્યક્તિગત પત્રો જ છે, અને આ માત્ર એવી જ વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા જેઓ શ્રીલ પ્રભુપાદની હાજરીમાં પણ દીક્ષા ગુરુઓ બનવાની ઇચ્છા રાખતા હતા, અને કેટલાક તો હજુ તાજેતરમાં જ આંદોલનમાં જોડાયા હતા. આવા કિસ્સાઓમાં તેઓ પોતાની મહત્વાકાંક્ષાઓ સંતોષે તે પહેલાં તેઓને શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સુધી રાહ જોવા કહેવાયું. આ પત્રો ૯ જુલાઈ પત્ર સમયે પ્રકાશિત ન હતા એ હકીકતનો જ અર્થ એવો થાય કે આ પત્રોનો ઇસ્કૉનમાં ભાવિ દીક્ષારંભ સાથે કોઈ સીધો સંબંધ ન હતો.

આ ઉપરાંત, શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકો અને વાર્તાલાપમાં તેમના શિષ્યો માટે શિક્ષા ગુરુ બનવાની જ સૂચનાઓ છે. ભલે તેમાં એક શિષ્ય દીક્ષા ગુરુ બને તેવા સિદ્ધાંતનો ઉલ્લેખ છે, પરંતુ શ્રીલ પ્રભુપાદ તેમના શિષ્યોને દીક્ષારંભ આપવા અને તેઓના પોતાના શિષ્યો સ્વીકારવાનો કોઈ વિશેષ આદેશ આપતા નથી.

આ ઉપરોક્ત અવતરણોનાં આધારે ૯ જુલાઈના સ્પષ્ટ આદેશને કોઈ પણ રીતે બદલી શકાય નહીં, આ આદેશ એક વિશેષ નીતિ-વિષયક દસ્તાવેજ તરીકે સમગ્ર આંદોલનને જાહેર થયો હતો. એમ.એ.એસ.એસ. પ્રથાની રૂપરેખા આપતો કોઈ દસ્તાવેજ ચોક્કસપણે અસ્તિત્વ ધરાવતો નથી.

આમ એવો ખ્યાલ કે શ્રીલ પ્રભુપાદે વારંવાર જણાવ્યું કે તેમના તમામ શિષ્યોએ તેમના પ્રસ્થાનથી કે પ્રસ્થાન બાદ તુરંત અથવા ભવિષ્યમાં દીક્ષા ગુરુઓ બનવું જોઈએ એ એક ખોટી માન્યતા સિવાય કશું નથી.

સામાન્યતઃ એવું જણાવવામાં આવે છે કે શ્રીલ પ્રભુપાદે તેમનાં પુસ્તકો, પત્રો, પ્રવચનો અને વાર્તાલાપમાં વારંવાર પહેલેથી જ સ્પષ્ટપણે સમજાવી દીધું હતું કે તેઓ ભાવિ દીક્ષારંભ વિશે શું ઇચ્છે છે, આથી ૯ જુલાઈ પત્રમાં તેમને તે જણાવવાની જરૂરિયાત ન લાગી. આવું વિધાન સંપૂર્ણ ખોટું હોવા ઉપરાંત દુઃખદ રીતે કેવળ વધુ વિચિત્રતા ઊભી કરે છેઃ

ભલે અમે જી.બી.સી. લેખ જી.આઈ.આઈ.ની આલોચના કરી રહ્યા છીએ છતાં તેમાં આ મુદ્દા સંબંધિત એક એવો ફકરો છે જે અમને લાગે છે કે શ્રીલ પ્રભુપાદના પરિવારને ફરી એકજૂથ કરે તેવા ભાવને સંપૂર્ણ આવરી લે તેમ છેઃ

“શિષ્યની એકમાત્ર ફરજ તેમના ગુરુની સેવા-પૂજા છે. તે કઈ રીતે ગુરુ બની શકે તે વિશે તેમનું મન વિચલિત થવું ન જોઈએ. એક ભક્ત જેમણે સાચે જ આધ્યાત્મિક પ્રગતિ સાધવી છે તેમણે એક શિષ્ય બનવાનો પ્રયાસ કરવો જોઈએ, આધ્યાત્મિક ગુરુ નહિ.
(જી.આઈ.આઈ., પૃષ્ઠ ૨૫, જી.બી.સી. ૧૯૯૫)

અમે આ સાથે સંમત છીએ.
                                               


*(૧) આ અર્થઘટનની હિમાયત જી.બી.સી.ની ઇસ્કૉન જર્નલ ૧૯૯૦માં પ્રકાશિત અજામિલ દાસના “નિયમિત કે ઋત્વિક” લેખમાં થઈ છે.

*(૨) ઉપરોક્ત જણાવેલા ભક્તો પૈકી ઘણાએ ત્યારથી જ પોતાની ભૂલ સ્વીકારી છે, અને આથી અમારાથી જો કોઈ અપરાધ થયો હોય કે કોઈને તકલીફ પહોંચી હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. કદાચ તેઓને આ બાબતે કદર હોય કે તેમના વ્યક્તિગત અનર્થાઓને સવિશેષ સંબોધતા શ્રીલ પ્રભુપાદના આ વ્યક્તિગત પત્રોનો ઉપયોગ હાલ ઇસ્કૉનમાં એમ.એ.એસ.એસ. પ્રથાના સમર્થનમાં થઈ રહ્યો છે.


૮. “શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં કદાચ એવો કોઈ શાસ્ત્રિક સિદ્ધાંત હોય કે જો ગુરુ અને શિષ્ય એક જ ગ્રહ પર સહહાજર ન હોય તો તે દીક્ષામાં અવરોધ બને?”


શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં આવું કોઈ વિધાન નથી, અને કેમ કે શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં જરૂરી બધા જ શાસ્ત્રિક સિદ્ધાંતોનો સમાવેશ થતો હોવાથી આવો પ્રતિબંધ આપણી ફિલસૂફીમાં ન હોય શકે.

શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ ઋત્વિક પ્રણાલીનો ઉપયોગ શ્રીલ પ્રભુપાદના એવાં ઘણાં સૂચનો સાથે ખરેખર સુસંગત છે જેમાં જણાવ્યું છે કે ગુરુ-શિષ્યના સંબંધ શારીરિક સંગ પર નિર્ભર નથી (કૃપા કરી જુઓ પૃષ્ઠ ૯૫ અને ૯૮). આવાં કથનો વાંચ્યાં પછી જોઈ શકાય છે કે કેટલાક જી.બી.સી. સભ્યોએ વર્ષો સુધી કંઈક જુદું જ ચિત્ર રજૂ કર્યું છેઃ

“શ્રીલ પ્રભુપાદે આપણને શીખવ્યું છે કે ગુરુ-શિષ્ય પરંપરા એક જીવંત વ્યવહાર છે [...] ગુરુ-શિષ્ય પરંપરાનો “કાયદો” છે કે શિષ્ય એક જીવિત આધ્યાત્મિક ગુરુની સન્મુખ જાય—જીવિત મતલબ શારીરિક રીતે હાજર.”
(શિવરામ સ્વામી, ઇસ્કૉન જર્નલ, પૃષ્ઠ ૩૧, જી.બી.સી. ૧૯૯૦)

ઉપરોક્ત રજૂઆત નિમ્ન વિધાનો સાથે જરાય બંધબેસતી નથીઃ

“શારીરિક ઉપસ્થિતિ અગત્યની નથી.” (શ્રીલ પ્રભુપાદ ખંડ વાર્તાલાપ, ૬/૧૦/૧૯૭૭, વૃંદાવન)
અથવા
“શારીરિક ઉપસ્થિતિનું મહત્વ નથી.” (શ્રીલ પ્રભુપાદ પત્ર, ૧૯/૧/૧૯૬૭)

અવશ્ય, આપણને એક બાહ્ય ગુરુ હોવા જરૂરી છે, કેમ કે આ બદ્ધ અવસ્થામાં પરમાત્મા પર પૂર્ણ શ્રદ્ધા રાખવી શક્ય નથી, પરંતુ એવું કશે શ્રીલ પ્રભુપાદ શીખવતા નથી કે આ શારીરિક ગુરુ પ્રત્યક્ષ રીતે હાજર હોવા જરૂરી છેઃ

“આથી આપણે વાણીનો લાભ લેવો જોઈએ, નહિ કે શારીરિક હાજરીનો.” (શ્રીચૈતન્ય-ચરિતામૃત, અંત્ય-લીલા, સમાપન શબ્દો)

તેમના ઘણા શિષ્યોને પ્રત્યક્ષ મળ્યા વગર તેમનું દીક્ષારંભ કરી શ્રીલ પ્રભુપાદે આ સિદ્ધાંતનું વાસ્તવિક નિરૂપણ કર્યું. આ હકીકતથી સાબિત થાય છે કે ગુરુની શારીરિક હાજરી વગર પણ દીક્ષા મેળવી શકાય છે. શારીરિક હાજરી અને દીક્ષા વચ્ચે કોઈ સંબંધ હોય એવું દર્શાવતું કોઈ વિધાન શાસ્ત્રમાં કે શ્રીલ પ્રભુપાદ તરફથી નથી. આથી ઋત્વિક પ્રણાલીનું સંચાલન ચાલુ રહે એ શાસ્ત્ર સાથે તેમજ તેમની પ્રત્યક્ષ હાજરીમાં આપણા આચાર્યએ આપેલા દાખલા સાથે સંપૂર્ણ સુસંગત છે.

શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં દીક્ષા વિષયક એક મુખ્ય વિભાગમાં એવું જણાવ્યું છે કે દીક્ષા મેળવવા માટે એકમાત્ર આવશ્યકતા ગુરુની મંજૂરી છે. આ મંજૂરી સંપૂર્ણપણે ઋત્વિકોને સોંપવામાં આવી હતીઃ

“આથી મારી રાહ જોયા વગર તમને જે લાયક લાગે... એ વિવેકબુદ્ધિ પર આધાર રાખે.”
(શ્રીલ પ્રભુપાદ ખંડ વાર્તાલાપ, ૭/૭/૧૯૭૭, વૃંદાવન)

શ્રીલ પ્રભુપાદ આપણને સૂચવે છે કેઃ

“જ્યાં સુધી દીક્ષા (દીક્ષારંભ) ના સમયકાળનો પ્રશ્ન છે, બધું જ ગુરુની સ્થિતિ પર આધાર રાખે છે. [...] જો સદ્‍ગુરુ, સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ, સંમત થાય તો યોગ્ય સમય કે સ્થળ જોયા વિના તુરંત કોઈને દીક્ષા આપી શકાય છે.” 
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૨૪.૩૩૧, ભાવાર્થ)

આ નોંધનીય છે કે એવી કોઈ મર્યાદા નથી કે દીક્ષા ગુરુ અને ભાવિ શિષ્યનો શારીરિક સંગ આવશ્યક છે અથવા તો તેમની મંજૂરી આપવા માટે દીક્ષા ગુરુ પ્રત્યક્ષ હાજર હોવા જોઈએ (એ પણ નોંધનીય છે કે શ્રીલ પ્રભુપાદ સદ્‍ગુરુ અને દીક્ષા ગુરુને સમાન ગણે છે). શ્રીલ પ્રભુપાદે ઘણી વખત જણાવ્યું છે કે દીક્ષા મેળવવા માટે એકમાત્ર આવશ્યકતા નીતિ-નિયમોનું પાલન છે, જે તેમણે વારંવાર શીખવ્યાં હતાં:

“આ દીક્ષારંભની પ્રક્રિયા છે. શિષ્યએ નક્કી કરવું પડે કે તેઓ હવે પાપકર્મ કરશે નહિ [...] તેઓ વચન આપે કે તેઓ આધ્યાત્મિક ગુરુના આદેશનું પાલન કરશે. ત્યાર પછી આધ્યાત્મિક ગુરુ તેમની સંભાળ લે છે અને આધ્યાત્મિક મુક્તિના સ્તર સુધી પહોંચાડે છે.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૨૪.૨૫૬, ભાવાર્થ)

    ભક્તઃ  “ઔપચારિક દીક્ષારંભનું મહત્વ કેટલું?”
શ્રીલ પ્રભુપાદઃ “ઔપચારિક દીક્ષારંભ એટલે કૃષ્ણ અને તેમના પ્રતિનિધિના આદેશોનું સત્તાવાર રીતે પાલન કરવું. એ જ ઔપચારિક દીક્ષારંભ છે.”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૨૨/૨/૧૯૭૩, ઑકલૅન્ડ)

શ્રીલ પ્રભુપાદઃ  “કોણ મારું શિષ્ય છે? પ્રથમ તેમને શિષ્ટાચારના નિયમોનું ચુસ્તપણે અનુસરણ કરવા દો.”
    ભક્તઃ  “જ્યાં સુધી તે અનુસરે છે, પછી તે...”
શ્રીલ પ્રભુપાદઃ “પછી તે બરાબર છે.”
(શ્રીલ પ્રભુપાદ, પ્રભાત ફેરી, ૧૩/૬/૧૯૭૬, ડૅટ્રોઇટ)


“…જ્યાં સુધી શિષ્ટાચાર નથી ત્યાં સુધી શિષ્ય હોવાનો પ્રશ્ન જ રહેતો નથી. શિષ્ય તેને કહેવાય જે શિષ્ટાચારનું પાલન કરે.”
(શ્રીલ પ્રભુપાદ, પ્રભાત ફેરી, ૮/૩/૧૯૭૬, માયાપુર)

શું નીચે આપેલી દીક્ષા શબ્દની વ્યાખ્યા આ ગ્રહ પર ગુરુની શારીરિક હાજરી સાથે કોઈ સંબંધ દર્શાવે છે?

“દીક્ષા એક પ્રક્રિયા છે જે દ્વારા દરેક તેમનાં આધ્યાત્મિક જ્ઞાનને જાગતૃ કરી શકે છે, અને પાપકર્મથી થયેલી તમામ પ્રતિક્રિયાઓનો ક્ષય કરી શકે છે. પ્રાગટ શાસ્ત્રોનાં અભ્યાસમાં નિપુણ વ્યક્તિ આ પ્રક્રિયાને દીક્ષા તરીકે જાણે છે.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૧૫.૧૦૮, ભાવાર્થ)

કૃપા કરી પૃષ્ઠ ૯૩ પર આપેલી “દીક્ષા” આકૃતિ જુઓ.

દીક્ષાની વ્યાખ્યામાં એવું કશું નથી જે કોઈક રીતે દર્શાવતું હોય કે દીક્ષા-પ્રક્રિયા યોગ્ય રીતે કામ કરે તે માટે ગુરુ અને શિષ્ય એક જ ગ્રહ પર સહહાજર હોવા જોઈએ. ઊલટું, શ્રીલ પ્રભુપાદનું વ્યક્તિગત આચરણ અને તેમની સૂચનાઓથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે દીક્ષા સંબંધિત તત્વોનો પ્રયોગ ગુરુની શારીરિક હાજરી વગર કરી શકાય છે:

“આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કદીય કોઈ ભૌતિક પરિસ્થિતિ વડે પ્રતિબંધિત નથી.”
(શ્રીમદ્‍ ભાગવતમ્‌, ૭.૭.૧, ભાવાર્થ)

“કેવળ એ કારણસર કે વક્તા દેખીતી રીતે ઉપસ્થિત નથી દિવ્ય-ધ્વનિની મહત્તા કદીય ઓછી થતી નથી.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૨.૯.૮, ભાવાર્થ)

આમ, દીક્ષાનાં તમામ તત્વો—દિવ્ય જ્ઞાન, મંત્રની પ્રાપ્તિ વગેરે—ગુરુની શારીરિક ઉપસ્થિતિ વગર પણ સારી રીતે આપી શકાય છે.

સારાંશમાં, એવું નિર્ણાયક રીતે જોઈ શકાય છે કે શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં એવો કોઈ શાસ્ત્રિક સિદ્ધાંત નથી જે આ પૃથ્વી પરથી ગુરુના પ્રસ્થાન બાદ દીક્ષા પ્રક્રિયામાં અવરોધરૂપ બનતો હોય. કેટલીક વાર ભલે એક વાંધા તરીકે ઐતિહાસિક દાખલો આપવામાં આવ્યો, પરંતુ ઐતિહાસિક દાખલો શાસ્ત્રિક સિદ્ધાંત નથી. ભલે ઐતિહાસિક દાખલા કોઈ શાસ્ત્રિક સિદ્ધાંતને લાગુ પાડવા એક પુરાવા તરીકે લેવાતા હોય, પરંતુ જરૂરી નથી કે ઐતિહાસિક દાખલાના અભાવે એવું સાબિત થાય કે શાસ્ત્રિક સિદ્ધાંતનું ઉલ્લંઘન થયું. આમ, આપણી ફિલસૂફીનો આધાર શાસ્ત્રિક સિદ્ધાંતોનું પાલન છે, નહિ કે ઐતિહાસિક રીતિરિવાજ. આ એ જ છે જે ઇસ્કૉનને બીજા દરેક ગૌડીયા વૈષ્ણવ જૂથથી અલગ તારવે છે. ભારતમાં એવા ઘણા કટ્ટરપંથી સ્માર્ટ-બ્રાહ્મણો છે જેઓ રીતિરિવાજ સાથે ન ચાલવાના શ્રીલ પ્રભુપાદના વલણની ઉગ્ર નિંદા કરે છે.

શ્રીલ પ્રભુપાદનું વ્યવહારું આચરણ અને શાસ્ત્રિક વિધાનો દ્વારા આ સિદ્ધાંતને સંપૂર્ણ સમર્થન મળે છે કે દીક્ષા કોઈ પણ રીતે ગુરુની શારીરિક ઉપસ્થિતિ પર આધારિત નથી.



૯. “આ આદેશ એક અભૂતપૂર્વ પ્રણાલીનું નિર્માણ કરે છે અને તેનો કોઈ ઐતિહાસિક આધાર નથી, આથી તેને નકારવો જ જોઈએ.”


૯ જુલાઈ આદેશને આવા કારણસર નકારી ન શકાય કેમ કે શ્રીલ પ્રભુપાદે એવા ઘણા દાખલા આપ્યા છે જેમ કે જરૂરી જપ માળા ચોસઠથી ઘટાડી સોળ કરી, લગ્ન-સમારંભ યોજ્યા, સ્ત્રીઓને મંદિરોમાં રહેવાની છૂટ આપી, ટેપ મારફત ગાયત્રી મંત્ર આપ્યા વગેરે. ખરેખર, આપણા સંપ્રદાયમાં આચાર્યોની એક અલગ લાક્ષણિકતા છે કે, વ્યવહારિકપણે કોઈ અપવાદ વિના, તેઓએ પોતાના ઐતિહાસિક દાખલાઓ સ્થાપ્યા છે. એક આચાર્ય તરીકે તેમને એમ કરવાનો અધિકાર છે, જોકે શાસ્ત્રિક સિદ્ધાંતો અનુસાર. અગાઉ જણાવ્યું તે મુજબ, આ ગ્રહ પરથી ગુરુની ગેરહાજરીમાં ઋત્વિકોના ઉપયોગથી કોઈ શાસ્ત્રિક સિદ્ધાંતનું ઉલ્લંઘન થતું નથી. શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં જરૂરી બધા જ શાસ્ત્રિક સિદ્ધાંતો છે, અને તેમાં દીક્ષારંભ સમયે ગુરુ આ ગ્રહ પર હાજર હોવા જોઈએ એવો કોઈ ઉલ્લેખ નથી, આથી આ કોઈ સિદ્ધાંત ન હોય શકે. આમ તેમના પ્રસ્થાન બાદ ઋત્વિક પ્રણાલી ચાલુ રહે એ માત્ર વિગતવાર ફેરફાર હોય શકે, સૈદ્ધાંતિક ફેરફાર નહિ.

શ્રીલ પ્રભુપાદે વિશેષરૂપે દીક્ષારંભ સંબંધિત એવા ઘણા ફેરફારો કર્યા છે  જે અભૂતપૂર્વ હતા, છતાંય આપણે તેને નકારતા નથી (કૃપા કરી પૃષ્ઠ ૪૯ પર આપેલું કોષ્ટક જુઓ). એવી દલીલ થઈ શકે છે કે આમાંના કેટલાક ફેરફારો તેમણે તેમનાં પુસ્તકોમાં સમજાવ્યાં. આ સત્ય છે, પરંતુ એવા ઘણા ફેરફારો છે જે તેમણે તેમનાં પુસ્તકોમાં નથી સમજાવ્યાં. ઉપરાંત, તેમનાં પુસ્તકોમાં ઋત્વિક પ્રણાલીનું સવિસ્તૃત વિવરણ કરવાની આવશ્યકતા ન હતી કેમ કે ઘણાં વર્ષો સુધી તેમણે તેના વ્યવહારિક દાખલા રજૂ કર્યા હતા, અને આ પ્રણાલીને કેવી રીતે આગળ ચલાવવી તે ૯ જુલાઈ આદેશમાં સવિસ્તૃત જણાવી અંતિમ ઓપ આપ્યો હતો. આંખ બંધ કરી રીતિરિવાજોને અનુસરવાનું આપણને શ્રીલ પ્રભુપાદે કદી શીખવ્યું નથીઃ

“વિષ્ણુ તૃપ્તિ કેવી રીતે કરવી એ જ આપણો એકમાત્ર રીતિરિવાજ”
(શ્રીલ પ્રભુપાદ, ભગવદ્‍-ગીતા પ્રવચન, ૩૦/૭/૧૯૭૩, લંડન)

“રીતિરિવાજ, ધર્મ કશું નથી, એ બધું ભૌતિક છે. એ પણ બધું નામ-પદ છે.”
(શ્રીલ પ્રભુપાદ ખંડ વાર્તાલાપ, ૧૩/૩/૧૯૭૫, તેહરાન)

શ્રીલ પ્રભુપાદ તરફથી આપણને મળેલા આદેશો જેવા જ આદેશ શું કોઈ પુરોગામી આચાર્યએ આપ્યા હતા એવું પૂછવું તદ્દન અસબદ્ધ છે. આપણી એકમાત્ર ફરજ આપણા આચાર્ય તરફથી આપણને મળેલા આદેશોને અનુસરવાની છે.

જો દીક્ષારંભની કોઈ પ્રણાલીને કેવળ એ આધારે નકારવામાં આવે કે તેનો કોઈ ઐતિહાસિક દાખલો નથી તો પછી આ જ કારણસર આપણે ઇસ્કૉનમાં વર્તમાન ગુરુ પ્રણાલીને પણ ચોક્કસપણે નકારવી પડે.

એવું કદી બન્યું નથી કે દીક્ષા ગુરુઓની ભરમાર એક એવી સમિતિને આધીન હોય જે તેઓની દીક્ષા સંબંધિત કાર્યવાહીને નિલંબિત કે રદ કરી શકે. આપણા સંપ્રદાયમાં અગાઉના કોઈ દીક્ષા ગુરુ બે-તૃતીયાંશ બહુમતીથી આચાર્ય બન્યા નથી, ન તો તેઓનું પછી પાપકર્મની પ્રવૃત્તિમાં અધઃપતન થયું અને આ કારણે “ગુરુ-શિષ્ય પરંપરા”માંથી હટાવી દેવામાં આવ્યા હોય. અમે આવા અનિયમિત વહીવટોને નકારીએ છીએ; ઐતિહાસિક દાખલાના આધારે નહિ, પરંતુ એ કારણસર કે આવા વહીવટો શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં આપેલી વૈષ્ણવ ફિલસૂફીના ઘણા મૂળભૂત સિદ્ધાંતો સામે વિરોધાભાસી છે, અને શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશનો ખુલ્લે આમ ભંગ કરે છે.

ઋત્વિક જેવી પ્રણાલીનો શાસ્ત્ર કે પુરાણોમાં સીધો ઉલ્લેખ નથી એ પણ બંધબેસતું નથી. કેટલાક વૈદિક નિયમો મુજબ, શૂદ્ર અને સ્ત્રીઓએ ક્યારેયપણ બ્રાહ્મણ દીક્ષારંભ ગ્રહણ ન કરવો જોઈએઃ

“દીક્ષા એક શૂદ્રને ન આપી શકાય [...] આવું દીક્ષારંભ વૈદિક નિયમો મુજબ આપવામાં નથી આવતું, કારણ કે એક લાયક બ્રાહ્મણ મળવું ખૂબ મુશ્કેલ છે.”
(શ્રીલ પ્રભુપાદ, ભગવદ્‍-ગીતા પ્રવચન, ૨૯/૩/૧૯૭૧, મુંબઈ)

આમ સાચું કહીએ તો શ્રીલ પ્રભુપાદે તેમના કોઈ પશ્ચિમી શિષ્યોને દીક્ષા આપવી જોઈતી ન હતી કેમ કે તેઓનો જન્મ નીચ વૈદિક નાત કરતાં પણ નિમ્ન જાતિમાં થયો હતો. શ્રીલ પ્રભુપાદ ઉચ્ચ ક્રમના શાસ્ત્રિક સિદ્ધાંતોના પ્રયોગથી આવા વૈદિક નિયમોને આધિપત્ય થવા સક્ષમ હતા. તેમણે કેટલીક વખત આવા સિદ્ધાંતોનો પ્રયોગ એવી રીતે કર્યો જે પહેલાં કદી થયો ન હતોઃ

“જેમ શ્રીહરિ દુન્યવી નીતિ-નિયમોને આધીન નથી તેમ તેમના દ્વારા અધિકૃત આધ્યાત્મિક ગુરુ પણ નીતિ-નિયમોને આધીન નથી.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૧૦.૧૩૬, ભાવાર્થ)

“આથી ઇશ્વર પુરી અને ભગવાન પુરુષોત્તમની કરુણા કોઈ વૈદિક નીતિ-નિયમોને આધીન નથી.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૧૦.૧૩૭)

મહત્વની વાત એ છે કે ભલે ઋત્વિક પ્રણાલી સંપૂર્ણપણે અલગ હોય (આપણે જાણીએ છીએ ત્યાં સુધી તો), પણ તેના દ્વારા ઉચ્ચ ક્રમના શાસ્ત્રિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું નથી. આ તો શ્રીલ પ્રભુપાદની નિપુણતાનો દાખલો છે કે તેઓ આવા શાસ્ત્રિક સિદ્ધાંતો સમય, સ્થાન અને પરિસ્થિતિ અનુરૂપ એક નવીન ઢબે કરુણામય રીતે લાગુ પાડવામાં સક્ષમ રહ્યા. 

શ્રીલ પ્રભુપાદ કેવા અલગ છે એ કદાચ આપણે હજુ સંપૂર્ણ રીતે સમજવું રહ્યું. પહેલાં કદી એક જગત ગુરુ ન હતા. કોઈ પુરોગામી આચાર્યએ એવું નથી કહ્યું કે તેમનાં પુસ્તકો દસ હજાર વર્ષો સુધી કાયદાકીય પુસ્તકો રહેશે. ઇસ્કૉન જેવું પહેલાં કંઈ ન હતું. શા માટે આપણે આટલું બધું આશ્ચર્ય થવું જોઈએ કે આવી અભૂતપૂર્વ વ્યક્તિ દેખીતી એક અસામાન્ય દીક્ષારંભ પ્રણાલી રચવાનો નિર્ણય લઈ શકે? 


૧૦. “૯ જુલાઈ ૧૯૭૭ પહેલાં ઋત્વિક પ્રણાલીનો કોઈ વિશેષ ઉલ્લેખ ન હોવાથી તેને શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી.”


આ તર્ક એવી દલીલ પર આધારિત છે કે શ્રીલ પ્રભુપાદ આ આંદોલનમાં કંઈ નવું ન કરી શકે. આમ આ એક નિરર્થક તર્ક છે કેમ કે આનો અર્થ એ થાય કે ગુરુ તરફથી મળેલો કોઈ પણ આદેશ જો નવો હોય કે અગાઉના આદેશોથી જરા જુદો હોય તો તે નકારી શકાય. આ પરથી તારણ એ નીકળે કે શ્રીલ પ્રભુપાદે તેમના અંતિમ સમયમાં તેમની સંસ્થા સંબંધિત આવી તદ્દન જુદી સૂચનાઓ ન આપવી જોઈતી હતી કે જેનાથી દરેક જણ પરિચિત ન હોય.

જેમ અમે સમજાવ્યું, ઋત્વિક પ્રણાલી કોઈ “નવી” ન હતી. ૯ જુલાઈ પત્ર પૂર્વે, સંસ્થામાં દીક્ષારંભ વિધિ મોટે ભાગે ઋત્વિકો થકી જ થતી હતી. શ્રીલ પ્રભુપાદ ઇસ્કૉનમાં દીક્ષા ગુરુ હતા, અને ખાસ કરીને પાછલાં વર્ષોમાં ઘણા દીક્ષા સમારંભ મંદિર પ્રમુખ કે અન્ય પ્રતિનિધિ કે પૂજારી દ્વારા થયા હતા.

૯ જુલાઈ ૧૯૭૭ પછીની ખાસ નોંધનીય ભિન્નતા એ હતી કે શ્રીલ પ્રભુપાદની સંમતિ વગર નવા શિષ્યોનો સ્વીકાર પ્રતિનિધિઓ દ્વારા થવા લાગ્યો. નવા શિષ્યોને મોકલવામાં આવતા પત્રોમાં હવે શ્રીલ પ્રભુપાદના હસ્તાક્ષર ન હતા, અને તમામ નવા શિષ્યોનાં નામની પસંદગી ઋત્વિકો દ્વારા થતી હતી. ઉપરાંત આ પ્રક્રિયા હવે એક અપરિચિત લાગતા શબ્દ “ઋત્વિક” સાથે સંકળાઈ.

પ્રતિનિધિઓ થકી એક સંનિષ્ઠ આચાર્ય સાથે જોડાવાની આ દીક્ષારંભ પ્રક્રિયાથી હજારો શિષ્યો પરિચિત હતા. ૯ જુલાઈ પત્રમાં “ઋત્વિક” ની વ્યાખ્યા “આચાર્યના પ્રતિનિધિ” તરીકે થાય છે. ચોક્ક્સ પ્રતિનિધિઓના ઉપયોગ થકી શ્રીલ પ્રભુપાદ દ્વારા થતા દીક્ષારંભની આ પ્રણાલી કંઈ “નવી” ન હતી.  આ કેવળ શ્રીલ પ્રભુપાદે શું શીખવ્યું અને તેમના આંદોલનના ઝડપી વિકાસ સાથે આચરણમાં શું મૂક્યું હતું તેને જ આગળ ધપાવે છે.

આ પ્રણાલી ૧૪ નવેમ્બર ૧૯૭૭ પછી પણ ચાલુ રહે તે માટે આટલું આશ્ચર્ય કેમ?

“ઋત્વિક” શબ્દ ભલે ઘણા માટે અપરિચિત લાગતો હોય પરંતુ આ શબ્દ નવો ન હતો. આ શબ્દ અને તેના પર્યાય શબ્દોની વ્યાખ્યા શ્રીલ પ્રભુપાદે તેમનાં પુસ્તકોમાં ૩૧ વખત આપી હતી. નવું એ હતું કે ઘણાં વર્ષોથી જે પ્રણાલી અસ્તિત્વમાં હતી તેને ભાવિ જરૂરી ગોઠવણ સાથે લેખિતમાં મૂકાય. આશ્ચર્યજનક કશું જ ન હતું, કેમ કે આ સમયે શ્રીલ પ્રભુપાદ તેમની સંસ્થાના ભાવિ વિશે ઘણા દસ્તાવેજો લેખિતમાં આપી રહ્યા હતા. આ ગોઠવણ ખરેખર એ જ પ્રણાલીનું ફરી અનુમોદન હતું કે જેને દરેક જણ માન્ય વ્યવહાર તરીકે ગણવા લાગ્યા હતા.

વિટંબણા, “નવું” તો આ ઋત્વિકોનું શ્રીલ પ્રભુપાદના “ભૌતિક અને આધ્યાત્મિક પૂર્ણ ઉત્તરાધિકારી આચાર્યોમાં” વિચિત્ર રૂપાંતર હતું.  આ જ નવીનતાના કારણે હજારો શિષ્યો તેના લાગુ પડતાની સાથે જ આંદોલન છોડી ગયા, અને લાખોએ તેઓનું અનુકરણ કર્યું.

સારાંશ

આપણે દર્શાવ્યું કે એવા કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી કે જે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સમયથી ઋત્વિક પ્રણાલી રદ થાય તેના સમર્થનમાં હોય, અને ન તો ત્યાર બાદ ઋત્વિકોનું દીક્ષા ગુરુઓમાં થયેલા રૂપાંતર – ધારણાઓ (અ) અને (બ) નું સમર્થન કરતા હોય. ધારણાઓ (અ) અને (બ)ના સમર્થનમાં જો કોઈ મજબૂત પરોક્ષ પુરાવા હોત તોપણ તે ચર્ચાનો વિષય હોત કે આ પુરાવા પ્રત્યક્ષ પુરાવાથી ખરેખર અધિક છે કે નથી, કેમ કે પ્રત્યક્ષ પુરાવા સામાન્યતઃ પરોક્ષ પુરાવા કરતાં ચડિયાતા હોય છે. છતાં દર્શાવ્યું તેમ, શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે ઋત્વિક પ્રણાલી રદ થાય તેના સમર્થનમાં પરોક્ષ પુરાવાનો અંશ પણ નથી. આમઃ

૧. સમગ્ર આંદોલનને અમલ માટે એક આદેશ અપાયો—પ્રત્યક્ષ પુરાવો.
૨. આ આદેશ અને અન્ય અનુવર્તી સૂચનાઓનું નિરીક્ષણ ઋત્વિક પ્રણાલી ચાલુ રહે તેના જ સમર્થનમાં છે—પ્રત્યક્ષ પુરાવો.
૩. શ્રીલ પ્રભુપાદ કોઈ વિશેષ આદેશ આપતા હોય કે તેમના પ્રસ્થાન સાથે ઋત્વિક પ્રણાલી રદ થાય એવો કોઈ પ્રત્યક્ષ પુરાવો નથી.
૪. સૂચના, શાસ્ત્ર, અન્ય સૂચનો, વિશેષ પરિસ્થિતિ, પ્રસ્તાવના, સૂચનાની પ્રકૃતિ અને સંદર્ભ આધારિત અથવા બીજું એવું કંઈ જે આપણે વિચારી શકીએ તે આધારિત એવા કોઈ પરોક્ષ પુરાવા નથી જે ઋત્વિક પ્રણાલીને શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે રદ કરવા પાછળનું યોગ્ય કારણ બને. રસપ્રદ, આ બીજાં પરિબળોનું નિરીક્ષણ કરવાથી આપણે કેવળ આદેશનો અમલ ચાલુ રહે તેના જ સમર્થનમાં વધુ પરોક્ષ પુરાવા મળે છે.

ઉપરોક્ત વિÅલેષણ પરથી, દીક્ષારંભ વિષયક શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશનું ૧૪ નવેમ્બર ૧૯૭૭ના રોજ થયેલું રદબાતલ એ પૂરેપૂરું મનફાવે થયેલું અનધિકૃત કૃત્ય હતું. આપણી પાસે ધારણાઓ (અ) અને (બ)ના સમર્થનમાં કોઈ પુરાવા નથી, અને આપણે જણાવ્યું છે તેમ આ ધારણાઓના આધારે ઇસ્કૉનની વર્તમાન ગુરુ પ્રણાલી રચાયેલી છે. શ્રીલ પ્રભુપાદના અનુયાયીઓ, સેવકો અને શિષ્યો તરીકે આપણી પાસે એકમાત્ર વિકલ્પ શ્રીલ પ્રભુપાદના મૂળ આદેશને પુનઃ લાગુ પાડવાનો છે.

આ સંમતિ અને સમજણને વધુ ટેકો આપવા આપણે હવે ૨૮ મે વાર્તાલાપ જોઈએ અને ગૂંચવણ ઊભી કરે એવું લાગતા બીજા સંબંધિત વાંધાઓ જોઈએ.


“નિયુક્તિ ટેપ”


જી.બી.સી. જી.આઈ.આઈ.માં દાવો કરે છે કે ૯ જુલાઈ આદેશમાં કરવામાં આવેલા ફેરફારો (અ) અને (બ) પાછળનું મુખ્ય કારણ ૨૮ મે ૧૯૭૭ના રોજ વૃંદાવનમાં નોંધ થયેલી વાતચીતમાં છે. સંદર્ભ માટે આ ફેરફારો નીચે મુજબ છેઃ

ફેરફાર અ) : પ્રતિનિધિઓ કે ઋત્વિકોની નિયુક્તિ માત્ર કામચલાઉ હતી, અને તે વિશેષરૂપે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે રદ થાય.
ફેરફાર બ) : તેઓના પ્રતિનિધિત્વ તરીકેના કાર્યનો અંત થતાં જ ઋત્વિકો આપોઆપ દીક્ષા ગુરુ બને અને ભક્તોનું દીક્ષારંભ કરી તેઓના પોતાના શિષ્યો બનાવે, નહિ કે શ્રીલ પ્રભુપાદના.

આથી આ વિભાગમાં ૨૮ મે વાર્તાલાપની ઝીણવટભરી ચકાસણી કરીશું અને જોઈશું કે અંતિમ આદેશને ઉપરોક્ત (અ) અને (બ)ના સંદર્ભમાં બદલવા આ વાર્તાલાપ કાયદેસર છે કે નથી.

આ વાત ખૂબ ચિંતાજનક છે કે જી.બી.સી.નું સમગ્ર સ્થાન આ એકમાત્ર પુરાવા પર આધારિત હોવા છતાં આ પુરાવાની ઓછામાં ઓછી ચાર જુદી જુદી સત્તાકીય આવૃત્તિઓ કે લખાણો પ્રકાશિત થયાં છે. આ વિવિધ લખાણો નિમ્ન પ્રકાશનોમાં જોવાં મળે છેઃ

૧૯૮૩: શ્રીલ પ્રભુપાદ લીલામૃત, ભાગ ૬ (સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામી, બી.બી.ટી.)
૧૯૮૫: મારા આદેશ હેઠળ (રવીન્દ્ર-સ્વરૂપ દાસ)
૧૯૯૦: ઇસ્કૉન જર્નલ (જી.બી.સી.)
૧૯૯૫: ઇસ્કૉનમાં ગુરુઓ અને દીક્ષારંભ (જી.બી.સી.)

એક જ વાર્તાલાપની ચાર જુદી જુદી આવૃત્તિઓ ઘણા ગંભીર પ્રશ્નો ઉઠાવે છે. દાખલા તરીકે, એવું પૂછવું ગેરવ્યાજબી ન હોય કે આમાંથી કઈ આવૃત્તિ સાચી છે? સૌપ્રથમ તો જુદી જુદી આવૃત્તિઓ શા માટે છે? શું આ લખાણ એક કરતાં વધુ વાર્તાલાપનું સંમિશ્રણ છે? શું આ ટેપ એકથી વધુ વાર્તાલાપમાંથી સંપાદિત કરાઈ છે? શું ટેપની એકથી વધુ આવૃત્તિ પ્રસારિત થઈ છે? જો હા, તો શું આપણે એવી ખાતરી કરી શકીએ કે કોઈ પણ આવૃત્તિ કોઈ પણ ખરા વાર્તાલાપ માટે સાચી છે? આમ અગાઉથી જ, પુરાવાની ચકાસણી કરતા પહેલાં જ, આપણે એવી શંકાસ્પદ પરિસ્થિતિમાં મૂકાયા છે કે આ ટેપ લખાણો, જેની પ્રમાણભૂતતા પર ગંભીર પ્રશ્નો ઉપસ્થિત છે, તેનાં વિÅલેષણનાં આધારે આપણી પાસે એક હસ્તાક્ષરિત પત્રને બદલવાની અપેક્ષા રખાય છે.

આમ છતાં, ટેપની ચકાસણી હેતુ આપણે આ ચાર અલગ અલગ લખાણોનાં સંમિશ્રણનો ઉપયોગ કરીશું. આમ કૌંસમાં અલગપણાં સાથે આ રહી વાતચીતઃ

(૧)   સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામીઃ    હવે અમારો આગામી પ્રશ્ન ભાવિ દીક્ષારંભ(ભો) વિશે છે,
(૨)         ખાસ કરીને એવા સમયે જ્યારે તમે અમારી સાથે ન હોવ. અમે જાણવા માંગીએ છીએ કે
(૩)        (અ) પ્રથમ અને દ્વિતીય દીક્ષારંભ(ભો)નું સંચાલન કઈ રીતે થશે.
(૪)   શ્રીલ પ્રભુપાદઃ    હા, હું તમારામાંથી કેટલાકની ભલામણ કરીશ. આ સ્થાયી થઈ ગયા પછી
(૫)        હું તમારામાંથી કેટલાકની કાર્યકારી આચાર્ય(ર્યો) તરીકે કાર્ય કરવા ભલામણ કરીશ.
(૬)    તમાલ કૃષ્ણ ગોસ્વામીઃ    શું તેને ઋત્વિક આચાર્ય કહેવાય?
(૭)    શ્રીલ પ્રભુપાદઃ    ઋત્વિક. હા. (હા, ઋત્વિક)
(૮)    સત્‌‍સ્વરૂપ દાસ ગોસ્વામીઃ    (પછી) પેલી વ્યક્તિ જે દીક્ષારંભ આપે છે તેમનો અને .. શું સંબંધ છે
(૯)    શ્રીલ પ્રભુપાદઃ    તે ગુરુ છે. તે ગુરુ છે. (તે ગુરુ છે.)
(૧૦)    સત્‌‍સ્વરૂપ દાસ ગોસ્વામીઃ    પરંતુ તે આમ તમારા વતી કરે છે.
(૧૧)    શ્રીલ પ્રભુપાદઃ    હા. એ ઔપચારિકતા છે. કારણ કે મારી ઉપસ્થિતિમાં કોઈએ ગુરુ બનવું નહિ,
(૧૨)        આથી મારા વતી. મારા આદેશથી, આમાર આજ્ઞા ગુરુ(હના), (તે) ખરેખર ગુરુ (છે) (બને).
(૧૩)        પરંતુ મારા આદેશથી.
(૧૪)    સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામીઃ    આમ (પછી)(તેઓ) પણ (કદાચ) તમારા જ શિષ્યો ગણાય (ગણાશે)?
(૧૫)    શ્રીલ પ્રભુપાદઃ    હા, તેઓ (તેમના) શિષ્યો છે, (પરંતુ) (શા માટે) ગણાય કોણ
(૧૬)    તમાલ કૃષ્ણ ગોસ્વામીઃ    ના. તે પૂછે છે કે આ ઋત્વિક આચાર્યો, તેઓ કાર્યકારી છે, દીક્ષા આપે છે,
(૧૭)        (તેમના)…  જે લોકોને તેઓ દીક્ષા આપે છે, તેઓ કોના શિષ્યો છે?
(૧૮)    શ્રીલ પ્રભુપાદઃ    તેઓ તેમના શિષ્યો છે (જે વ્યક્તિ દીક્ષારંભ આપે છે તેમના શિષ્યો છે).
(૧૯)    તમાલ કૃષ્ણ ગોસ્વામીઃ    તેઓ તેમના શિષ્યો છે (?)
(૨૦)    શ્રીલ પ્રભુપાદઃ    જે દીક્ષારંભ આપે છે.  (અને તેઓ મારા) (તેમના) (તે) શિષ્યના શિષ્ય(યો) છે...
(૨૧)    સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામીઃ    (હા)
(૨૨)    તમાલ કૃષ્ણ ગોસ્વામીઃ    (એ સમજાય ગયું)
(૨૩)    તમાલ કૃષ્ણ ગોસ્વામીઃ    (ચાલો આગળ વધીએ)
(૨૪)    સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામીઃ    પછી અમારો પ્રશ્ન છે કે...
(૨૫)    શ્રીલ પ્રભુપાદઃ    જ્યારે હું તમને ગુરુ બનવા આદેશ કરું ત્યારે તે (તમે) નિયમિત ગુરુ બને છે.
(૨૬)        બસ. તે (અને તેઓ) મારા શિષ્યના શિષ્ય(યો) બને છે. (બસ). (જોયું).

આપણે અગાઉ જણાવ્યું તેમ, આ ઉપરોક્ત વાર્તાલાપનો સ્પષ્ટ ઉલ્લેખ નથી ૯ જુલાઈ પત્રમાં કે નથી શ્રીલ પ્રભુપાદ દ્વારા હસ્તાક્ષરિત બીજા કોઈ અનુવર્તી દસ્તાવેજમાં. આ તદ્દન વિચિત્ર છે કેમ કે  જી.આઈ.આઈ.ની મુખ્ય દલીલ છે કે ૯ જુલાઈ આદેશને યોગ્ય રીતે સમજવા આ સંક્ષિપ્ત વાર્તાલાપ સંપૂર્ણ નિર્ણાયક છે. 

તેમની વિશાળ વિશ્વવ્યાપી સંસ્થાને સૂચનાઓ જાહેર કરવાની શ્રીલ પ્રભુપાદની આ કોઈ નિયમિત રીત ન હતી, એટલે કે અપૂર્ણ અને ભ્રામક લેખિત નિર્દેશિકા આપીને, જેને પછી યોગ્ય રીતે સમજવા માત્ર જૂના ટેપ વાર્તાલાપો ખોરવા પડે.

આ પ્રસ્તુત આદેશની ગંભીરતાને ધ્યાનમાં લઈએ, જેમ કે સંકીર્તન આંદોલનને દસ હજાર વર્ષો સુધી ચલાવવું, અને આ જ બાબતે ગૌડીયા મઠનું શું થયું હતું, ત્યારે શ્રીલ પ્રભુપાદે આ રીતે સંચાલન કર્યું હશે એવું માનવામાં આવતું નથી. છતાંય, જો આપણે વર્તમાન જી.બી.સી. સ્થાનને સ્વીકારીએ તો આપણે આવું જ માનવું પડે. ચાલો હવે આપણે આ સંમિશ્રિત લખાણનું કાળજીપૂર્વક વિÅલેષણ કરીએ, ખાસ કરીને ૯ જુલાઈ આદેશના અનુસંધાનમાં ઉપરોક્ત જણાવેલા ફેરફારોના સમર્થનમાં જી.આઈ.આઈ. જે દાવો કરે છે એ તમામ લીટીઓ પર.

લીટી ૧-૩: અહીં સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામી ભવિષ્યમાં દીક્ષારંભનું સંચાલન કેવી રીતે થશે એ વિશે એક વિશેષ પ્રશ્ન પૂછે છે – “ખાસ કરીને એવા સમયે જ્યારે તમે અમારી સાથે ન હોવ”. શ્રીલ પ્રભુપાદ જે પણ ઉત્તર આપે છે, આપણે માનીએ કે તે તેમના પ્રસ્થાન પછીના જ સંદર્ભમાં હશે, કેમ કે સત્‌સ્વરૂપ એ જ સમય-માળખા સાથે નિસ્બત છે, એટલે કે – “જ્યારે તમે અમારી સાથે ન હોવ”.

લીટી ૪-૭:
અહીં શ્રીલ પ્રભુપાદ સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપે છે. શ્રીલ પ્રભુપાદ કહે છે કે તેઓ  “કાર્યકારી આચાર્ય” કે “ઋત્વિક” તરીકે વર્તવા કેટલાક શિષ્યોની નિમણૂક કરશે. શ્રીલ પ્રભુપાદ પ્રશ્નનો સ્પષ્ટ ઉત્તર આપી ચૂપ રહે છે.

શ્રીલ પ્રભુપાદ આ બાબતે વધુ વિગત આપતા નથી, ન તો તેમના ઉત્તરને લાયક ઠરાવતા કે લાયક ઠરાવવાનો પ્રયાસ કરતા. આથી આપણે એવું સમજવું કે આ જ તેમનો ઉત્તર હતો. આ દ્રષ્ટિકોણ વિરુદ્ધ માત્ર બે જ વિકલ્પો છે.

૧) શ્રીલ પ્રભુપાદે જાણી જોઈને ખોટો કે ભ્રામક ઉત્તર આપ્યો,
 અથવા
૨) તેમણે પ્રશ્ન વ્યવસ્થિત ન સાંભળ્યો અને વિચાર્યું કે સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામી ફક્ત એવું જ પૂછે છે કે તેમની હાજરીમાં શું કરવાનું છે.

શ્રીલ પ્રભુપાદનું કોઈ શિષ્ય વિકલ્પ ૧) પસંદ કરશે નહીં, અને જો વિકલ્પ ૨) હોય તો આ વાર્તાલાપ તેમના પ્રસ્થાન બાદ દીક્ષારંભના ભાવિ વિશે કશું જ કહી શકે નહીં; આથી આપણી પાસે ભાવિ દીક્ષારંભ વિષયક તેમના એકમાત્ર વિધાન તરીકે  ફેરફાર વિનાનો ૯ જુલાઈ આદેશ હજુ પણ યથાવત્‍ રહે છે.

કેટલીક વખત લોકોએ એવી દલીલ કરી છે કે વાતચીત ટુકડે ટુકડે હોવાથી પૂર્ણ ઉત્તર બાકીની વાતચીતમાં જ સ્પષ્ટપણે સમજાય છે. આ દરખાસ્ત સામે સમસ્યા છે કે આ રીતે આદેશ આપવામાં શ્રીલ પ્રભુપાદ સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો સાચો ઉત્તર ત્યારે જ આપી શક્યા હોત જો નિમ્ન શરતોનું પાલન થયું હોય: 

પ્રશ્નોના ઉત્તર આપવાની આ એક વિચિત્ર રીત હોય શકે, પરંતુ એક વિશ્વવ્યાપી સંસ્થા માટે નહિ, અને ચોક્કસપણે આવી શૈલી શ્રીલ પ્રભુપાદની ન હતી. સાચે જ જો, જી.બી.સી. અનુસાર, જે દીક્ષારંભનું સંચાલન ફક્ત ચાર માસ માટે કરવાનું હતું તે વિશે સૂચનાઓ સાથેનો એક પત્ર સમગ્ર આંદોલનને મોકલવાની તકલીફ શ્રીલ પ્રભુપાદે લીધી હોય, તો જે સૂચનાઓ દસ હજાર વર્ષો સુધી લાગુ પડતી હોય તે પ્રત્યે શ્રીલ પ્રભુપાદે ચોક્ક્સપણે આવી અસ્પષ્ટ રીતે વ્યવહાર કર્યો ન હોઈ શકે.

સાચે જ જો આપણે આ લખાણનું વિÅલેષણ નિર્વિવાદે ફેરફાર (અ) અને (બ) ના સમર્થનમાં કરતા હોઈએ તો પછી આપણે હજુ કંઈ સારું કરતા નથી. શ્રીલ પ્રભુપાદને પૂછવામાં આવ્યું કે ખાસ કરીને જ્યારે તેઓ ન હશે ત્યારે દીક્ષારંભનું શું થશેઃ તેઓ ઉત્તર આપે છે કે તેઓ ઋત્વિકોની નિમણૂક કરશે. જી.બી.સી. સૂચિત બંન્ને ફેરફારોથી આ સંપૂર્ણ વિરોધાભાસી છે, અને ૯ જુલાઈ આદેશ “હવેથી” લાગુ પાડવા માટે હતો તે જ તથ્યને આ વધુ મજબૂત બનાવે છે. ચાલો આગળ વાંચીએઃ

લીટી ૮-૯: અહીં સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામી પૂછે છે કે દીક્ષા આપનારનો દીક્ષારંભ ગ્રહણ કરનાર વ્યક્તિ સાથે શો સંબંધ છે. સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામી તેમનો પ્રશ્ન પૂર્ણ કરતા નથી તે પહેલાં શ્રીલ પ્રભુપાદ તરત જ જવાબ આપે છે “તે ગુરુ છે”. કેમ કે વ્યાખ્યા મુજબ ઋત્વિકો દીક્ષા આપનારા નથી, દીક્ષારંભ ગ્રહણ કરનારાઓના “ગુરુ” તરીકે શ્રીલ પ્રભુપાદ માત્ર પોતાનો જ ઉલ્લેખ કરતા હોય શકે. આની પુષ્ટિ ૯ જુલાઈ પત્રમાં થઈ છે જ્યાં ત્રણ વખત જણાવવામાં આવ્યું  છે કે જેમણે દીક્ષારંભ ગ્રહણ કર્યું છે તેઓ “શ્રીલ પ્રભુપાદના શિષ્યો” છે.

કેટલીક વખત વિચિત્ર તર્ક આપવામાં આવે છે કે જ્યારે શ્રીલ પ્રભુપાદ કહે છે કેઃ “તે ગુરુ છે” ત્યારે શ્રીલ પ્રભુપાદ ખરા અર્થમાં ઋત્વિકોની જ વાત કરે છે. આ એકદમ વિચિત્ર છે કેમ કે શ્રીલ પ્રભુપાદે ઋત્વિક શબ્દની વ્યાખ્યા માત્ર “કાર્યકારી આચાર્ય” તરીકે જ આપી છે, મતલબ એક પૂજારી જેઓ કોઈ પ્રકારની ધાર્મિક વિધિ કરે છે. આ પૂજારીઓ કઈ કઈ વિધિઓ કરશે તેની સ્પષ્ટતા શ્રીલ પ્રભુપાદ ૯ જુલાઈ પત્રમાં કરે છે. તેઓનું કાર્ય દીક્ષારંભ ગ્રહણ નવા ભક્તોને આધ્યાત્મિક નામ આપવાનું હતું, અને દ્વિતીય દીક્ષારંભના કિસ્સામાં તેઓના ગાયત્રી સૂત્ર પર જાપ કરવાનું હતું– બધું જ શ્રીલ પ્રભુપાદ વતી. બસ આ જ તેઓનું કાર્ય હતું. તેઓ પોતાના શિષ્યો સ્વીકારી દીક્ષા ગુરુઓ તરીકે વર્તે એવો કોઈ ઉલ્લેખ નથી. આ પત્રમાં ઋત્વિકની વ્યાખ્યા વિશેષરૂપે “આચાર્યના પ્રતિનિધિ” તરીકે થાય છે. તેઓ આચાર્ય વતી કાર્ય કરવા માટે હતા, પોતે આચાર્ય તરીકે વર્તે તેમ નહિ. આથી, શા માટે શ્રીલ પ્રભુપાદ ઋત્વિકોને “ગુરુ” કહી આ મુદ્દાને ગૂંચવણમાં મૂકે? જો તેઓ દીક્ષા ગુરુઓ હોત તો ગૂંચવણ દૂર કરવા શા માટે તેઓને ગુરુ ન કહ્યા?

જ્યારે શ્રીલ પ્રભુપાદ આચાર્ય તરીકે પોતાના સ્થાન સંબંધિત ફિલસૂફીકલ કે વ્યવસ્થાપન વિષયોની વાત કરે છે, ત્યારે તેઓ ઘણી વાર પોતાનો ઉલ્લેખ ત્રીજા પુરુષના સંદર્ભમાં કરે છે.  તેમણે અહીં આમ જ કરવું જોઈએ એમ સમજાય છે કેમ કે સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામીના પ્રશ્નો અહીં ત્રીજા પુરુષના સંદર્ભમાં છે.

આમ આ વાર્તાલાપનો અર્થ ત્યારે જ નીકળે જો શ્રીલ પ્રભુપાદ “ગુરુ” હોય, તેમના પ્રતિનિધિઓ કે ઋત્વિકો થકી નવા શિષ્યોનું દીક્ષારંભ કરતા હોય.

શ્રીલ પ્રભુપાદના ઉત્તરો તદ્દન સ્પષ્ટ અને સુસંગત હોવા છતાં, અહીં એવું જણાય છે કે પ્રશ્ન પૂછનારના મનમાં કંઈક મૂંઝવણ છે. આ સમયે સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામી લીટી ૧૦માં પૂછે છે—“પરંતુ તે તમારા વતી કરે છે”. સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામી જે “તે” નો ઉલ્લેખ કરે છે તે “ઋત્વિક” છે, જ્યારે શ્રીલ પ્રભુપાદ જે “તે” નો ઉલ્લેખ કરે છે એ આપણે જોયું તેમ શ્રીલ પ્રભુપાદ માત્ર પોતે જ હોય શકે, કેમ કે ઋત્વિક પ્રણાલીમાં શ્રીલ પ્રભુપાદ એકમાત્ર દીક્ષા આપનાર છે. તેમના શિષ્યની કંઈક મૂંઝવણ છતાં, શ્રીલ પ્રભુપાદ આ ભાવિ ઋત્વિકોના દરજ્જા વિશે સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામીના પ્રશ્નને અનુરૂપ ચપળતાપૂર્વક આગામી ઉત્તર પર આવે છે.

લીટી ૧૧-૧૩: આ સમયે જી.આઈ.આઈ.માં એવો દાવો કરવામાં આવે છે કે અહીં ફેરફાર (અ) બાબતે પુરાવા છે. આ લીટીઓમાં કોઈ પુરાવા છે કે નથી એ જોતાં પહેલાં આપણે લીટી ૧-૭ના વિÅલેષણને પ્રથમ યાદ રાખીએ.

જો લીટી ૧૧-૧૩માં ફેરફાર (અ) સંબંધિત કોઈ પ્રમાણ હોય તો તે લીટી ૧-૭ સામે વિરોધાભાસી બને જ્યાં શ્રીલ પ્રભુપાદે સ્પષ્ટ ઉત્તર આપ્યો છે કે ઋત્વિકોની નિમણૂક “ખાસ કરીને” તેમના પ્રસ્થાન પછીના સમય સંદર્ભમાં હતી. આથી જો  લીટી ૧૧-૧૩માં ખરેખર ફેરફાર (અ) સંબંધિત પ્રમાણ હોય, તો તેનો મતલબ કે શ્રીલ પ્રભુપાદ થોડા સમય પહેલાં પોતે કહેલા વિધાનથી વિરોધાભાસી હોય. આવું જ જો હોય તો એક જ વાર્તાલાપમાં બે સંપૂર્ણ વિરોધાભાસી વિધાનો હોવાનાં કારણે આ લખાણ ભાવિ દીક્ષારંભ વિશે કંઈ પણ નક્કી કરવા ફરી વાર નકામું બને. ફરી વાર આપણે ફેરફાર વિનાનો ૯ જુલાઈ આદેશ જ સંદર્ભમાં લેવો પડે.  

ચાલો જોઈએ આવું સાચે જ છે કે નથી. યાદ રહે કે આપણે એવા વિધાનની શોધમાં છીએ કે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાનથી ઋત્વિકો પોતાની ઋત્વિક તરીકેની ફરજનો અંત લાવે. બીજા શબ્દોમાં કહીએ તો ઋત્વિકો તેમની હાજરીમાં જ ફરજ બજાવી શકે.

લીટી ૧૧-૧૩ વાંચતાં આપણે જોઈએ છીએ કે તેમની હાજરીમાં ઋત્વિકો કાર્યરત રહે કારણ કે તેમની હાજરીમાં તેઓ ગુરુ બની શકે નહિ. આમ શ્રીલ પ્રભુપાદ ફરી એ જ સિદ્ધાંતનું પુનરાવર્તન કરે છે જે તેમના મહત્વાકાંક્ષી શિષ્યો સાથેના વ્યવહારમાં પ્રસંગોપાત્ત કરતા: કે ગુરુની હાજરીમાં તેમના વતી જ વર્તવું. પરંતુ, શ્રીલ પ્રભુપાદ એવું નથી કહેતા કે આ “તેમના વતી વર્તવાનો” તેમના પ્રસ્થાન સાથે અંત થાય. તેઓ એવું પણ નથી કહેતા કે “તેમના વતી વર્તવાનું” માત્ર તેમની હાજરીમાં જ શક્ય બને. ખરેખર, અત્યાર સુધી તેમણે તેમના વતી વર્તવાના ખ્યાલને તેમની શારીરિક હાજરી સાથે જોડતી કોઈ સીધી કડી જણાવી નથી, પરંતુ શ્રીલ પ્રભુપાદ તેમની શારીરિક હાજરીને તેમના શિષ્યો ગુરુ ન બને તે માટેના કારણ તરીકે જ જણાવે છે. આ “ગુરુ ન બનવું” એ જ ઋત્વિક તરીકે વર્તવા સાથે જોડાયેલી કડી છે.

બીજા શબ્દોમાં કહીએ તો, આ વાર્તાલાપના સમયે તેઓ દીક્ષા ગુરુ ન બની શકે તેનું એક કારણ શ્રીલ પ્રભુપાદની શારીરિક હાજરી હતી. જેમ આગામી લીટીમાં સમજાય છે કે તેમના શિષ્યો દીક્ષા ગુરુ બને તે માટે આ એકમાત્ર કારણ અવરોધરૂપ ન હતું.

લીટી ૧૨માં આપણે જોઈએ છીએ કે ગુરુ બનવા માટે શ્રીલ પ્રભુપાદ તરફથી એક વિશેષ આદેશ મેળવવો પણ જરૂરી છે—“મારા આદેશથી”. શ્રીલ પ્રભુપાદ લીટી ૧૩માં આ શરત ફરી કહે છે—“પરંતુ મારા આદેશથી”, અને ફરી વાર લીટી ૨૫માં—“જ્યારે હું આદેશ કરું”. તો પછી એ સ્પષ્ટ છે કે આ વાર્તાલાપ અંતિમ આદેશ નથી, નહિતર તેઓ શા માટે કહેઃ “જ્યારે હું આદેશ કરું”? જો તેમના પ્રસ્થાન બાદ ગુરુ બનવા માટેનો આ ખરો આદેશ હોત, જેમ જી.બી.સી. કહે છે, તો  તેમણે સાચે જ આવું કંઈક કહેવું જોઈતું હતું: “હું તમને આદેશ કરું છું કે તુરંત મારા પ્રસ્થાનથી તમે ઋત્વિકોમાંથી દીક્ષા ગુરુઓ બનો છો”. આવું કથન વર્તમાન જી.બી.સી. સ્થાન અને એમ.એ.એસ.એસ. પ્રથાને કંઈક વિશ્વસનીયતા ધીરે. પરંતુ જોઈ શકાય છે કે ૨૮ મે વાર્તાલાપમાં આવા કથનને સહેજ પણ મળતું વિધાન નથી.

આગળ દલીલ છે કે અહીં “આમાર આજ્ઞા” Åલોકના પ્રયોગનો અર્થ જ એ થાય છે કે દીક્ષા ગુરુ બનવાનો આદેશ પહેલેથી જ અપાઈ ગયો હતો, કેમ કે ભગવાન શ્રીચૈતન્યના આ આદેશની પુનરુક્તિ શ્રીલ પ્રભુપાદ દ્વારા ઘણી વખત થઈ હતી. પરંતુ, જેમ આપણે જોયું તેમ, “આમાર આજ્ઞા” આદેશ માત્ર શિક્ષા ગુરુના સંદર્ભમાં જ છે; આપણે જાણીએ છીએ કે દીક્ષા ગુરુ બનવાનો આદેશ હજુ આપવામાં આવ્યો ન હતો કેમ કે શ્રીલ પ્રભુપાદ જણાવે છેઃ “જ્યારે હું આદેશ કરું”. આથી અહીં શ્રીલ પ્રભુપાદે કરેલા આ Åલોકના પ્રયોગથી કેવળ એ જ વિચારધારા આગળ ધપે છે કે કોઈ પણ પ્રકારનું ગુરુપદ લેતાં પહેલાં એક આદેશ અનિવાર્ય છે.

લીટી ૧૧-૧૩માં એવું કશું જ નથી જેથી સત્‌‌સ્વરૂપના મૂળ પ્રશ્નનો (લીટી ૧-૭) શ્રીલ પ્રભુપાદે આપેલો સ્પષ્ટ ઉત્તર બદલાય. આમ લીટી ૧-૭ની આપણી સમજણ યથાવત્‍ રહે છે. શ્રીલ પ્રભુપાદ સ્વ-વિરોધાભાસી ન હતા, અને ૯ જુલાઈ આદેશ હજુ યથાવત્‍ રહે છે.

લીટી ૧૧-૧૩માં પ્રસ્થાપિત થાય છે કે ઋત્વિક પ્રણાલી શ્રીલ પ્રભુપાદની હાજરીમાં સંચાલન માટે હતી, પરંતુ એવું નથી કે તેનું સંચાલન કેવળ તેમની હાજરીમાં જ થઈ શકે. “હવેથી” શબ્દના પ્રયોગથી ૯ જુલાઈ પત્રમાં પણ આ વાત સ્પષ્ટ થાય છે. “હવેથી” શબ્દમાં તે દિવસથી દરેક સમય માળખાનો સમાવેશ થાય છે, શ્રીલ પ્રભુપાદની શારીરિક હાજરીને ધ્યાનમાં લીધા વગર. ચાલો આગળ વાંચીએ. 

લીટી ૧૪-૧૫: રસપ્રદ, અહીં સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામી બીજા પુરુષનો પ્રયોગ કરી એક પ્રશ્ન પૂછે છેઃ “આમ પછી તેઓ પણ તમારા જ શિષ્યો ગણાય?” શ્રીલ પ્રભુપાદ ફરી વાર ભાવિ શિષ્યોની માલિકીની ખાતરી કરતો ઉત્તર આપે છેઃ “હા, તેઓ શિષ્યો છે...”. ભલે એ સ્પષ્ટ નથી કે શ્રીલ પ્રભુપાદ આગળ શું બોલવા જઈ રહ્યા છે પરંતુ તેમનો મૂળ જવાબ તદ્દન સ્પષ્ટ છે. તેમને તેમના દરજ્જા વિશે એક સીધો પ્રશ્ન પૂછવામાં આવે છે અને તેઓ ઉત્તર આપે છે “હા”.
 
ફેરફાર (અ) અને (બ)ના સમર્થનમાં જો જી.બી.સી.ને કંઈક આશા હતી તો શ્રીલ પ્રભુપાદે આ પ્રશ્નનો ઉત્તર કંઈક આ રીતે આપવો  જોઈતો હતોઃ “ના, તેઓ મારા શિષ્યો નથી.” શ્રીલ પ્રભુપાદ આગળ શું બોલવા જઈ રહ્યા હતા તે અસબદ્ધ છે કેમ કે તેઓ શું બોલવા જઈ રહ્યા હતા તે કોઈ જાણી શકે નહીં. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાવિ દીક્ષારંભ ગ્રહણ કરનાર ભક્તો શું તેમના શિષ્યો હશે, તેમણે ઉત્તર આપ્યોઃ “હા”; ફરી આ ફેરફાર (અ) અને (બ)ના પક્ષમાં નથી.

લીટી ૧૬-૧૮: અહીં તમાલ કૃષ્ણ ગોસ્વામીને કંઈક મૂંઝવણ લાગે છે અને શ્રીલ પ્રભુપાદને વિક્ષેપ કરે છે. તમાલ કૃષ્ણ ગોસ્વામી સત્‌‌સ્વરૂપ દાસ ગોસ્વામીના પ્રશ્નને થોડું વધુ સ્પષ્ટ કરી શ્રીલ પ્રભુપાદને પૂછે છે કે જેમણે ઋત્વિક થકી દીક્ષા લીધી તેઓ કોના શિષ્યો છે. અહીં ફરી વાર શ્રીલ પ્રભુપાદ (ત્રીજા પુરુષમાં પ્રશ્ન પૂછાતાં) ત્રીજા પુરુષમાં ઉત્તર આપે છે: “તેઓ તેમના શિષ્યો છે”. જેમ આપણે ચર્ચા કરી, શ્રીલ પ્રભુપાદ માત્ર પોતાનો જ ઉલ્લેખ કરતા હોઈ શકે કેમ કે વ્યાખ્યા મુજબ ઋત્વિકોના પોતાના શિષ્યો હોતા નથી. આ ઉપરાંત, આપણે જાણીએ છીએ કે શ્રીલ પ્રભુપાદ ચોક્ક્સપણે પોતાનો જ ઉલ્લેખ કરતા હતા કેમ કે ઋત્વિકો વિશે પ્રશ્ન બહુવચનમાં પૂછાતાં (“આ ઋત્વિક-આચાર્યો”) તેઓ એક વચનમાં જવાબ આપે છે (“તેમના શિષ્યો... જે વ્યક્તિ દીક્ષારંભ આપે છે”). 

કેટલીક વખત બીજો એક તર્ક આપવામાં આવે છે કે આ વાર્તાલાપમાં તે સમયે તમાલ કૃષ્ણ ગોસ્વામી કોઈક અસ્પષ્ટ ભાવિ અર્થમાં અચોક્ક્સ સમય માળખા વિશે પ્રશ્ન પૂછે છે, જ્યાં ઋત્વિકો કોઈક રીતે દીક્ષા ગુરુઓમાં ફેરવાઈ ગયા. આ તર્ક મુજબ, શ્રીલ પ્રભુપાદે જાણે હવે તમાલ કૃષ્ણ ગોસ્વામીના મન સાથે “જાદુઈ રીતે સુમેળ” સાધ્યો હોય તેમ, જ્યારે તેઓ ઉત્તર આપે છે કે ભાવિ દીક્ષારંભ ગ્રહણ કરનાર ભક્તો “તેમના શિષ્યો” છે ત્યારે તેમનો ખરેખર અર્થ એ થયો કે તેઓ ઋત્વિકોના શિષ્યો છે, જેઓ હવે ઋત્વિકો નથી પરંતુ દીક્ષા ગુરુઓ છે. આ તરંગી “મનનો સુમેળ” અશક્ય અને વધુ પડતો અનુમાનિત છે એવા તથ્યને બાજુએ મૂકતાં આ વાદ સામે બીજી પણ એક સમસ્યા છેઃ

હજુ સુધી શ્રીલ પ્રભુપાદે એવું જણાવ્યું નથી કે ઋત્વિકો, જેમની તેઓ નિમણૂક કરનાર છે, તેઓ ઋત્વિકો સિવાયની બીજી કોઈ ક્ષમતામાં કાર્ય કરતા હશે. તો શા માટે તમાલ કૃષ્ણ ગોસ્વામીએ એવું માની લીધું કે તેઓનો દરજ્જો બદલાવાનો છે?

લીટી ૧૯-૨૦:
તમાલ કૃષ્ણ ગોસ્વામી તેમના ઉત્તરનું પુનરાવર્તન કરે છે, અને પછી શ્રીલ પ્રભુપાદ આગળ કહે છેઃ “જે દીક્ષારંભ આપે છે... તેમના પરમ-શિષ્ય”. લખાણની આવૃત્તિઓ “તેમના પરમ-શિષ્ય” અને “તે પરમ-શિષ્ય છે” પૈકી અમે “તેમના પરમ-શિષ્ય” પસંદ કર્યું કેમ કે આ અમારી ટેપ નકલ સાથે વધુ સુસંગત છે, અને તે અર્થપૂર્ણ વાર્તાલાપના પ્રવાહ સાથે બંધબેસતું જણાય છે. (નહિતર જે વ્યક્તિ દીક્ષારંભ આપે છે તે પોતે જ પરમ-શિષ્ય બની જાય! – “જે દીક્ષારંભ આપે છે... તે પરમ-શિષ્ય છે.”)

જ્યારે અહીં ત્રીજા પુરુષમાં બોલાય છે ત્યારે એવી દલીલ થાય છે કે શ્રીલ પ્રભુપાદ ઋત્વિકોનો જ ઉલ્લેખ કરતા હોવા જોઈએ, તેમના પોતાનો નહિ; વાર્તાલાપને આ દ્રષ્ટિકોણથી બદલી લીટી ૧૭-૨૦માં “તેમના”/“કોણ” ના સ્થાને “ઋત્વિક” (કૌંસમાં) મૂકી આ દલીલને ચકાસી શકાય છેઃ

તમાલ કૃષ્ણ ગોસ્વામીઃ    “તેઓ કોના શિષ્યો છે?”
શ્રીલ પ્રભુપાદઃ    “તેઓ (ઋત્વિકના) શિષ્યો છે.”
તમાલ કૃષ્ણ ગોસ્વામીઃ    “તેઓ (ઋત્વિકના) શિષ્યો છે.”
શ્રીલ પ્રભુપાદઃ    “(ઋત્વિક) દીક્ષારંભ આપે છે... (ઋત્વિકના) પરમ-શિષ્ય...”

ઋત્વિકો માત્ર કાર્યકારી છે અને તેઓનું કામ માત્ર પ્રતિનિધિ તરીકેનું જ છે, આ મુજબ વાંચનારને સ્વયં-સિદ્ધ જણાવું જોઈએ કે લીટી ૧૭-૨૦નું આવું અર્થઘટન અર્થહીન છે. પરમ-શિષ્યની વાત તો જવા દો, ઋત્વિકને પોતાના શિષ્યો હોય એ પણ એક વિરોધાભાસી છે.

એવો આરોપ કદાચ લગાડી શકાય કે શ્રીલ પ્રભુપાદ ત્રીજા પુરુષમાં તેમના પોતાની જ વાત કરે છે એમ કહી અમે શ્રીલ પ્રભુપાદના શબ્દોને “મરોડી” રહ્યા છીએ. પરંતુ અમને લાગે છે કે અમારું અર્થઘટન શ્રીલ પ્રભુપાદે તેમના ઋત્વિકોને સોંપેલા કાર્ય સાથે સુસંગત છે. આ વાર્તાલાપના અર્થઘટન માટે બે વિકલ્પો લાગે છેઃ

૧) નવા ભાવિ શિષ્યો ઋત્વિક પૂજારીઓના હતા જેઓ વ્યાખ્યા મુજબ દીક્ષા ગુરુઓ નથી પરંતુ કાર્યકારીઓ છે અને પ્રતિનિધિઓ તરીકે વર્તવા વિશેષરૂપે નિયુક્ત કરાયા હતા.

૨) નવા ભાવિ શિષ્યો દીક્ષા ગુરુ શ્રીલ પ્રભુપાદના હતા.

વિકલ્પ ૧) વાહિયાત છે. તેથી અમે એક તાર્કિક પસંદગી તરીકે વિકલ્પ ૨) પસંદ કર્યો અને તે મુજબ ટેપનું અર્થઘટન કર્યું.

લીટી ૨૫-૨૬: શ્રીલ પ્રભુપાદ એક સ્પષ્ટ શરત સાથે વાત પૂરી કરે છે કે જ્યારે તેઓ આદેશ કરે ત્યારે જ કોઈ ગુરુ બને છે. આ તબક્કે દીક્ષારંભ ગ્રહણ કરનાર નવા ભક્તો “મારા શિષ્યના શિષ્ય” બને છે.

આ “શિષ્યના શિષ્ય” શબ્દને ઘણો ઉછાળવામાં આવ્યો છે. શ્રીલ પ્રભુપાદ દ્વારા આ શબ્દનો પ્રયોગ ઘણા માટે એક નિર્ણાયક દલીલ છે, કેમ કે તમને શિષ્યના શિષ્ય ત્યારે જ હોય શકે જ્યારે તેઓ દીક્ષા ગુરુઓ હોય. આ સત્ય છે. દુર્ભાગ્યવશ “તેમના શિષ્યના શિષ્ય” પછી આવતા શબ્દોને સામાન્યતઃ અવગણવામાં આવે છે. શ્રીલ પ્રભુપાદ આગળ જણાવે છે કે “શિષ્યના શિષ્ય” અને આથી દીક્ષા ગુરુ ત્યારે જ સંભવિ શકે જ્યારે શ્રીલ પ્રભુપાદ તેમના કોઈ શિષ્યને દીક્ષા ગુરુ બનવાનો આદેશ આપે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રીલ પ્રભુપાદ એટલું જ કહે છે કે જ્યારે એક ગુરુ તેમના શિષ્યને દીક્ષા ગુરુ બનવાનો આદેશ આપે ત્યારે જ તેમને શિષ્યના શિષ્ય (“તેમના શિષ્યના શિષ્ય”) હોય, કેમ કે નવા દીક્ષા ગુરુ ત્યાર બાદ સ્વતંત્ર રીતે દીક્ષારંભ કરતા હોય (“તે મારા શિષ્યના શિષ્ય બને છે”). આ સીધું-સરળ પૂરતું છે, આ મુદ્દા પર કોઈ બેમત નથી. પરંતુ આ ગુરુપદ માટેનો આદેશ ક્યાં છે? ચોક્ક્સપણે લીટી ૨૫-૨૬માં તો નથી જ; અને નથી ક્યાંય આખા વાર્તાલાપમાં.

વાસ્તવમાં, ૨૮ મે વાર્તાલાપમાં કોઈ વ્યક્તિને કશું કરવાનો કોઈ આદેશ નથી. શ્રીલ પ્રભુપાદ ભવિષ્યમાં ઋત્વિકોની નિમણૂક કરવાના તેમના ઇરાદાની કેવળ જાણ કરે છે. ત્યાર બાદ શ્રીલ પ્રભુપાદ ઋત્વિક પ્રણાલીમાં ગુરુ-શિષ્ય સંબંધિત સહેજ ગૂંચવણભર્યા પ્રશ્નોના ઉત્તર આપે છે. તેઓ પછી એક વિધાન સાથે વાતચીત પૂરી કરે છે કે જ્યારે તેઓ કોઈને દીક્ષા ગુરુ બનવાનો યોગ્ય આદેશ આપે ત્યારે શું બને. એ સ્પષ્ટ છે કે ચોક્ક્સ વ્યક્તિઓને ચોક્ક્સ કાર્યો કરવાનો વિશેષ આદેશ પ્રથમવાર ૭ જુલાઈના રોજ અપાયો (કૃપા કરી જુઓ પરિશિષ્ટ, પૃષ્ઠ ૧૨૮), અને પછી તેની પુષ્ટિ ૯ જુલાઈ હસ્તાક્ષરિત પત્રમાં થઈ. પરંતુ ૯ જુલાઈ પત્ર વાંચતાં જોઈ શકાય છે કે તેમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે આ અગિયાર નિયુક્ત ઋત્વિકો ક્યારેય દીક્ષા ગુરુઓ બને; અથવા ઋત્વિક પ્રણાલી ક્યારેય રદ થાય. 

૨૮ મે વાર્તાલાપના અમારા વિસ્તૃત વિÅલેષણ પરથી એવું સ્પષ્ટ થાય છે કે જી.બી.સી. જે પ્રસ્તુત કરે છે તે એક ગોળ-ગોળ દલીલ છેઃ

ફેરફાર (અ) અને (બ)ના સમર્થનમાં, જે ઇસ્કૉનની વર્તમાન ગુરુ પ્રણાલી માટે ઘણા મહત્વના છે, આપણને એવું કહેવામાં આવ્યું કે ૨૮ મે લખાણમાં શ્રીલ પ્રભુપાદે આપેલા એક “આદેશ” અનુસાર ૯ જુલાઈ પત્રમાં ફેરફાર જરૂરી છે. પરંતુ આ લખાણને ધ્યાનપૂર્વક વાંચ્યા પછી આપણે જોઈએ છીએ કે શ્રીલ પ્રભુપાદ કહે છે કે તેઓ ત્યારે જ ગુરુઓ બની શકે “જ્યારે હું આદેશ કરું”. આથી એવી દલીલ કેવી રીતે કરી શકાય કે આ “જ્યારે હું આદેશ કરું” એ  અંતે ૭ અને ૯ જુલાઈના રોજ આપેલો જ “આદેશ” હતો? કેમ કે આ “આદેશ” સંપૂર્ણ રીતે ઋત્વિકોના નિર્માણ માટે હતો, અને આ એ જ “આદેશ” છે જેમાં જી.બી.સી.ને તેમના અવડા ફેરફારો (અ) અને (બ)ના સમર્થનમાં ફેરફાર કરવાની જરૂર પડી.

દુર્ભાગ્યવશ, જી.આઈ.આઈ.માં જે દલીલ શૈલીની હિમાયત કરવામાં આવી છે તે મુજબ આપણે નાછૂટકે આવી ઉપરોક્ત વિચિત્ર દ્વિ-તાર્કિક મડાગાંઠમાં મૂકાયા. 
આ ઉપરોક્ત મડાગાંઠને સમજવા કૃપા કરી પૃષ્ઠ ૯૪ પર આપેલી આકૃતિ જુઓ.

અંતે, ફેરફાર (અ) અને (બ)ના સમર્થનમાં પુરાવાના અભાવ ઉપરાંત આ સમગ્ર “ફેરફાર” વાદ સામે સૌથી મોટી સમસ્યા છે કે તમે એક આદેશને એવી માહિતી દ્વારા કાયદેસર બદલી ન શકો જે માહિતી આદેશ પાલન કરનારા એ જ વ્યક્તિઓને પ્રાપ્ત ન હતી.

જો ખરેખર ફેરફાર (અ) અને (બ)ના સમર્થનમાં ૨૮ મે વાર્તાલાપમાં સ્પષ્ટ સૂચનાઓ હોત તો અંતિમ પત્રમાં તેનો કંઈક તો અણસાર હોવો જોઈતો હતો. ખરું જોતાં, મે ૨૮ના રોજ સભાનો મુખ્ય ઉદ્દેશ શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ દીક્ષારંભ વિષયક સ્પષ્ટ નિર્ણય લેવાનો હતો. છતાંય એવી દરખાસ્ત મૂકવામાં આવે છે કે જ્યારે શ્રીલ પ્રભુપાદ દીક્ષારંભ વિષયક તેમની અંતિમ લેખિત નિર્દેશિકા જાહેર કરે છે ત્યારે તેઓ કોઈક રીતે માત્ર એટલું જ જણાવે છે કે તેમના પ્રસ્થાન પહેલાં શું કરવું.

બીજા શબ્દોમાં કહીએ તો, જે વિષય પર શ્રીલ પ્રભુપાદને પૂછવામાં નથી આવ્યું તે વિશે તેમણે સ્પષ્ટ અને ભારયુક્ત નિર્દેશિકાઓ આપી એવું માનવામાં આવે છે; જ્યારે ખરો અગત્યનો મુદ્દો, જે વિશે દરેક જણ જાણવા માંગતા હતા, એટલે કે દસ હજાર વર્ષો સુધી દીક્ષારંભનું ભાવિ, તેના વિશે તેમણે તેમના અંતિમ હસ્તાક્ષરિત આદેશમાં સંબોધવાનું સાવ બાકાત રાખ્યું.

શ્રીલ પ્રભુપાદ તેમની સંસ્થાને કદી આ રીતે નીચે જણાવ્યા મુજબ માર્ગદર્શન આપતા હોય એવું ઉદાહરણ આપણી પાસે નથીઃ

૧) એવી નિર્દેશિકા જાહેર કરવી કે જેમાં તે પાછળના મુખ્ય ઉદ્દેશનો જ ઉલ્લેખ થયો ન હોય.

૨) મહત્વની નવી વ્યવસ્થાપન પ્રણાલી વિશે અગત્યની માહિતી જાણીજોઈને ન આપવી.

૩) સૂચનાઓનું ખરા અર્થમાં પાલન થાય તે માટે તેમની સૂચના મેળવનાર જાદુઈ મનના હોવા જોઈએ એવી અપેક્ષા રાખવી.

આવી સામાન્ય દલીલ વાંધા ૭માં ખોટી પુરવાર થઈ છે કે શ્રીલ પ્રભુપાદને ભાવિ દીક્ષારંભ વિશે શું કરવું તે અંતિમ પત્રમાં જણાવવાની જરૂર ન લાગી, કારણ કે તેમણે પહેલેથી જ તેમનાં પુસ્તકો અને પ્રવચનોમાં સમજાવી દીધું હતું કે તેઓ કઈ રીતે દરેકને દીક્ષા ગુરુ બનવા ઇચ્છે છે (કૃપા કરી જુઓ પૃષ્ઠ ૧૪).

ફેરફાર (અ) અને (બ)ના સમર્થન માટે ૨૮ મે વાર્તાલાપમાં જ્યાં લીટી ૧૨માં શ્રીલ પ્રભુપાદ “આમાર આજ્ઞા ગુરુ હના” Åલોકનો પ્રયોગ કરે છે તેમાંથી કંઈક કાઢવાનો વધુ એક પ્રયાસ જી.આઈ.આઈ.માં કરવામાં આવ્યો છે. આ Åલોકનું પુનરાવર્તન તેમની પુસ્તકોનાં અનુવાદ સંબંધિત ચર્ચા પછી ફરી થાય છે. આ મત મુજબ, ઋત્વિક આદેશ દીક્ષા ગુરુ બનવાના આદેશ સમાન છે; માત્ર એ આધાર પર કે શ્રીલ પ્રભુપાદ ભગવાન શ્રીચૈતન્યના “દરેકને ગુરુ બનવાના” આ પ્રખ્યાત સૂચનનો ઉલ્લેખ કરે છે. પરંતુ શ્રીલ પ્રભુપાદ એટલું જ જણાવે છે કેઃ

“… જે તેમના ગુરુના આદેશને સમજે છે, એ જ પરંપરા, તેઓ ગુરુ બની શકે. અને આથી હું તમારામાંથી કેટલાકની પસંદગી કરીશ.”
(૨૮ મે ૧૯૭૭, વાર્તાલાપ)

અહીં ધ્યાનમાં લેવા અગત્યના મુદ્દાઓ આ રહ્યાઃ

૧. “ગુરુનો આદેશ” શું હતો જે તેઓને સમજવાનો હતો? – ઋત્વિકો તરીકે વર્તવું.
(“હું તમારામાંથી કેટલાકની કાર્યકારી આચાર્યો તરીકે કાર્ય કરવા ભલામણ કરીશ.”)

૨. તેઓ આખરે શું કરવા પસંદ કરાયા હતા? – ઋત્વિકો તરીકે કાર્ય કરવા.  (કૃપા કરી જુઓ ૯ જુલાઈ પત્ર, પૃષ્ઠ ૧૦૯)

૩. અને ગુરુના આદેશને અનુસરી તેઓ કયા પ્રકારના ગુરુ બને? જેમ અગાઉ ભગવાન શ્રીચૈતન્યના “ગુરુ બનવાના” આદેશના વિÅલેષણ પરથી જોયું, જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ આદેશનો અમલ કરે તેઓ આપોઆપ શિક્ષા ગુરુ તરીકે લાયક બને છે.

જી.આઈ.આઈ. વિરોધાભાસી પ્રસ્તાવ રજૂ કરે છે કે કેવળ એક ઋત્વિક તરીકે (દીક્ષા ગુરુ તરીકે નહિ) વર્તવાના ગુરુના આદેશનું પાલન કરી તેઓ આપોઆપ દીક્ષા ગુરુઓ તરીકે વર્તે છે.

આ તર્ક મુજબ, જે વ્યક્તિ ગુરુ તરફથી મળેલા કોઈ પણ આદેશને અનુસરે તેઓએ કોઈક રીતે આપોઆપ દીક્ષા ગુરુ બનવાનો વિશેષ આદેશ પ્રાપ્ત કરી લીધો છે! દુર્ભાગ્યવશ, જી.આઈ.આઈ. આ વિશે તેના સમર્થનમાં કોઈ પુરાવા આપતું નથી. જેમ અગાઉ દર્શાવ્યું તે મુજબ, “આમાર આજ્ઞા” Åલોકનો પ્રયોગ દરેકને કેવળ શિક્ષા ગુરુ બનવાનો જ આદેશ છે (“એ ઉત્તમ છે કે કોઈ શિષ્યો સ્વીકારવા નહીં.”).

નિષ્કર્ષ

૧. ૯ જુલાઈ ૧૯૭૭ના રોજ શ્રીલ પ્રભુપાદે ‘હવેથી’ પ્રથમ તેમજ દ્વિતીય દીક્ષારંભના સંચાલન માટે ૧૧ ઋત્વિકો નિયુક્ત કર્યા.

૨. ૨૮ મે વાર્તાલાપમાં એવા કોઈ પુરાવા નથી જેનો પ્રયોગ ૯ જુલાઈ આદેશમાં એવા ફેરફાર કરવા થઈ શકે કે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સાથે નિયુક્ત ઋત્વિકોની ફરજનો અંત થાય.

૩. ૨૮ મે વાર્તાલાપમાં એવું પણ કશું નથી જેનો પ્રયોગ ૯ જુલાઈ આદેશમાં એવા ફેરફાર કરવા થઈ શકે કે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન થતાં જ ઋત્વિકો દીક્ષા ગુરુઓમાં પરિવર્તન પામે.

૪. ૨૮ મે વાર્તાલાપમાં આ વાત સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે ઋત્વિકો શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન બાદ પણ કાર્યરત રહે તે હેતુ હતા.

નોંધ લેવી કે આ એક જ વાર્તાલાપનાં ઓછામાં ઓછાં ચાર અલગ અલગ લખાણો છે અને ત્રણ અલગ અલગ “સત્તાવાર” જી.બી.સી. અર્થઘટનો છે. આ કારણસર ઘણા ભક્તોને લાગે છે કે આ વાર્તાલાપ એક નિર્ણાયક પુરાવા તરીકે ન ગણી શકાય. જો વાંચનારનો આ જ નિષ્કર્ષ હોય તો પછી તેમની પાસે અંતિમ આદેશ તરીકે ૯ જુલાઈ પત્રમાં પાછા વળવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી, કેમ કે આ સ્પષ્ટ લેખિત અને હસ્તાક્ષરિત પત્ર છે અને તે સમગ્ર આંદોલનને મોકલવામાં આવ્યો હતો. કાયદાની અદાલતમાં પણ ચોક્ક્સપણે આ જ નિષ્કર્ષ હોય; લેખિત હસ્તાક્ષરિત પુરાવા હંમેશાં ટેપ રેકોર્ડિંગ કરતાં અગ્ર ગણાય છે. અમે અહીં આ ૨૮ મે વાર્તાલાપનું અત્યંત કાળજીપૂર્વક પરીક્ષણ એટલા માટે કર્યું કે ફેરફાર (અ) અને (બ)ના સમર્થનમાં જી.બી.સી.એ તેને એકમાત્ર પુરાવા તરીકે આગળ ધર્યું છે.

ઇસ્કૉનમાં દીક્ષારંભ વિષયક જી.બી.સી.ની વર્તમાન સ્થિતિના મુખ્ય આધાર રચતા આ ફેરફારોને આપણે પછી તદ્દન નકારવા જ પડે, કેમ કે ફેરફાર (અ) અને (બ)ના સમર્થનમાં કોઈ પુરાવા નથી. આ પરિણામરૂપ, ૯ જુલાઈ નીતિ દસ્તાવેજમાં આપેલા આદેશો જ દીક્ષારંભ વિષયક શ્રીલ પ્રભુપાદનો અંતિમ આદેશ ગણાય અને તેને જ અનુસરવું રહ્યું.

અહીં કેટલાક સંબંધિત વાંધાઓ જણાવ્યા છે જે અમને લાગે છે કે તેને સંબોધવા ઉપયોગી હશે.


બીજા સંબંધિત વાંધાઓ


૧. “શ્રીલ પ્રભુપાદે તેમનાં પુસ્તકોમાં ઋત્વિકોનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.”


૧)
“ઋત્વિક” (અર્થાત્‌ “પૂજારી”) શબ્દ અને તેના પર્યાયનો સંદર્ભ શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં ૩૧ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યો છે, “દીક્ષા” શબ્દ અને તેના પર્યાય કરતાં જરાક જ ઓછી વખત કે જેનો ઉલ્લેખ શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં ૪૧ અલગ જગ્યાએ છે. ચોક્કસપણે, વિધિઓમાં ઋત્વિક પૂજારીઓને ઉપયોગમાં લેવાની વિચારધારા શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં સંપૂર્ણ માન્ય છેઃ

       ઋત્વિક  :     ૪.૬.૧ / ૪.૭.૧૬ / ૫.૩.૨ / ૫.૩.૩ / ૫.૪.૧૭ / ૭.૩.૩૦ / ૮.૨૦.૨૨ / ૯.૧.૧૫
     ઋત્વિજ:  :    ૪.૫.૭ / ૪.૫.૧૮ / ૪.૭.૨૭ / ૪.૭.૪૫ / ૪.૧૩.૨૬/ ૪.૧૯.૨૭ / ૪.૧૯.૨૯ / ૫.૩.૪ / ૫.૩.૧૫ / ૫.૩.૧૮ / ૫.૭.૫ / ૮.૧૬.૫૩ / ૮.૧૮.૨૧ / ૮.૧૮.૨૨ / ૯.૪.૨૩ / ૯.૬.૩૫
   ઋત્વિજમ  :    ૪.૬.૫૨ / ૪.૨૧.૫ / ૮.૨૩.૧૩ / ૯.૧૩.૧
ઋત્વિગભ્ય:  :    ૮.૧૬.૫૫
 ઋત્વિગભિ:  :    ૪.૭.૫૬ / ૯.૧૩.૩
(આ તમામ સંદર્ભ શ્રીમદ્‍ ભાગવતમ્‌માંથી છે)

૨) શ્રીલ પ્રભુપાદે તેમનાં પુસ્તકોમાં આધ્યાત્મિક સિદ્ધાંતો વિસ્તૃત રીતે આવરી લીધા હોવા છતાં આ સિદ્ધાંતોની વિશેષતા ઘણી વાર નથી અપાઈ (દાખલા તરીકે શ્રીવિગ્રહ પૂજા વિશે). સામાન્યતઃ આવી વિશેષ બાબતોના વ્યવહારો પ્રાયોગિક રીતે અથવા પત્રો જેવા બીજા માધ્યમ દ્વારા થયા છે. આમ, દીક્ષા કે દીક્ષારંભના સિદ્ધાંત અને તેને વ્યવહારિક રીતે લાગુ પાડવાની સવિગતો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. શ્રીલ પ્રભુપાદે દીક્ષાની વ્યાખ્યા ક્યારેય એક ધાર્મિક વિધિના અર્થમાં આપી નથી પરંતુ મુક્તિ તરફ લઈ જતા આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ તરીકે આપી છેઃ   

“બીજા શબ્દોમાં કહીએ તો, આધ્યાત્મિક ગુરુ નિદ્રાવસ્થ જીવને તેની મૂળ ચેતનામાં જાગૃત કરે છે, જેથી તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરી શકે. આ દીક્ષા કે દીક્ષારંભનો હેતુ છે. દીક્ષારંભ એટલે આધ્યાત્મિક ચેતનાનાં શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરવું.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્યલીલા, ૯.૬૧, ભાવાર્થ)

“વાસ્તવમાં દીક્ષા એટલે શિષ્યનું આધ્યાત્મિક જ્ઞાનમાં દીક્ષારંભ કરવું જે દ્વારા તેઓ તમામ ભૌતિક દોષથી મુક્ત થાય છે.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્યલીલા, ૪.૧૧૧, ભાવાર્થ)

“દીક્ષા એક પ્રક્રિયા છે જે દ્વારા દરેક તેમનાં આધ્યાત્મિક જ્ઞાનને જાગૃત કરી શકે છે અને પાપકર્મથી થયેલી તમામ પ્રતિક્રિયાઓનો ક્ષય કરી શકે છે. પ્રાગટ શાસ્ત્રોનાં અભ્યાસમાં નિપુણ વ્યક્તિ આ પ્રક્રિયાને દીક્ષા તરીકે જાણે છે.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્યલીલા, ૧૫.૧૦૮, ભાવાર્થ)

દીક્ષા વખતે સામાન્ય રીતે એક વિધિ થાય છે, પરંતુ ખરેખર આ વિધિ અનિવાર્ય નથી, પણ એક ઔપચારિકતા છેઃ

“આમ ભલે, ૧૯૨૨ થી ૧૯૩૩ સુધી વ્યવહારિક રીતે મારું દીક્ષારંભ કરાયું ન હતું, પરંતુ મને ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયના પ્રચારનો પ્રભાવ મળ્યો. જે હું વિચારતો હતો. અને મારા ગુરુ મહારાજ દ્વારા તે જ દીક્ષારંભ હતું.”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૧૦/૧૨/૧૯૭૬, હૈદરાબાદ)

“દીક્ષારંભ એક ઔપચારિકતા છે. જો તમે ગંભીર હોવ તો એ જ ખરું દીક્ષારંભ છે. […] મારો સ્પર્શ કેવળ ઔપચારિકતા છે. તે તમારો સંકલ્પ છે. એ જ દીક્ષારંભ છે.”
 (“દિવ્યની શોધ”, બી.ટી.જી. # ૪૯)

“… ગુરુ-પરંપરાનો અર્થ હંમેશાં એ નથી કે સત્તાવાર રીતે દરેકનું દીક્ષારંભ કરાવવું જ જોઈએ. ગુરુ-પરંપરા એટલે પારંપરિક નિષ્કર્ષને સ્વીકારવું.”
(દિનેશને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૩૧/૧૦/૧૯૬૯)

“હરે કૃષ્ણ જપવું એ આપણું મુખ્ય કામ છે, એ જ સાચું દીક્ષારંભ છે. અને તે બાબતે તમે મારા આદેશને સહુ અનુસરતા હોવાથી દીક્ષા આપનાર પહેલેથી જ છે.”
(તમાલ કૃષ્ણને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૯/૮/૧૯૬૮)

“ભલે, દીક્ષારંભ થાય કે ન થાય, મુખ્ય વસ્તુ જ્ઞાન છે… જ્ઞાન. દીક્ષારંભ એક ઔપચારિકતા છે. જેમ તમે જ્ઞાન માટે શાળાએ જાવ છો, અને પ્રવેશ એ એક ઔપચારિકતા છે. તે બહુ મહત્વની વસ્તુ નથી.”
(શ્રીલ પ્રભુપાદ મુલાકાત, ૧૬/૧૦/૧૯૭૬, ચંડીગઢ)

શ્રીલ પ્રભુપાદઃ  “કોણ મારું શિષ્ય છે? સૌપ્રથમ તો તેમને શિસ્તતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા દો.”
       શિષ્યઃ  “જ્યાં સુધી તે અનુસરે છે, પછી તે...”
શ્રીલ પ્રભુપાદઃ “પછી તે બરાબર છે.”
(શ્રીલ પ્રભુપાદ, પ્રભાત ફેરી, ૧૩/૬/૧૯૭૬, ડૅટ્રોઇટ)



“…જ્યાં સુધી શિસ્તતા નથી ત્યાં સુધી શિષ્ય હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. શિષ્ય તેને કહેવાય જે શિસ્તતાનું પાલન કરે.”
(શ્રીલ પ્રભુપાદ, પ્રભાત ફેરી, ૮/૩/૧૯૭૬, માયાપુર)

“જે કોઈ શિસ્તતાનું પાલન કરતું નથી તે શિષ્ય નથી.”
(શ્રીલ પ્રભુપાદ, શ્રીમદ્‌ ભાગવતમ્‌ પ્રવચન, ૨૧/૧/૧૯૭૪)

આમ વિધિવત્‌ દીક્ષારંભ એક ઔપચારિકતા છે, અને આ વિધિ શિષ્યના મનમાં દીક્ષા પ્રક્રિયા પ્રતિ તેમણે લીધેલી ગંભીર જવાબદારીઓને સભાન બનાવવા માટે કરવામાં આવે છે. આવી જવાબદારીઓ આ મુજબ છેઃ

શ્રીલ પ્રભુપાદે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ વિધિની ઔપચારિકતા ફક્ત ઔપચારિકતા જ છે, આવશ્યકતા નથી. તદ્‍ઉપરાંત, દીક્ષારંભની આ વિધિવત્‌‍ ઔપચારિકતામાં ઘણાં તત્વોનો સમાવેશ થાય છેઃ

૧. સામાન્યતઃ મંદિર પ્રમુખ દ્વારા સંસ્થા તરફથી સત્તાકીય ભલામણ.
૨. કાર્યરત ઋત્વિક દ્વારા સ્વીકાર.
૩. અગ્નિ-યજ્ઞમાં ભાગ લેવો.
૪. આધ્યાત્મિક નામ ગ્રહણ કરવું.

ફક્ત મુદ્દા (૨) અને (૪)માં જ ઋત્વિક પૂજારીની આવશ્યકતા રહે છે; જ્યારે (૧) અને (૩) સામાન્ય રીતે મંદિર પ્રમુખ દ્વારા થાય છે.

અગાઉ દર્શાવ્યું તે મુજબ, એવું કશે જણાવ્યું નથી કે દીક્ષાનું આ કોઈ પણ તત્વ, જેમ કે દિવ્ય જ્ઞાન, પાપભરી પ્રતિક્રિયાઓનો ક્ષય, અગ્નિ-યજ્ઞની વિધિ અને આધ્યાત્મિક નામ, મેળવવા ગુરુ અને શિષ્યએ એક સમાન ગ્રહ પર સહહાજર રહેવું જરૂરી છે. ઊલટું, દીક્ષાનાં દરેક તત્વો (જ્ઞાનનો પ્રસાર, યજ્ઞ વગેરે) ગુરુની શારીરિક ઉપસ્થિતિ વિના પણ સરળતાથી આપી શકાય છે. આનું નિદર્શન શ્રીલ પ્રભુપાદ દ્વારા વ્યવહારિક રીતે થયું હતું, કેમ કે તેમણે દીક્ષાનાં આ તમામ તત્વો તેમનાં શિષ્યો અને પુસ્તકો જેવાં મધ્યસ્થી દ્વારા આપ્યાં. આમ, ઋત્વિકોના ઉપયોગથી કોઈ આધ્યાત્મિક સિદ્ધાંતો બદલાતા નથી. ફક્ત સવિગત જ બદલાય છે.

આમ ઋત્વિકોના કાર્યને યથાર્થ રીતે જોતાં એવું નિદર્શન થયું છે કે આપણે એક ઔપચારિક વિધિની સવિગતો સાથે વ્યવહાર કરી રહ્યા છીએ, અને આ વિધિ પોતે જ દીક્ષાની દિવ્ય પ્રક્રિયાનું તત્વ નથી (કૃપા કરી પૃષ્ઠ ૯૩ પર આપેલી “દીક્ષા” આકૃતિ જુઓ).

આપણે નોંધ લઈએ કે શ્રીલ પ્રભુપાદે આ બધાં તત્વો સાથે તેમની અગત્યતા અનુસાર કામ લીધું છેઃ

વિગત શું પુસ્તકોમાં સમજાવ્યું છે? શું પ્રથા
અનુસરવામાં
આવી?
પ્રથામાં કયા કયા મોટા ફેરકારો થયા? શું પ્રથામાં કરેલા ફેરફારો પુસ્તકોમાં સમજાવવામાં આવ્યા છે?
દીક્ષા હા
ના
જ્ઞાનનો પ્રસાર મુખ્યત્વે વાણી થકી થયો, અને શારીરિક સંપર્ક થકી નહિ

પ્રત્યક્ષ પરીક્ષાનો
અલ્પ પ્રયોગ

દીક્ષારંભ માટે
નવાં પ્રમાણો
કેટલાક
દીક્ષારંભ
વિધિ
ના ના દીક્ષારંભ ગ્રહણ ભક્તોની માળા પર જાપ કરવા નિયામકોનો ઉપયોગ

મૅગ્નેટીક ટેપ દ્વારા ગાયત્રી મંત્ર આપવો
ના
નામકરણ
પ્રક્રિયા
ના ના હરિનામ દીક્ષા સમયે
નામ આપવું

નામ આપવા
નિયામકોનો ઉપયોગ
ના


આમ, ઐતિહાસિક અથવા સમકાલીન દીક્ષારંભ પ્રક્રિયામાં ઋત્વિકોના ઉપયોગ વિશે શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં વિશેષ ઉલ્લેખનો અભાવ દીક્ષારંભ વિષયક શ્રીલ પ્રભુપાદની સામાન્ય પદ્ધતિ સાથે સુસંગત છે; નવીનતાઓની અગત્યતા પ્રમાણે તેમનાં પુસ્તકોમાં તેનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે.



૨. “પરીક્ષા (ગુરુ અને શિષ્ય વચ્ચે સામ-સામે નિરીક્ષણ) જે દીક્ષાનો એક આવશ્યક ઘટક છે તે પ્રત્યક્ષ સંપર્ક વિના કઈ રીતે શક્ય બને?”


આ પ્રશ્ન સૂચિત આવશ્યકતા પરથી ઉદ્‍ભવે છે કે એક શિષ્યએ ગુરુની “સન્મુખ જવું”, “પ્રશ્નોત્તર કરવા”, અને “સેવા કરવી” (ભગવદ્‍-ગીતા, ૪.૩૪), અને ગુરુએ શિષ્યનું “નિરીક્ષણ” કરવું (શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્યલીલા, ૨૪.૩૩૦). આ Åલોકોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવાથી આપણને નિમ્ન મુદ્દાઓ સમજાય છેઃ

“અમારી કૃષ્ણભાવનામૃત ચળવળમાં આવશ્યકતા એ છે કે દરેક જણ પાપી જીવનના ચાર સ્તંભો છોડી દેવા તૈયાર થાય […]. ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં, અમે પ્રથમ નિરીક્ષણ કરીએ છીએ કે શું ભાવિ શિષ્ય નિયામક સિદ્ધાંતોને અનુસરવા તૈયાર છે.” (શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્યલીલા, ૨૪.૩૩૦, ભાવાર્થ)

પ્રતિનિધિઓને ઉપયોગમાં લેવાની આ સવલતની પુનરુક્તિ થોડી લીટીઓ બાદ ફરી થાય છે જ્યારે દ્વિતીય દીક્ષારંભ માટે ભાવિ ઉમેદવારના નિરીક્ષણની ચર્ચા થઈઃ

“આ રીતે શિષ્ય ઓછામાં ઓછા છ માસથી એક વર્ષ સુધી આધ્યાત્મિક ગુરુ અથવા તેમના પ્રતિનિધિઓના માર્ગદર્શન હેઠળ સેવા-ભક્તિ કરે છે.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્યલીલા, ૨૪.૩૩૦, ભાવાર્થ)

થોડી લીટીઓ બાદ આપણે જોઈએ છીએ કે પ્રતિનિધિઓના કાર્યની અગત્યતા ખરેખર કેટલી છેઃ

“છ માસ કે વર્ષ સુધી ગુરુએ શિષ્યની જિજ્ઞાસાનો અભ્યાસ કરવો.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્યલીલા, ૨૪.૩૩૦, ભાવાર્થ)

(i) પ્રત્યક્ષ પરીક્ષા આ રીતે રદ થાય તેવી વિશેષ કલમનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રમાં નથી. આ કેવળ હકીકત પાછળની સ્થિતિ સાથે સુગમતા સાધવાની યુક્તિ ગણાય.

(ii) જ્યારે પ્રત્યક્ષ પરીક્ષા માટે પ્રતિનિધિઓના કાર્યનું વર્ણન કરવામાં આવે છે ત્યારે શ્રીલ પ્રભુપાદ એવું કદીય જણાવતા નથી કે આ પ્રતિનિધિઓનું અસ્તિત્વ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી શ્રીલ પ્રભુપાદ આ ગ્રહ પર હાજર છે. અત્યાર સુધી ન જણાવ્યો હોય એવો કયો શાસ્ત્રિક સિદ્ધાંત છે કે જે જેમણે આ પ્રતિનિધિઓની નિમણૂક કરી તે વ્યક્તિની શારીરિક ઉપસ્થિતિ સંબંધિત ચોક્ક્સ પરિસ્થિતિમાં આ પ્રતિનિધિઓના કાર્ય પર રોક લગાડે?

(iii) અગાઉ દર્શાવ્યું તેમ, પ્રત્યક્ષ પરીક્ષા એક શાસ્ત્રિક આવશ્યકતા નથી. શ્રીલ પ્રભુપાદ તેમનાં પુસ્તકો અને શિષ્યોના ઉપયોગને પ્રત્યક્ષ પરીક્ષાની અવેજી તરીકે ગણે છે. આથી પ્રત્યક્ષ પરીક્ષા ક્યારે રદ કરવી કે ન કરવી એવો પ્રશ્ન જ રહેતો નથી.

(iv) શારીરિક સંપર્ક વગર દીક્ષા આપવામાં આવી હતી એ પોતે જ સાબિતી છે કે દીક્ષા પ્રત્યક્ષ પરીક્ષા વગર શક્ય છે.

(v) હંમેશાં પ્રત્યક્ષ પરીક્ષા થઈ નથી, જ્યારે એમ કરવું શક્ય હતું ત્યારે પણ, આથી આ હકીકત પરથી સાબિત થાય છે કે દીક્ષા માટે પ્રત્યક્ષ પરીક્ષા જરૂરી હોય શકે નહિ. એક શિષ્યમાં શ્રીલ પ્રભુપાદ કયા ધારાધોરણોની અપેક્ષા રાખતા હતા તે તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું; મંદિર પ્રમુખો અને ઋત્વિકો આ ધારાધોરણો જળવાઈ રહે તે જોવા હેતુ હતા. દીક્ષારંભ વિષયક આજના ધોરણો શ્રીલ પ્રભુપાદે તેમની પ્રત્યક્ષ હાજરીમાં પ્રસ્થાપિત કરેલાં ધારાધોરણો જેવાં જ છે. જ્યારે તેઓ હાજર હતા ત્યારે જો તેમણે પોતાની પ્રત્યક્ષ સલાહ ન લેવા વિનંતી કરી હોય તો પછી એવું તો શું છે જે આપણને આવું વિચારવા પ્રેરિત કરે કે તેમને હવે વચ્ચે પડવાની તાકીદે જરૂર છે? આપણે માત્ર એટલો જ ખ્યાલ રાખવાનો છે કે આ ધારાધોરણો કોઈ ફેરફાર કે ઉપજાવ વિના કડકપણે જળવાઈ રહે.




૩. “આપણે ભલે શ્રીલ પ્રભુપાદને સ્વીકારી લઈએ, પરંતુ આપણે કઈ રીતે જાણવું કે તેમની શારીરિક ગેરહાજરીમાં પણ તેમણે આપણને તેમના શિષ્ય તરીકે સ્વીકાર્યા?”


૭ જુલાઈના રોજ, ઋત્વિક પ્રણાલીના સુયોજન વખતે, શ્રીલ પ્રભુપાદ જણાવે છે કે તેમના અભિપ્રાય વિના ઋત્વિકો નવા ભક્તોને તેમના શિષ્યો તરીકે સ્વીકારી શકે છે. આમ, નવા શિષ્યોને સ્વીકારવાની કે અલગ તારવવાની પ્રક્રિયામાં શ્રીલ પ્રભુપાદ સામેલ ન હતા. ઋત્વિકોને પૂરી સત્તા અને છૂટ આપવામાં આવી હતી. શ્રીલ પ્રભુપાદની શારીરિક શામિલગીરી જરૂરી ન હતીઃ

શ્રીલ પ્રભુપાદઃ  “આથી મારી રાહ જોયા વગર તમને જે લાયક લાગે. એ વિવેકબુદ્ધિ પર આધાર રાખે.”
તમાલ કૃષ્ણ ગોસ્વામીઃ  “વિવેકબુદ્ધિ પર.”
             શ્રીલ પ્રભુપાદઃ “હા.”
(ખંડ વાર્તાલાપ, ૭/૭/૧૯૭૭, વૃંદાવન)

તદ્ઉપરાંત, ઋત્વિકો દ્વારા અપાયેલાં નામ “દીક્ષારંભ ગ્રહણ શિષ્યો” નામના પુસ્તકમાં તમાલ કૃષ્ણ ગોસ્વામી દ્વારા દાખલ થતાં. આમ બાહ્ય રીતે તો શ્રીલ પ્રભુપાદને કદાચ શિષ્યના અસ્તિત્વ અંગે જાણ પણ ન હોય. આ પરિણામરૂપ, આ પ્રક્રિયા હવે પણ પહેલાં જેવી જ હોય કેમ કે ઋત્વિકોને પૂરી સત્તા આપવામાં આવી હતી.



૪. “જો ગુરુજી આ ગ્રહ છોડે તે પૂર્વે જ દીક્ષારંભ થઈ ચૂક્યું હોય તો અને તો જ “સન્મુખ”, “પ્રશ્નોત્તર” અને તેમની “સેવા” તેમની ગેરહાજરીમાં પણ થઈ શકે.”


ઉપરોક્ત દલીલ એટલું તો સ્વીકારે છે કે આધ્યાત્મિક ગુરુની ગેરહાજરીમાં “સન્મુખ”, “પ્રશ્નોત્તર” અને “સેવા” થઈ શકે છે. આવું તો અને તો જ શક્ય હોય “જો દીક્ષાની કડી ગુરુજી આ ગ્રહ છોડે તે પૂર્વે જ બંધાઈ ચૂકી હોય” એ સંપૂર્ણ ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે, અને આનો શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં કોઈ સંદર્ભ નથી, આથી આને અવગણી શકાય. દીક્ષા કાર્યરત થાય તે માટે એક વિધિવત્‌‍ સમારોહ પણ જરૂરી નથી, દીક્ષા એ ગુરુ તરફથી શિષ્યને મળેલા દિવ્ય જ્ઞાનનો પ્રસાર છે (પાપભરી પ્રતિક્રિયાઓના ક્ષયની સાથે):

“…ગુરુ-પરંપરાનો અર્થ હંમેશાં એ નથી કે સત્તાવાર રીતે દરેકનું દીક્ષારંભ કરાવવું જ જોઈએ. ગુરુ-પરંપરા એટલે પારંપરિક નિષ્કર્ષને સ્વીકારવું.”
(દિનેશને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૩૧/૧૦/૧૯૬૯)

“ભલે, દીક્ષારંભ થાય કે ન થાય, પ્રથમ વસ્તુ જ્ઞાન છે… જ્ઞાન. દીક્ષારંભ એક ઔપચારિકતા છે. જેમ તમે જ્ઞાન માટે શાળાએ જાવ છો, અને પ્રવેશ એ એક ઔપચારિકતા છે. તે બહુ મહત્વની વસ્તુ નથી.”
(શ્રીલ પ્રભુપાદ મુલાકાત, ૧૬/૧૦/૧૯૭૬, ચંડીગઢ)

એવું કહેવું મૂર્ખામીભર્યું હશે કે જો ગુરુ પ્રત્યક્ષ રીતે હાજર ન હોય, ખાસ કરીને  બિનજરૂરી અગ્નિ-યજ્ઞ સમયે, તો દીક્ષાની આ દિવ્ય પ્રક્રિયા યોગ્ય રીતે કામે ન લાગે, કારણ કેઃ

એવી દલીલ થઈ શકે કે ભલે શ્રીલ પ્રભુપાદ આ દીક્ષા સમારોહમાં હાજર ન હતા પરંતુ તેઓ આ સમારોહ વખતે આ ગ્રહ પર તો હાજર હતા જ ને. તો શું દીક્ષારંભ સમયે આ ગ્રહ પર ગુરુની પ્રત્યક્ષ હાજરી દીક્ષા માટે જરૂરી છે? આ દલીલને ભાર આપવા માટે શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં કંઈક આવું વિધાન શોધવું જરૂરી બનેઃ

‘દીક્ષા તો અને તો જ શક્ય બને જો દીક્ષારંભ સમારોહ સમયે ગુરુ તેમના શિષ્યથી અમુક જ અંતરે હોય, પૃથ્વીના વ્યાસ કરતાં વધુ અંતરે નહિ.’

આજ દિન સુધી આવું વિધાન કોઈએ દર્શાવ્યું નથી. ઊલટું, જેમ નિમ્ન અવતરણ દર્શાવે છે, આપણી ફિલસૂફીમાં દીક્ષાનો પ્રખ્યાત દાખલો (ભગવદ્‍-ગીતા, ૪.૧) ઉપરોક્ત દરખાસ્તથી વિપરીત છે:

“આમ મનુ કે તેમના પુત્ર ઇક્ષ્વાકુ સાથે વાતચીત કરવી મુશ્કેલ ન હતી. પ્રસાર માધ્યમો હતાં જ, અથવા રેડિયો પ્રણાલી એટલી સરસ હતી કે વાતચીત એક ગ્રહ પરથી બીજા ગ્રહ સુધી પ્રસારિત થઈ શકતી હતી.
(શ્રીલ પ્રભુપાદ, ભગવદ્‍-ગીતા પ્રવચન, ૨૪/૮/૧૯૬૮)

એવું સમજાય છે કે ગુરુ અને શિષ્ય વચ્ચેના શારીરિક અંતરથી દીક્ષા પર કોઈ અસર પડતી નથી.



૫. “તમે જે દરખાસ્ત મૂકો છો એ સંશયમ ખ્રિસ્તી ધર્મ જેવી લાગે છે!”


૧) ઋત્વિક પ્રણાલીની દરખાસ્ત અમે કરતા નથી, પરંતુ ૯ જુલાઈ ૧૯૭૭ના આદેશમાં શ્રીલ પ્રભુપાદ કરે છે. આમ ભલેને તે ખ્રિસ્તી ધર્મ જેવી હોય તોપણ આપણે તેનું અનુસરણ કરવું જ રહ્યું, કેમ કે આ ગુરુનો આદેશ છે.

૨) શ્રીલ પ્રભુપાદ સ્પષ્ટપણે સ્વર્ગીય ઈશુ ખ્રિસ્તને તેઓના ગુરુ તરીકે અનુસરવાનું ચાલુ રહેવાના ખ્રિસ્તીઓના ખ્યાલને માન્ય રાખે છે. તેમણે શીખવ્યું કે જેમણે ઈશુ ખ્રિસ્તની શિક્ષાઓનું પાલન કર્યું તેઓ શિષ્ય છે, અને તેઓ ઈશુ ખ્રિસ્ત દ્વારા અપાતા મુક્તિના સ્તરને પ્રાપ્ત કરે છેઃ

       મધુદ્વીસાઃ  “ઈશુ ખ્રિસ્તની શિક્ષાઓમાં શ્રદ્ધા રાખી, તેમની શિક્ષાઓનું અનુસરણ કરી આધ્યાત્મિક ગુરુની કૃપા વગર એક ખ્રિસ્તી માટે આધ્યાત્મિક જગતમાં પહોંચવા માટે કોઈ માર્ગ છે ખરો?”
શ્રીલ પ્રભુપાદઃ  “મને સમજાયું નહીં.”
તમાલ કૃષ્ણઃ  “શું આ યુગમાં એક આધ્યાત્મિક ગુરુ વગર કોઈ ખ્રિસ્તી બાઈબલ વાંચીને તથા ઈશુ ખ્રિસ્તની શિક્ષાઓનું અનુસરણ કરી….. પહોંચે.”
શ્રીલ પ્રભુપાદઃ “જ્યારે તમે બાઈબલ વાંચો છો ત્યારે તમે આધ્યાત્મિક ગુરુને અનુસરો છો. તમે કઈ રીતે કહી શકો કે વગર? જેવા તમે બાઈબલ વાંચો છો, તેનો મતલબ કે તમે ઈશુ ખ્રિસ્તના આદેશને અનુસરો  છો, અર્થાત્‌‍ તમે એક આધ્યાત્મિક ગુરુને અનુસરો છો. તો પછી આધ્યાત્મિક ગુરુ વગરની વાત જ ક્યાં છે?”
        મધુદ્વીસાઃ “હું જીવિત આધ્યાત્મિક ગુરુની વાત કરતો હતો.”
શ્રીલ પ્રભુપાદઃ “આધ્યાત્મિક ગુરુ …. પ્રશ્ન જ નથી. આધ્યાત્મિક ગુરુ સનાતન છે. આધ્યાત્મિક ગુરુ સનાતન છે. તો તમારો પ્રશ્ન છે આધ્યાત્મિક ગુરુ વગર. આધ્યાત્મિક ગુરુ વગર તમે તમારા જીવનના કોઈ સ્તરે  ન રહી શકો. તમે આ આધ્યાત્મિક ગુરુને સ્વીકારો કે પેલા આધ્યાત્મિક ગુરુને. એ અલગ વાત છે. પરંતુ તમારે સ્વીકાર કરવો જ રહ્યો.  જેમ તમે કહો છો કે “બાઈબલ વાંચીને”, જ્યારે તમે બાઈબલ વાંચો છો, તેનો મતલબ તમે ઈશુ ખ્રિસ્તની હરોળમાં કોઈ પૂજારી કે પાદરી દ્વારા પ્રતિનિધિત્વ કરાતા આધ્યાત્મિક ગુરુને અનુસરો છો.
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૨/૧૦/૧૯૬૮, સીટલ)

“ઈશુ ખ્રિસ્તના ભક્તોની મંજિલ વિશે, તેઓ સ્વર્ગમાં જઈ શકે છે, બસ એ જ. તે આ ભૌતિક જગતનો એક ગ્રહ છે. ઈશુ ખ્રિસ્તના ભક્ત તે છે જે દસ આદેશોનું ચુસ્તપણે પાલન કરે છે. […] આથી નિષ્કર્ષ એ છે કે ઈશુ ખ્રિસ્તના ભક્તો સ્વર્ગીય ગ્રહો પર પહોંચે છે જે આ ભૌતિક જગતનો ભાગ છે.” 

(ભગવાનને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨/૩/૧૯૭૦)

“ખરેખર જેને ઈશુ ખ્રિસ્તનું માર્ગદર્શન મળે છે તેને ચોક્કસ મુક્તિ મળે છે.”
(પૂર્ણ પ્રશ્નો અને પૂર્ણ ઉત્તરો, પ્રકરણ ૯)

“ખ્રિસ્તીઓ ઈશુ ખ્રિસ્ત જેવા એક મહાન વ્યક્તિને અનુસરે છે, મહાજનો યેના ગતઃ સ પંથાઃ. તમે કોઈ મહાજન, મહાન વ્યક્તિને અનુસરો. […] તમે એક આચાર્યને અનુસરો, જેમ કે ખ્રિસ્તીઓ ઈશુ ખ્રિસ્ત આચાર્યને અનુસરે છે. મુસ્લિમો, તેઓ આચાર્યને અનુસરે છે, મોંહમ્મદ. એ સારું છે. તમારે કોઈક આચાર્યને અનુસરવું.[...] એવમ પરંપરા પ્રાપ્તમ.” 
(શ્રીલ પ્રભુપાદ ખંડ વાર્તાલાપ, ૨૦/૫/૧૯૭૫, મૅલબૉર્ન)

૩) “ખ્રિસ્તી” હોવા પર આ વાંધો અવળચંડો છે કેમ કે ઇસ્કૉનમાં વર્તમાન ગુરુ પ્રણાલીમાં જ કેટલીક ખ્રિસ્તી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. જી.બી.સી. નિર્વાચિત ગુરુઓ પાછળની સૈદ્ધાંતિક વિચારધારા કૅથોલીક ચર્ચમાં પૉપનું નિર્વાચન કરતી કાર્ડિનલોની કૉલેજ પ્રણાલી જેવી છેઃ

“ગુરુ ઉમેદવાર માટે […] મતદાન પદ્ધતિઓ […] મતદાર સભ્યોની પૂરી સલાહ-મસલત થશે. ઉમેદવારે ૨/૩ બહુમત પ્રાપ્ત કરવો જરૂરી છે. […] દીક્ષારંભ ગુરુ તરીકેની નિમણૂક માટે તમામ જી.બી.સી. સભ્યો ઉમેદવાર છે.” (જી.બી.સી. ઠરાવ)

આ જ રીતે જી.બી.સી. પોતાને “ઇસ્કૉનને માર્ગદર્શન આપતું સર્વોચ્ચ ધર્મોપદેશક મંડળ” (બી.ટી.જી., ૧૯૯૦-૧૯૯૧) કહે છે, જે ફરી “ખ્રિસ્તી” પરિભાષા છે.

આ ખાસ “ખ્રિસ્તી” વ્યવહારો ઈશુ ખ્રિસ્ત દ્વારા કદીય શીખવવામાં આવ્યા નથી, અને તે શ્રીલ પ્રભુપાદ દ્વારા સંપૂર્ણ વખોડાયા હતાઃ

“વૈષ્ણવ આચાર્યની પસંદગી ભૌતિક મત અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. વૈષ્ણવ આચાર્ય સ્વ-પ્રભાવશાળી હોય છે, અને અદાલતના કોઈ ચુકાદાની જરૂર રહેતી નથી.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય-લીલા, ૧.૨૨૦, ભાવાર્થ)

“શ્રીલ જીવ ગોસ્વામીની સલાહ છે કે વારસાગત કે સામાજિક રિવાજ તથા ધર્મોપદેશક પ્રણાલીઓને આધારે આધ્યાત્મિક ગુરુની પસંદગી કરવી નહિ.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, આદિ-લીલા, ૧.૩૫, ભાવાર્થ)




૬. “ઋત્વિકો એક પ્રકારની દીક્ષા આપે છે. શ્રીલ પ્રભુપાદ આપણા માત્ર શિક્ષા ગુરુ છે.”


૧) ઋત્વિકોનું કાર્ય દીક્ષા ગુરુના કાર્ય કરતાં અલગ છે. તેમનો એકમાત્ર હેતુ શિષ્યોના દીક્ષારંભમાં દીક્ષા ગુરુને સહયોગ આપવાનું છે, નહિ કે શિષ્યોને પોતાના ગણવાનું.

૨) ઋત્વિકો કેવળ દીક્ષારંભ વિધિ પર નજર રાખે છે; આધ્યાત્મિક નામ આપે છે વગેરે, પરંતુ તેઓને અગ્નિ-યજ્ઞ કરવાની પણ જરૂર રહેતી નથી. આ અગ્નિ-યજ્ઞ સામાન્યતઃ મંદિર પ્રમુખે કર્યા, અને કોઈ એવું કહેતું નથી કે તેઓ દીક્ષા ગુરુ છે.

૩) શા માટે શ્રીલ પ્રભુપાદને તેઓ જેમ ઇચ્છે છે તેમ ન કરવા દઈએ? તેઓ ચોક્કસપણે આપણા શિક્ષા ગુરુ છે, પરંતુ તેમણે ૯ જુલાઈના રોજ સ્પષ્ટપણે નિર્દેશ કર્યો તેમ તેઓ આપણા દીક્ષા ગુરુ પણ છે.
૪) કેમ કે શ્રીલ પ્રભુપાદ આપણા મુખ્ય શિક્ષા ગુરુ છે, હકીકત પ્રમાણે તેઓ આપણા દીક્ષા ગુરુ પણ છે, કારણ કેઃ

ભક્તો પણ આ ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં સહયોગ આપી શકે છે (પ્રચાર, પુસ્તક વિતરણ વગેરે દ્વારા), પરંતુ તેઓ વર્તમા-પ્રદર્શક ગુરુઓ છે, દીક્ષા ગુરુઓ નથી, ભલે આવી સેવા થકી તેઓ પણ મુક્ત જીવ બનતા હોય.

૫) આમ પણ તો મુખ્ય શિક્ષા ગુરુ સામાન્યતઃ દીક્ષા ગુરુ બનતા જ હોય છેઃ

“શ્રીલ પ્રભુપાદ તમામ ઇસ્કૉન ભક્તો માટે મુખ્ય શિક્ષા ગુરુ છે […] શ્રીલ પ્રભુપાદની સૂચનાઓ દરેક ઇસ્કૉન ભક્ત માટે જરૂરી શિક્ષાઓ છે.”
(જી.બી.સી. ઠરાવ, નં. ૩૫, ૧૯૯૪)

“સામાન્યતઃ એક આધ્યાત્મિક ગુરુ જેઓ શિષ્યને આધ્યાત્મિક વિજ્ઞાન વિશે સતત માર્ગદર્શન આપે છે તેઓ પાછળથી તેમના દીક્ષા ગુરુ બને છે.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, આદિ-લીલા, ૧.૩૫, ભાવાર્થ)

“એક શિક્ષા કે દીક્ષા ગુરુની ફરજ છે કે તેઓ શિષ્યને સાચા માર્ગે દોરે, અને આ પ્રક્રિયાનો અમલ કરવો શિષ્ય પર નિર્ભર છે. શાસ્ત્રના નિયમાનુસાર શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ વચ્ચે કોઈ ભેદ નથી, અને સામાન્યતઃ શિક્ષા ગુરુ પાછળથી દીક્ષા ગુરુ બને છે.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૪.૧૨.૩૨, ભાવાર્થ)



૭. “જો શ્રીલ પ્રભુપાદ દરેકના શિક્ષા ગુરુ હોય તો પછી તેઓ કઈ રીતે દીક્ષા ગુરુ પણ હોય શકે?”


દીક્ષા અને શિક્ષા ગુરુઓ વચ્ચે ગૂંચવણ એટલા માટે ઊભી થાય છે કે તેમનાં શીર્ષકો તેમનાં કાર્યો સાથે ગૂંચવાડાભર્યા છે. આમ કેટલીક વાર એવું માનવામાં આવે છે કે માત્ર શિક્ષા ગુરુ જ શિક્ષા આપી શકે, દીક્ષા ગુરુ નહિ. પરંતુ, જેમ ઉપરોક્ત છેલ્લા અવતરણમાં દર્શાવ્યું તેમ, દીક્ષા ગુરુ પણ શિક્ષા આપે છે. આ આવું જ હોવું જોઈએ નહિતર દીક્ષા ગુરુ બીજી કઈ રીતે દિવ્ય જ્ઞાનનો પ્રસાર કરી શકે?

         પ્રધ્યુમ્નઃ ગુરુ-પાદાશ્રય. ‘સૌપ્રથમ આધ્યાત્મિક ગુરુની શરણ લેવી જરૂરી છે. તસ્માત્‌ કૃષ્ણ-દીક્ષાદી-શિક્ષણમ્‌ તસ્માત્‌, ‘તેમના તરફથી’, કૃષ્ણ-દીક્ષાદી-શિક્ષણમ્‌. ‘કૃષ્ણ-દીક્ષા, દીક્ષારંભ અને શિક્ષા લેવી જરૂરી છે.’”
શ્રીલ પ્રભુપાદઃ  “દીક્ષા એટલે દિવ્ય જ્ઞાન ક્ષપયતી ઇતી દીક્ષા.  જે દિવ્ય જ્ઞાન, દિવ્ય, સમજાવે છે તે દીક્ષા છે. દિ, દિવ્ય,‍ દીક્ષાનમ્‌. આમ દિવ્ય જ્ઞાન, દિવ્ય જ્ઞાન… જો તમે આધ્યાત્મિક ગુરુ ન સ્વીકારો તો તમે કઈ રીતે દિવ્ય… મેળવો. તમને આમ તેમ કંઈ શિખવાડી દેવામાં આવે, આમ તેમ, અને સમયનો વ્યય. શિક્ષકના સમયનો વ્યય અને તમારા કીમતી સમયની બરબાદી. આથી તમારે એક નિપુણ આધ્યાત્મિક ગુરુનું જ માર્ગદર્શન લેવું જોઈએ. આ વાંચો.”
      પ્રધ્યુમ્નઃ  કૃષ્ણ-દીક્ષાદી-શિક્ષણમ્‌.
શ્રીલ પ્રભુપાદઃ  શિક્ષણમ્‌ આપણે શીખવું જ પડે. જો તમે ના શીખો તો તમે કઈ રીતે પ્રગતિ સાધી શકો? પછી?” 
(ખંડ વાર્તાલાપ, ૨૭/૧/૧૯૭૭, ભુવનેશ્વર)

દિવ્ય-શિક્ષા દીક્ષાનો જ સાર છે એવું ગુરુ-શિષ્ય સંબંધિત ખૂબ પ્રખ્યાત Åલોકમાં (ભગવદ્‍-ગીતા ૪.૩૪) સાબિત થાય છે. આ Åલોકમાં, “ઉપદેશ્યન્તિ” શબ્દનું શબ્દશઃ ભાષાંતર “દીક્ષારંભ” થાય છે. પરંતુ આ Åલોકના અનુવાદમાં આ શબ્દ “દીક્ષારંભ” ને બદલે “જ્ઞાન આપવું” થયો છે, શિષ્યના “પ્રશ્નોત્તર” સાથે જોડાયેલી એક પ્રક્રિયા. આમ, દીક્ષારંભ પ્રક્રિયાનું વર્ણન અહીં જ્ઞાન આપવા સાથે સમાનાર્થી તરીકે થાય છે. પરિણામે, “પ્રભુપાદ શિક્ષા, દીક્ષા નહિ” ના પ્રચારકો પોતાની જ તાર્કિક જાળમાં ફસે છે. આ ગ્રહ પર શ્રીલ પ્રભુપાદની ગેરહાજરીમાં જો શ્રીલ પ્રભુપાદ “જ્ઞાન આપવા” સક્ષમ હોય તો વ્યાખ્યા મુજબ તેઓ દિવ્ય જ્ઞાન આપતા જ હોવા જોઈએ. આમ, જો શ્રીલ પ્રભુપાદ શારીરિક અરસ-પરસ વિના શિક્ષા ગુરુ હોય શકે તો શા માટે દીક્ષા ગુરુ પણ નહિ? એવી દલીલ વાહિયાત છે કે આ ગ્રહ પર તેમની ગેરહાજરીમાં શ્રીલ પ્રભુપાદ શિક્ષા ગુરુ તરીકે વર્તી શિક્ષા આપી શકે પરંતુ જો આપણે તેમનું શીર્ષક બદલીએ તો તેઓ શિક્ષા આપી શકે નહિ. આ ગ્રહ પર તેમની ગેરહાજરીમાં તેઓ શિક્ષા ગુરુ હોય શકે છે—આ હકીકત જ એક પુરાવો છે કે શ્રીલ પ્રભુપાદ આ સાથે દીક્ષા પણ આપી શકે છે.

કેટલીક વ્યક્તિઓએ આનાથી આગળ વધી દલીલ કરી છે કે શારીરિક દેહ વિના શ્રીલ પ્રભુપાદ દિવ્ય શિક્ષા પણ ન આપી શકે. જો આવું હોત તો આશ્ચર્ય એ થાય કે શા કારણે શ્રીલ પ્રભુપાદે આટલાં બધાં પુસ્તકો લખવાનો શ્રમ કર્યો અને આ પુસ્તકોને દસ હજાર વર્ષો સુધી પ્રચાર કરવાના મુખ્ય હેતુસર એક સંઘની સ્થાપના કરી? જો શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાંથી દિવ્ય શિક્ષાઓ મેળવવાનું હવે શક્ય ન હોય તો શા માટે આપણે આ પુસ્તકોનું વિતરણ કરીએ છીએ? અને શા માટે લોકો હજુય માત્ર આ પુસ્તકોનાં બળે શરણે થાય છે?



૮. “શું તમે એવું કહો છો કે શ્રીલ પ્રભુપાદે એકપણ શુદ્ધ ભક્ત ન બનાવ્યા?”


 ના, અમે એટલું જ કહીએ છીએ કે શ્રીલ પ્રભુપાદે દીક્ષારંભ ચાલુ રાખવા ઋત્વિક પ્રણાલીની રચના કરી. શ્રીલ પ્રભુપાદે શુદ્ધ ભક્તો બનાવ્યા કે નહિ તેને તેમના સ્પષ્ટ અને એકઅર્થી અંતિમ આદેશ સાથે કોઈ સંબંધ નથી. શિષ્યો તરીકે આપણી ફરજ ગુરુના આદેશોને કેવળ અનુસરવાની છે. ગુરુના આદેશનો આદર ન કરી તે બદલે કેટલા શુદ્ધ ભક્તો હાલમાં છે અને ભવિષ્યમાં કેટલા હશે એ વિશે અટકળ લગાડવી અયોગ્ય છે.

હાલ ખરેખર કોઈ શુદ્ધ ભક્તો નથી એવો ખરાબ કિસ્સો પણ લઈએ તો શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી મહારાજના પ્રસ્થાન બાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. લગભગ ૪૦ વર્ષો પછી શ્રીલ પ્રભુપાદે સંકેત કર્યો કે ગૌડીયા મઠમાંથી ફક્ત એક જ અધિકૃત દીક્ષા ગુરુ હતા:

“ખરેખર મારા ગુરુબંધુઓ પૈકી કોઈ આચાર્ય* બનવા લાયક નથી. […] આપણા વિદ્યાર્થીઓ અને શિષ્યોને પ્રોત્સાહિત કરવાના બદલે તેઓ કેટલીક વાર તેમને પ્રદૂષિત કરે. […] તેઓ આપણી પ્રાકૃતિક પ્રગતિને નુકસાન પહોંચાડવા ખૂબ સક્ષમ છે.”
(રૂપાનુગાને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૮/૪/૧૯૭૪)
*(શ્રીલ પ્રભુપાદ “આચાર્ય” અને “ગુરુ” શબ્દો એકબીજાના પર્યાય તરીકે વાપરતા)

“હું કેટલાક ગુરુ પસંદ કરીશ. હું કહીશ, ‘હવે તમે આચાર્ય બનો’. […] તમે છેતરી શકો, પરંતુ તેની કોઈ અસર ન હોય. આપણું ગૌડીયા મઠ જુઓ. દરેક જણને ગુરુ બનવું છે, અને એક નાનું મંદિર અને ‘ગુરુ’. કેવા પ્રકારના ગુરુ?”
(શ્રીલ પ્રભુપાદ, પ્રભાત ફેરી, ૨૨/૪/૧૯૭૭)

આને શ્રીલ ભક્તિસિદ્ધાંતના પ્રચાર કાર્ય પર સરિયામ આરોપ તરીકે જોઈ શકાતું હતું. પરંતુ એવી દલીલ કરવી કે શ્રીલ ભક્તિસિદ્ધાંત “નિષ્ફળ” ગયા એ ઘણી મૂર્ખામીભરી ગણાય. શ્રીલ ભક્તિસિદ્ધાંત એવું કહેવા જાણીતા છે કે જો તેમના કાર્યથી એક પણ વ્યક્તિ શુદ્ધ ભક્ત બને તો તેઓ તેને એક સફળતા ગણશે.

કોઈ પણ કિસ્સામાં, ઋત્વિક પ્રણાલીને લાગુ પાડવાની વાતથી પહેલેથી જ શુદ્ધ ભક્તોનું સંભવિત અસ્તિત્વ રદ થતું નથી. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં સરળતાથી ઋત્વિક અને શુદ્ધ ભક્તો એમ બંનેનો સમાવેશ થઈ શકે. દાખલા તરીકેઃ

શ્રીલ પ્રભુપાદે ઘણા શુદ્ધ ભક્તો બનાવ્યા હોય જેમની દીક્ષા ગુરુઓ બનવાની કોઈ લાલસા નથી. એવો કોઈ સૂચનાત્મક પુરાવો નથી કે ઇસ્કૉનમાં સર્વોચ્ચ પ્રગતિશીલ ભક્તો એવી જ વ્યક્તિઓ હોવી જોઈએ જેઓ પોતે દર વર્ષે મતદાન માટે ઊભા થાય. આ શુદ્ધ ભક્તો કદાચ શ્રીલ પ્રભુપાદના કાર્યમાં કેવળ નમ્રભાવે સહયોગ આપવાની ઇચ્છા ધરાવતા હોય. એવું કશે જણાવ્યું નથી કે એક શુદ્ધ ભક્તએ દીક્ષા ગુરુ બનવું ફરજિયાત છે. આવી વ્યક્તિઓ ઋત્વિક પ્રણાલીમાં કામ કરવા રાજી હોય જો તેમ કરવું તેમના ગુરુનો આદેશ હોય.

શ્રીલ પ્રભુપાદની ઇચ્છા કદાચ ઘણા શિક્ષા ગુરુઓની હોય, પરંતુ જરૂરી નથી કે ઘણા દીક્ષા ગુરુઓની. દરેકને શિક્ષા ગુરુ બનવાના અગાઉ જણાવેલા આદેશ અને શિષ્યો ન સ્વીકારવાની શ્રીલ પ્રભુપાદની ચેતવણી સાથે આ સુસંગત છે. તે આ વાત સાથે પણ સુસંગત હશે કે શ્રીલ પ્રભુપાદે તેમના કાર્યને એકલા હાથે સફળતા અપાવી હતીઃ

         મહેમાનઃ “શું તમે એક ઉત્તરાધિકારી પસંદ કરવાનું પ્રયોજન કરી રહ્યા છો?”
શ્રીલ પ્રભુપાદઃ  એ પહેલેથી જ સફળ છે […]”.
 મહેમાનઃ   “પરંતુ તમે જાણો આ બધું સંભાળવા કોઈક તો જોઈએ ને.”
   શ્રીલ પ્રભુપાદઃ “હા, એ અમે તૈયાર કરી રહ્યા છીએ. અમે આ ભક્તોને તૈયાર કરી રહ્યા છીએ જેઓ બધું સંભાળશે.”
           હનુમાનઃ  “એક વાત જે આ શાણો માણસ પૂછે છે અને હું જાણવા ઇચ્છું છું, શું તમારા ઉત્તરાધિકારી પસંદ કરાયા અથવા તમારા ઉત્તરાધિકારી ….”
   શ્રીલ પ્રભુપાદઃ  મારી સફળતા હંમેશાં છે જ.
(ખંડ વાર્તાલાપ, ૧૨/૨/૧૯૭૫, મૅક્સિકો)

 
“આમ નવું કહેવા માટે કશું નથી. મારે જે પણ કહેવું હતું તે મેં મારાં પુસ્તકોમાં કહી દીધું છે. હવે તમે તેને સમજવાનો પ્રયાસ કરો અને તમારું કાર્ય ચાલુ રાખો. હું હાજર હોઉં કે ન હોઉં તેનાથી કોઈ ફરક પડતો નથી.” (શ્રીલ પ્રભુપાદ, આગમન વાર્તાલાપ, ૧૭/૫/૧૯૭૭, વૃંદાવન)

               તંત્રીઃ “તમારા મરણ પશ્ચાત્‌‍ ‍અમેરિકામાં આ આંદોલનનું શું થશે?”
શ્રીલ પ્રભુપાદઃ  “હું કદી ન મરીશ”
       ભક્તોઃ  “જય! હરિબોલ!” (હાસ્ય.)
 શ્રીલ પ્રભુપાદઃ “હું મારાં પુસ્તકોમાં જીવંત રહીશ અને તમે તેનો લાભ લેશો.”
(શ્રીલ પ્રભુપાદ, પ્રેસ સભા, ૧૬/૭/૧૯૭૫, સન ફ્રાન્સિસ્કૉ)

               તંત્રીઃ “શું તમે કોઈ ઉત્તરાધિકારીને તાલીમ આપી રહ્યા છો?”
શ્રીલ પ્રભુપાદઃ  “હા, મારા ગુરુ મહારાજ છે ને.”     
(શ્રીલ પ્રભુપાદ, પ્રેસ સભા, ૧૬/૭/૧૯૭૫, સન ફ્રાન્સિસ્કૉ)


“મારું સ્થાન માત્ર ભગવાન શ્રીચૈતન્ય લઈ શકે. તેઓ આ આંદોલનને સંભાળશે.”                   
(શ્રીલ પ્રભુપાદ ખંડ વાર્તાલાપ- હિંદીમાંથી અનુવાદ, ૨/૧૧/૧૯૭૭)


      મુલાકાતીઃ 
  “જ્યારે એવો અનિવાર્ય સમય આવે કે એક ઉત્તરાધિકારીની જરૂર પડે ત્યારે શું થશે?”
         રામેશ્વરઃ  “તેઓ ભવિષ્ય વિશે પૂછે છે, આ આંદોલન ભવિષ્યમાં કોણ ચલાવશે?”
શ્રીલ પ્રભુપાદઃ  “તેઓ ચલાવશે. હું તેઓને તાલીમ આપી રહ્યો છું.”
     મુલાકાતીઃ     “તો શું એક આધ્યાત્મિક નેતા હશે?”
 શ્રીલ પ્રભુપાદઃ “ના, હું જી.બી.સી.ને તાલીમ આપી રહ્યો છું જે વિશ્વસ્તરે ૧૮ છે.”    
(શ્રીલ પ્રભુપાદ મુલાકાત, ૧૦/૬/૧૯૭૬, લૉસ ઍન્જેલીસ)

             તંત્રીઃ  
  “શું તમે તમારા ઉત્તરાધિકારી તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક કરવા જઈ રહ્યા છો કે પછી તમે એમ કરી દીધું છે?”
શ્રીલ પ્રભુપાદઃ  “હમણાં હું એ વિચારતો નથી. પરંતુ કોઈ એક વ્યક્તિની જરૂર નથી.” 
(ખંડ વાર્તાલાપ, ૪/૬/૧૯૭૬, લૉસ ઍન્જેલીસ)

      મુલાકાતીઃ 
  “હું વિચારું છું કે શું તેમની પાસે કોઈ ઉત્તરાધિકારી છે... તમારા મરણ પશ્ચાત્‌‍ ‍તમારું સ્થાન લેવા શું તમારી પાસે કોઈ ઉત્તરાધિકારી છે?”
શ્રીલ પ્રભુપાદઃ  “હજુ એ નક્કી થયું નથી. હજુ એ નક્કી થયું નથી.”
     મુલાકાતીઃ     “તો હરે કૃષ્ણવાળા કઈ પ્રક્રિયા..?”
 શ્રીલ પ્રભુપાદઃ “અમારી પાસે સચિવો છે. તેઓ સંચાલન કરે છે.” 
(શ્રીલ પ્રભુપાદ મુલાકાત, ૧૪/૭/૧૯૭૬, ન્યૂ યૉર્ક)


શ્રીલ પ્રભુપાદે તેમના કોઈ પણ શિષ્યને દીક્ષા ગુરુ તરીકે વર્તવા અધિકૃત કર્યા નહીં તેનો મતલબ એવો નથી કે તેઓ શુદ્ધ ભક્તો ન હતા. શિક્ષા ગુરુ પણ મુક્ત જીવ હોય શકે. આ કદાચ એવું હોય શકે કે ભગવાન શ્રીકૃષ્ણની યોજનામાં તેઓને આવી ભૂમિકા ભજવવાની જરૂર ન હતી. જે પણ હોય, શ્રીલ પ્રભુપાદના અનુયાયીઓ માટે અગત્યનો ભાગ ભજવવાનો છે જ,  એ જ રીતે જેમ શ્રીલ પ્રભુપાદની શારીરિક હાજરીમાં ભજવ્યો હતો. એટલે કે તેમના સહયોગી તરીકે વર્તીને, નહિ કે ઉત્તરાધિકારી આચાર્યો તરીકેઃ

“તમામ જી.બી.સી.એ શિક્ષા ગુરુ રહેવું. હું દીક્ષા ગુરુ છું, અને હું જે શીખવું છું તેવું જ શીખવી અને જે કરું છું તેવું જ કરી તમારે શિક્ષા ગુરુ રહેવું.”
(મધુદ્વીસાને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૪/૮/૧૯૭૫)

“કેટલીક વખત દીક્ષા ગુરુ હંમેશાં હાજર હોતા નથી. આથી એક પ્રગતિશીલ ભક્ત પાસેથી શિક્ષા, સૂચના લઈ શકાય. તેમને શિક્ષા ગુરુ કહેવાય છે.”
(શ્રીલ પ્રભુપાદ, ભગવદ્‍-ગીતા પ્રવચન, ૪/૭/૧૯૭૪, હોનોલુલુ)

આમ પ્રશ્ન એ નથી કે શું શ્રીલ પ્રભુપાદે કોઈ શુદ્ધ ભક્તો બનાવ્યા કે નહિ પરંતુ એ છે કે તેમણે ઋત્વિક પ્રણાલી રચી કે નહિ. ભલે દીક્ષા ગુરુ આ સમયે પ્રત્યક્ષ હાજર નથી, પણ તેનો મતલબ એમ નથી કે તેઓ દીક્ષા ગુરુ નથી. તેમની ગેરહાજરીમાં આપણે સંનિષ્ઠ શિક્ષા ગુરુઓ પાસેથી શિક્ષા લઈએ એવી આશા રખાય છે, અને આવા શિક્ષા ગુરુઓ કદાચ સેંકડો હશે.



૯. “જ્યાં સુધી ગુરુ ચુસ્તપણે પાલન કરે છે ત્યાં સુધી પ્રશ્ન નથી કે તેઓ કેટલા પ્રગતિશીલ છે, તેઓ ઉત્તરોઉત્તર લાયક બનશે અને તેમના શિષ્યોને ભગવત ધામ લઈ જશે.”


જેમ આગળ ચર્ચા કરી, એક દીક્ષા ગુરુ તરીકે વર્તવા માટે તેમણે સૌપ્રથમ મહા-ભાગવત તરીકે સેવા-ભક્તિનું ઉચ્ચ સ્થાન મેળવવું જરૂરી છે, અને પછી તેઓ દીક્ષારંભ માટે તેમના પુરોગામી આચાર્ય તરફથી અધિકૃત હોવા જરૂરી છે. ઉપરોક્ત “પોસ્ટ-ડેટેડ ચેક” ગુરુ-ફિલસૂફી અપમાનજનક અટકળ છે, જેમ નિમ્ન Åલોક દર્શાવે છેઃ

“ભલે પૃથુ મહારાજ ખરેખર ભગવાન પુરુષોત્તમના જ અવતાર હતા, પરંતુ તેમ છતાં તેમણે એ બધી પ્રશંસાઓ નકારી, કારણ કે ભગવાન પુરુષોત્તમના ગુણો તેમનામાં હજુ પ્રગટ થયા ન હતા. તેઓ ભારપૂર્વક કહેવા માંગતા હતા કે જે વ્યક્તિ આવા ગુણો ખરેખર ધરાવતું ન હોય તેમણે તેમના અનુયાયી અને ભક્તોને તેમના ગુણગાન ગાવા માટે પ્રવૃત્તિશીલ કરવાનો પ્રયત્ન કરવો નહિ, પછી ભલેને આવા ગુણો કદાચ ભવિષ્યમાં પ્રગટ થવાના હોય. એક મહાન વ્યક્તિના ગુણો ખરેખર ધરાવતું ન હોય તેવી વ્યક્તિ જો તેમના અનુયાયીઓને પોતાની પ્રશંસા માટે પ્રવૃત્તિશીલ કરે અને તે પણ એવી આશાએ કે આવા ગુણો ભવિષ્યમાં પ્રગટ થશે, તો આવા પ્રકારની પ્રશંસા ખરેખર એક અપમાન ગણાય.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૪.૧૫.૨૩, ભાવાર્થ)

જેમ એક આંધળા માણસને “કમળ-નયન” વાળો સંબોધવું અપમાન ગણાય તેમ આંશિક બદ્ધ જીવોને “સાક્ષાત્‌ ભગવાન” (જી.આઈ.આઈ., મુદ્દો ૮, પૃષ્ઠ ૧૫) તરીકે સંબોધવું આવું જ અપમાન છે; માત્ર એ જ વ્યક્તિનું અપમાન થતું નથી જેની ખોટી પ્રશંસા કરાય છે પરંતુ ભગવાન સહિત સાચા સાક્ષાત્કારી જીવોની શુદ્ધ પરંપરાનું પણ અપમાન ગણાય.

“ચુસ્તપણે અનુસરવું” એ શિષ્ય માટે પ્રગતિ સાધવાની એક પ્રક્રિયા છે, તે પોતે એક લાયકાત નથી. ભક્તો ઘણી વાર આ પ્રક્રિયા અને લાયકાત વચ્ચે ગૂંચવણ ઊભી કરે છે, કેટલીક વખત એવો પણ પ્રચાર કરે છે કે આ બંને એકસમાન છે. કોઈ ચુસ્તપણે અનુસરે છે એનો અર્થ એવો નથી કે તેઓ મહા-ભાગવત છે, અને એમ પણ થતો નથી કે તેમના પોતાના આધ્યાત્મિક ગુરુએ તેમને  દીક્ષારંભ કરવા વિનંતી કરી; અને જો શિષ્ય તેમની લાયકાત અને અધિકૃતિ પ્રાપ્ત કરે તે પહેલાં જ દીક્ષારંભ શરૂ કરે તો તેઓ ખરેખર “ચુસ્તપણે અનુસરતા” પણ નથી.

કેટલીક વખત, “એક કનિષ્ઠ કે મધ્યમ સ્તરના વૈષ્ણવ પણ શિષ્યો સ્વીકારી શકે” એવું સાબિત કરવા ભક્તો દિવ્ય સૂચનો (ભાવાર્થ) માંથી અવતરણ ૫ નો ઉલ્લેખ કરે છે. કોઈ કારણસર તેઓ એ ધ્યાનમાં નથી લેતાં કે બાકીનું વાક્ય આવા ગુરુઓના શિષ્યોને ચેતવણી આપે છે કેઃ  “તેમના અપૂરતા માર્ગદર્શન હેઠળ તેઓ જીવનના સર્વોચ્ચ ઉદ્દેશ તરફ સારી રીતે પ્રગતિ સાધી શકે નહીં.” પછી આ જણાવે છેઃ
 
“આથી એક શિષ્યએ આધ્યાત્મિક ગુરુ તરીકે એક ઉત્તમ અધિકારી સ્વીકારવા કાળજી રાખવી.”

યોગ્યતા ધરાવતા ન હોય તેવા ગુરુઓને પણ ચેતવણી આપવામાં આવે છેઃ

“જ્યાં સુધી ઉત્તમ અધિકારીનું સ્તર પ્રાપ્ત કર્યું ન હોય ત્યાં સુધી તેમણે આધ્યાત્મિક ગુરુ બનવું નહિ.”
(દિવ્ય સૂચનો, Åલોક  ૫, ભાવાર્થ)

જો કોઈ ગુરુ કેવળ “અપૂરતું માર્ગદર્શન” આપતા હોય તો વ્યાખ્યા મુજબ તેઓ એક દીક્ષા ગુરુ ન હોય શકે, કારણ કે તે માટે પૂર્ણ દિવ્ય જ્ઞાનના પ્રસારની જરૂર રહે છે. “અપૂરતું” મતલબ પૂરતું નથી તે. આ સ્વ-સિદ્ધ છે કે જેઓ “સારી રીતે પ્રગતિ સાધવામાં” મદદ કરી શકતા ન હોય તેવા દીક્ષારંભ કરતા ગુરુઓને કદાચ પ્રથમ ટાળવા જોઈએ.



૧૦. “વ્યાખ્યાનુસાર ઋત્વિક પ્રણાલી એટલે પરંપરાનો અંત.”


ગુરુ-શિષ્ય પરંપરા સનાતન છે; તેના અંતનો પ્રશ્ન જ નથી. શ્રીલ પ્રભુપાદ અનુસાર આ સંકીર્તન આંદોલનનું (અને આમ ઇસ્કૉનનું) અસ્તિત્વ માત્ર ૯૫૦૦ વર્ષ જેટલું છે. સનાતનની સરખામણીમાં ૯૫૦૦ વર્ષ કશું જ નથી; વૈશ્વિક કાળમાં માત્ર એક પલકારો છે. જ્યાં સુધી શ્રીલ પ્રભુપાદ કે ભગવાન શ્રીકૃષ્ણ ૯ જુલાઈ આદેશને બદલે નહીં અથવા તો જ્યાં સુધી કોઈ બાહ્ય પરિસ્થિતિના કારણે આ આદેશનું પાલન અશક્ય ન બને (જેમ કે સંપૂર્ણ તાપ-કેન્દ્રિય પ્રલય) ત્યાં સુધી આ એ સમયગાળો લાગે છે જે દરમ્યાન ઇસ્કૉનમાં શ્રીલ પ્રભુપાદ “વર્તમાન કડી” રહે છે.

પુરોગામી આચાર્યો ઘણા લાંબા સમય સુધી વર્તમાન કડી રહ્યા હતા; હજારો વર્ષો (શ્રીલ વ્યાસદેવજી) અથવા કરોડો વર્ષો સુધી પણ (જુઓ નિમ્ન અવતરણ). શ્રીલ પ્રભુપાદ “વર્તમાન કડી” તરીકે રહે તેની અવધિ કોઈ ખાસ સમસ્યા ઊભી કરે એવું અમને લાગતું નથી, જો આ સમયગાળો સંકીર્તન આંદોલનના અંત સુધી ચાલે તોપણ.

“પરંપરા પ્રણાલી વિશેઃ લાંબા સમયગાળાથી આશ્ચર્ય થવાની જરૂર નથી […] આપણે ભગવદ્‍-ગીતામાં જોઈએ છીએ કે કેટલાંક કરોડો વર્ષો પહેલાં ભગવદ્‍-ગીતાનું જ્ઞાન સૂર્ય ભગવાનને મળ્યું હતું, પરંતુ શ્રીકૃષ્ણ ભગવાને આ પરંપરામાં માત્ર ત્રણ જ નામ જણાવ્યાં છે—વિવશ્વાન, મનુ અને ઇક્ષ્વાકુ; અને આમ પરંપરા સમજવા આ સમયગાળો આડે આવતો નથી. આપણે મુખ્ય આચાર્યો પસંદ કરવાના છે, અને તેમને અનુસરવાનું છે. […] જે સંપ્રદાયમાં આપણો સમાવેશ થતો હોય તેમાંથી આપણે અધિકૃત આચાર્ય પસંદ કરવાના છે.”
(દયાનંદને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૨/૪/૧૯૬૮)

૯ જુલાઈ આદેશ ઘણો અગત્યનો છે કારણ કે તેનો અર્થ એવો થાય કે જ્યાં સુધી સંસ્થાનું અસ્તિત્વ છે ત્યાં સુધી ઇસ્કૉન સભ્યો માટે શ્રીલ પ્રભુપાદ મુખ્ય આચાર્ય રહે છે. કેવળ શ્રીલ પ્રભુપાદ કે શ્રીકૃષ્ણ ભગવાનની દરમ્યાનગીરી જ આ આદેશને રદ કરી શકે (આવી દરમ્યાનગીરી એટલી જ સ્પષ્ટ અને સહજ હોવી જોઈએ જેટલી સમગ્ર સંસ્થાને જાહેર થયેલી હસ્તાક્ષરિત નિર્દેશિકા છે). આમ જ્યાં સુધી બીજો આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી સેવા-ભક્તિના વિજ્ઞાનનો પ્રસાર સીધા શ્રીલ પ્રભુપાદ દ્વારા તેમના શિષ્યોની ઉત્તરો-ઉત્તર પેઢીઓમાં ચાલુ રહે છે. આવી ઘટના આપણી પરંપરામાં સામાન્ય હોવાથી ચેતવણીનો કોઈ સંકેત નથી. પરંપરાનો “અંત” આવ્યો એમ ત્યારે જ કહેવાય જ્યારે આ સેવા-ભક્તિનું વિજ્ઞાન નષ્ટ પામે. આવા સંજોગોમાં સામાન્યતઃ ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ ધર્મના સિદ્ધાંતો સ્થાપવા માટે આવે છે. જ્યાં સુધી શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોનું વિતરણ ચાલુ રહે ત્યાં સુધી આ “વિજ્ઞાન” અફર, અખંડિત અને સંપૂર્ણ સુગમ રહે છે.



૧૧. “ઋત્વિક પ્રણાલીનો અર્થ થાય હજારો વર્ષોથી વારસાગત રહ્યો છે તે ગુરુ-શિષ્ય સંબંધનો અંત.”


ઋત્વિક પ્રણાલી સંભવિત રીતે અસંખ્ય નિખાલસ શિષ્યોને એક મહાન આચાર્ય શ્રીલ પ્રભુપાદ સાથે જોડે છે, જેઓ હંમેશાં આ પૃથ્વી માટે આશીર્વાદરૂપ રહ્યા છે. આ શિષ્યોનો શ્રીલ પ્રભુપાદ સાથે તેમનાં પુસ્તકોનાં અભ્યાસ થકી તથા તેમની સંસ્થામાં તેમની સેવા આધારે એક સંબંધ રહેલો છે, જ્યાં અસંખ્ય શિક્ષા ગુરુ-શિષ્ય સંબંધના અસ્તિત્વની અનેક તકો રહેલી છે. આ કઈ રીતે ગુરુ-શિષ્ય સંબંધોની વારસગતનો અંત આણે?

દીક્ષા ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો ઔપચારિકપણે કઈ રીતે બંધાય છે તેની વિસ્તૃતતા સમય, સ્થળ અને સ્થિતિ અનુસાર એક આચાર્ય નક્કી કરે છે, પરંતુ સિદ્ધાંત તેનો તે જ રહે છેઃ

“રામાનુજ સંપ્રદાયની પરંપરામાં આચાર્ય શ્રીમાન વિરરાઘવાચાર્યએ તેમની ટિપ્પણીમાં નોંધ કરી છે કે ચંડાલો અથવા બદ્ધ જીવો જેમણે શૂદ્ર કરતાં પણ નીચ જાતિમાં જન્મ લીધો છે તેઓને પણ પરિસ્થિતિ અનુસાર દીક્ષા આપી શકાય. તેઓને વૈષ્ણવ બનાવવા માટે ઔપચારિકતાઓ કદાચ આમ તેમ સહેજ બદલાય.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૪.૮.૫૪, ભાવાર્થ)

તે જ પ્રમાણે એક સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરવાના આ સિદ્ધાંતમાં ઋત્વિક પ્રણાલીને કારણે કોઈ છૂટછાટ કે બાંધછોડ થતી નથી.

કેટલાક લોકો ભારતમાં ગાંમડાંઓમાં જીવન જીવતા રૂઢિગત ગુરુઓને ઇસ્કૉન માટે એક આદર્શ ઉદાહરણ તરીકે ગણે છે. દરેક ગુરુના થોડા-થોડા શિષ્યો હોય જેમને તેઓ વ્યક્તિગત રીતે તાલીમ આપે છે. આ ગમે તેટલું સરસ લાગતું હોય, પરંતુ આને ભગવાન શ્રીચૈતન્ય દ્વારા આગાહી અને શ્રીલ પ્રભુપાદ દ્વારા સ્થાપિત વિશ્વવ્યાપી મિશન સાથે કશું લાગતું વળગતું નથી. આ મિશનમાં શ્રીલ પ્રભુપાદ હજારો, સંભવિત રીતે કરોડો, શિષ્યો સાથે જગત ગુરુ છે. શ્રીલ પ્રભુપાદે એક અખિલ આંદોલનની સ્થાપના કરી જે થકી દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિ તેમની “સન્મુખ” જઈ “સેવા” અને “પ્રશ્નોત્તર” કરી શકે છે. શા માટે આપણે ઇસ્કૉનમાં એક ગ્રામીણ ગુરુ-પ્રણાલી લાગુ પાડવી જોઈએ? ખાસ કરીને જ્યારે શ્રીલ પ્રભુપાદે એવો કોઈ આદેશ આપ્યો નથી અથવા એવી કોઈ પ્રણાલી રચી નથી.

જો દરેક જણ જુદા જુદા દ્રષ્ટિકોણ, અભિપ્રાય અને સાક્ષાત્કારના સ્તર ધરાવતા સેંકડો અલગ અલગ ગુરુઓની કલ્પના કરે તો એકતા ક્યાંથી હોય? આધ્યાત્મિક જીવન પ્રત્યે આવી “ભાગ્ય-ભરોસે” પદ્ધતિ કરતાં તો, જેમ અમે દર્શાવ્યું, શ્રીલ પ્રભુપાદે આપણને એક “વિશ્વાસપૂર્ણ” પ્રણાલી આપી છે જે દ્વારા સીધા જ તેમની શરણે જઈ શકાય, અને તેમની સો ટકા ખાતરી છે. આપણે જાણીએ છીએ કે તેઓ આપણને ક્યારેય નીચા પડવા દેશે નહિ, અને આ રીતે ઇસ્કૉનમાં એકતા રહી શકે, કેવળ નામ પૂરતી જ નહિ, પરંતુ ચેતનામાં પણ.

કેટલાક ભક્તોને એવું લાગે છે કે જીવિત તથા પ્રત્યક્ષ હાજર હોય તેવા દીક્ષારંભ કરતા ગુરુઓની પરંપરા વગર સેવા-ભક્તિનું વિજ્ઞાન નષ્ટ પામે. પરંતુ આવો સિદ્ધાંત શ્રીલ પ્રભુપાદે એકપણ વાર ક્યારેય જણાવ્યો નથી અને આથી તેનું અસ્તિત્વ આપણી ફિલસૂફીમાં હોય શકે નહીં. જ્યાં સુધી ઋત્વિક પ્રણાલી ચાલુ રહે છે (હા, તેને પુનઃપ્રસ્થાપિત કરીને) ત્યાં સુધી એક જીવંત, પરંતુ ભલે પ્રત્યક્ષ હાજર ન હોય તેવા, મહા-ભાગવત વતી કાર્યરત જીવિત શિક્ષા ગુરુઓની પરંપરા ચાલુ રહે છે. જ્યાં સુધી આ શિક્ષા ગુરુઓ કશો ફેરફાર કરતા નથી, નવી ફિલસૂફી ઉપજાવતા નથી, અગત્યના આદેશોનું અનાદર કરતા નથી અને અનધિકૃતપણે પોતાને દીક્ષા ગુરુઓ તરીકે ગણતા નથી ત્યાં સુધી સેવા-ભક્તિનું વિજ્ઞાન સંપૂર્ણપણે અખંડિત રહે છે. જો ભક્તિના અવિનાશી વિજ્ઞાનમાં આવી ગેરવર્તણૂક અડચણરૂપ નડશે તો ભગવાન શ્રીકૃષ્ણ ચોક્ક્સપણે કોઈક રીતે દરમ્યાનગીરી કરે, કદાચ તો એક ગોલોકવાસીને એક નવા સંનિષ્ઠ સમાજના નિર્માણ માટે ફરી મોકલે. ચાલો આપણે સૌ સાથે મળી એવું કંઈક કરીએ કે જેથી આની આવશ્યકતા ન રહે.



૧૨. “ઋત્વિક પ્રણાલી પરંપરા સંચાલનની કોઈ નિયમિત રીત નથી. પરંપરા સંચાલનની યોગ્ય પદ્ધતિ છે કે ગુરુ તેમના શિષ્યને શ્રીકૃષ્ણ વિશે તેઓ જે જાણવા ઇચ્છતા હોય તે તેમની પ્રત્યક્ષ હાજરીમાં શીખવે. જેવા ગુરુ આ ગ્રહ પરથી પ્રસ્થાન કરે ત્યારે તેમના તમામ શિસ્તબદ્ધ શિષ્યોની ફરજ બને છે કે તેઓ તુરંત તેમના પોતાના શિષ્યોનું દીક્ષારંભ કરવાનું શરૂ કરે, આમ પરંપરા ચાલુ રાખે. પરંપરા સંચાલનની આ જ “નિયમિત” રીત છે.”


દીક્ષારંભ કરવા માટે બે અગત્યની પૂર્વ શરતોને (અધિકૃતિ અને યોગ્યતા) બાજુએ મૂકતાં એવું સ્પષ્ટ છે કે આપણી પરંપરામાં દીક્ષા પ્રવૃત્તિ તદ્દન જુદી છે. આપણે નિરીક્ષણ કર્યું છે કે કહેવાતી “નિયમિત” પ્રણાલીનું ઉલ્લંઘન મુખ્ય પાંચ વિભાગોમાં પડે છે, બીજા અન્ય વિભાગો પણ હોય શકે અને તે અમે નકારતા નથીઃ

(અ) સમયગાળો
આ એવા સંજોગો છે જેમાં પરંપરામાં એક આચાર્ય પ્રસ્થાન કરે ત્યારે તાત્કાલિક દીક્ષારંભ શરૂ કરવા આગામી કોઈ કડી હોતી નથી. અથવા જે વ્યક્તિ આગામી કડી બનનાર છે તેમણે તેમના આધ્યાત્મિક ગુરુ પાસેથી તેમના પ્રસ્થાન સમયે કે તુરંત પ્રસ્થાન બાદ દીક્ષારંભ માટે તાત્કાલિક અધિકૃતિ મેળવી નથી. દાખલા તરીકે, આપણા સંપ્રદાયમાં શ્રીલ ભક્તિસિદ્ધાંતના પ્રસ્થાન અને આગામી સંનિષ્ઠ દીક્ષારંભ વચ્ચે લગભગ વીસ વર્ષનો સમયગાળો હતો. પરંપરામાં સભ્યો વચ્ચે સો વર્ષથી વધુનો સમયગાળો અસામાન્ય નથી.

(બ) વિપરીત સમયગાળો
આ એવા સંજોગો છે જ્યાં એક આચાર્યએ હજુ દેહ છોડ્યો નથી તે પહેલાં જ તેમના શિષ્યો દીક્ષારંભ શરૂ કરી દે છે. દાખલા તરીકે, ભગવાન બ્રહ્માજીએ પોતાનો દેહ છોડ્યો નથી અને છતાં ઉત્તરાધિકારી ગુરુઓની પેઢીઓએ કરોડો શિષ્યોનું દીક્ષારંભ કર્યું છે. શ્રીલ ભક્તિવિનોદ અને શ્રીલ ગૌર કિશોર હજુ પ્રત્યક્ષ હાજર હતા ત્યારે શ્રીલ ભક્તિસિદ્ધાંતે દીક્ષારંભ કર્યું હતું. જી.આઈ.આઈ. (પૃષ્ઠ ૨૩) અનુસાર આપણી સંપ્રદાયમાં આ સામાન્ય ઘટના છે.

(ક) શિક્ષા/દીક્ષા કડીઓ
આ એવી ઘટનાઓ છે જ્યાં એક શિષ્ય કોઈ આચાર્યને આ ગ્રહ પરથી તેમના પ્રસ્થાન બાદ એક મુખ્ય આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારે છે. પ્રસ્થાન પામેલા આ આચાર્ય શું શિષ્યના એક શિક્ષા ગુરુ છે કે પછી દીક્ષા ગુરુ તે નક્કી કરવું મુશ્કેલ છે. આ આધ્યાત્મિક અરસ-પરસ વચ્ચેનો સ્વભાવ શ્રીલ પ્રભુપાદ સામાન્યતઃ જણાવતા નથી. દાખલા તરીકે, શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર અને નરોત્તમ દાસ ઠાકુર, જેમના જીવન વચ્ચે સો વર્ષથી વધુનો તફાવત છે, તેમની વચ્ચેના સંબંધની ચોક્કસ ગુહ્યતા શ્રીલ પ્રભુપાદ વિસ્તૃતમાં જણાવતા નથી. આપણે આ સંબંધને શિક્ષા-સંબંધ કહેવા કદાચ ઇચ્છીએ, પરંતુ તે એક અટકળ હશે, કારણ શ્રીલ પ્રભુપાદ કેવળ આટલું જ કહે છેઃ

“શ્રીલ નરોત્તમ દાસ ઠાકુર, જેમણે શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તીને તેમના સેવક તરીકે સ્વીકાર્યા.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, આદિ-લીલા, ૧)

“…વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર. એમણે નરોત્તમ દાસ ઠાકુરને પોતાના ગુરુ સ્વીકાર્યા.”
 (શ્રીલ પ્રભુપાદ, શ્રીમદ્‌ ભાગવતમ્‌‍ પ્રવચન, ૧૭/૪/૧૯૭૬, મુંબઈ)

ભલે આવા શિષ્યો સામાન્યતઃ કોઈ પ્રકારની વિધિમાંથી પસાર થાય જેમાં કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ હાજર હોય, પરંતુ આ પણ પ્રસ્થાન પામેલા આચાર્યને તેમના દીક્ષા ગુરુ હોવા પર પ્રતિબંધ મૂકી શકે નહીં; જેમ કે ઋત્વિક વિધિનો મતલબ એવો નથી કે ઋત્વિક અથવા મંદિર પ્રમુખ દીક્ષા ગુરુ છે. ઉપરાંત, સામાન્યતઃ આવા શિષ્યોએ શારીરિક રીતે હાજર ન હોય તેવા સદ્‍ગુરુ સ્વીકારવા માટે પ્રત્યક્ષ હાજર હોય તેવી સત્તા પાસેથી મંજૂરી મેળવેલી હોય છે. આ જ રીતે જો ઋત્વિક પ્રણાલીનું પુનઃસ્થાપન થાય તો શ્રીલ પ્રભુપાદના નવા શિષ્યો તેમના દીક્ષારંભ પૂર્વે મંદિર પ્રમુખ અને ઋત્વિક પાસેથી મંજૂરી મેળવી શકે છે.

(ડ) દીક્ષારંભની રીત
દીક્ષારંભની આ વિલક્ષણ રીત છે જ્યાં દીક્ષાનો પ્રસાર અનુપમ કે અકલ્પનીય પ્રકારોએ થાય છે. દાખલા તરીકે, ભગવાન શ્રીકૃષ્ણ તરફથી ભગવાન બ્રહ્માને; અથવા ભગવાન શ્રીચૈતન્યનું એક બુદ્ધના કાનમાં કંઈક કહેવું. આંતર ગ્રહો વચ્ચે થતી દીક્ષા પણ કદાચ આ વિભાગમાં પડે. અહીં ગુરુ બીજા અન્ય ગ્રહ પર રહેતા શિષ્યને દીક્ષા આપે છે, જેમ કે ભગવદ્‍-ગીતામાં (૪.૧) મનુ તરફથી ઇક્ષ્વાકુ.

(ઈ) ઉત્તરાધિકારી પ્રણાલીઓ
આ વિભાગ આપણા સંપ્રદાયમાં જુદા જુદા ઉત્તરાધિકારી આચાર્યોના સંદર્ભમાં છે. દાખલા તરીકે, શ્રીલ ભક્તિવિનોદ ઠાકુરે એક “સશક્ત વૈષ્ણવ પુત્ર” ઉત્તરાધિકારી પ્રણાલી અપનાવી. શ્રીલ ભક્તિસિદ્ધાંતનો વિચાર એક “સ્વ-પ્રભાવશાળી આચાર્ય” ઉત્તરાધિકારી પ્રણાલીનો હતો. જ્યાં સુધી અમે જાણીએ છીએ, શ્રીલ પ્રભુપાદે “દીક્ષારંભ કરવા હેતુસર ઋત્વિક – આચાર્યના પ્રતિનિધિ” પ્રણાલી રચી જે થકી “નવા દીક્ષારંભ ગ્રહણ ભક્તો શ્રી શ્રીમદ્‍ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદના શિષ્યો છે.” જી.બી.સી. દ્વારા રચિત વર્તમાન પ્રણાલી એક “બહુ આચાર્ય ઉત્તરાધિકારી” પ્રણાલી છે.

અહીં સ્પષ્ટ થાય છે કે દરેક આચાર્યની રીત તદ્દન અલગ જ છે; આથી પરંપરા ચાલુ રાખવાની “નિયમિત” પ્રણાલી વિશે વાતો કરવી વ્યવહારિક રીતે અર્થહીન છે.



૧૩. “જો આપણે ઋત્વિક પ્રણાલી જ અપનાવવી હોય તો પછી આપણે અન્ય પુરોગામી આચાર્ય જેમ કે શ્રીલ ભક્તિસિદ્ધાંત પાસેથી દીક્ષારંભ કેમ ન લઈ શકીએ?”


બે કારણોસર આ એક સંનિષ્ઠ વિકલ્પ નથીઃ

(અ) શ્રીલ ભક્તિસિદ્ધાંત અને અન્ય બીજા આચાર્યોએ “હવેથી” ઋત્વિક પ્રણાલીના સંચાલનની અધિકૃતિ આપી ન હતી.
(બ) આપણે વર્તમાન કડીની સન્મુખ જ જવું જોઈએઃ

“…શ્રીમદ્‍-ભાગવતમ્‌ના સાચા સંદેશને પ્રાપ્ત કરવા માટે દરેકે ગુરુ-પરંપરાની સાંકળમાં વર્તમાન કડી કે આધ્યાત્મિક ગુરુની સન્મુખ જવું જોઈએ.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૨.૯.૭, ભાવાર્થ)

આ સ્વ-સિદ્ધ છે કે શ્રીલ પ્રભુપાદ સંપ્રદાય આચાર્ય છે જેઓ શ્રીલ ભક્તિસિદ્ધાંતના ઉત્તરાધિકારી બન્યા. શ્રીલ પ્રભુપાદ આથી આપણી વર્તમાન કડી છે, અને આથી દીક્ષારંભ માટે સન્મુખ જવા સાચા વ્યક્તિ છે.



૧૪. “વર્તમાન કડી હોવા માટે તમારે પ્રત્યક્ષ હાજર હોવું જરૂરી છે.”


શ્રીલ પ્રભુપાદ આવું ઉપરોક્ત કથન ક્યારેય જણાવતા નથી.

તો ચાલો આવું ધ્યાનમાં લઈએઃ જો આધ્યાત્મિક ગુરુ શારીરિક રીતે હાજર ન હોય તો શું તેઓ “વર્તમાન” હોય શકે?

(અ) શ્રીલ પ્રભુપાદનાં તમામ પુસ્તકોમાં માત્ર એક જ સ્થાને “વર્તમાન કડી” પરિભાષાનો ઉલ્લેખ છે; અને આ પરિભાષા સાથે શારીરિક હાજરીનો કોઈ સંદર્ભ નથી. જો શારીરિક હાજરી જરૂરી હોત તો એમણે તેનો ઉલ્લેખ કર્યો હોત.

(બ) “વર્તમાન” શબ્દની શબ્દકોશ વ્યાખ્યાઓમાં શારીરિક હાજરીનો કોઈ સંદર્ભ નથી.

(ક) “અતિ આધુનિક”, “સર્વ જાણીતું, આચરણમાં લીધેલું અથવા સ્વીકૃત”, “વિસ્તૃત”, “હાલ માન્ય અને પ્રવર્તમાન” – આ “વર્તમાન” શબ્દની શબ્દકોશ વ્યાખ્યાઓ શારીરિક ગેરહાજર આધ્યાત્મિક ગુરુ અને તેમનાં પુસ્તકોને પણ સહેલાઈથી લાગુ પાડી શકાય છે.

અમારી સમજણ મુજબ આ ઉપરોક્ત વ્યાખ્યાઓ શ્રીલ પ્રભુપાદ અને તેમનાં પુસ્તકોને લાગુ પાડી શકાય છે.

(ડ) શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોનાં વાંચનથી “વર્તમાન કડીની” સન્મુખ જવા પાછળનો હેતુ સંપૂર્ણ રીતે સફળ થઈ શકે છેઃ

“…શ્રીમદ્‍-ભાગવતમ્‌ના સાચા સંદેશને પ્રાપ્ત કરવા માટે દરેકે ગુરુ-પરંપરાની સાંકળમાં વર્તમાન કડી કે આધ્યાત્મિક ગુરુની સન્મુખ જવું જોઈએ.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૨.૯.૭, ભાવાર્થ)

(ઈ) શ્રીલ પ્રભુપાદ “વર્તમાન કડી” ના સમાનાર્થી તરીકે “ઈમિજીયેટ આચાર્ય” શબ્દનો પણ પ્રયોગ કરે છે. “ઈમિજીયેટ” શબ્દનો અર્થ છેઃ

 “વચગાળાના માધ્યમ વિના”, “સૌથી નજીકનું અથવા સંબંધ કે અસરમાં સીધું જ.”

આ વ્યાખ્યાઓ કોઈ મધ્યસ્થીઓની જરૂરિયાત વગર શ્રીલ પ્રભુપાદ સાથેના સીધા સંબંધને  લાગુ પડે છે, ફરી શારીરિક હાજરી/ગેરહાજરીની ગણના વગર.

(ફ) પોતાના ગુરુ હજુ આ ગ્રહ પર હાજર હોવા છતાં દીક્ષારંભ આપતા શિષ્યોના દાખલાઓ હોવાથી એવું લાગે છે કે વર્તમાન કડી અને શારીરિક હાજરી/ગેરહાજરી વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમારા ગુરુ શારીરિક રીતે હાજર હોવા છતાં આગામી વર્તમાન કડી હોવાનું સંભવ હોય તો શા કારણ પ્રસ્થાન પામેલા આચાર્ય માટે વર્તમાન કડી રહેવાનું સંભવ નથી?

નિષ્કર્ષમાં, આપણી પાસે એવું કહેવા માટે કોઈ પુરાવા નથી કે વર્તમાન કડીનો ઉદય શારીરિક અથવા બિનશારીરિક ગણના પર આધારિત છે.



૧૫. “શ્રીલ ભક્તિસિદ્ધાંતના અંતર્ધ્યાન બાદ શ્રીલ પ્રભુપાદના સૌ ગુરુબંધુઓ દીક્ષા આચાર્યો બન્યા તો પછી શ્રીલ પ્રભુપાદના શિષ્યો એવું કરે તેમાં શું ખોટું છે?”


શ્રીલ ભક્તિસિદ્ધાંતના શિષ્યોએ દીક્ષા આચાર્યો તરીકે ઢોંગ કરી તેમના આધ્યાત્મિક ગુરુના અંતિમ આદેશની (જી.બી.સી. રચવું અને સ્વ-પ્રભાવશાળી આચાર્યની રાહ જોવી) સીધી અવગણના કરી. દીક્ષારંભની વાત તો જવા દો, શ્રીલ પ્રભુપાદે તેમને પ્રચાર માટે બિનઉપયોગી એમ ઉલ્લેખી તેમના ગુરુબંધુઓની આ આજ્ઞાભંગ બદલ સખત ટીકા કરીઃ

“…મારા ગુરુબંધુઓ પૈકી આચાર્ય બનવા કોઈ લાયક નથી.” 
(રૂપાનુગાને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૮/૪/૧૯૭૪)

“ટૂંકમાં, તમે જાણી લો કે તેઓ (બૉન મહારાજ) મુક્ત જીવ નથી, અને આથી તેઓ કોઈ પણ વ્યક્તિને કૃષ્ણભાવનામૃતમાં દીક્ષા આપી શકે નહિ. આ માટે ઉચ્ચ સત્તાઓ તરફથી સવિશેષ આધ્યાત્મિક આશીર્વાદ આવશ્યક છે.”
(જનાર્દનને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૬/૪/૧૯૬૮)

“જો આમ બધા દીક્ષારંભ આપતા રહે તો તેનું પરિણામ કેવળ વિપરીત હોય. જ્યાં સુધી આવું ચાલશે ત્યાં સુધી કેવળ નિષ્ફળતા જ મળશે.”
(શ્રીલ પ્રભુપાદ, ફાલ્ગુન કૃષ્ણ પંચમી, Åલોક ૨૩, ૧૯૬૧)

તાજા અનુભવ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આમાંની એક જ વ્યક્તિ શ્રીલ પ્રભુપાદના મિશનને કેટલું નુકસાન પહોંચાડી શકે. આવી વ્યક્તિઓથી બને તેટલું દૂર રહેવું એવી અમારી સલાહ છે. એક શિષ્યએ તેમના ગુરુના મિશનને કઈ રીતે આગળ ધપાવવું જોઈએ તેના નાયક નમૂના તરીકે આવા વ્યક્તિઓ આપણને ચોક્કસ પરવડે નહિ. તેઓએ તેમના આધ્યાત્મિક ગુરુના મિશનનો નાશ કર્યો છે, અને જો આપણે તેઓને ઇસ્કૉનમાં દાખલ કરીએ તો તેઓ ઇસ્કૉનનો વિધ્વંસ કરવા કરતાં પણ વિશેષ સક્ષમ છે.

ગૌડીયા મઠ ગુરુ-પ્રણાલી વિશે આ કદાચ એકમાત્ર ઐતિહાસિક પુરાવો હશે જે પ્રતિ એમ.એ.એસ.એસ. દાવો મૂકી શકે, એટલે કે તે પણ તેના સંસ્થાપક આચાર્યના સ્પષ્ટ આદેશોની અવગણના કરી રચાયું હતું.


૧૬.  “જ્યારે શ્રીલ પ્રભુપાદે કહ્યું કે તેઓએ આચાર્ય ન બનવું ત્યારે તેઓ આચાર્યનો અર્થ કેપિટલ “A” સાથે કરે છે. એટલે કે સંસ્થાનું સંચાલન કરતા આચાર્ય.”


ક્યારે શ્રીલ પ્રભુપાદ દીક્ષારંભ આચાર્યો વચ્ચે કેપિટલ “A” અને સ્મોલ “a” જેવો તફાવત કરે છે? ક્યારે શ્રીલ પ્રભુપાદ સંસ્થા ચલાવી શકતા હોય તેવા દીક્ષારંભ આચાર્યોની વિશેષ જાતિ વિશે વાતો કરે છે, અને એવું ક્યારે સૂચવે છે કે એક એવો પણ નીચલો વર્ગ છે જે, કોઈ ખામી કે ત્રુટિને કારણે, દીક્ષારંભ આપી શકતા નથી?


૧૭. “આ સામાન્ય જ્ઞાન છે કે આચાર્ય ત્રણ પ્રકારના હોય છે. ઇસ્કૉનમાં દરેક જણ આ માને છે.”


પરંતુ આવો ખ્યાલ શ્રીલ પ્રભુપાદે ક્યારેય શીખવ્યો નથી, આ વિચાર તો પ્રધ્યુમ્ન દાસે ૭/૮/૧૯૭૮ના રોજ સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામીને લખેલા પત્રમાં ઊપજાવ્યો હતો. આ પત્ર પાછળથી “મારા આદેશ હેઠળ  ” (રવીન્દ્ર-સ્વરૂપ દાસ, ૧૯૮૫) લેખમાં પ્રસિદ્ધ થયો, અને તેનો ઉપયોગ ઇસ્કૉનમાં ગુરુ-પ્રણાલી સુધારણા કઈ રીતે કરવી એ વિષયક આ લેખ-નિબંધના એક આધારસ્તંભ તરીકે થયો. તે પછી, આ “મારા આદેશ હેઠળ સમજાયું (જી.બી.સી. ૧૯૯૫)” લેખ છે જેના આધારે દીક્ષારંભ વિષયક જી.આઈ.આઈ.ના સિદ્ધાંતો રચાયા છે (પરિચયમાં જણાવ્યું તે મુજબ, પૃષ્ઠ xi). આ લેખના આધારે ક્ષેત્રિય આચાર્ય પ્રણાલીનું પરિવર્તન વર્તમાન એમ.એ.એસ.એસ.માં થયું:

“આચાર્યની આ વ્યાખ્યા મેં પ્રધ્યુમ્નના ઑગસ્ટ ૭, ૧૯૭૮ના રોજ સત્‌‍સ્વરૂપ દાસને લખેલા પત્રમાંથી લીધી છે. વાંચનારે હવે આ પત્રનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો (જે મેં પરિશિષ્ટમાં બીડેલ છે).”
(મારા આદેશ હેઠળ, રવીન્દ્ર-સ્વરૂપ દાસ, ઑગસ્ટ ૧૯૮૫)

આ પત્રમાં પ્રધ્યુમ્ન સમજાવે છે કે આચાર્ય શબ્દ ત્રણ અર્થમાં લઈ શકાયઃ
૧. જેવું પ્રચાર કરે તેવું પાલન કરતા હોય તેઓ.
૨. શિષ્યનું દીક્ષારંભ કરે તેઓ.
૩. સંસ્થાના આધ્યાત્મિક વડા જેમને પુરોગામી આચાર્ય તરફથી તેમના ઉત્તરાધિકારી તરીકે વિશેષરૂપે જાહેર કરવામાં આવ્યા હોય તેઓ.

અમે વ્યાખ્યા (૧) સ્વીકારીએ છીએ કારણ કે શ્રીલ પ્રભુપાદે આ વ્યાખ્યા પ્રયોગમાં લીધી હતી. આ વ્યાખ્યા કોઈ પણ સક્રિય પ્રચારકને આપોઆપ લાગુ પડે છે, તેઓ શિક્ષા ગુરુ હોય કે પછી દીક્ષા ગુરુ.
વ્યાખ્યા (૨) પર આવીએ, પ્રધ્યુમ્ન સમજાવે છે કે આ પ્રકારના આચાર્ય તેમના શિષ્યોનું દીક્ષારંભ કરી શકે છે અને કેવળ તેમના શિષ્યો દ્વારા જ તેમને “આચાર્યદેવ” તરીકે સંબોધવામાં આવે છેઃ

“જે કોઈ દીક્ષારંભ આપે અથવા ગુરુ હોય તેમને કેવળ તેમના શિષ્યો દ્વારા જ “આચાર્યદેવ” વિગેરે તરીકે સંબોધી શકાય! જેમણે પણ તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા છે તેમણે તેમને દરેક રીતે આદર-સત્કાર આપવો, પરંતુ જેઓ તેમના શિષ્યો નથી તેઓને આ લાગુ પડતું નથી.”
(પ્રધ્યુમ્ન દાસ, ૭/૮/૧૯૭૮)

આ એક તુક્કો છે. શ્રીલ પ્રભુપાદ કશે પણ એવા દીક્ષારંભ ગુરુ વિશે વર્ણન કરતા નથી કે જેમની નિરપેક્ષ પ્રકૃતિ કેવળ તેમના શિષ્યો દ્વારા જ ઓળખાતી હોય, સમગ્ર જગત દ્વારા નહિ, અથવા સંપ્રદાયના અન્ય વૈષ્ણવો દ્વારા પણ નહિ. ચાલો જોઈએ શ્રીલ પ્રભુપાદ કઈ રીતે “આચાર્યદેવ” શબ્દની વ્યાખ્યા આપે છે. નિમ્ન લખાણ “આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન” ના પ્રકરણ-૨ માં પ્રસિદ્ધ શ્રીલ પ્રભુપાદની વ્યાસ-પૂજા અર્પણમાંથી છે, જ્યાં શ્રીલ પ્રભુપાદ “આચાર્યદેવ” શબ્દનો પ્રયોગ તેમના પોતાના આધ્યાત્મિક ગુરુ શ્રીલ ભક્તિસિદ્ધાંતના સંબંધમાં કરે છેઃ

“જેમ આપણે સંનિષ્ઠ શાસ્ત્રોમાંથી શીખીએ છીએ, ગુરુ અથવા આચાર્યદેવ આધ્યાત્મિક જગતનો સંદેશો આપે છે…”

“…જ્યારે આપણે ગુરુદેવ અથવા આચાર્યદેવના મૂળ સિદ્ધાંતની વાત કરીએ છીએ ત્યારે આપણે એમની વાત કરીએ છીએ જેમની પ્રયોગિતા સાર્વત્રિક છે.”
“આચાર્યદેવ જેમને નમ્ર-અંજલિ આપવા આજ રાત્રિ આપણે સૌ ભેગા થયા છીએ, તેઓ એક સંકુચિત સંસ્થાના ગુરુ નથી, ન તો સત્યના વિભિન્ન વિચારકો પૈકી એક. બલ્કે, તેઓ જગત-ગુરુ છે, અથવા આપણા બધાના ગુરુ છે…”  (આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન, પ્રકરણ-૨)

શ્રીલ પ્રભુપાદ દ્વારા આપવામાં આવેલી આચાર્યદેવ શબ્દની વ્યાખ્યા અને પ્રયોગ પ્રધ્યુમ્નએ આપેલી વ્યાખ્યા કરતાં તદ્દન વિપરીત છે. પ્રધ્યુમ્નના કહેવા મુજબ આચાર્યદેવ શબ્દ ખોટી રીતે એવી વ્યક્તિઓને લાગુ પાડી શકાય કે જેઓ ખરેખર ઉચ્ચ સ્તર પર નથી. આમ પ્રધ્યુમ્ન દીક્ષા ગુરુના નિરપેક્ષ સ્થાનને ઓછું આંકે છે.

“આચાર્યદેવ” શબ્દ ફક્ત એવી જ વ્યક્તિને લાગુ પાડી શકાય જેઓ ખરેખર “આપણા બધાના ગુરુ” છે; એવી વ્યક્તિ કે જેમની પૂજા-અર્ચના સમગ્ર વિશ્વ દ્વારા થવી જોઈએઃ

“…તેઓ ભગવાનના સીધા પ્રાગટ્ય અને શ્રી નિત્યાનંદ પ્રભુના સાચા પ્રતિનિધિ તરીકે જાણીતા છે. આવા આધ્યાત્મિક ગુરુ આચાર્યદેવ તરીકે ઓળખાય છે.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, આદિ-લીલા, ૧.૪૬, ભાવાર્થ)

વ્યાખ્યા (૩) માં પ્રધ્યુમ્ન સમજાવે છે કે “આચાર્ય” શબ્દ સંસ્થાના વડા તરીકે થાય છે, અને આ શબ્દનો અર્થ સવિશેષ છેઃ

“આનો અર્થ કોઈ પણ વ્યક્તિ નથી. આનો મતલબ એવી વ્યક્તિ થાય જેમને તેમના પુરોગામી આચાર્યએ તેમની આધ્યાત્મિક સંસ્થા કે જેના તેઓ વડા છે તેની ગાદી પીઠ પર તેમના ઉત્તરાધિકારી તરીકે બિરાજવા બીજી વ્યક્તિઓ કરતાં વિશેષ જાહેર કર્યા હોય. […] બધા ગૌડીયા સંપ્રદાયોમાં આ એક ચુસ્ત રિવાજ છે.”
(સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામીને લખેલો પ્રધ્યુમ્નનો પત્ર, ૭/૮/૧૯૭૮)

અમે આ વિશે ચોક્કસ સંમત છીએ કે દીક્ષારંભ કરવા માટે પ્રથમ તેમણે તેમના પુરોગામી આચાર્ય તરફથી અધિકૃતિ મેળવેલી હોવી જોઈએ (આ એક એવો મુદ્દો છે જેનો વ્યાખ્યા (૨) ના વિવરણમાં ઉલ્લેખ પણ નથી):

“દરેકે ગુરુ-પરંપરામાંથી આવતા સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ પાસેથી દીક્ષારંભ ગ્રહણ કરવું જોઈએ, જે તેમના પુરોગામી આધ્યાત્મિક ગુરુ દ્વારા અધિકૃત હોય.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૪.૮.૫૪, ભાવાર્થ)

પરંતુ “આધ્યાત્મિક સંસ્થાની ગાદીપીઠ” પર બેસવા સાથે આને શું લેવાદેવા છે એ ઊલટું ગૂંચવણભર્યું છે, કારણ કે શ્રીલ પ્રભુપાદ તેમના ગુરુ-મહારાજની સંસ્થા કરતાં સંપૂર્ણ ભિન્ન એવી સંસ્થાના આચાર્ય છે. આથી, પ્રધ્યુમ્નની ફિલસૂફી પ્રમાણે શ્રીલ પ્રભુપાદ કદાચ આચાર્યની માત્ર વ્યાખ્યા (૨) માં આવે. જે પણ “ચુસ્ત રિવાજ”ની પ્રધ્યુમ્ન વાત કરે છે તે રિવાજ શ્રીલ પ્રભુપાદે ચોક્કસપણે કદીય જણાવ્યો નથી, આમ આપણે તેને સલામતપણે કોરે મૂકી શકીએ. આગળ આપણે જોઈએ કે પ્રધ્યુમ્નને આ કપટી વિચાર ખરેખર ક્યાંથી આવ્યોઃ

“ખરેખર અલગ અલગ ગૌડીયા મઠોમાં કોઈ ગુરુબંધુ આચાર્યના સ્થાને હોય તોપણ તેઓ સામાન્યતઃ નમ્રતા હેતુ કેવળ એક પાતળું કપડું આસન તરીકે લે છે, કોઈ ઉચ્ચ સ્થાન નહીં.”
(સત્‌‍સ્વરૂપ દાસ ગોસ્વામીને લખેલો પ્રધ્યુમ્નનો પત્ર, ૭/૮/૧૯૭૮)

શ્રીલ પ્રભુપાદના ગુરુબંધુઓ પૈકી એકેય અધિકૃત આચાર્ય ન હતા. સાચી નમ્રતાનો અર્થ એ થવો જોઈએ કે પોતાની જે પણ અનધિકૃત પ્રવૃત્તિઓ હોય તેને ત્યજી દઈએ; શ્રીલ પ્રભુપાદના પ્રમુખ સ્થાનને  ઓળખીએ અને પછી સાચા જગત ગુરુની શરણ લઈએ. દુર્ભાગ્યે, ગૌડીયા મઠના થોડાક જ સભ્યોએ આવું કર્યું છે. પ્રધ્યુમ્નનો આવી વ્યક્તિઓને સંનિષ્ઠ દાખલાઓ તરીકે ઉલ્લેખવાનો અર્થ એ થાય કે પ્રધ્યુમ્ન ફરી વાર સાચા આચાર્યદેવના સ્થાનને બદનામ કરે છે.

“ભક્તિ પુરી, તીર્થ મહારાજ વિશે, તેઓ મારા ગુરુબંધુઓ છે અને તેઓને આદર આપવો જોઈએ. પરંતુ તેમની સાથે તમારે કોઈ ગાઢ સંબંધ ન રાખવો કેમ કે તેઓ મારા ગુરુ-મહારાજના આદેશોથી વિરુદ્ધ ગયા છે.” (પ્રધ્યુમ્નને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૭/૨/૧૯૬૮)

આ શરમજનક છે કે પ્રધ્યુમ્ન પ્રભુએ તેમના ગુરુ-મહારાજના આ સીધા આદેશની અવગણના કરી, અને આ તદ્દન વિલક્ષણ છે કે ઇસ્કૉનની વર્તમાન ગુરુ “સિદ્ધાંત”ની રૂપરેખા આપવા તેમના વિચલિત વિચારોને માન્ય રાખવામાં આવ્યા.

આમ, જ્યારે શ્રીલ પ્રભુપાદે કહ્યું કે આચાર્ય બનવા તેમના ગુરુબંધુઓ પૈકી કોઈ અધિકૃત નથી, તો શ્રીલ પ્રભુપાદ આચાર્યની વ્યાખ્યા (૧) કરે છે કે (૩) તે અસબદ્ધ છે. જો તેઓ વ્યાખ્યા (૧) માટે લાયક ન હતા તો એનો અર્થ એ થયો કે તેઓએ આચરણ થકી શિખામણ આપી ન હતી, અને આ તેઓને વ્યાખ્યા (૩) માંથી પણ આપમેળે ગેરલાયક ઠરાવે, અને આથી તેઓ દીક્ષારંભમાંથી પણ ગેરલાયક ઠરે. અને જો તેઓ વ્યાખ્યા (૩) પ્રમાણે લાયક ન હતા તો તેઓ અધિકૃત ન હતા, અને આથી ફરી તેઓ દીક્ષારંભ કરવા સક્ષમ ન હતા.

નિષ્કર્ષ
(અ) તમામ પ્રચારકોએ વ્યાખ્યા (૧) પ્રમાણે આચાર્ય અથવા શિક્ષા ગુરુ બનવાની મહત્વાકાંક્ષા રાખવી જોઈએ.

(બ) પ્રધ્યુમ્ન દ્વારા વ્યાખ્યા (૨) નું વિવરણ સંપૂર્ણ બનાવટી છે. એક સંનિષ્ઠ ગુરુ કે આચાર્યદેવને એક સામાન્ય માણસ ગણવું દરેક માટે પ્રતિબંધિત છે, પછી તેઓ શિષ્ય હોય કે ન હોય. અને જો તેઓ સાચે જ સામાન્ય વ્યક્તિ હોય તો તેઓ કોઈનું દીક્ષારંભ કરી શકે નહિ, અને તેમને આચાર્યદેવની ઉપાધિ આપી શકાય નહિ. તદ્‍ઉપરાંત, પરંપરામાં પુરોગામી આચાર્ય તરફથી વિશેષ અધિકૃતિ મેળવવાની આવશ્યકતાનો વ્યાખ્યા (૨) માં કોઈ ઉલ્લેખ નથી, અને આ અધિકૃતિ વિના કોઈ દીક્ષારંભ આપી શકે નહિ.

(ક) વ્યાખ્યા (૩) કેવળ એવા પ્રકારના આચાર્યની છે જેઓ દીક્ષારંભ આપી શકે; એટલે કે તેમના પોતાના સંપ્રદાય આચાર્ય - આધ્યાત્મિક ગુરુ - દ્વારા અધિકૃત હોય. આમ અધિકૃતિ મેળવ્યા બાદ તેઓ સંસ્થાના વડા તરીકે વર્તે પણ ખરા અથવા ન પણ વર્તે, અને આ અસબદ્ધ છે.

ઇસ્કૉનમાં તમામ ભક્તોને આચરણ થકી શિખામણ આપી વ્યાખ્યા (૧) પ્રમાણે આચાર્યો કે શિક્ષા ગુરુઓ બનવાનો આદેશ અપાય છે. આ પ્રકારના આચાર્ય બનવાના પથ પર સારી શરૂઆત આધ્યાત્મિક ગુરુના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાની શરૂઆતથી થાય છે.



૧૮. “આ એક નજીવો મુદ્દો લાગે છે, તેથી આચાર્ય વિષયક આ વિચારોની ઇસ્કૉન પર કોઈ નોંધનીય વિપરીત અસર કઈ રીતે હોય?”


ખરું જોતાં, દીક્ષા ગુરુના સાપેક્ષીકરણથી ઇસ્કૉનમાં તમામ પ્રકારની ગૂંચવણ ઊભી થઈ છે. કેટલાક ગુરુઓ એવો દાવો કરે છે કે તેઓ સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદની વર્તમાન કડી તરીકે વર્તી તેઓના શિષ્યોને ભગવતધામ લઈ જાય છે; અને કેટલાક કહે છે કે તેઓ શિષ્યોને શ્રીલ પ્રભુપાદ સાથે જોડે છે જેઓ ખરેખર વર્તમાન કડી છે અને તેમના શિષ્યોને ભગવતધામ લઈ જાય છે (લગભગ ઋત્વિક ફિલસૂફી). કેટલાક ગુરુઓ કહે છે કે શ્રીલ પ્રભુપાદ હજુ પણ વર્તમાન આચાર્ય છે; અને બીજા ગુરુઓ કહે છે કે શ્રીલ પ્રભુપાદ વર્તમાન આચાર્ય નથી; જ્યારે બે જણાઓએ તો પોતે જ શ્રીલ પ્રભુપાદના મુખ્ય ઉત્તરાધિકારી આચાર્ય હોવાનો દાવો કર્યો છે. કેટલાક ઇસ્કૉન ગુરુઓ હજુય માને છે કે શ્રીલ પ્રભુપાદે ૧૧ ઉત્તરાધિકારી આચાર્યો નિયુક્ત કર્યા હતા (એક ખોટી માન્યતા જે હાલમાં જ એલ.એ. ટાઈમ્સમાં હકીકતરૂપ નોંધાઈ હતી); બીજા ગુરુઓ માને છે કે તેમણે ૧૧ ઋત્વિકોની નિમણૂક કરી હતી જેઓ તેમના પ્રસ્થાન સાથે સ્મોલ “a” આચાર્યોમાં ફેરવાય; કેટલાક એવું માને છે કે પ્રસ્થાન સાથે માત્ર ૧૧ જણાઓ જ નહિ પરંતુ શ્રીલ પ્રભુપાદના તમામ શિષ્યોએ (એવું લાગે છે સ્ત્રીઓને બાદ કરતાં) સ્મોલ “a” આચાર્યમાં ફેરવાઈ જવું જોઈતું હતું.

જો આપણે જી.આઈ.આઈ. પર પાછા ફરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે જી.બી.સી. જે ગુરુઓને “અધિકૃત” કરે છે તેઓ પોતે જ ઘણી દુવિધામાં મૂકાયા છે. સંપ્રદાય આચાર્યો તરીકે રબર છાપ કરવાનું કૃત્ય બનાવટી છે એમ સ્વીકારવા છતાં (જી.આઈ.આઈ., મુદ્દો ૬, પૃષ્ઠ ૧૫) પ્રત્યુત્તરમાં જી.બી.સી. પ્રતિવર્ષ ગૌરપૂર્ણિમાના દિવસે માયાપુરમાં આ કૃત્ય ખૂબ સારી રીતે કરે છે. આપણી પાસે હવે લગભગ સો જેટલા દીક્ષારંભ ગુરુઓ છે, આ તમામ પર “વાંધો નહિ” ની માન્ય છાપ ચોપડાયેલી છે. શિષ્યો માટે જી.બી.સી.ની પોતાની નિર્દેશિકાઓ પ્રમાણે આ તમામ ગુરુઓને “સાક્ષાત્‌ હરિ” તરીકે પૂજવામાં આવે છે (જી.આઈ.આઈ., મુદ્દો ૮, પૃષ્ઠ ૧૫).

આ દીક્ષારંભ આચાર્યોને હજારો વર્ષ પૂર્વે સ્વયં ભગવાનથી શરૂ મહા-ભાગવતોની પરંપરામાં “વર્તમાન કડીઓ” તરીકે ઓળખવામાં આવે છે:

“ભક્તોએ શ્રીલ પ્રભુપાદના પ્રતિનિધિઓની શરણ લેવી જેઓ પરંપરામાં વર્તમાન કડી છે.”
(જી.આઈ.આઈ., પૃષ્ઠ ૩૪)

પરંતુ આ સાથે શિષ્ય બનવા ઇચ્છુક ભક્તને ચેતવણી આપવામાં આવે છે કે ઇસ્કૉને આપેલી આ માન્યતાને “માન્ય ગુરુની ભગવત્‌ સાક્ષાત્કારની માત્રા તરીકે ન ગણી લેવી.” (જી.આઈ.આઈ., વિભાગ ૨.૨, પૃષ્ઠ ૯)

બીજે પણ આપણને આગળ ચેતવણી આપવામાં આવે છેઃ

“જ્યારે એક ભક્તને નવા શિષ્યોનું દીક્ષારંભ કરી પરંપરા વિસ્તારવા શ્રીલ પ્રભુપાદના “આદેશ” પાલન માટે મંજૂરી આપવામાં આવે છે ત્યારે તેને તેમના “ઉત્તમ-અધિકારી”, “શુદ્ધ ભક્ત” હોવાના અથવા સાક્ષાત્કારનું કોઈ વિશેષ સ્તર પ્રાપ્ત કર્યું હોવાના પ્રમાણ કે મંજૂરી તરીકે ન ગણવું.”
(જી.આઈ.આઈ., પૃષ્ઠ ૧૫)

આ ગુરુઓનું પૂજન મંદિરમાં દરેક જણ માટે નથી, પરંતુ એક અલગ જગ્યાએ કેવળ તેઓના પોતાના શિષ્યો માટે જ છે. (જી.આઈ.આઈ., પૃષ્ઠ ૭) – પ્રધ્યુમ્નની આચાર્યદેવ વ્યાખ્યા.

આપણે દર્શાવ્યું છે કે એક અધિકૃત મહા-ભાગવત જ સંનિષ્ઠ દીક્ષા ગુરુનો એકમાત્ર પ્રકાર છે. (આપણે એ પણ દર્શાવ્યું છે કે સાચો “આદેશ” ઋત્વિકો અને શિક્ષા ગુરુનો હતો). આમ કોઈને પણ “વર્તમાન કડી” કે “દીક્ષા ગુરુ” તરીકે ગણવાનો અર્થ તેમને કેપિટલ “A” અથવા વ્યાખ્યા (૩) મુજબના આચાર્ય, “ઉત્તમ-અધિકારી” કે “શુદ્ધ ભક્ત” ગણવાના દાવા બરાબર થાય.

અમે બોલવાની હિંમત કરીશું કે દીક્ષા ગુરુઓના નિર્માણને માન્યતા આપી અથવા તે વિશે “વાંધો ન હોવો” અને તે જ સમયે જ્યારે તેઓ વિચલિત થાય ત્યારે તેની જવાબદારી કે આરોપ ન સ્વીકારવો એ અનુચિત છે. આધુનિક મનોવૈજ્ઞાનિક ભાષામાં આને “નકારમાં જીવવું” કહેવાય. અમને ખાતરી છે કે શ્રીલ પ્રભુપાદ ઇસ્કૉનને એક પ્રકારની લૉટરી કે રશિયન રૂલેટ તરીકે ન ઇચ્છતા જ્યાં દાવ પર કોઈનું આધ્યાત્મિક જીવન લાગ્યું હોય. જી.બી.સી. જેમને માન્યતા આપે છે તેઓ પાછળ જ્યાં સુધી પૂર્ણ જવાબદારી ન સ્વીકારે ત્યાં સુધી તેઓએ આ રબર છાપ કામ હવે બંધ કરવું જોઈએ. અંતે તો એક સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ તરીકે શ્રીલ પ્રભુપાદ પાછળ આપણે દરેક જણ પૂર્ણ જવાબદારીઓ લઈએ જ છીએ; આથી આવી વ્યક્તિગત લાયકાતની સહમતિજન્ય સ્વીકૃતિ અશક્ય નથી.

હાલમાં જ આ જી.બી.સી. ગુરુ ગૂંચવણનો સારાંશ જયઅદ્વૈત સ્વામીએ તદ્દન સંક્ષિપ્તમાં આપ્યો હતો:

 ““નિમણૂક થઈ” શબ્દ ક્યારેય વપરાયો નથી. પરંતુ “દીક્ષા ગુરુ માટેના ઉમેદવારો” છે, મતદાન થાય છે, અને જેઓ આ પદ્ધતિમાંથી સફળતાથી પસાર થાય છે તેઓ “ઇસ્કૉન માન્ય” કે “ઇસ્કૉન અધિકૃત” ગુરુઓ બને છે. તમારો વિશ્વાસ વધારવાઃ એક તરફ જી.બી.સી તમને સંનિષ્ઠ, અધિકૃત ઇસ્કૉન ગુરુ પાસેથી દીક્ષા લેવા અને તેમને ભગવાનની જેમ પૂજવા પ્રોત્સાહિત કરે છે. બીજી તરફ, જ્યારે તમારા ઇસ્કૉન-અધિકૃત ગુરુનું પતન થાય ત્યારે તેની પાસે સમયાંતરે લાગુ પાડવા કાયદાઓની એક વિશાળ પ્રણાલી છે. એવા વિચાર બદલ કદાચ માફ કરવામાં આવે કે આ તમામ કાયદાઓ અને ઠરાવો છતાં જી.બી.સી. માટે પણ ગુરુની ભૂમિકા હજુ એક ગૂંચવણ છે.”
(જ્યાં ઋત્વિક લોકો સાચા છે, જયઅદ્વૈત સ્વામી, ૧૯૯૬)

જ્યારે આપણે ઇસ્કૉનમાં ગુરુઓનો આઘાતજનક ઇતિહાસ જોઈએ છીએ ત્યારે એવું ભાગ્યે જ આશ્ચર્ય થાય કે આવો અંધવિશ્વાસ અસ્તિત્વ ધરાવતો હોય. ફરી જયઅદ્વૈત સ્વામીના લેખમાંથી અવતરણ લઈએઃ

“હકીકતઃ    ઇસ્કૉન ગુરુઓએ અનેક ગુરુબંધુઓ અને ગુરુબહેનોનો વિરોધ કર્યો છે, દાબ દબાણમાં રાખ્યા છે અને ખદેડી મૂક્યા છે.
 હકીકતઃ    ઇસ્કૉન ગુરુઓએ નાણાં પચાવી તેનો દુરુપયોગ કર્યો છે, અને બીજા ઇસ્કૉન સંસાધનોને પોતાની પ્રતિષ્ઠા અને ઇન્દ્વિય તૃપ્તિ માટે વાળ્યાં છે.
 હકીકતઃ    ઇસ્કૉન ગુરુઓએ સ્ત્રીઓ તથા પુરુષો, અને કદાચ બાળકો સાથે પણ, અનૈતિક જાતીય દુર્વ્યવહાર કર્યો છે.
 હકીકતઃ    … (…વગેરે, વગેરે…)”
(જ્યાં ઋત્વિક લોકો સાચા છે, જયઅદ્વૈત સ્વામી, ૧૯૯૬)

ઇસ્કૉનમાં નવા આવનારાઓને એવું કહેવામાં આવે છે કે શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકો અને આદેશોને આધારે ઇસ્કૉન ગુરુઓની સચેત ચકાસણી કરવી એ તેમની જવાબદારી છે, અને તેમણે જાતે જ ખાતરી કરવી કે ગુરુઓ દીક્ષારંભ આપવા લાયક છે કે નથી. પરંતુ આવા કોઈ ભાવિ શિષ્ય એવા તારણ પર આવે કે પ્રસ્તુત “શારીરિક રીતે હાજર” ગુરુઓ પૈકી એકેય ઉત્તમ નથી, અને તેના બદલે તે શ્રીલ પ્રભુપાદને દીક્ષા ગુરુ કરવા ઇચ્છે છે ત્યારે તેમને ઇસ્કૉનમાંથી ક્રૂરતાપૂર્વક ખદેડી મૂકવામાં આવે છે. શું આ ખરેખર સારું છે? છેવટે તો તે માત્ર એવું જ કરે છે જે જી.બી.સી.એ તેમને કરવા કહ્યું છે. “સાચા” તારણ પર ન આવવા બદલ શું તેમને સજા થવી જોઈએ? ખાસ કરીને જ્યારે એવો સ્પષ્ટ અને સચોટ પુરાવો છે કે આ પસંદગી એ જ છે જે ચોક્ક્સ શ્રીલ પ્રભુપાદ હંમેશાં ઇચ્છતા હતા.

શું કોઈને વર્તમાન ઇસ્કૉન ગુરુ પ્રત્યે પૂરી શ્રદ્ધા હોય એવી અપેક્ષા રાખવી વ્યાજબી છે? જ્યારે તે જુએ છે કે ગુરુઓને શિષ્ટાચારમાં રાખવા પોતે જ જી.બી.સી.ને એક ચુસ્ત ફોજદારી પ્રણાલી રચવાની અનિવાર્યતા જણાઈ; એવી ફોજદારી પ્રણાલી કે જેનો ઉલ્લેખ એકપણ વાર એ બધાં પુસ્તકો અને આદેશોમાં ક્યારેય કરવામાં આવ્યો નથી જેનાં આધારે ભાવિ શિષ્યને નિર્ણય લેવાનું પૂછવામાં આવે છે. આવો સ્વ-સંદર્ભીય અસંગતતાનો એક સ્પષ્ટ કિસ્સો શોધવો બહુ મુશ્કેલ હોય.

ઇસ્કૉનમાં માત્ર શ્રીલ પ્રભુપાદ દીક્ષા ગુરુ તરીકે રહે છે એવા તેમના સ્પષ્ટ આદેશને જો આપણે અનુસરીએ તો બધા માટે તે સલામતીભર્યું હશે. કોણ તેનો વાંધો ઉઠાવી શકે?


૧૯. “ઇસ્કૉન જર્નલ ૧૯૯૦ મુજબ શ્રીલ પ્રભુપાદના કેટલાક ગુરુબંધુઓ ખરેખર આચાર્યો હતા.”


આ કોણે કહ્યું?

“ભક્તિસિદ્ધાંત સરસ્વતીએ એવું કહ્યું ન હતું અથવા એવા કોઈ દસ્તાવેજ આપ્યા ન હતા કે સ્વામીજી (શ્રીલ પ્રભુપાદ) ગુરુ બનશે.”
(ઇસ્કૉન જર્નલ ૧૯૯૦, પૃષ્ઠ ૨૩)
“પરંતુ આપણા સંપ્રદાયમાં એક પ્રણાલી છે. આમ તીર્થ મહારાજ, માધવ મહારાજ અને શ્રીધર મહારાજ, આપણા ગુરુદેવ સ્વામીજી – સ્વામીજી ભક્તિવેદાંત સ્વામી – તેઓ તમામ આચાર્યો બન્યા.”  (ઇસ્કૉન જર્નલ ૧૯૯૦, પૃષ્ઠ ૨૩)

ઉપરોક્ત વિધાનો કરતાં વિપરીત શ્રીલ પ્રભુપાદ આ “આચાર્યો” પૈકી એક વિશે શું વિચારતા…
“ભક્તિ વિલાસ તીર્થ આપણી સંસ્થા પ્રત્યે ઘણા વિરોધી છે અને તેમને સેવા-ભક્તિ વિશે કોઈ સચોટ ખ્યાલ નથી. તેઓ ભ્રષ્ટ છે.”
(શુકદેવને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૪/૧૧/૧૯૭૩)
…અને એમણે બાકીનાઓ વિશે શું કહ્યું:
“…મારા ગુરુબંધુઓ પૈકી એકેય આચાર્ય બનવા લાયક નથી.” (રૂપનુગાને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૮/૪/૧૯૭૪)


૨૦. “કેટલીક વખત શ્રીલ પ્રભુપાદ તેમના ગુરુબંધુઓ વિશે સારું બોલ્યા છે.”


એ સત્ય છે કે શ્રીધર મહારાજને તેમના શિક્ષા ગુરુ વગેરે કહીને શ્રીલ પ્રભુપાદે પ્રસંગોપાત્ત તેમના ગુરુબંધુઓ સાથે કાર્ય કુશળતાથી વ્યવહાર કર્યો. શ્રીલ પ્રભુપાદ એક પ્રેમાળ વ્યક્તિ પણ હતા જેમને તેમના ગુરુબંધુઓ પ્રતિ સાચી લાગણી અને હૂંફ હતી, તેઓને સંકીર્તન આંદોલનમાં વ્યસ્ત રાખવાની યુક્તિઓ હંમેશાં વિચારતા. પરંતુ આપણને એ સ્પષ્ટ થવું જોઈએ કે જો તેઓ ખરા આચાર્યદેવો હોત તો શ્રીલ પ્રભુપાદ તેમના વિશે એક પણ વાર ખરાબ બોલ્યા ન હોય શકે. સંનિષ્ઠ દીક્ષા ગુરુઓ વિશે “આજ્ઞાનો અનાદર કરનારા”, “ઈર્ષ્યાળુ સાપ”, “કૂતરાઓ”, “ડુક્કરો”, “ભમરાઓ” વગેરે શબ્દો ઉચ્ચારવા એ એક ગંભીર અપરાધ છે, અને આથી આ એવું નથી જે શ્રીલ પ્રભુપાદે કર્યું હોય. શ્રીલ પ્રભુપાદ તેમના ગુરુબંધુઓને કઈ નજરથી જોતા તે દર્શાવવા નીચે આપણે એક ખંડ વાર્તાલાપ જોઈએ જેમાં ભવાનંદ તીર્થ મહારાજના મઠમાંથી વહેંચાયેલું એક પત્રક વાંચે છેઃ

       ભવાનંદઃ 
  “આની શરૂઆત મોટા અક્ષરે થાય છે, “આચાર્યદેવ ત્રિદંડી સ્વામી શ્રીલ ભક્તિવિલાસ તીર્થ મહારાજ. બધા શિક્ષિત માણસોને ખબર છે કે ભારતના અંધકાર યુગમાં જ્યારે હિંદુ ધર્મ મોટા ભયમાં હતો…””
શ્રીલ પ્રભુપાદઃ  (હાસ્ય.) “આ બકવાસ છે.”

આમ દેખીતું છે કે શ્રીલ પ્રભુપાદ તીર્થ મહારાજને કયા પ્રકારના “આચાર્યદેવ” ગણે છે (આ એ જ તીર્થ છે જેમને અગાઉ ઇસ્કૉન જર્નલ ૧૯૯૦માં સંનિષ્ઠ આચાર્ય તરીકે ઉદ્‍ગારવામાં આવ્યા હતા.) આ પત્રકમાં આગળ વર્ણન છે કે મિશનને આગળ ધપાવવા એક અદ્‍ભુત વ્યક્તિત્વ હોવા બદલ શ્રીલ ભક્તિસિદ્ધાંત કેટલા ભાગ્યવાન હતા.

       ભવાનંદઃ 
“… યોગ્ય સમયે, તેમને (શ્રીલ ભક્તિસિદ્ધાંત) એક મહાન વ્યક્તિ મળ્યા જેમણે તુરંત જવાબદારી લીધી.”
શ્રીલ પ્રભુપાદઃ    “જરા જુઓ હવે. “તેમને એક મહાન વ્યક્તિ મળ્યા.” તેઓ એ જ વ્યક્તિ છે. તે એવું સાબિત પણ કરી બતાવશે. […] કોઈ તેમને સ્વીકારતું નથી. […] ક્યાં છે તેમની મહાનતા? કોણ તેમને જાણે છે? જરા જુઓ. આમ તેઓ પોતાને એક મહાન વ્યક્તિ જાહેર કરવાની યુક્તિ કરી રહ્યા છે. […] તેઓ (તીર્થ મહારાજ) આપણા પ્રત્યે ઘણા ઈર્ષાળુ છે. […] આ હરામખોરો કંઈક મુસીબત ઊભી કરશે.”
(ખંડ વાર્તાલાપ, ૧૯/૧/૧૯૭૬, માયાપુર)

સંનિષ્ઠ આચાર્યોનું વર્ણન ઈર્ષાળુ હરામખોરો જેઓ કેવળ મુસીબત ઊભી કરવા જ માંગે છે એમ કદીય ન થઈ શકે. દુઃખદપણે આજ રોજ પણ ગૌડીયા મઠના કેટલાક સભ્યો હજુય મુસીબત ઊભી કરે છે. દૂરથી જ સલામ સલામતભરી નીતિ.



૨૧. “આપણે જાણીએ છીએ કે સંનિષ્ઠ આચાર્યો એટલા બધા ઉત્તમ હોવા જરૂરી નથી કારણ કે કોઈક વખત તેઓનું પતન થાય.”


શ્રીલ પ્રભુપાદ આનાથી તદ્દન વિપરીત જણાવે છેઃ

“એક સંનિષ્ઠ આચાર્ય પરંપરામાં સનાતન સમયથી હોય છે, અને તેઓ ભગવાનના આદેશોથી જરાય વિચલિત થતા નથી.”
(ભગવદ્‍-ગીતા, ૪.૪૨, ભાવાર્થ)



૨૨. “પરંતુ પુરોગામી આચાર્યો એવું પણ સમજાવે છે કે જ્યારે કોઈકના આધ્યાત્મિક ગુરુનું પતન થાય ત્યારે તેમણે શું કરવું.”


વર્ણન કરેલા આ વિચલિત ગુરુઓ વ્યાખ્યા મુજબ સનાતન પરંપરાના સભ્યો ન હોય શકે. ઊલટું, તેઓ દીક્ષારંભ આચાર્યો તરીકે દંભ કરતા બદ્ધ, સ્વ-અધિકૃત કૌટુંબિક પૂજારીઓ હતા. પરંપરામાં આવતા સંનિષ્ઠ સભ્યો કદીય વિચલિત થતા નથીઃ

“ભગવાન હંમેશાં ભગવાન છે, ગુરુ હંમેશાં ગુરુ.”  (આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન, પ્રકરણ ૨)

“જો તેઓ ખરાબ હોય તો તેઓ કઈ રીતે ગુરુ બની શકે?” (આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન, પ્રકરણ ૨)

“શુદ્ધ ભક્ત માયાના બંધન અને તેના પ્રભાવથી હંમેશાં મુક્ત હોય છે.” (શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૫.૩.૧૪)

“એવી કોઈ શક્યતા નથી કે ઉત્તમ-કક્ષાના ભક્તનું પતન થાય.” (શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્યલીલા, ૨૨.૭૧)

“આધ્યાત્મિક ગુરુ હંમેશાં મુક્ત હોય છે.” (તમાલ કૃષ્ણને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૧/૬/૧૯૭૦)

શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં આપણી પરંપરામાં સત્તાકીય રીતે અધિકૃત દીક્ષા ગુરુનો એકપણ દાખલો નથી જેઓ સેવા-ભક્તિના માર્ગ પરથી ક્યારેય વિચલિત થયા હોય. આચાર્યો પતન પામે અથવા તેમનો તિરસ્કાર કરી શકાય એવા ખ્યાલના પુષ્ટિકરણમાં ક્યારેક શુક્રાચાર્યના તિરસ્કારનો ઉલ્લેખ કરવામાં છે, પરંતુ આ દાખલો પૂરેપૂરો ગેરમાર્ગે દોરે તેમ છે કેમ કે તેઓ ક્યારેય આપણી પરંપરાના અધિકૃત સભ્ય ન હતા. ક્યારેક ભગવાન બ્રહ્મા અને તેમની પુત્રી વચ્ચેના પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ શ્રીમદ્‍ ભાગવતમ્‌માં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે આવા પ્રસંગો ભગવાન બ્રહ્મા આપણા સંપ્રદાયના વડા બને તે પૂર્વે બન્યા હતા. ખરેખર તો, જ્યારે શિષ્ય નિતાઈએ આ પ્રસંગને એક આચાર્યના પતન થવાના દાખલા તરીકે સંદર્ભમાં લીધો ત્યારે શ્રીલ પ્રભુપાદ ખૂબ હતાશ થયાઃ

   અક્ષયાનંદઃ   “તાજેતરમાં મને એક ભક્ત દ્વારા એવું જાણવા મળ્યું કે આચાર્ય એક શુદ્ધ ભક્ત હોવા જરૂરી નથી. […]”
શ્રીલ પ્રભુપાદઃ   “એ કોણ છે હરામખોર? […]”
    અક્ષયાનંદઃ  “એ તેમણે કહ્યું. નિતાઈએ કહ્યું. એ તેમણે આ સંદર્ભમાં કહ્યું. તેમણે કહ્યું કે ભગવાન બ્રહ્મા બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય છે, છતાં પણ તેઓ ક્યારેક ઉદ્‍વેગમાં આવી જાય છે. આમ આથી તે એવું કહે છે કે આ દેખીતું છે કે આચાર્ય એક શુદ્ધ ભક્ત હોવા જરૂરી નથી. આમ આ ખરું લાગતું નથી.[…]”
શ્રીલ પ્રભુપાદઃ  “તેમણે તેમનો વિચાર ઊપજાવી કાઢ્યો. આથી તે હરામખોર છે. આથી તે હરામખોર છે. નિતાઈ કોઈ સત્તા બની બેસી છે?[…] તેમને કંઈક બદમાશગીરીનો વિચાર આવ્યો, અને તે એ વ્યક્ત કરી રહ્યો છે. આથી તે મહા બદમાશ છે. આવું બધું ચાલે છે.”
(પ્રભાત ફેરી, ૧૦/૧૨/૧૯૭૫, વૃંદાવન)

શ્રીલ પ્રભુપાદ મુજબ, કેવળ અનધિકૃત ગુરુઓ જ જાહોજલાલી તથા સ્ત્રીઓથી મોહિત થઈ શકે.

શ્રીલ પ્રભુપાદનાં પુસ્તકોમાં સંનિષ્ઠ ગુરુઓના વિચલનનો સંપૂર્ણ અભાવ છતાં જી.બી.સી.ની પુસ્તક જી.આઈ.આઈ.માં એક શિષ્યના પૂર્વ સંનિષ્ઠ ગુરુ વિચલિત થાય ત્યારે તેમણે શું કરવું તે વિશે એક આખો વિભાગ છે! આ પ્રકરણની શરૂઆત વર્તમાન કડીની સન્મુખ જવા અને તેની “ઉપરવટ” ન જવાના મહત્વ પર ભાર મૂકવા સાથે થાય છે (જી.આઈ.આઈ., પૃષ્ઠ ૨૭). પરંતુ આવું ચોક્ક્સપણે કરવા આ લેખકો શ્રીલ પ્રભુપાદ દ્વારા કદીય ન શીખવવામાં આવ્યા હોય તેવા સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવાના પ્રયાસમાં ઘણા પુરોગામી આચાર્યોનો સંદર્ભ લઈ આગળ વધે છે. આ પુરોગામી આચાર્યોએ વર્ણન કરેલા ગુરુઓ પરંપરામાં સંનિષ્ઠ સભ્યો ક્યારેય ન હોય શકેઃ

“ભગવાનના ગુણ-ગાનના પ્રસાર હેતુ વિશેષરૂપે સમર્થ નારદ મુનિ, હરિદાસ ઠાકુર અને બીજા એવા આચાર્યોને ભૌતિક સ્તર પર ન ગણી શકાય.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૭.૭.૧૪, ભાવાર્થ)

“ઉપરવટ” જવાનો ભય જી.આઈ.આઈ.માં કેટલી હદે પ્રવર્તમાન છે એ તો “પુનઃદીક્ષારંભ” (પરિભાષા જેનો પ્રયોગ એકપણ વાર શ્રીલ પ્રભુપાદ કે અન્ય પુરોગામી આચાર્ય દ્વારા થયો નથી) વિષયક પ્રકરણમાં દેખાઈ આવે છે. પ્રશ્નોત્તર વિભાગમાં (જી.આઈ.આઈ., પ્રશ્ન ૪, પૃષ્ઠ ૩૫) એવી પરિસ્થિતિઓનું વર્ણન છે જેમાં કોઈ વ્યક્તિ તેના ગુરુનો તિરસ્કાર કરી શકે છે અને “પુનઃદીક્ષારંભ” લઈ શકે છે. તેની “સમજૂતી” આ મુજબ છેઃ

“સદ્‍ભાગ્યે, શ્રીલ ભક્તિવિનોદ ઠાકુરે તેમના જૈવ-ધર્મમાં અને શ્રીલ જીવ ગોસ્વામીએ તેમના ભક્તિ સંદર્ભમાં આપણા માટે આ સમસ્યાના મૂળનું નિરાકરણ જણાવ્યું છે.” (જી.આઈ.આઈ., પૃષ્ઠ ૩૫)

આ “સદ્‍ભાગ્યે” શબ્દ “દુર્ભાગ્યે” એવું દર્શાવે છે કે “કેમ કે શ્રીલ પ્રભુપાદ આપણને એવું કહેવાનું ભૂલી ગયા કે એક ગુરુ વિચલિત થાય ત્યારે શું કરવું, આથી એ ઉચિત છે કે આપણે તેમની ઉપરવટ આ પુરોગામી આચાર્યો પાસે પણ જઈ શકીએ.” પરંતુ શ્રીલ પ્રભુપાદે તો આપણને કહ્યું કે આધ્યાત્મિક જીવન વિશે આપણને જે કંઈ જાણવું હોય તે બધું તેમનાં પુસ્તકોમાં છે જ. તો પછી શા કારણ આપણે એવી પ્રણાલીઓ દાખલ કરવી જેનો ઉલ્લેખ આપણા આચાર્યએ ક્યારેય કર્યો ન હોય?

૨૩. “પરંતુ પુરોગામી આચાર્યોનો અભિપ્રાય લેવામાં શું ખોટું છે?”


કશું ખોટું નથી, જ્યાં સુધી આપણે તેમનો ઉપયોગ કરવાનો પ્રયાસ એવા નવા સિદ્ધાંતો ઉમેરવા ન કરીએ જેનો ઉલ્લેખ આપણા પોતાના આચાર્યએ કર્યો ન હોય. એક સંનિષ્ઠ ગુરુ વિચલિત થઈ શકે એવો ખ્યાલ શ્રીલ પ્રભુપાદની શિક્ષાઓથી સંપૂર્ણ વિપરીત છે. “જીવની ઉત્પત્તિ” વિષયક બધી સમસ્યાઓ આ જ ઉપરવટ જવાના વલણથી ઉદ્‍ભવે છેઃ

“…આપણે પુરોગામી આચાર્યોને શ્રીલ પ્રભુપાદ થકી જ જોવા. આપણે શ્રીલ પ્રભુપાદની ઉપરવટ ન જઈ શકીએ અને પછી તેમને પુરોગામી આચાર્યોની દ્રષ્ટિથી ન જોઈ શકીએ.”  (આપણું મૂળ સ્થાન, જી.બી.સી. પ્રેસ, પૃષ્ઠ ૧૬૩)

“પુરોગામી આચાર્યોને શ્રીલ પ્રભુપાદ થકી જ જોવા” - આ તદ્દન નવા ફિલસૂફીકલ સિદ્ધાંતોનો સ્વીકાર કઈ રીતે કરવો જેનો ઉલ્લેખ શ્રીલ પ્રભુપાદે ક્યારેય નથી કર્યો?

જો આ પુરોગામી આચાર્યોનાં લખાણો વિશે જી.આઈ.આઈ.માં જી.બી.સી.એ જણાવેલાં અર્થઘટન સાચા હોત તોપણ આપણે તેનો પ્રયોગ શ્રીલ પ્રભુપાદની શિક્ષાઓમાં ફેરબદલ કે ઉમેરો કરવા ન કરી શકીએ. આ એકદમ સ્પષ્ટપણે શ્રીલ નરહરિ સરકાર રચિત “શ્રીકૃષ્ણ ભજનામૃત” પુસ્તકમાં બે Åલોકોમાં સમજાવવામાં આવે છે. જી.આઈ.આઈ.માં એક ચેતવણી તરીકે આ Åલોકોનો ઉલ્લેખ થવો જોઈતો હતો, કેમ કે જી.આઈ.આઈ.માં તેના નિબંધના સમર્થનમાં આ જ પુસ્તકમાંથી બીજા Åલોકો તો લીધા જ હતા:

Åલોક ૪૮

“કોઈ શિષ્ય બીજા પ્રગતિશીલ વૈષ્ણવ પાસેથી કેટલીક સૂચનાઓ સાંભળે, પરંતુ આ સારી સૂચનાઓ મેળવ્યા બાદ તેમણે આ સૂચનાઓ તેમના પોતાના આધ્યાત્મિક ગુરુ સમક્ષ લાવી રજૂ કરવી. તેમની રજૂઆત બાદ તેમણે આ જ શિક્ષાઓ ફરી તેમના આધ્યાત્મિક ગુરુ પાસેથી ઉચિત આદેશો સહિત સાંભળવી.”
Åલોક ૪૯

“…એક શિષ્ય જેઓ બીજા વૈષ્ણવની વાણી સાંભળે છે, તેમની સૂચનાઓ ઉચિત અને સાચી હોવા છતાં આ શિક્ષાઓની પુનઃપૃષ્ટિ પોતાના આધ્યાત્મિક ગુરુ પાસે નથી કરતા અને તેને બદલે આ સૂચનાઓને વ્યક્તિગત રીતે સીધી જ સ્વીકારી લે, તો તે એક ખરાબ શિષ્ય ગણાય અને પાપી કહેવાય.”

અમે નમ્રતાપૂર્વક એવું સૂચન કરીએ કે જી.બી.સી. માટે સાતત્ય જાળવી રાખવા હેતુ તથા તમામ ઇસ્કૉન સભ્યોના આધ્યાત્મિક જીવનના હિત હેતુ જી.આઈ.આઈ. પુસ્તકને ઉપરોક્ત સૂચનાઓ સાથે બંધબેસે તે રીતે સુધારવામાં આવે.


૨૪. “જ્યારે કોઈ ગુરુ વિચલિત થાય ત્યારે શું કરવું તે વિશે શ્રીલ પ્રભુપાદે શા કારણે ન સમજાવ્યું?”


શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશ મુજબ તેઓ ભવિષ્યમાં પણ દીક્ષા ગુરુ રહેવા માટે હતા, અને ગુરુ-પરંપરામાં એક અધિકૃત કડી તરીકે એક ક્ષણ માટે પણ શુદ્ધ સેવા-ભક્તિના માર્ગ પરથી તેમના વિચલનનો કોઈ પ્રશ્ન જ ન હતોઃ

“સંનિષ્ઠ આધ્યાત્મિક ગુરુ પૂર્ણ-પુરષોત્તમ ભગવાનની અહિતુકી સેવા-ભક્તિમાં હંમેશાં મગ્ન હોય છે.” 
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, આદિ-લીલા, ૧.૪૬, ભાવાર્થ)

શ્રીલ પ્રભુપાદે શીખવ્યું કે કોઈ ગુરુ તો અને તો જ પતન પામે જો તેઓ દીક્ષારંભ કરવા યોગ્ય રીતે અધિકૃત ન હોયઃ

“…પરંતુ કેટલીક વખત, જો કોઈ આધ્યાત્મિક ગુરુ યોગ્ય રીતે અધિકૃત ન હોય અને માત્ર તેમની પોતાની પહેલથી જ આધ્યાત્મિક ગુરુ બને, તો તેઓ ધન-સંચય અને શિષ્યોની મોટી સંખ્યા દ્વારા બહેકી શકે.”  (ભક્તિ રસામૃત સિંધુ, પૃષ્ઠ ૧૧૬)

જ્યારે કોઈ ગુરુ પતન પામે ત્યારે આ એક નિર્ણાયક સાબિતી બને છે કે તેઓ કદીય તેમના પુરોગામી આચાર્ય દ્વારા યોગ્ય રીતે અધિકૃત ન હતા. જો એકપણ ઇસ્કૉન ગુરુ ક્યારેય પતિત થયા ન હોત તોપણ કાયદાકીય રીતે એવો પ્રશ્ન તો કરી જ શકાય કે તેમની પાસે દીક્ષારંભ કરવા અધિકૃતિ ક્યાંથી આવી.

જી.બી.સી. માટે સમસ્યા છે કે આવાં ઉપરોક્ત અવતરણોનાં નર્યા સત્યને સ્વીકારવામાં તેમની સામે વિભિન્ન હતાશ પ્રશાખાઓ ભયજનકપણે દેખાય છે. કેમ કે તમામ ઇસ્કૉન ગુરુઓ એક સમાન ગાંસડીના ભાગ તરીકે એક સમાન અંશે અધિકૃત થયા હોવાનો દાવો કરે છે (શ્રીલ પ્રભુપાદે જણાવેલો “આદેશ” તેઓ સર્વને લાગુ પડતો હોવાથી), તેમાંના ઘણા દેખીતી રીતે પતિત થયા છે એ હકીકત પરથી જ નિર્ણાયકપણે સ્પષ્ટ થાય છે કે આ “આદેશ” ની ગેરસમજણ થઈ હતી. જો તેઓને ઉચિત અધિકૃતિ ખરેખર આપવામાં આવી હોત તો તેમનું પતન થવાનો સવાલ જ ન હોત. ખરેખર, તેઓ બધા મહા-ભાગવત હોતઃ

“આધ્યાત્મિક ગુરુ હંમેશાં મુક્ત હોય છે.” (શ્રીલ પ્રભુપાદ પત્ર, ૨૧/૬/૧૯૭૦)



૨૫. “શ્રીલ પ્રભુપાદનું કોઈ શિષ્ય જેવા પૂર્ણતાના સ્તરે પહોંચે કે તુરંત ઋત્વિક પ્રણાલી નકામી બની જાય.”


“કામચલાઉ ઋત્વિક” તરીકે કેટલીક વાર ઉલ્લેખવામાં આવતું ઉપરોક્ત વાક્ય એવી ધારણા પર આધારિત છે કે ઋત્વિક પ્રણાલી માત્ર આ કારણસર લાગુ પાડવામાં આવી હતી કે તે સમયે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન પૂર્વે યોગ્યતા ધરાવતા કોઈ શિષ્યો ન હતા.

પરંતુ આ ધારણા એક તુક્કો છે કારણ કે આવી કોઈ સ્પષ્ટતા શ્રીલ પ્રભુપાદે ક્યારેય કરી ન હતી. એવો કોઈ પુરાવો નથી કે ઋત્વિક પ્રણાલી યોગ્યતા ધરાવતી વ્યક્તિઓની અછતની પ્રતિક્રિયાના કારણે જ રચાઈ હતી, અને જેવી યોગ્યતા ધરાવતી વ્યક્તિ મળે કે તુરંત આપણે તેનું અનુસરણ બંધ કરી દેવું. આવી કલ્પનાની દુર્ભાગ્ય આડઅસર ઋત્વિક પ્રણાલીને કેવળ દ્વિતીય ઉત્તમ કે કામચલાઉ લાગે તેમ બનાવવાની છે, જ્યારે ખરેખર તો આ ભગવાન શ્રીકૃષ્ણની પૂર્ણ યોજના છે. આવી કલ્પના કેટલાક ભાવિ અનધિકૃત આકાંક્ષાવાદી વ્યક્તિઓ માટે ભક્તિના ખોટા ડોળ થકી આ પ્રણાલીને રદ કરવાનું પણ શક્ય બનાવે છે.

સૈદ્ધાંતિક રીતે, યોગ્યતા ધરાવતા ઉત્તમ-અધિકારી શિષ્યો હાલ હાજર હોય તોપણ, જો તેઓને ઇસ્કૉનમાં રહેવું હોય તો તેઓને ઋત્વિક પ્રણાલીનું જ અનુસરણ કરવું પડે. જેમ આપણે અગાઉ જણાવ્યું તેમ, યોગ્યતા ધરાવતી વ્યક્તિને શ્રીલ પ્રભુપાદના આદેશનું પાલન કરી ખુશ ન રહેવાનું કોઈ કારણ નથી.

આવી ગેરસમજણનો એક શક્ય સ્ત્રોત કદાચ ગૌડીયા મઠને આપેલા શ્રીલ ભક્તિસિદ્ધાંતના આદેશો હોય શકે. શ્રીલ પ્રભુપાદે આપણને કહ્યું કે તેમના ગુરુ મહારાજે જી.બી.સી. રચવા વિનંતી કરી હતી, અને સમય જતાં એક સ્વ-પ્રભાવશાળી આચાર્ય પ્રગટ થશે. જેમ આપણે જાણીએ છીએ કે ગૌડીયા મઠે વિનાશકતાની અસર સુધી આનું પાલન કર્યું નહીં. કેટલાક ભક્તો એવું માને છે કે આપણે પણ એક સ્વ-પ્રભાવશાળી આચાર્યની શોધમાં રહેવું; અને તેઓ કોઈ પણ સમયે પ્રગટ થઈ શકતા હોવાથી ઋત્વિક પ્રણાલી કેવળ એક કામચલાઉ ઉપાય છે.

આ વાદ સામે મુશ્કેલી એ છે કે શ્રીલ ભક્તિસિદ્ધાંતે તેમના શિષ્યોને આપેલી સૂચનાઓ અને શ્રીલ પ્રભુપાદે આપણને આપેલા આદેશો જુદા છે. શ્રીલ પ્રભુપાદે ચોક્ક્સપણે એવા આદેશો આપ્યા હતા કે જી.બી.સી.એ તેમની સંસ્થાનું સંચાલન ચાલુ રાખવું, પરંતુ એમણે ઇસ્કૉનમાં ભાવિ સ્વ-પ્રભાવશાળી આચાર્યની પ્રગટતા વિશે કશે કશું કહ્યું નથી. ઊલટું, તેમણે ઋત્વિક પ્રણાલી સુયોજિત કરી જે થકી તેઓ “હવેથી” આચાર્ય રહે છે. આ દેખીતું છે કે શિષ્યો તરીકે આપણે શ્રીલ પ્રભુપાદની ઉપરવટ ન જઈ શકીએ અને  શ્રીલ ભક્તિસિદ્ધાંતને અનુસરવાનું શરૂ ન કરી શકીએ.

જો શ્રીલ પ્રભુપાદને શ્રીકૃષ્ણ દ્વારા એવો કોઈ હુકમ મળ્યો હોત કે તેમની સંસ્થાનું સુકાન ટૂંક સમયમાં જ એક નવા આચાર્ય લેશે તો એમણે આ માટેની કોઈ જોગવાઈ એમના અંતિમ આદેશમાં કરી હોત. પરંતુ આને બદલે, એમણે આદેશ કર્યો કે માત્ર એમનાં પુસ્તકોનું વિતરણ થાય, અને આ પુસ્તકો હવેથી દસ હજાર વર્ષો સુધી કાયદો રહેશે. એક ભાવિ આચાર્ય માટે પછી બાકી શું રહ્યું? શ્રીલ પ્રભુપાદે આ આંદોલનને પહેલેથી જ એવી સ્થિતિમાં લાવી દીધું હતું કે તે સંકીર્તન આંદોલનના છેવટ સુધી આપણી પરંપરાની દરેક આગાહી અને આશયને સંતોષે.

જ્યારે દીક્ષા આપવા માટે એકમાત્ર અધિકૃત વ્યક્તિ શ્રીલ પ્રભુપાદ છે ત્યારે ઇસ્કૉનમાં એક નવા સ્વ-પ્રભાવશાળી દીક્ષા ગુરુ પ્રગટ થવાની શક્યતા કઈ રીતે હોય શકે?

કેટલાક લોકોએ એવી દલીલ કરી છે કે આચાર્યોને પરિસ્થિતિ બદલવાની સત્તા રહેલી છે, અને આથી ઇસ્કૉનમાં એક નવા આચાર્ય ઋત્વિક પ્રણાલીને બદલી શકે છે. પરંતુ શું એક અધિકૃત આચાર્ય ક્યારેય એક પુરોગામી આચાર્યએ તેમના અનુયાયીઓને આપેલા આદેશો સામે વિરોધાભાસી હોય? આમ થવાથી ચોક્કસપણે પુરોગામી આચાર્યની અધિકૃતિ નબળી પડે. કોના આદેશને અનુસરવું તેની જટિલ પસંદગીનો સામનો કરતા અનુયાયીઓ માટે આ ચોક્કસ ગૂંચવણ અને મૂંઝવણ ઊભી કરે.

 આ બધી ચિંતાઓ અંતિમ આદેશ વાંચતાં જ દૂર થાય છે. તેમાં “કામચલાઉ” ઋત્વિકનો કોઈ ઉલ્લેખ નથી. ૯ જુલાઈ પત્ર કેવળ એટલું જ કહે છે “હવેથી”. આમ, એવું કહેવું કે નવા આચાર્ય કે પૂર્ણતા પ્રાપ્ત શિષ્યના પ્રગટતાની સાથે જ આ પ્રણાલીનો અંત થાય એ એક તદ્દન સ્પષ્ટ આદેશ ઉપર પોતાની અટકળ ઠોકી બેસાડવા બરાબર છે. પત્ર માત્ર “કાયમી” ઋત્વિક પ્રણાલીના સમજણના સમર્થનમાં જ છે, એટલે કેઃ

જ્યાં સુધી સંસ્થાનું અસ્તિત્વ છે ત્યાં સુધી શ્રીલ પ્રભુપાદ ઇસ્કૉનમાં દીક્ષા ગુરુ તરીકે રહે છે.

આ સમજણ એવી વિચારધારા સાથે સંપૂર્ણ બંધબેસે છે કે શ્રીલ પ્રભુપાદે તેમના મિશનને એકલા હાથે પહેલેથી જ સફળ બનાવી દીધું હતું (કૃપા કરી જુઓ સંલગ્ન વાંધો ૮ “શું તમે એવું કહો છો કે શ્રીલ પ્રભુપાદે એકપણ શુદ્ધ ભક્ત ન બનાવ્યા?”).

કેટલીક વખત એવો દાવો કરવામાં આવે છે કે ૯ જુલાઈ પત્ર કેવળ મૂળ ૧૧ નિયુક્ત ઋત્વિકોને જ અધિકૃત કરતો હોવાથી જેવા આ ૧૧ નિમણૂક વ્યક્તિઓ મરણ પામે અથવા વિચલિત થાય તે સાથે જ આ પ્રણાલી રદ થાય.

આ તો ઊલટું છેવટની દલીલ છે. છેવટે તો ૯ જુલાઈ પત્રમાં એવું જણાવ્યું નથી કે માત્ર શ્રીલ પ્રભુપાદ જ ઋત્વિકોની પસંદગી કરી શકે, અથવા કાર્યરત ઋત્વિકોની યાદીમાં કદીય ઉમેરો ન કરી શકાય. શ્રીલ પ્રભુપાદે અમલમાં મૂકેલી બીજી પણ વ્યવસ્થાપન પ્રણાલીઓ છે જેમ કે જી.બી.સી પોતે જ, જ્યાં જરૂર જણાય ત્યારે નવા સભ્યોને સરળતાથી ઉમેરવામાં કે બાદ કરવામાં આવે છે. આવું તર્કહીન છે કે વ્યવસ્થાપનની કોઈ એક પ્રણાલીને અલગ કરી તેનું સંચાલન બીજી એટલી જ મહત્વની પ્રણાલીઓ કરતાં તદ્દન જુદી જ રીતે કરવામાં આવે. આવું વિશેષ એટલા માટે છે કે શ્રીલ પ્રભુપાદે ક્યારેય એવો સંકેત આપ્યો નથી કે ઋત્વિક પ્રણાલીના સંચાલનની ઢબ તેમણે અમલમાં મૂકેલી બીજી પ્રણાલીઓના સંચાલન કરતાં કોઈક રીતે જુદી હોવી જોઈએ.

કોઈક કારણસર આ દલીલ પ્રખ્યાત બની છે, આથી અમે તમને નિમ્ન મુદ્દાઓ ધ્યાનમાં લેવા વિનંતી કરીએ છીએઃ

૧) તોપંગા કૅન્યન ટેપમાં તમાલ કૃષ્ણ ગોસ્વામી પસંદ કરાયેલા ઋત્વિકોની યાદી બનાવતી વેળા નિમ્ન પ્રશ્ન પૂછે છેઃ

   તમાલ કૃષ્ણઃ  “શ્રીલ પ્રભુપાદ, આ બરાબર છે કે પછી તમે બીજા ઉમેરવા ઇચ્છો છો?”
શ્રીલ પ્રભુપાદઃ  “જરૂર જણાય ત્યારે બીજા ઉમેરી શકાય.” 
(પિરામીડ ગૃહ એકરાર, તોપંગા કૅન્યન, ૩/૧૨/૧૯૮૦)

જો કેટલાક ઋત્વિકો અથવા તો બધા જ મરણ પામે કે વિચલિત થાય ત્યારે ચોક્કસપણે બીજા ઋત્વિકો “ઉમેરવાની” “જરૂર જણાય” એવી આ પરિસ્થિતિ હોય શકે.

૨) ૯ જુલાઈ પત્રમાં ઋત્વિકને “આચાર્યના પ્રતિનિધિ” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. શ્રીલ પ્રભુપાદનું પ્રતિનિધિત્વ કરવા કોઈની પસંદગી કે રદ કરવાની પૂરી સત્તા જી.બી.સી.ના હાથમાં છે, પછી તેઓ સંન્યાસીઓ હોય, મંદિર પ્રમુખો હોય કે પછી જી.બી.સી સભ્યો પોતે જ હોય. હાલ તેઓ દીક્ષા ગુરુઓની પસંદગી કરે છે, જેઓ ભગવાનના પ્રત્યક્ષ પ્રતિનિધિઓ મનાય છે. આમ, શ્રીલ પ્રભુપાદ વતી જવાબદારીપૂર્વક કાર્યરત હોય તેવા નામ આપનારા થોડા પૂજારીઓ પસંદ કરવાની સત્તા સરળતાથી તેમની ક્ષમતામાં જ હોવી જોઈએ.

૩) ૯ જુલાઈ પત્રમાં શ્રીલ પ્રભુપાદની ઇચ્છા “હવેથી” ઋત્વિક પ્રણાલીના સંચાલનની હતી. શ્રીલ પ્રભુપાદે અમલમાં મૂકેલી તમામ પ્રણાલીઓનું સંચાલન અને નિયમન જી.બી.સી. કરી શકે તે હેતુ તેમણે જી.બી.સી.ને અંતિમ વ્યવસ્થાપન સત્તા બનાવી હતી. ઋત્વિક પ્રણાલી દીક્ષારંભના સંચાલન માટેની તેમની એક પ્રણાલી હતી. જેમ બીજા ક્ષેત્રોમાં તેઓ નિમણૂક કરવા અધિકૃત છે તેમ વ્યક્તિઓ ઉમેરી કે બાદ કરી આ પ્રણાલીનું સંચાલન કરવાની જવાબદારી પણ જી.બી.સી.ની છે.

૪) ૯, ૧૧ અને ૨૧ જુલાઈએ જાહેર થયેલા પત્રોમાં “અત્યાર લગી”, “અત્યાર સુધી”, “પ્રથમ યાદી” જેવા શબ્દોના પ્રયોગથી સૂચિત થાય છે કે આ યાદીમાં ઉમેરો કરી શકાય છે. આમ બીજા ઋત્વિકોનો ઉમેરો કરવાની પદ્ધતિ રચાઈ ચૂકી હોવી જોઈએ, ભલેને પછી તેનો અમલ કરવાનું બાકી હોય.

૫) કોઈ એક આદેશને સમજવાની કોશિશ કરતી વેળા સ્વાભાવિકપણે તે પાછળનો હેતુ ધ્યાનમાં લેવાય. પત્રમાં જણાવવામાં આવે છે કે શ્રીલ પ્રભુપાદે “દીક્ષારંભ કરવા હેતુસર તેમના કેટલાક વરિષ્ઠ શિષ્યોની “ઋત્વિક” – આચાર્યના પ્રતિનિધિ તરીકે વર્તવા” નિમણૂક કરી, અને તે સમયે શ્રીલ પ્રભુપાદે “અત્યાર સુધી” ૧૧ નામ આપ્યાં હતાં. એક શિસ્તબદ્ધ શિષ્યનું કર્તવ્ય પ્રણાલી પાછળના હેતુને સમજી તેનો અમલ કરવાનું છે. અંતિમ આદેશ પાછળનો હેતુ તમામ ભાવિ દીક્ષારંભને કેવળ “ચુનંદા સંસ્કારી” વ્યક્તિઓના (“કેટલાક […] અત્યાર સુધી”) એક એવા સમૂહ સાથે બાંધી રાખવાનો સાચે જ ન હતો જેઓ સમયાંતરે તો મરણ પામવાના જ છે, અને એમ કરી ઇસ્કૉનમાં દીક્ષારંભ પ્રક્રિયાનો અંત લાવવાનો ન હતો. ઊલટું તેનો હેતુ તે સમયથી દીક્ષારંભ વ્યવહારુ રીતે ચાલે તેની ખાતરી કરવાનો હતો. આથી જ્યાં સુધી દીક્ષારંભની આવશ્યકતા રહે છે ત્યાં સુધી આ પ્રણાલી અમલમાં રહેવી જરૂરી છે. આમ જરૂર જણાય ત્યારે “આચાર્યના પ્રતિનિધિ” તરીકે વર્તવા બીજા “વરિષ્ઠ શિષ્યો”નો ઉમેરો કરી પ્રણાલી પાછળનો હેતુ સિદ્ધ રહે તેની ખાતરી થઈ શકે છે.

૬) શ્રીલ પ્રભુપાદની વસિયતને પણ ધ્યાનમાં લઈ (જે દર્શાવે છે કે ભારતમાં કાયમી સંપત્તિ માટે તમામ ભાવિ અધિકારીઓ માત્ર તેમના “દીક્ષારંભ ગ્રહણ શિષ્યો” માંથી જ પસંદ કરાય), આ સ્પષ્ટ છે કે શ્રીલ પ્રભુપાદની ઇચ્છા આ પ્રણાલીને કાયમી ધોરણે ચલાવવાની હતી, જ્યાં જી.બી.સી. કેવળ બધી વસ્તુઓનું વ્યવસ્થાપન કરે.

આમ કહ્યા પછી એ હંમેશાં સંભવ છે કે જો શ્રીલ પ્રભુપાદ ઇચ્છે તો આ આદેશને રદ કરી શકતા હતા. જેમ અગાઉ જણાવ્યું તેમ પ્રતિ-આદેશ પણ એટલો જ સ્પષ્ટ અને એકઅર્થી હોવો જોઈએ જેટલો આ સ્વ-હસ્તાક્ષરિત પત્ર છે જેનાથી ઋત્વિક પ્રણાલી પ્રથમ અમલમાં મૂકાય. શ્રીકૃષ્ણ અને તેમના શુદ્ધ ભક્તો સાથે કંઈ પણ શક્ય છેઃ

 અખબાર તંત્રીઃ   “… હવે તમે આગેવાન અને આધ્યાત્મિક ગુરુ છો. તમારું સ્થાન કોણ લેશે?”
શ્રીલ પ્રભુપાદઃ  “એ તો કૃષ્ણનું ફરમાન હશે કે મારું સ્થાન કોણ લેશે.”
(મુલાકાત, ૧૪/૭/૧૯૭૬, ન્યૂ યોર્ક)

પરંતુ ભવિષ્યમાં કયો આદેશ થશે તે વિશે અટકળ લગાડવા કરતાં, અથવા તો આથીય વધુ ખરાબ, પોતાના આદેશો ઉપજાવવા કરતાં આપણા આચાર્ય તરફથી આપણને મળેલા આદેશોને અનુસરવામાં જ અમને સલામતી લાગે છે.


૨૬. “ઋત્વિક પ્રચારકો બસ ગુરુના શરણે જવા માંગતા નથી.”


આ આરોપ એવી ગેરસમજણ પર આધારિત છે કે ગુરુની શરણે જવા માટે ગુરુ પ્રત્યક્ષ હાજર હોવા જરૂરી છે. જો આવું જ હોત તો હાલ શ્રીલ પ્રભુપાદના મૂળ શિષ્યો પૈકી કોઈ તેમની શરણે જઈ શકે નહીં. ગુરુના શરણે જવાનો અર્થ તેમના આદેશોનું પાલન છે, અને આ કરવું શક્ય છે, પછી તેઓ પ્રત્યક્ષ હાજર હોય કે ન હોય. ઇસ્કૉનનો હેતુ તેમાં આવનારી તમામ વ્યક્તિઓને સંભવિતપણે અમર્યાદિત શિક્ષા સંબંધો મારફત યોગ્ય માર્ગદર્શન અને ઉત્સાહ પૂરો પાડવાનો છે. જેવી વર્તમાન જી.બી.સી. પોતે જ શ્રીલ પ્રભુપાદના આદેશને શરણે થાય, પછી આ જ પ્રણાલી પ્રાકૃત રીતે બીજાઓને પણ વધુ ને વધુ શરણે જવા પ્રેરિત કરશે, છેવટે કદાચ કટ્ટર ઋત્વિક કાર્યકરોને પણ આમ કરવામાં આકર્ષે.

જો તમામ ઋત્વિક પ્રચારકો ખરેખર હઠપૂર્વક ગુરુના શરણે જવા ઇચ્છતા ન હોત તોપણ તે ૯ જુલાઈ આદેશને રદ કરતું નથી. ઋત્વિક પ્રચારકો આક્ષેપિત આટલા અ-શરણીય છે તે પરથી જી.બી.સી. શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશનું પાલન કરવા વધુ ચિંતાતુર હોવી જોઈએ, બીજા કોઈ કારણોસર નહિ તો કેવળ વિરુદ્ધ પુરવાર કરવા ખાતર.


૨૭. “પરંતુ જો દીક્ષા ગુરુઓ જ ન હોય તો ભક્તોને માર્ગદર્શન અને સેવા આપવાનું કામ કોણ કરશે?”


દીક્ષા ગુરુ તો છે જઃ શ્રીલ પ્રભુપાદ, અને તેઓ પ્રત્યક્ષ હાજર હતા ત્યારે જેમ માર્ગદર્શન અને સેવા અપાતી તે જ રીતે આબેહૂબ અપાશે; તેમનાં પુસ્તકો વાંચીને તેમજ બીજા ભક્તો સાથે શિક્ષા-સંબંધો મારફતે. ૧૯૭૭ પૂર્વે, જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં જોડાતું ત્યારે તેઓને આગેવાન ભક્ત, સંકીર્તન આગેવાન, મુલાકાતી સંન્યાસીઓ, રસોઈ કરનાર, પૂજારી, મંદિર પ્રમુખ વગેરે મારફત આદેશ અપાતા. શ્રીલ પ્રભુપાદ તરફથી સીધું જ વ્યક્તિગત માર્ગદર્શન મળે એવું ખૂબ અસામાન્ય હતું, ખરેખર તો તેઓ પોતાના લખાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે આવી આંતરક્રિયાને સતત બિનપ્રોત્સાહિત કરતા હતા. અમારી સલાહ છે કે શ્રીલ પ્રભુપાદે જેમ ગોઠવણ કરી છે તે જ પ્રમાણે બધું ચાલવું જોઈએ.


૨૮. “ત્રણ પ્રસંગો પર શ્રીલ પ્રભુપાદ જણાવે છે કે તમને એક શારીરિક ગુરુ હોવા જરૂરી છે, અને આમ છતાં તમારી પૂરી દલીલ એ ખ્યાલ પર આધારિત છે કે તમને શારીરિક ગુરુની જરૂર નથી.”   


“આથી, જેવા આપણે કૃષ્ણમાં રુચિ લઈએ કે તરત જ તેઓ આપણાં હૃદયમાંથી આપણને અનુકુળ આદેશ આપે છે જેથી આપણે ઉત્તરોત્તર પ્રગતિ સાધી શકીએ, ઉત્તરોત્તર. કૃષ્ણ પ્રથમ આધ્યાત્મિક ગુરુ છે, અને જેવા આપણે વધુ રસ લઈએ ત્યારે આપણે એક શારીરિક આધ્યાત્મિક ગુરુની સન્મુખ જવું.”
(શ્રીલ પ્રભુપાદ, ભગવદ્‍-ગીતા પ્રવચન, ૧૪/૮/૧૯૬૬, ન્યૂ યૉર્ક)

“કારણ કે કૃષ્ણ દરેકના હૃદયમાં સ્થિત છે. ખરેખર તેઓ આધ્યાત્મિક ગુરુ છે, ચૈત્ય-ગુરુ. આમ આપણને મદદ કરવા તેઓ એક શારીરિક આધ્યાત્મિક ગુરુ તરીકે બહાર આવે છે.”
(શ્રીલ પ્રભુપાદ, શ્રીમદ્‌ ભાગવતમ્‌ પ્રવચન, ૨૮/૫/૧૯૭૪, રોમ)

“આથી ભગવાનને ચૈત્ય-ગુરુ કહેવામાં આવે છે, હૃદય સ્થિત આધ્યાત્મિક ગુરુ. અને શારીરિક આધ્યાત્મિક ગુરુ એ ભગવાનની કૃપા છે […] તેઓ તમને અંદર તથા બહારથી મદદ કરે; બહારથી એક આધ્યાત્મિક ગુરુના પ્રત્યક્ષ સ્વરૂપે, અને અંદરથી હૃદય સ્થિત આધ્યાત્મિક ગુરુ તરીકે.”
(શ્રીલ પ્રભુપાદ ખંડ વાર્તાલાપ, ૨૩/૫/૧૯૭૪)

શ્રીલ પ્રભુપાદે “શારીરિક ગુરુ” પરિભાષાનો પ્રયોગ એવું સમજાવવા કર્યો કે બદ્ધ સ્થિતિમાં આપણે માર્ગદર્શન માટે ચૈત્ય-ગુરુ કે પરમાત્મા પર સંપૂર્ણ નિર્ભર રહી શકતા નથી. એ જરૂરી છે કે આપણે પરમાત્માના બાહ્ય પ્રાગટ્યની શરણ લેવી જોઈએ. આ જ દીક્ષા ગુરુ છે. આવા આધ્યાત્મિક ગુરુ જેમને આધ્યાત્મિક જગત નિવાસી તેમજ ભગવાન શ્રીકૃષ્ણના સંનિષ્ઠ સંગી ગણવામાં આવે છે તેઓ પતિત બદ્ધ જીવોને માર્ગદર્શન આપવા માટે પોતે શારીરિક રીતે પ્રગટ થાય છે. ઘણી વાર આવા આધ્યાત્મિક ગુરુ શારીરિક પુસ્તકો લખે છે; તેઓ પ્રવચનો આપે છે જે શારીરિક કર્ણોથી સાંભળી શકાય છે અને શારીરિક ટેપ યંત્રો પર નોંધી શકાય છે; તેઓ તેમના શારીરિક પ્રસ્થાન બાદ શારીરિક પ્રતિમાઓ અને સર્વ-સંચાલન ચાલુ રાખવા હેતુ એક શારીરિક જી.બી.સી. પણ છોડી જાય છે. 

પરંતુ ગુરુ તરીકે વર્તવા આ શારીરિક ગુરુ શારીરિક રીતે પણ હાજર હોવા જોઈએ એવું શ્રીલ પ્રભુપાદે કદી શીખવ્યું નથી. જેમ અમે દર્શાવ્યું, જો આવું જ હોત તો હાલ કોઈ પણ તેમનું શિષ્ય ન ગણાય. દિવ્ય જ્ઞાનના પ્રસાર હેતુ જો ગુરુ હંમેશાં શારીરિક રીતે હાજર હોવા જરૂરી હોય તો જેવા શ્રીલ પ્રભુપાદ આ ગ્રહ છોડી ગયા ત્યારે તેમના તમામ શિષ્યોએ “પુનઃદીક્ષારંભ” લેવું જોઈતું હતું. તદ્‍ઉપરાંત, શ્રીલ પ્રભુપાદના હજારો શિષ્યોનું દીક્ષારંભ શ્રીલ પ્રભુપાદના શારીરિક સંપર્ક વગર થયું હતું. તેમ છતાં, એવું સ્વીકારવામાં આવે  છે કે તેઓ શારીરિક ગુરુની સન્મુખ ગયા, પરિપ્રશ્ન કર્યા, શરણ લીધી, સેવા કરી અને દીક્ષાનો આરંભ થયો. કોઈ એવી દલીલ કરતું નથી કે આ ઉપરોક્ત ત્રણ અવતરણોને કારણે તેઓનાં દીક્ષારંભ નિરર્થક ગયાં.


૨૯. “શું દીક્ષા ગુરુ બદ્ધ જીવ ન હોય શકે?”


જેમ અમે દર્શાવ્યું, શ્રીલ પ્રભુપાદની તમામ શિક્ષાઓમાં માત્ર એક જ સ્થળે દીક્ષા ગુરુની લાયકાતનો વિશેષ ઉલ્લેખ છે (શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય, ૨૪.૩૩૦). શ્રીચૈતન્ય-ચરિતામૃતનો આ એ વિભાગ છે જ્યાં વિશેષ દીક્ષા સંબંધિત વાતો થાય છે. આ અવતરણમાં સ્પષ્ટપણે પ્રસ્થાપિત થાય છે કે દીક્ષા ગુરુ એક મહા-ભાગવત હોવા જોઈએ. શ્રીલ પ્રભુપાદ દ્વારા “હોવા જોઈએ” અને “માત્ર” જેવા શબ્દોનો પ્રયોગ સંબંધિત નોંધનીય મુદ્દો છે. આનાથી વધુ કહેવું શક્ય નથી. દીક્ષા ગુરુ બદ્ધ જીવ હોય શકે એવું જણાવતાં કોઈ અવતરણો નથી. આ કોઈ આશ્ચર્ય નથી, નહિતર શ્રીલ પ્રભુપાદ ગુરુ તત્વમાં એક વિરોધાભાસનો પ્રચાર કરતા જણાય. એવાં અવતરણો છે જે એવી છાપ આપતાં જણાય કે આ અવતરણો એક બદ્ધ ગુરુના સમર્થનમાં છે, પરંતુ આવાં અવતરણો મુખ્યત્વે બે વિભાગોમાં પડે છેઃ

૧) શિક્ષા ગુરુની લાયકાત સંબંધિત અવતરણોઃ આ અવતરણોમાં ભાર આપવામાં આવે છે કે એક ગુરુ તરીકે વર્તવું કેટલું સરળ છે, કેવી રીતે એક બાળક પણ કરી શકે, અને આ સામાન્યતઃ ભગવાન શ્રીચૈતન્યના આમાર આજ્ઞા Åલોક સાથે સંબંધિત છે.

૨) ગુરુપદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું વર્ણન કરતાં અવતરણોઃ આ અવતરણોમાં સામાન્યતઃ “બનવું” શબ્દ છે. આ એ કારણસર કે પ્રસ્તુત પ્રક્રિયાને “ચુસ્તપણે અનુસરી” કોઈ પણ પ્રગતિ સાધી શકે અને ગુરુપદ માટે પોતે લાયક ઠરી શકે. આ રીતે કોઈ ગુરુ “બની” શકે. આ અવતરણોમાં એવું નથી જણાવ્યું કે પરિણામી ગુરુની લાયકાત મહા-ભાગવત કરતાં સહેજ ઓછી હોય. આ અવતરણો સામાન્યતઃ પ્રક્રિયાનું જ વર્ણન કરે છે.

અમે આને સંક્ષિપ્ત રાખ્યું છે કારણ કે આ એવો વિષય છે જેના પર એક બીજો લેખ લખી શકાય; વધુ અગત્યની વાત તો આ એવો વિષય છે કે જેનો પ્રસ્તુત મુદ્દા સાથે કોઈ સીધો સંબંધ નથી—કહીએ તો શ્રીલ પ્રભુપાદે ખરેખર શું આદેશ આપ્યો હતો. ફક્ત એ કારણસર કે દીક્ષા ગુરુ એક મહા-ભાગવત હોવા જોઈએ એનો અર્થ એવો નથી કે આપણને ઋત્વિક પ્રણાલી જ હોવી જોઈએ, અથવા તો શ્રીલ પ્રભુપાદે આવી પ્રણાલી સ્થાપી. આથી વિરુદ્ધ, જો દીક્ષા ગુરુની લાયકાત ન્યૂનતમ હોત તોપણ તેનો અર્થ એ નથી કે શ્રીલ પ્રભુપાદે ઋત્વિક પ્રણાલીનો આદેશ ન આપ્યો. આપણે કેવળ શ્રીલ પ્રભુપાદે શું કર્યું તે જ પરીક્ષણ કરવું અને તેનું જ અનુસરણ કરવું; નહિ કે શ્રીલ પ્રભુપાદે શું કરવું જોઈતું હતું. આ લેખ શ્રીલ પ્રભુપાદના ખરા અંતિમ આદેશો સાથે સવિસ્તૃત સંબંધિત છે.


૩૦. “દરેક વસ્તુના સંચાલન માટે શ્રીલ પ્રભુપાદે જી.બી.સી.ને સર્વોપરિતા આપી અને તેઓએ દીક્ષારંભનું સંચાલન આ પ્રમાણે કરવાનું પસંદ કર્યું છે.”



“ઠરાવઃ શ્રી શ્રીમદ્‍ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જેઓ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના સંસ્થાપક-આચાર્ય અને પરમ સત્તા છે તેમણે આ સંઘના સંચાલનની જવાબદારીના નિભાવમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા જી.બી.સી.ની (વહીવટી મંડળ આયોગ) સ્થાપના કરી છે. જી.બી.સી. તેમના દિવ્ય આદેશોને તેના પ્રાણ અને આત્મા તરીકે સ્વીકારે છે, તેમજ એવું જાણે છે કે તે સર્વ પ્રકારે તેમની કૃપા પર સંપૂર્ણ નિર્ભર છે. શ્રી શ્રીમદ્‍ દ્વારા અપાર કૃપાથી અપાયેલા આદેશોના અમલ તેમજ તેમની શિક્ષાઓનો સમગ્ર વિશ્વમાં તેના શુદ્ધ સ્વરૂપે પ્રચાર અને સંચય કરવા સિવાય જી.બી.સી.નું બીજું કોઈ કાર્ય કે હેતુ નથી.”
(જી.બી.સી.ની વ્યાખ્યા, ઠરાવ ૧, જી.બી.સી. નોંધ ૧૯૭૫)

“વ્યવસ્થાપન પ્રણાલી જેમ હાલ છે તેમ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફારની જરૂર નથી.”
(શ્રીલ પ્રભુપાદનું વસિયતનામું, ૪ જૂન, ૧૯૭૭)


“ધારાધોરણો મેં તમને આપી દીધાં છે, હવે તેને પ્રમાણિત પદ્ધતિ પ્રમાણે હંમેશાં નિભાવવાની કોશિશ કરો. કશું નવું-જૂનું કે ઉપજાવવાની કોશિશ કરવી નહિ જેનાથી બધું નાશ થાય.”  (બલિ મર્દન અને પુષ્ટ કૃષ્ણને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૮/૯/૧૯૭૨)

“હવે મેં આપણા કૃષ્ણભાવનામૃત સંઘનાં ધારાધોરણનાં નિભાવ માટે જી.બી.સી.ને કાર્યરત કરી છે, આથી જી.બી.સી.ને પૂરા નિરીક્ષણમાં રાખો. મેં તમને મારાં પુસ્તકોમાં પૂરું માર્ગદર્શન આપી દીધું છે.”  (સત્‌‍સ્વરૂપને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૩/૯/૧૯૭૦)

“મેં મૂળ ૧૨ જી.બી.સી. સભ્યોની નિમણૂક કરી છે, અને મેં તેમને વહીવટ અને વ્યવસ્થાપન માટે ૧૨ ક્ષેત્રો આપી દીધાં છે, પરંતુ કેવળ સાઠગાંઠથી તમે બધું બદલી નાખ્યું, તો આ શું છે, મને ખબર પડતી નથી.” (રૂપાનુગાને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૪/૪/૧૯૭૨)

“હું અહીં ન રહીશ ત્યારે શું થશે? શું જી.બી.સી. બધું બગાડી મૂકશે?” (હંસદૂત્તને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૧/૪/૧૯૭૨)

જી.બી.સી. મંડળે શ્રીલ પ્રભુપાદ રચિત ધારાધોરણોમાં પૂરેપૂરું રહી વર્તવું જોઈએ. એ જોતાં દુઃખ થાય છે કે શ્રીલ પ્રભુપાદના પ્રતિનિધિ મંડળે છૂટછાટ કરી, કેમ કે એ તેમની ઇચ્છા હતી કે તેમના માર્ગદર્શન હેઠળ દરેક જણ સાથ-સહકાર આપે.  


ચાલો આપણે સૌ શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશની
દિશામાં સાથ-સહકાર આપીએ.




નિષ્કર્ષ


અમને આશા છે કે તમને હવે ઇસ્કૉનમાં ભાવિ દીક્ષારંભ વિષયક શ્રીલ પ્રભુપાદના અગત્યના અંતિમ આદેશ પ્રત્યે ઊંડી કદર થઈ હોય. જો અમારા કોઈ પણ પ્રસ્તુત ભાગથી કોઈની પણ લાગણી દુભાઈ હોય તો અમે માફી માંગીએ છીએ; કોઈની લાગણી દુભાય એવો અમારો ઇરાદો ન હતો, આથી કૃપા કરી અમારી અપૂર્ણતાઓને માફ કરશો.

આ સાથે ભાર મૂકતાં અમે આ લેખ શરૂ કર્યો હતો કે અમે એટલા તો ચોક્કસ છીએ કે જો કોઈ ભૂલ થઈ હોય તો તે જાણીજોઈને કરાઈ નથી, અને આથી કોઈના પર બાખડવું અથવા આરોપ લગાડી બિનજરૂરી ઊર્જા વ્યય કરવાની જરૂર જણાવી ન જોઈએ. એ સત્ય છે કે જ્યારે આચાર્ય પ્રસ્થાન કરે છે ત્યારે આપોઆપ કંઈક ગૂંચવાડો ઊભો થાય છે. જો એ ધ્યાનમાં લેવામાં આવે કે આ આંદોલન બીજા ન્યૂનતમ ૯૫૦૦ વર્ષો સુધી ચાલવા નિર્મિત થયેલું છે, ત્યારે ઓગણીસ વર્ષનો ગૂંચવાડો ખરેખર ખૂબ નજીવો છે. હવે સમય શું ખોટું બન્યું હતું તે ભૂલી, આપણી ભૂલોમાંથી શીખી, ભૂતકાળને પાછળ મૂકી ઇસ્કૉનને વધુ સારું બનાવવા સૌ સાથે મળી કામ કરવાનો છે.

ઋત્વિક પ્રણાલીને સહજપણે, કદાચ તબક્કાવાર, અમલમાં મૂકવાની જરૂર જણાય એમ લાગે છે. કદાચ ટૂંક સમય પૂરતું, પૂર્વનિર્ધારિત સમયગાળા માટે, ખોટું તણાવ તથા ખલેલ ટાળવા હેતુ આ પ્રણાલી એમ.એ.એસ.એસ.ની સાથે પણ ચલાવી શકાય. આવા મુદ્દાઓ કાળજીપૂર્વક ચર્ચા અને વિચારણા માંગી લે તેમ છે. જ્યાં સુધી આપણું ધ્યેય શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશને પુનઃસ્થાપિત કરવાનું છે ત્યારે તેમાં દરેકની લાગણીઓને સહજપણે ધ્યાનમાં લેવાની શક્યતા રહેલી છે. ભક્તોને વ્યવસ્થિત થવા સમય આપી આપણે તેઓ સાથે કાળજી અને વિચારપૂર્વક વ્યવહાર કરીએ. જો એક સવિસ્તૃત કાર્યક્રમ યોજવામાં આવે જેમાં ગુરુ અને દીક્ષારંભ વિષયક શ્રીલ પ્રભુપાદની શિક્ષાઓ અને આદેશોને પદ્ધતિસર પ્રસ્તુત કરવામાં આવે તો અમને પૂરો વિશ્વાસ છે કે નજીવા વ્યવધાન અને મનદુઃખ સાથે ઝડપથી બધું સુધરી શકે છે.

જેવા આ સાથે સંમત થાવ કે ઋત્વિક પ્રણાલી જ આગલો માર્ગ છે ત્યારે આ મુદ્દાના બંન્ને પક્ષે જે દુશ્મનાવટ ઊભી થઈ છે તેને દૂર કરી શકાય તેવા શીત-કાળની જરૂર રહે છે. એવા આશ્રયો યોજી શકાય જ્યાં બંન્ને પક્ષો એકમેક સાથે મળે અને મિત્રો બનાવી શકે. દુર્ભાગ્યવશ, હાલ ઘણી અપરિપક્વતા છે; કેટલાક ઋત્વિક પ્રચારકોને પણ એટલી જ અપરિપક્વતા છે જેટલી બીજા કોઈને હોય. સાચે જ, અમારા વિશે અમે નથી માનતા કે શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન સમયે જો અમે વરિષ્ઠ શિષ્યો હોત તો અમે જરૂર કંઈક અલગ કર્યું હોત અથવા વધુ સારી રીતે વર્તન કર્યું હોત. કદાચ તો અમારાથી પરિસ્થિતિ આથીય વધુ ખરાબ બની હોત.

અમારા અનુભવમાં ઇસ્કૉનમાં ઘણા ભક્તોને, સૌથી વરિષ્ઠ ભક્તોને પણ, કદી ઋત્વિક મુદ્દા પર બારીકાઈથી વિસ્તૃતમાં પરીક્ષણ કરવાની તક સાચે જ મળી ન હતી. દુર્ભાગ્યે, વ્યક્તિગત આક્રમણ અને નજીવી ફિલસૂફીથી ભરેલું થોડુંક ઋત્વિક લખાણ કોઈને પણ ચૂપ કરવા પર્યાપ્ત છે. અમને લાગે છે ત્યાં સુધી ઉત્તમ ઉપાય એ છે કે જી.બી.સી. પોતે જ આ મુદ્દાને ઉકેલે. તેમની સમક્ષ સાચી માહિતી સાથે અમને વિશ્વાસ છે કે સમય સાથે બધું સુધરી જશે. અસંતુષ્ટ અને કડવાશ અનુભવતા ભક્તોના સમૂહ દ્વારા પરિવર્તન લાવવા સતત દબાણમાં રહેવા કરતાં આ વધુ આવકાર્ય લાગે છે, આવા ભક્તોના સમૂહમાં કેટલાકને તો કદાચ શ્રીલ પ્રભુપાદના અંતિમ આદેશ સાથે સુસંગત ન હોય તેવાં ધ્યેય પણ હોય.

જરૂર, અમે પણ બદ્ધ જીવની ચાર ખામીઓ હેઠળ જ આવીએ છીએ, અને આથી કોઈ ટીકા કે ટિપ્પણીને હાર્દિક આવકારીએ છીએ. આ પુસ્તક લખવામાં અમારી મુખ્ય આશા છે કે, આમાંથી જે ચર્ચા પ્રેરિત થાય તે કદાચ શ્રી શ્રીમદ્‍ના પ્રસ્થાન બાદ ઇસ્કૉનમાં થયેલા આ લાંબા અને ગૂંચવણભર્યા વિવાદના ઉકેલ તરફ દોરી જાય. કૃપા કરી અમારી ભૂલચૂક માફ કરશો. શ્રીલ પ્રભુપાદની જય.

કેવળ શ્રીલ પ્રભુપાદ જ આપણને એકજૂથ કરી શકે.



ઋત્વિક એટલે શું?


ઋત્વિકની વ્યાખ્યા ઘણી વાર આવી બે ખોટી રીતે આપવામાં આવે છેઃ

૧) મૂલ્યહીન પૂજારીઓ, કેવળ કાર્યકારીઓ, જેઓ યાંત્રિક ઢબે કેવળ આધ્યાત્મિક નામ આપે છે.
૨) શિખાઉ દીક્ષા ગુરુઓ જેઓ પૂર્ણ લાયક ન બને ત્યાં સુધી જ ઋત્વિકો તરીકે વર્તે છે, અને પૂર્ણ લાયક બનતાં જ તેઓ પોતાના વતી દીક્ષારંભ કરે છે.

આપણે હવે આ વ્યાખ્યાઓને શ્રીલ પ્રભુપાદ દ્વારા અપાયેલી ઋત્વિકની ભૂમિકા સાથે સરખાવીશું.

પ્રથમ વ્યાખ્યા (૧) જોઈએ. ઋત્વિક તરીકેનું પદ ઘણું જવાબદારીભર્યું છે. આ સમજી શકાય છે કેમ કે શ્રીલ પ્રભુપાદે વિશેષરૂપે એવા ૧૧ ભક્તો પસંદ કર્યા હતા જેમનો તેમની સંસ્થામાં મોટી જવાબદારી લેવાનો સરસ રેકોર્ડ હતો. આ નામ તેમણે એમ જ નથી આપ્યાં. આમ ભલે મોટે ભાગે તેમનું કાર્ય એક નિત્યક્રમ હતું, પરંતુ તેઓ દીક્ષારંભ માટે જરૂરી ચુસ્ત પ્રમાણોમાં થયેલાં વિચલનોને પ્રથમ પારખવા માટે પણ હતા. જેમ કે પોલીસનું કાર્ય સામાન્યપણે રોજબરોજનું હોય છે કારણ કે મોટે ભાગે લોકો નિયમબદ્ધ હોય છે, છતાં તેઓ પ્રથમ વ્યક્તિ હોય છે જેમને કોઈ ગુનો આચરવામાં આવ્યો હોય તેની જાણ હોય. શ્રીલ પ્રભુપાદ ઘણી વાર ચિંતા દાખવતાં કે દીક્ષારંભ માત્ર ત્યારે જ થવું જોઈએ જ્યારે કોઈ વિદ્યાર્થીએ ન્યૂનતમ છ માસ સુધી સાબિત કર્યું હોય કે તેઓ દરરોજ ૧૬ માળા કરી શકે છે, ચાર નીતિ-નિયમોનું પાલન કરે છે, તેમનાં પુસ્તકો વાંચે છે, વગેરે. જો મંદિર પ્રમુખ ઋત્વિકને એવા વિદ્યાર્થીઓની ભલામણ કરવાનું શરૂ કરે જેઓ આ આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હોય તો ઋત્વિકને દીક્ષારંભ રોકવાની સત્તા છે. આમ ઋત્વિક શ્રીલ પ્રભુપાદે આ ગ્રહ છોડ્યો ત્યારે ઇસ્કૉનમાં જે ધારાધોરણો હતાં તે ધારાધોરણો જળવાઈ રહે તે જોવાની ખાતરી કરે છે.

ચોક્કસ ઋત્વિક પોતે ચુસ્તપણે પાલન કરતા હોય, અને તે દ્વારા તેઓ એક લાયક શિક્ષા ગુરુ હોય. દીક્ષારંભ ગ્રહણ કરેલા વ્યક્તિઓ સાથે ઋત્વિકનો શિક્ષા સંબંધ છે કે નથી તે એક અલગ મુદ્દો છે. તેમને શિક્ષા સંબંધ હોય શકે અથવા ન પણ હોય શકે. જે ભક્ત ઋત્વિક પદ ધારણ કરે છે તેમના માટે તેમનો ઋત્વિક હોદ્દો તેમના શિક્ષા ગુરુ તરીકેના હોદ્દા કરતાં અલગ અને ભિન્ન છે, પછી ભલે કેટલીક વાર બંન્ને હોદ્દાઓ મિશ્ર થતા હોય. શ્રીલ પ્રભુપાદ હાજર હતા ત્યારે નવા દીક્ષારંભ ગ્રહણ ભક્તોને તેમના ક્ષ્રેત્રમાં કાર્યરત ઋત્વિકને મળવાની આવશ્યકતા પણ ન હતી. દીક્ષારંભ વિધિ ઘણી વાર મંદિર પ્રમુખ દ્વારા કરવામાં આવતી, દીક્ષારંભ ગ્રહણ ભક્તનું નામ તેમના નિયુક્ત ઋત્વિક તરફથી ટપાલમાં આવતું. તે જ સમયે આપણે જોઈ શકીએ છીએ કે એનું કોઈ કારણ નથી કે શા માટે ઋત્વિકે નવા દીક્ષારંભ ગ્રહણ ભક્તોને ન મળવું જોઈએ, અને વિધિ પણ ન કરવી જોઈએ, જો આવી વ્યવસ્થા સ્થાનિક મંદિર સ્તરે જ થઈ જતી હોય.

આપણે હવે વ્યાખ્યા (૨) નું પરીક્ષણ કરીશું. જેમ અમે ઘણી વખત જણાવ્યું છે, શિષ્ય સ્વીકારવા માટે તેઓ એક પૂર્ણ રીતે અધિકૃત મહા-ભાગવત હોવા જરૂરી છે. શ્રીલ પ્રભુપાદના પ્રસ્થાન પહેલાં એમણે એક પ્રણાલી સ્થાપી જે મુજબ ઇસ્કૉનમાં તેમના સિવાય કોઈ પણ દીક્ષારંભ આપી ન શકે. આમ, ઇસ્કૉનના સમયકાળ દરમ્યાન શ્રીલ પ્રભુપાદ સિવાય કોઈને પણ તેઓના પોતાના વતી દીક્ષારંભ આપવાની અધિકૃતિ નથી. આમ જો ઋત્વિક, અથવા તે બાબતે બીજું કોઈ પણ, મહા-ભાગવતનું સ્તર પ્રાપ્ત કરે તો તેઓને પણ ઇસ્કૉનમાં રહેવા ઋત્વિક પ્રણાલીનું જ અનુસરણ કરવું પડે. આપણને ૯ જુલાઈ ૧૯૭૭ના રોજ એક આદેશ આપવામાં આવ્યો, અને તેમાં ઋત્વિકો દીક્ષા ગુરુઓમાં પરિવર્તન પામે એવું કશું જ નથી.

ઋત્વિકોનું કાર્ય શું છે તથા તેમની નિયુક્તિ કેવી રીતે થાયઃ

(અ)
ઋત્વિક શિષ્ય સ્વીકારે છે; દીક્ષારંભ ગ્રહણ નવા ભક્તોને આધ્યાત્મિક નામ આપે છે; માળા પર જાપ કરી આપે, તથા દ્વિતીય દીક્ષારંભમાં ગાયત્રી મંત્ર આપે છે – આ બધું તેઓ શ્રીલ પ્રભુપાદ વતી કરે છે (કૃપા કરી જુઓ પૃષ્ઠ ૧૦૯ પર ૯ જુલાઈ પત્ર). ઇસ્કૉનમાં દીક્ષારંભ પદ્ધતિઓ અને ધારાધોરણો પર નજર રાખતા જવાબદાર ભક્તો હોય તે માટે શ્રીલ પ્રભુપાદે પસંદ કરેલી આ પદ્ધતિ હતી. ઋત્વિક મંદિર પ્રમુખો દ્વારા કરવામાં આવેલી તમામ ભલામણોનું નિરીક્ષણ કરે છે, અને ખાતરી કરે છે કે ભાવિ શિષ્યો સાધના-ભક્તિના આવશ્યક ધારાધોરણોને અનુસરે છે.

(બ) ઋત્વિક એક પૂજારી છે અને આથી તેઓ એક લાયક બ્રાહ્મણ હોવા જરૂરી છે. ઋત્વિકોની નિયુક્તિ વેળા, શ્રીલ પ્રભુપાદે પહેલા “વરિષ્ઠ સંન્યાસીઓ” પસંદ કર્યા, જોકે તેમણે સંન્યાસી ન હોય તેવા વ્યક્તિઓ પણ પસંદ કર્યા (કૃપા કરી જુઓ પરિશિષ્ટમાં ૭ જુલાઈ વાર્તાલાપ, પૃષ્ઠ ૧૨૮). સમગ્ર વિશ્વમાં દીક્ષારંભ પ્રક્રિયા સરસરીતે ચાલે તેની ખાતરી માટે નિયુક્ત ઋત્વિકો વરિષ્ઠ અને જવાબદાર વ્યક્તિઓ હતા.

(ક) ભાવિ ઋત્વિકોની નિયુક્તિ જી.બી.સી. કરી શકે છે. ઋત્વિકોની નિમણૂક, તેમને ઠપકો આપવાની કે બરખાસ્ત કરવાની રીત હાલ ઇસ્કૉનમાં જી.બી.સી. જે રીતે દીક્ષા ગુરુઓનું સંચાલન કરે છે લગભગ તેના જેવી જ હોય. આ ચોક્ક્સ શ્રીલ પ્રભુપાદ દ્વારા જી.બી.સી.ને આપવામાં આવેલી સત્તામાં જ આવે છે, કેમ કે જી.બી.સી. પાસે સંન્યાસીઓ, ટ્રસ્ટીઓ, ક્ષેત્રિય સચિવો વગેરે વરિષ્ઠ વ્યક્તિઓની પસંદગી અને પરીક્ષણ કરવાની સત્તા હતી, તમાલ કૃષ્ણ ગોસ્વામીએ પણ ૧૯૮૦માં “તોપંગા કૅન્યન” સભામાં સ્વીકાર્યું કે જી.બી.સી. દ્વારા બીજા ઋત્વિકો ઉમેરી શકાય (કૃપા કરી જુઓ પરિશિષ્ટ પૃષ્ઠ ૧૩૩).

આમ સારાંશમાં, ઋત્વિક પ્રણાલીનું સંચાલન એ જ રીતે થાય જેમ શ્રીલ પ્રભુપાદ આ ગ્રહ પર ઉપસ્થિત હતા ત્યારે થતું. જુદા જુદા પક્ષો વચ્ચે ભાવ, વલણ, સંબંધ વગેરે પણ તેમ જ ચાલુ રહે જેમ ૧૯૭૭માં ચાર માસના ટૂંકા સમયગાળા દરમ્યાન હતા. જેમ શ્રીલ પ્રભુપાદે તેમની વસિયતની કલમ (૨) માં ભારપૂર્વક જણાવ્યું: 

“વ્યવસ્થાપન પ્રણાલી જેમ હાલ છે તેમ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફારની જરૂર નથી.”



દીક્ષા

“દીક્ષા એક પ્રક્રિયા છે જે દ્વારા દરેક તેમનાં આધ્યાત્મિક જ્ઞાનને જાગૃત કરી શકે છે અને પાપકર્મથી થયેલી તમામ પ્રતિક્રિયાઓનો ક્ષય કરી શકે છે. પ્રાગટ શાસ્ત્રોનાં અભ્યાસમાં નિપુણ વ્યક્તિ આ પ્રક્રિયાને દીક્ષા તરીકે જાણે છે.” (શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય, ૧૫.૧૦૮)









શ્રીલ પ્રભુપાદની શિક્ષાઓમાંથી અનુરૂપ અવતરણો

શું ગુરુ શારીરિક રીતે ઉપસ્થિત હોવા જરૂરી છે?

“શારીરિક હાજરી જરૂરી નથી; આધ્યાત્મિક ગુરુ પાસેથી પ્રાપ્ત દિવ્ય ધ્વનિની હાજરી જ જીવનનું માર્ગદર્શન હોવું જોઈએ. આ જ આપણા જીવનને સફળ બનાવે. જો તમને મારી ગેરહાજરીમાં તીવ્ર વિયોગ લાગતો હોય તો તમે મારાં બેઠક સ્થાનોએ મારાં ચિત્રો મૂકી શકો છો અને આ જ તમારા માટે પ્રેરણાનો સ્ત્રોત રહેશે.”
(બ્રહ્માનંદ અને બીજા શિષ્યોને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૯/૧/૧૯૬૭)

“પરંતુ હંમેશાં યાદ રાખજો કે હું હંમેશાં તમારી સાથે જ છું. જેમ તમે હંમેશાં મારો વિચાર કરો છો હું પણ હંમેશાં તમારા વિશે વિચારું છું. ભલે શારીરિક રીતે આપણે એક સાથે નથી, પણ આધ્યાત્મિક રીતે આપણે વિખૂટા નથી. આમ આપણે માત્ર આ આધ્યાત્મિક જોડાણ સાથે જ નિસ્બત રાખવો.”
(ગૌરસુંદરને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૩/૧૧/૧૯૬૯)


“આમ આપણે વાણી સાથે સંગ કરવો, શારીરિક ઉપસ્થિતિ સાથે નહિ. આ જ સાચો સંગ છે.”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૧૮/૦૮/૧૯૬૮)

“ઉપસ્થિતિની કલ્પના બે રીતે થાય છે – શારીરિક કલ્પના અને વાણી કલ્પના. શારીરિક કલ્પના નાશવંત છે જ્યારે વાણી કલ્પના સનાતન છે. […] જ્યારે આપણને કૃષ્ણ કે આધ્યાત્મિક ગુરુનો વિરહ લાગે ત્યારે આપણે ફક્ત તેમના શાબ્દિક આદેશોને યાદ કરવાનો પ્રયત્ન કરવો, અને ત્યાર પછી આપણને આ વિરહ નહિ લાગે. કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ સાથે આવો સંગ વાણી થકી હોવો જોઈએ, શારીરિક હાજરી થકી નહિ. આ જ સાચો સંગ છે.”
(કૃષ્ણભાવનામૃતમાં પ્રગતિ, પ્રકરણ ૪)

“ભલે ભૌતિક દ્રષ્ટિએ શ્રી શ્રીમદ્‍ શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર પ્રભુપાદ ૧૯૩૬ ડિસેમ્બરની અંતિમ તારીખના રોજ આ ભૌતિક જગતમાંથી જતા રહ્યા, પરંતુ તેમની વાણી, તેમના શબ્દો દ્વારા તેઓ મારી સાથે જ છે એમ હજુ પણ હું માનું છું. સંગ બે રીતે થાય છે- વાણી દ્વારા અને વપુહ દ્વારા. વાણી મતલબ શબ્દો અને વપુહ એટલે શારીરિક ઉપસ્થિતિ. શારીરિક ઉપસ્થિતિ કોઈક વાર પ્રશંસનીય હોય છે અને કેટલીક વાર નહિ, પરંતુ વાણી સનાતન રહે છે. આથી આપણે વાણીનો જ લાભ લેવો જોઈએ, શારીરિક હાજરીનો નહિ.” 
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, અંત્ય-લીલા, સમાપન શબ્દો)

“આમ આપણે વાણીનો લાભ લેવો જોઈએ, શારીરિક હાજરીનો નહિ.”
(સૂચિ-દેવી દાસીને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૪/૧૧/૧૯૭૫)

“જેમ હું મારા ગુરુ મહારાજ પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન મેળવું છું તેમ હું તમારો વ્યક્તિગત માર્ગદર્શક રહીશ, શારીરિક રીતે હાજર હોઉં કે ન હોઉં.”
(શ્રીલ પ્રભુપાદ ખંડ વાર્તાલાપ, વૃંદાવન, ૧૪/૭/૧૯૭૭)

“કેટલીક વાર એવી ગેરસમજણ ઊભી થાય છે કે સેવા-ભક્તિમાં મગ્ન વ્યક્તિઓ સાથે જો કોઈને સંગ થાય તો તે આર્થિક સમસ્યા ઉકેલવા સક્ષમ ન રહે. આ દલીલનો ઉત્તર આપવા, અહીં એવું વર્ણન છે કે મુક્તિ પામેલા વ્યક્તિઓ સાથે દરેકે સંગ કરવો, પ્રત્યક્ષ શારીરિક રીતે નહિ, પરંતુ જીવનની સમસ્યાઓને ફિલસૂફી તથા તર્ક થકી સમજીને.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૩.૩૧.૪૮, ભાવાર્થ)

“હું હંમેશાં તમારી સાથે જ છું, જો હું શારીરિક રીતે ઉપસ્થિત ન હોઉં તો કશી ચિંતા કરવી નહિ.”
(જયાનંદને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૬/૯/૧૯૬૭)

    પરમાનંદઃ   “શ્રીલ પ્રભુપાદ, કેવળ તમારી શિક્ષાઓ અને તમારા આદેશો દ્વારા અમને તમારી હાજરીનો તીવ્ર અનુભવ થાય છે. અમે તમારા આદેશોનું હંમેશાં ચિંતન કરીએ છીએ.”
શ્રીલ પ્રભુપાદઃ  “તમારો આભાર. આ જ સાચી ઉપસ્થિતિ છે. શારીરિક ઉપસ્થિતિ અગત્યની નથી.”
(ખંડ વાર્તાલાપ, ૬/૧૦/૧૯૭૭, વૃંદાવન)

“તમે લખો છો કે તમને ફરી મારો સંગ હોવાની ઇચ્છા છે, પરંતુ તમે શા માટે ભૂલો છો કે તમે હંમેશાં મારા સંગમાં જ છો? જ્યારે તમે મારા ભગવત-કાર્યમાં મદદ કરો છો ત્યારે હું હંમેશાં તમારો વિચાર કરું છું અને તમે હંમેશાં મારા વિશે વિચારો છો. આ જ સાચો સંગ છે. જેમ કે હું હંમેશાં મારા ગુરુ મહારાજનો હર ક્ષણ વિચાર કરું છું, ભલે તેઓ શારીરિક રીતે હાજર નથી, અને કેમ કે હું મારી ઉત્તમ ક્ષમતા પ્રમાણે તેમની સેવા કરવાનો પ્રયાસ કરું છું, મને વિશ્વાસ છે કે તેઓ મને તેમના આધ્યાત્મિક આશીર્વાદથી મદદ કરે છે. આમ સંગ કરવાના બે પ્રકારો છેઃ શારીરિક અને આદેશનું પાલન. શારીરિક સંગનું એટલું મહત્વ નથી જેટલું આદેશનું આચરણ કરી સંગ કરવાનું મહત્વ છે.”
(ગોવિંદ દાસીને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૭/૮/૧૯૬૯)

“જ્યાં સુધી મારા આશીર્વાદનો પ્રશ્ન છે, તે માટે મારી શારીરિક હાજરીની જરૂર રહેતી નથી. જો તમે ત્યાં હરે કૃષ્ણનો જાપ કરતા હોવ તથા પુસ્તકો વાંચી, માત્ર કૃષ્ણ પ્રસાદ લઈ, વગેરે મારા આદેશોને અનુસરતા હોવ તો પછી તમને ભગવાન શ્રીચૈતન્ય જેમના કાર્યને હું નમ્રભાવે આગળ ધપાવવાનો પ્રયાસ કરું છું તેમના આશીર્વાદ ન મળવાનો પ્રશ્ન જ રહેતો નથી.”
(બાલ કૃષ્ણને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૩૦/૬/૧૯૭૪)

“જેમણે ભગવાન અને આધ્યાત્મિક ગુરુમાં અડગશ્રદ્ધા વિકસાવી છે તેઓ અલૌકિક શાસ્ત્રોને સમજી શકે છે. આમ તમારો વર્તમાન પ્રયાસ ચાલુ રાખો અને તમે તમારી આધ્યાત્મિક પ્રગતિમાં સફળ થશો. મને વિશ્વાસ છે કે જો હું તમારી સમક્ષ પ્રત્યક્ષ હાજર ન રહું તોપણ જો તમે ઉપરોક્ત સિદ્ધાંતોને અનુસરો તો તમે કૃષ્ણભાવનામૃતમાં તમામ કાર્યો કરવામાં સક્ષમ રહેશો.”
(સુબલને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૯/૯/૧૯૬૭)

“આમ ભલે શારીરિક દેહ ન રહે છતાં વાણીને જ આધ્યાત્મિક ગુરુની હાજરી સમજવી, વાણી. આપણે આધ્યાત્મિક ગુરુ પાસેથી જે સાંભળ્યું છે તે જ જીવંત છે.”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૧૩/૧/૧૯૬૯, લૉસ ઍન્જેલીસ)

     રેવતી-નંદનઃ     “…આમ કેટલીક વાર આધ્યાત્મિક ગુરુ ઘણા દૂર હોય છે. તેઓ કદાચ લૉસ ઍન્જેલીસમાં હોય. કોઈ હેમ્બર્ગ મંદિરમાં આવે છે. તે વિચારે કે ‘આધ્યાત્મિક ગુરુ કઈ રીતે પ્રસન્ન થઈ શકે?’”
શ્રીલ પ્રભુપાદઃ  “કેવળ તેમના આદેશને અનુસરો. આધ્યાત્મિક ગુરુ તેમની વાણી દ્વારા તમારી સાથે જ છે. જેમ કે મારા આધ્યાત્મિક ગુરુ પ્રત્યક્ષ હાજર નથી, પરંતુ હું તેમની વાણી દ્વારા તેમનો સંગ કરું છું.”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૧૮/૮/૧૯૭૧)

“જેમ કે હું કાર્યરત છું, આથી મારા ગુરુ મહારાજ છે જ, ભક્તિસિદ્ધાંત સરસ્વતી. શારીરિક રીતે તેઓ ભલે ન હોય, પરંતુ દરેક કાર્યમાં તેઓ છે જ.”
(શ્રીલ પ્રભુપાદ ખંડ વાર્તાલાપ, ૨૭/૫/૧૯૭૭, વૃંદાવન)

“આમ તેને પ્રાકૃત કહેવાય છે, શારીરિક રીતે હાજર. તથા બીજી એક અવસ્થા છે તેને અપ્રાકૃત કહેવાય છે, શારીરિક રીતે ગેરહાજર. પણ તેનો મતલબ એવો નથી કે કૃષ્ણ મૃત છે અથવા ભગવાન મૃત છે. એનો અર્થ પ્રાકૃત કે અપ્રાકૃત, શારીરિક રીતે હાજર કે ગેરહાજર, એવો નથી, આનાથી કશો ફરક પડતો નથી.”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૧૧/૧૨/૧૯૭૩, લૉસ ઍન્જેલીસ)

“આમ, આપણે શારીરિક રીતે ઘણા દૂર હોઈએ તોપણ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિખૂટા પડવાનો પ્રશ્ન જ નથી.” 
(શ્યામા-દાસીને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૩૦/૦૮/૧૯૬૮)

“હું આ કૃષ્ણભાવનામૃત સંદેશના પ્રચાર માટે તમારા દેશમાં આવ્યો, અને તમે મને મારા કાર્યમાં મદદ કરી રહ્યા છો, ભલે હું શારીરિક રીતે ત્યાં હાજર નથી પણ આધ્યાત્મિક રીતે હું હંમેશાં તમારી સાથે જ છું.”
(નંદરાણી, કૃષ્ણ દેવી, સુબલ અને ઉદ્ધવને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૩/૧૦/૧૯૬૭)

“ખરું જોતાં આપણે વિખૂટા પડ્યા નથી. વાણી અથવા વપુહ –એમ બે છે. વપુહ શારીરિક હાજરી છે અને વાણી એ શબ્દકંપન દ્વારા હાજરી, પરંતુ એ બધું સમાન છે.”
(હંસદૂત્તને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૨/૬/૧૯૭૦)

“આમ આધ્યાત્મિક ગુરુની શારીરિક ગેરહાજરીમાં વાણી-સેવા વધુ મહત્વની છે. મારા આધ્યાત્મિક ગુરુ, સરસ્વતી ગોસ્વામી ઠાકુર, ભલે શારીરિક રીતે હાજર લાગતા ન હોય, પણ હું તેમના આદેશનું અનુસરણ કરવાનો પ્રયાસ કરું છું તેથી મને કદી તેમનો વિરહ લાગતો નથી.”
 (કરાણધરને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૨/૮/૧૯૭૦)

“મને પણ મારા ગુરુ મહારાજનો વિરહ લાગતો નથી. જ્યારે હું તેમની સેવામાં મગ્ન રહું છું ત્યારે તેમનાં ચિત્રો મને પૂરતી શક્તિ આપે છે. આધ્યાત્મિક ગુરુની વાણી-સેવા તેમની શારીરિક સેવા કરતાં પણ વધુ મહત્વની હોય છે.”
(શ્યામસુંદરને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૯/૭/૧૯૭૦)


આદેશને અનુસરો, શરીરને નહિ


 
“જ્યાં સુધી ગુરુ સાથે વ્યક્તિગત સંગનો સવાલ છે, હું મારા ગુરુ મહારાજને માત્ર ચાર કે પાંચ જ વખત મળ્યો હતો, પરંતુ મેં કદી તેમનો સંગ છોડ્યો નથી, એક ક્ષણ માટે પણ નહીં. કારણ કે હું તેમના આદેશોને અનુસરું છું આથી મને કદી તેમનો વિરહ લાગ્યો નથી. અહીં ભારતમાં મારા કેટલાક ગુરુબંધુઓ છે જેમને ગુરુ મહારાજ સાથે સતત વ્યક્તિગત સંગ હતો, પરંતુ તેઓ તેમના આદેશોની અવગણના કરે છે. આ એક રાજાના ખોળામાં બેઠેલા જીવડાં જેવું છે. તેને તેના સ્થાનથી બહુ અભિમાન હોય, પરંતુ અંતે તો તે રાજાને કરડવામાં જ સફળ થાય. વ્યક્તિગત સંગ એટલો મહત્વનો નથી જેટલો સેવા-સંગ છે.”
(સતધન્યને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૦/૨/૧૯૭૨)

“આમ આધ્યાત્મિક દ્રષ્ટિએ, આવિર્ભાવ અને તિરોભાવ, એમાં કોઈ તફાવત નથી… આધ્યાત્મિક રીતે, આવિર્ભાવ કે તિરોભાવ જેવો કોઈ ભેદ નથી. ઓમ વિષ્ણુપાદ શ્રી શ્રીમદ્‍ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો આ તિરોભાવ દિવસ હોવા છતાં વિલાપ કરવા જેવું કશું નથી. ભલે આપણને વિરહ લાગે છતાં…”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, લૉસ ઍન્જેલીસ, ૧૩/૧૨/૧૯૭૩)

“આમ મારા ગુરુ મહારાજ તમારાથી અતિ પ્રસન્ન હશે […] એવું નથી કે તેઓ મૃત્યુ પામી જતા રહ્યા. એ આધ્યાત્મિક સમજણ નથી […] તેઓ જુએ છે. મને કદી એવું લાગતું નથી કે હું એકલો છું.” (શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૨/૩/૧૯૭૫, ઍટલાન્ટા)

“વપુહ કરતાં વાણી વધુ મહત્વની છે.”
(તુષ્ટ કૃષ્ણને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૪/૧૨/૧૯૭૨)

“હા, હું અતિ પ્રસન્ન છું કે તમારી શાખા ઘણું સારું કરી રહી છે અને તેમના આધ્યાત્મિક ગુરુ પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં ઘણા ભક્તો તેમના આદેશનું પાલન કરી હવે તેમની હાજરીનો અનુભવ કરી રહ્યા છે- આ જ સાચી ચેતના છે.”
(કરાણધરને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૩/૯/૧૯૭૦)

“આધ્યાત્મિક ગુરુ તેમની શબ્દ-વાણી દ્વારા પીડિત વ્યક્તિના હૃદય અંતરમાં દિવ્ય જ્ઞાનનો પ્રસાર કરી શકે છે, આ જ ભૌતિક અસ્તિત્વની આગને હોલવી શકે છે.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૧.૭.૨૨, ભાવાર્થ)

“વાણી અને વપુહ એમ બે શબ્દો છે. વાણી એટલે શબ્દો, અને વપુહ એટલે આ શારીરિક દેહ. વપુહનો અંત આવે. આ ભૌતિક શરીર છે. તેનો અંત આવે જ. તે પ્રકૃતિ છે. પરંતુ જો આપણે આધ્યાત્મિક ગુરુના શબ્દો પર, વાણી પર, ધ્યાન આપીએ તો આપણે એકચિત્ત રહી શકીએ. […] જો તમે ઉચ્ચ અધિકૃત વ્યક્તિઓની વાણી તથા આદેશ સાથે હંમેશાં જોડાયેલા રહો તો તમે હંમેશાં પ્રફુલ્લિત છો. આ આધ્યાત્મિક સમજણ છે.”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૨/૩/૧૯૭૫, ઍટલાન્ટા)

“આમ આપણે શબ્દ-વાણી પર વધુ ભાર આપવો જોઈએ, ક્યાં તો કૃષ્ણની વાણી પર અથવા આધ્યાત્મિક ગુરુની વાણી પર.” 
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૧૮/૮/૧૯૬૮, મૉન્ટ્રિયાલ)

“કદી એવું ન વિચારો કે હું તમારાથી દૂર છું, શારીરિક હાજરી આવશ્યક નથી; સંદેશ (અથવા સાંભળવું) થકી ઉપસ્થિતિ એ જ સાચો સ્પર્શ છે.” 
(શિષ્યોને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨/૮/૧૯૬૭)

“આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કદીય કોઈ ભૌતિક પરિસ્થિતિ વડે પ્રતિબંધિત નથી.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૭.૭.૧, ભાવાર્થ)

“કેવળ એ કારણસર કે વક્તા દેખીતી રીતે ઉપસ્થિત નથી દિવ્ય ધ્વનિની મહત્તા કદીય ઓછી થતી નથી.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૨.૯.૮, ભાવાર્થ)

“શિષ્ય અને ગુરુ કદીય અલગ થતા નથી કારણે કે જ્યાં સુધી શિષ્ય આધ્યાત્મિક ગુરુના આદેશોનું ચુસ્તપણે પાલન કરે છે ત્યાં સુધી આધ્યાત્મિક ગુરુ હંમેશાં શિષ્યની સાથે જ રહે છે. આને વાણી (શબ્દ) સંગ કહેવાય છે. શારીરિક ઉપસ્થિતિ વપુહ કહેવાય. આધ્યાત્મિક ગુરુ જ્યાં સુધી પ્રત્યક્ષ હાજર છે, શિષ્યએ આધ્યાત્મિક ગુરુના શારીરિક દેહની સેવા કરવી, અને જ્યારે આધ્યાત્મિક ગુરુનું શારીરિક અસ્તિત્વ ન રહે ત્યારે શિષ્યએ આધ્યાત્મિક ગુરુના આદેશોની સેવા કરવી.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, ૪.૨૮.૪૭, ભાવાર્થ)

“જો આધ્યાત્મિક ગુરુની પ્રત્યક્ષ સેવા કરવાની તક ન મળે તો ભક્તએ તેમના આદેશોનું ચિંતન કરી તેમની સેવા કરવી. આધ્યાત્મિક ગુરુના આદેશો અને આધ્યાત્મિક ગુરુ વચ્ચે કોઈ ભેદ હોતો નથી. આથી તેમની ગેરહાજરીમાં તેમની દિશા સૂચક વાણી જ શિષ્યનું ગર્વ હોવું જોઈએ.”
(શ્રીચૈતન્ય-ચરિતામૃત, આદિ-લીલા, ૧.૩૫, ભાવાર્થ)

“તેઓ તેમના દિવ્ય સૂચનો સાથે હંમેશાં જીવંત રહે છે, અને અનુયાયી તેમની સાથે રહે છે.”
(શ્રીમદ્‌ ભાગવતમ્‌, પ્રસ્તાવના)

“વૈષ્ણવો મૃત્યુ પામે છે એવું કહેનારા ખોટા છે કારણ કે તેઓ શબ્દ-વાણીમાં જીવંત રહે છે.”
(ભક્તિવિનોદ ઠાકુર, વૈષ્ણવ આચાર્યોના ગીત, ૧૯૭૨ ની આવૃત્તિ)

“હા, આધ્યાત્મિક ગુરુના વિરહમાં થતો ભાવ-વિભોર તેમને મળવાથી થતા ભાવ-વિભોર કરતાં પણ વધુ હોય છે.”
 (જદુરાણીને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૩/૧/૧૯૬૮)

“કૃષ્ણ અને તેમના પ્રતિનિધિ સમાન હોય છે. જેમ કે કૃષ્ણ એક જ સમયે કરોડો સ્થાને ઉપસ્થિત હોય શકે છે. તે જ રીતે, આધ્યાત્મિક ગુરુ પણ જ્યાં શિષ્ય ચાહે ત્યાં હોય શકે છે. આધ્યાત્મિક ગુરુ એક સિદ્ધાંત છે, દેહ નથી. જેમ કે એક ટેલિવિઝનને દૂરસંચારના સિદ્ધાંત અનુસાર હજારો સ્થાને જોઈ શકાય છે.”
(માલતીને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૮/૫/૧૯૬૮)

“વિરહની લાગણીમાં કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુની સેવા ઉત્તમ છે; કેટલીક વાર પ્રત્યક્ષ સેવાના વિષયમાં જોખમ રહેલું છે.”
(મધુસુદનને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૩૦/૧૨/૧૯૬૭)

પુસ્તકો પર્યાપ્ત છે


             ભક્તઃ   “શ્રીલ પ્રભુપાદ, જ્યારે તમે અમારી સાથે ઉપસ્થિત નથી ત્યારે કેવી રીતે સૂચનાઓ મેળવવાનું શક્ય બને, દાખલા તરીકે, કોઈ પ્રશ્નો ઊભા થાય તે વિશે?”
શ્રીલ પ્રભુપાદઃ    “સારું, પ્રશ્નો… ઉત્તરો તો મારાં પુસ્તકોમાં છે જ.”
(પ્રભાત ફેરી, ૧૩/૫/૧૯૭૩, લૉસ ઍન્જેલીસ)


“તો તમને જેટલો સમય મળે તેનો સદ્‍ઉપયોગ મારાં પુસ્તકોનાં સવિસ્તૃત અભ્યાસમાં કરો. પછી તમારા તમામ પ્રશ્નોના ઉત્તરો મળી જશે.”
(ઉપેન્દ્રને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૭/૧/૧૯૭૬)

“જો મંદિર જવાનું શક્ય હોય તો મંદિરનો લાભ લો. મંદિર એક એવું સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સીધી સેવા-ભક્તિ કરવાની તક મળે છે. આની સાથે, તમારે હંમેશાં મારાં પુસ્તકોનું દરરોજ વાંચન કરવું અને તમારા તમામ પ્રશ્નોના ઉત્તરો મળી જશે, તથા તમારા કૃષ્ણભાવનામૃતનો પાયો દ્રઢ બનશે. આ રીતે તમારું જીવન પરિપૂર્ણ થશે.”
(હુગો સાલેમોનને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૨/૧૧/૧૯૭૪)

“તમારે દરેકે આપણાં પુસ્તકો નિયમિત રીતે જરૂર વાંચવાં; સવારે તથા સાંજે -એમ ઓછામાં ઓછા બે વાર, અને આપમેળે તમામ પ્રશ્નોના ઉત્તરો મળી જશે.”
(રણધીરને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૪/૦૧/૧૯૭૦)

“મારાં પુસ્તકોમાં કૃષ્ણભાવનામૃત ફિલસૂફીની પૂર્ણ સમજૂતી આપવામાં આવી છે, તેથી જો તમને કશુંક ન સમજાય એવું કંઈક હોય તો તમારે કેવળ તે ફરી વાંચવું. દરરોજ વાંચનથી તમને જ્ઞાન થશે, અને આ પ્રક્રિયાથી તમારા આધ્યાત્મિક જીવનનો વિકાસ થશે.”
(બહુરૂપ દાસને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૨/૧૧/૧૯૭૪)

શ્રીલ પ્રભુપાદઃ   “ ‘એક ક્ષણ માટે પણ શુદ્ધ-ભક્તનો સંગ – પૂર્ણ સફળતા!’ ” […]
   રેવતીનંદનઃ “શું આ એક શુદ્ધ ભક્તની વાણી વાંચનને પણ લાગુ પડે ખરું?”
શ્રીલ પ્રભુપાદઃ “હા.”
   રેવતીનંદનઃ “શું તમારાં પુસ્તકો સાથે થોડા સંગની પણ આ જ અસર હોય?”
શ્રીલ પ્રભુપાદઃ  “અસર, જરૂરથી, આમાં બંન્ને વસ્તુઓ આવશ્યક છે. તેને લેવાની આતુરતા હોવી જોઈએ.”
(ખંડ વાર્તાલાપ, ૧૩/૧૨/૧૯૭૦)

        પરમહંસઃ “મારો પ્રશ્ન છેઃ એક શુદ્ધ ભક્ત, જ્યારે તેઓ ભગવદ્‍-ગીતા પર સમજૂતી આપે છે, કોઈક જેણે કદી તેમને પ્રત્યક્ષ જોયા નથી, પરંતુ તે ફક્ત તેમની ટિપ્પણી, સમજૂતીના સંપર્કમાં આવે છે, શું આ એક સમાન છે?”
શ્રીલ પ્રભુપાદઃ “હા. તમે ભગવદ્‍-ગીતાના વાંચનથી કૃષ્ણ સાથે સંગ કરી શકો. તથા આ સાધુ પુરુષો, તેઓએ તેમની સમજૂતી, ટિપ્પણીઓ આપી છે. આમ મુશ્કેલી ક્યાં છે?”
(પ્રભાત ફેરી, ૧૧/૬/૧૯૭૪, પેરિસ)


“આમ નવું કહેવા માટે કશું નથી. મારે જે કંઈ કહેવું હતું તે મેં મારાં પુસ્તકોમાં કહી દીધું છે, હવે તમે તેને સમજવાની કોશિશ કરો તેમજ તમારો પ્રયાસ ચાલુ રાખો. હું હાજર હોઉં કે ન હોઉં તેનાથી કોઈ ફરક પડતો નથી.”(શ્રીલ પ્રભુપાદ આગમન વાર્તાલાપ, ૧૭/૫/૧૯૭૭, વૃંદાવન)

શ્રીલ પ્રભુપાદ આપણા સનાતન ગુરુ છે


              તંત્રીઃ  “તમારા મરણ પશ્ચાત્‌‍ અમેરિકામાં આ આંદોલનનું શું થશે?”
શ્રીલ પ્રભુપાદઃ “હું કદી ન મરીશ”
            ભક્તોઃ  જય! હરિબોલ!” (હાસ્ય.)
શ્રીલ પ્રભુપાદઃ  “હું મારાં પુસ્તકોમાં જીવંત રહીશ અને તમે તેનો લાભ લેશો.”
(શ્રીલ પ્રભુપાદ પ્રેસ સભા, ૧૬/૭/૧૯૭૫, સન ફ્રાન્સિસ્કૉ)

     ભારતીય સ્ત્રીઃ  “…શું આધ્યાત્મિક ગુરુ મૃત્યુ પછી પણ માર્ગદર્શન આપતા રહે છે?”
શ્રીલ પ્રભુપાદઃ “હા, હા. જેવી રીતે કૃષ્ણ આપણને માર્ગદર્શન આપે છે તેવી જ રીતે  આધ્યાત્મિક ગુરુ માર્ગદર્શન આપે.”
(શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૩/૯/૧૯૭૧, લંડન)

“જે દિવસથી શિષ્ય ગુરુને સાંભળે છે તે પ્રથમ દિનથી જ ગુરુ અને શિષ્ય વચ્ચે સનાતન સંબંધ બંધાય છે.”
(જદુરાણીને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૪/૯/૧૯૭૨)

“શુદ્ધ ભક્તનો પ્રભાવ એવો હોય છે કે જો કોઈ વ્યક્તિ થોડી શ્રદ્ધા સાથે તેમના સંગમાં આવે તો તેને ભગવદ્‍-ગીતા તથા શ્રીમદ્‌ ભાગવતમ્‌ જેવાં અધિકૃત શાસ્ત્રોમાંથી ભગવાન વિશે સાંભળવાની તક મળે છે. […] શુદ્ધ ભક્તો સાથે સંગ કરવાનો આ પ્રથમ તબક્કો છે.”
(ભક્તિ રસામૃત સિંધુ, પ્રકરણ ૧૯, [૧૯૭૭ પૂર્વેનું પ્રકાશન])

“આ કોઈ સામાન્ય પુસ્તકો નથી. આ લેખિત જાપ છે. જે કોઈ તેને વાંચે છે, તેઓ તે સાંભળે છે.”
(રૂપાનુગા દાસને લખેલો પત્ર, ૧૯/૧૦/૧૯૭૪)

“પરંપરા પ્રણાલી વિશેઃ લાંબા સમયગાળાથી આશ્ચર્ય થવાની જરૂર નથી. […] આપણે મુખ્ય આચાર્યો પસંદ કરવાના છે અને તેમને અનુસરવાનું છે.”
(દયાનંદને લખેલો પત્ર, ૧૨/૪/૧૯૬૮)

       નારાયણઃ  “તો જે શિષ્યોને તમારી સાથે વાત કરવા કે તમને જોવાની તક મળી નથી તેઓ…”
શ્રીલ પ્રભુપાદઃ “એ જ તેઓ બોલે છે, વાણી અને વપુહ. જો તમે તેમને પ્રત્યક્ષ ન જોયા હોય તોપણ તમે તેમની શબ્દ-વાણીને અનુસરો.”
       નારાયણઃ  “પરંતુ શ્રીલ પ્રભુપાદ તેઓને કેવી રીતે ખબર પડે કે તેઓ તમને પ્રસન્ન કરી રહ્યા છે?”
શ્રીલ પ્રભુપાદઃ  “જો તમે ગુરુ વાણીને ખરેખર અનુસરો તો તેનો મતલબ તેઓ પ્રસન્ન છે. અને જો તમે તેનું અનુસરણ કરતા નથી તો કઈ રીતે તેઓ પ્રસન્ન થાય?”
           સુદામાઃ “એટલું જ નહિ, પરંતુ તમારી કૃપા સાર્વત્રિક ફેલાયેલી છે, અને તમે અમને એકવાર કહ્યું હતું કે જો અમે તેનો લાભ લઈએ તો અમને તેનું પરિણામ દેખાશે.” 
શ્રીલ પ્રભુપાદઃ “હા.”
      જયઅદ્વૈતઃ  “અને જો આપણને ગુરુ જે કહે છે તેમાં શ્રદ્ધા હોય તો તેને આપણે આપમેળે અનુસરવાના.”
શ્રીલ પ્રભુપાદઃ   “હા. મારા ગુરુ મહારાજ ૧૯૩૬માં ગુજરી ગયા, અને મેં આ આંદોલનની શરૂઆત ત્રીસ વર્ષ પછી ૧૯૬૫માં કરી. પછી? મને ગુરુ કૃપા મળે છે. આ વાણી છે. ગુરુ શારીરિક રીતે ઉપસ્થિત ન હોય તોપણ જો તમે તેમની વાણીને અનુસરો તો તમને કૃપા મળે જ.”
          સુદામાઃ    “આમ જ્યાં સુધી શિષ્ય ગુરુના આદેશને અનુસરે છે ત્યાં સુધી કદી વિખૂટા પડવાનો પ્રશ્ન જ રહેતો નથી.”
શ્રીલ પ્રભુપાદઃ   “ના. ચખુ-દાન દીલો જેઈ. તે પછી શું આવે?”
          સુદામાઃ ચખુ-દાન દીલો જેઈ, જન્મે જન્મે પ્રભુ સેઈ.
શ્રીલ પ્રભુપાદઃ  જન્મે જન્મે પ્રભુ સેઈ. આમ વિખૂટા પડવાનું ક્યાં છે? જેમણે તમારી આંખો ઊઘાડી છે, તેઓ જન્મ-જન્માંતર તમારા પ્રભુ છે.”
(પ્રભાત ફેરી, ૨૧/૭/૧૯૭૫, સન ફ્રાન્સિસ્કૉ)


       મધુદ્વીસાઃ  “ઈશુ ખ્રિસ્તની શિક્ષાઓમાં શ્રદ્ધા રાખી, તેમની શિક્ષાઓનું અનુસરણ કરી આધ્યાત્મિક ગુરુની કૃપા વગર એક ખ્રિસ્તી માટે આધ્યાત્મિક જગતમાં પહોંચવા માટે કોઈ માર્ગ છે ખરો?”
શ્રીલ પ્રભુપાદઃ “મને સમજાયું નહીં.”
    તમાલ કૃષ્ણઃ “શું આ યુગમાં એક આધ્યાત્મિક ગુરુ વગર કોઈ ખ્રિસ્તી બાઈબલ વાંચીને તથા ઈશુ ખ્રિસ્તની શિક્ષાઓનું અનુસરણ કરી….. પહોંચે”
શ્રીલ પ્રભુપાદઃ  “જ્યારે તમે બાઈબલ વાંચો છો ત્યારે તમે આધ્યાત્મિક ગુરુને અનુસરો છો. તમે કઈ રીતે કહી શકો કે વગર? જેવા તમે બાઈબલ વાંચો છો તેનો મતલબ તમે ઈશુ ખ્રિસ્તના આદેશને અનુસરો  છો, અર્થાત્‌ તમે એક આધ્યાત્મિક ગુરુને અનુસરો છો. તો પછી આધ્યાત્મિક ગુરુ વગરની વાત જ ક્યાં છે?”
        મધુદ્વીસાઃ  હું જીવિત આધ્યાત્મિક ગુરુની વાત કરતો હતો.
શ્રીલ પ્રભુપાદઃ આધ્યાત્મિક ગુરુ …. પ્રશ્ન જ નથી. આધ્યાત્મિક ગુરુ સનાતન છે. આધ્યાત્મિક ગુરુ સનાતન છે. તો તમારો પ્રશ્ન છે આધ્યાત્મિક ગુરુ વગર. આધ્યાત્મિક ગુરુ વગર તમે તમારા જીવનના કોઈ સ્તરે ન રહી શકો. તમે આ આધ્યાત્મિક ગુરુ સ્વીકારો કે પેલા આધ્યાત્મિક ગુરુ. એ અલગ વસ્તુ છે. પરંતુ તમારે સ્વીકાર કરવો જ રહ્યો. જેમ તમે કહો છો કે “બાઈબલ વાંચીને”, જ્યારે તમે બાઈબલ વાંચો છો, તેનો મતલબ તમે ઈશુ ખ્રિસ્તની હરોળમાં કોઈ પૂજારી કે પાદરી દ્વારા પ્રતિનિધિત્વ કરાતા આધ્યાત્મિક ગુરુને અનુસરો છો.
 (શ્રીલ પ્રભુપાદ પ્રવચન, ૨/૧૦/૧૯૬૮, સીટલ)

“તમે પૂછ્યું છે કે શું આધ્યાત્મિક ગુરુ તેમના તમામ શિષ્યો આધ્યાત્મિક જગતમાં જતા ન રહે ત્યાં સુધી આ ભૌતિક બ્રહ્માંડમાં જ રહે છે. તેનો ઉત્તર છે હા, આ નિયમ છે.”
(જયપતાકાને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૧/૭/૧૯૬૯)


પરિશિષ્ટ

૯ જુલાઈ, ૧૯૭૭ પત્રઃ "તમામ જી.બી.સી. અને મંદિર પ્રમુખો માટે"

પત્રની પ્રતિકૃતિ



પત્રમાં જણાવેલી વિગત




૧૦ જુલાઈ, ૧૯૭૭ પત્ર

પત્રની પ્રતિકૃતિ


પત્રમાં જણાવેલી વિગત



૧૧ જુલાઈ, ૧૯૭૭ પત્ર

પત્રની પ્રતિકૃતિ


પત્રમાં જણાવેલી વિગત


૨૧ જુલાઈ, ૧૯૭૭ પત્ર

પત્રની પ્રતિકૃતિ


પત્રમાં જણાવેલી વિગત



૩૧ જુલાઈ, ૧૯૭૭ પત્ર

પત્રની પ્રતિકૃતિ


પત્રમાં જણાવેલી વિગત



શ્રીલ પ્રભુપાદનું વસિયતનામું (૪ જૂન, ૧૯૭૭ ) અને વસિયત-પુરવણી (૫ નવેમ્બર, ૧૯૭૭ )





વસિયતનામાની વિગત






ખંડ વાર્તાલાપ

ખંડ વાર્તાલાપ એપ્રિલ ૨૨, ૧૯૭૭, મુંબઈ

 શ્રીલ પ્રભુપાદઃ   “મેં તેમને કહ્યું કે “તમે એવું સ્વતંત્ર રીતે ન કરી શકો. તમે સારું કરી રહ્યા છો, પરંતુ … ન કરવું, તમે કબૂલ કરો.” લોકોએ હંસદૂત્તની વિરુદ્ધ ફરિયાદ કરી. શું તમને તેની ખબર હતી?”
    તમાલ કૃષ્ણઃ  “મને કોઈ વિશેષ ઘટનાઓનો ખ્યાલ નથી, પરંતુ મેં સાંભળ્યું છે…”
 શ્રીલ પ્રભુપાદઃ   “જર્મનીમાં. જર્મનીમાં.”
    તમાલ કૃષ્ણઃ  “ભક્તો ત્યાં”
 શ્રીલ પ્રભુપાદઃ  “ઘણી બધી ફરિયાદો.”
    તમાલ કૃષ્ણઃ  “આથી બદલાવ સારો છે.” 
 શ્રીલ પ્રભુપાદઃ  “ના, તમે ગુરુ બનો, પરંતુ તમે પ્રથમ લાયક બનો. પછી તમે બનો.”
    તમાલ કૃષ્ણઃ  “ઓહ, આવા પ્રકારની ફરિયાદ હતી.”
 શ્રીલ પ્રભુપાદઃ “શું તમને તેની ખબર હતી?”
   તમાલ કૃષ્ણઃ   “હા, મેં સાંભળ્યું હતું કે, હા.”
 શ્રીલ પ્રભુપાદઃ “લુચ્ચા બદમાશ ગુરુ બનાવવાથી શું ફાયદો?”
    તમાલ કૃષ્ણઃ  “ખરું, મેં મારો તેમજ તમારા તમામ શિષ્યોનો અભ્યાસ કર્યો છે, અને આ એકદમ સ્પષ્ટ વાત છે કે અમે બધા બદ્ધ જીવ છીએ, આથી અમે ગુરુ ન હોય શકીએ. એક દિવસે કદાચ એવું શક્ય બને…”
 શ્રીલ પ્રભુપાદઃ    “હમ્મ”
   તમાલ કૃષ્ણઃ  “…પરંતુ હમણાં નહિ.”
 શ્રીલ પ્રભુપાદઃ  “હા. હું કેટલાક ગુરુ પસંદ કરીશ. હું કહીશ, “હવે તમે આચાર્ય બનો. તમે અધિકૃત છો.” હું તેની રાહ જોઉં છું. તમે સહુ આચાર્ય બનો. હું સંપૂર્ણ નિવૃત્ત થાઉં, પરંતુ તાલીમ પૂરી થવી જોઈએ.”
    તમાલ કૃષ્ણઃ  “શુદ્ધિકરણની પ્રક્રિયા તો થવી જ જોઈએ.”
શ્રીલ પ્રભુપાદઃ “ઓહ, હા. થવી જ જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ એવું ચાહે છે. આમાર આજ્ઞા ગુરુ હના [શ્રીચૈતન્ય-ચરિતામૃત, મધ્ય, ૭.૧૨૮]. “તમે ગુરુ બનો.” (હાસ્ય.) પરંતુ લાયક બનો. બસ નાની જ વાત, ચુસ્તપણે પાલન કરનાર…”
    તમાલ કૃષ્ણઃ “રબર છાપ નહિ.”
 શ્રીલ પ્રભુપાદઃ  “તો પછી તમે અસરકારક ન હોવ. તમે છેતરી શકો, પરંતુ તેની કોઈ અસર ન હોય. જરા જુઓ આપણું ગૌડીયા મઠ. દરેક જણ ગુરુ બનવા માંગે, અને એક નાનું મંદિર અને “ગુરુ.” કેવા પ્રકારના ગુરુ? કોઈ પ્રકાશન નહીં, કોઈ પ્રચાર નહીં, બસ ખાવાનું લઈ આવો…મારા ગુરુ મહારાજ કહેતા, “સંયુક્ત ભોજનાલય,” ખાવા અને ઊંઘવાની જગ્યા. અમર અમર અર ટકન [?]: “સંયુક્ત ભોજનાલય.” એમણે આવું કહ્યું.”



ખંડ વાર્તાલાપ મે ૨૭, ૧૯૭૭, વૃંદાવન

ભવાનંદઃ   “માણસો હશે, હું જાણું છું. એવા માણસો હશે જેઓ પોતે ગુરુ હોવાનો પ્રયત્ન અને ડોળ કરવાં માંગે છે.”
 તમાલ કૃષ્ણઃ   “એ ઘણાં વર્ષો પહેલાં ચાલતું હતું. તમારા ગુરુ બંધુઓ આવું વિચારતા હતા. માધવ મહારાજ…”
ભવાનંદઃ  “ઓહ, હા. ઓહ, કૂદવા તૈયાર.”
શ્રીલ પ્રભુપાદઃ  “ખૂબ મજબૂત વ્યવસ્થાપન જરૂરી અને સતર્ક નિરીક્ષણ.”


ખંડ વાર્તાલાપ ૨૮ મે ૧૯૭૭, વૃંદાવન*

સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામીઃ “હવે અમારો આગામી પ્રશ્ન ભાવિ દીક્ષારંભ(ભો) વિશે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તમે અમારી સાથે ન હોવ. અમે જાણવા માંગીએ છીએ કે (અ) પ્રથમ અને દ્વિતીય દીક્ષારંભ(ભો)નું સંચાલન કઈ રીતે થશે.”
શ્રીલ પ્રભુપાદઃ  “હા, હું તમારામાંથી કેટલાકની ભલામણ કરીશ. આ સ્થાયી થઈ ગયા પછી હું તમારામાંથી કેટલાકની કાર્યકારી આચાર્ય(ર્યો) તરીકે વર્તવા ભલામણ કરીશ.”
તમાલ કૃષ્ણ મહારાજઃ  “શું તેને ઋત્વિક આચાર્ય કહેવાય?”
શ્રીલ પ્રભુપાદઃ  “ઋત્વિક. હા. (હા, ઋત્વિક)”
સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામી: “(પછી) પેલી વ્યક્તિ જે દીક્ષારંભ આપે છે તેમનો અને … શું સંબંધ છે”
    શ્રીલ પ્રભુપાદઃ  “તે ગુરુ છે. તે ગુરુ છે. (તે ગુરુ છે.)”
સત્‌‍સ્વરૂપ દાસ ગોસ્વામી: “પરંતુ તે આમ તમારા વતી કરે છે.”
શ્રીલ પ્રભુપાદઃ  “હા. એ ઔપચારિકતા છે. કારણ કે મારી ઉપસ્થિતિમાં કોઈએ ગુરુ બનવું નહિ, આથી મારા વતી. મારા આદેશથી, આમાર આજ્ઞા ગુરુ(હના), (તે) ખરેખર ગુરુ (છે) (બને). પરંતુ મારા આદેશથી.”
સત્‌સ્વરૂપ દાસ ગોસ્વામી: “આમ (પછી)(તેઓ) પણ (કદાચ) તમારા જ શિષ્યો ગણાય (ગણાશે)?”
શ્રીલ પ્રભુપાદઃ  “હા, તેઓ (તેમના) શિષ્યો છે, (પરંતુ) (શા માટે) ગણાય કોણ”
તમાલ કૃષ્ણ મહારાજઃ  “ના. તે પૂછે છે કે આ ઋત્વિક આચાર્યો, તેઓ કાર્યકારી છે, દીક્ષા આપે છે, (તેમના)… જે લોકોને તેઓ દીક્ષા આપે, તેઓ કોના શિષ્યો છે?”
શ્રીલ પ્રભુપાદઃ  “તેઓ તેમના શિષ્યો છે (જે વ્યક્તિ દીક્ષારંભ આપે છે તેમના શિષ્યો છે)”.
તમાલ કૃષ્ણ મહારાજઃ  “તેઓ તેમના શિષ્યો છે(?)”
શ્રીલ પ્રભુપાદઃ  “જે દીક્ષારંભ આપે છે.  (અને તેઓ મારા) (તેમના) (તે) શિષ્યના શિષ્ય(યો) છે...”
સત્‌‍સ્વરૂપ દાસ ગોસ્વામી: (હા)
તમાલ કૃષ્ણ મહારાજઃ  (એ સમજાય ગયું)  (ચાલો આગળ વધીએ)
સત્‌‍સ્વરૂપ દાસ ગોસ્વામી: “પછી અમારો પ્રશ્ન એ છે...”
શ્રીલ પ્રભુપાદઃ  “જ્યારે હું તમને ગુરુ બનવા આદેશ કરું, ત્યારે તે (તમે) નિયમિત ગુરુ બને છે. બસ. તે (અને તેઓ) મારા શિષ્યના શિષ્ય(યો) બને છે. (બસ). (જોયું).”
*આ વાર્તાલાપ જી.બી.સી.એ નિમ્ન પ્રકાશનોમાં આપેલાં ચાર જુદાં જુદાં લખાણોનું મિશ્રણ છેઃ
૧૯૮૩: શ્રીલ પ્રભુપાદ-લીલામૃત, ભાગ ૬ (સત્‌‍સ્વરૂપ દાસ ગોસ્વામી, બી.બી.ટી.)
૧૯૮૫: મારા આદેશ હેઠળ (રવીન્દ્વ-સ્વરૂપ દાસ)
૧૯૯૦: ઇસ્કૉન જર્નલ (જી.બી.સી.)
૧૯૯૫: ઇસ્કૉનમાં ગુરુઓ અને દીક્ષારંભ (જી.બી.સી.)

ખંડ વાર્તાલાપ જુલાઈ ૭, ૧૯૭૭, વૃંદાવન


 તમાલ કૃષ્ણઃ   “શ્રીલ પ્રભુપાદ? અમને હવે ઘણા પત્રો મળે છે, અને આ એવા લોકો છે જેઓ દીક્ષારંભ ગ્રહણ કરવા ઇચ્છે છે. તમારી તબિયત સારી ન હોવાથી અત્યાર સુધી અમે તેઓને રાહ જોવા કહ્યું હતું.”
શ્રીલ પ્રભુપાદઃ  “સ્થાનિક, અર્થાત્‌ વરિષ્ઠ સંન્યાસીઓ એવું કરી શકે.”
 તમાલ કૃષ્ણઃ  “એ જ તો અમે કરતા હતા… મારો મતલબ, પૂર્વે અમે…., સ્થાનિક જી.બી.સી., સંન્યાસીઓ તેઓની માળા પર જાપ કરી આપતા હતા, અને તેઓ શ્રી શ્રીમદ્‍ને લખતા હતા, અને તમે આધ્યાત્મિક નામ આપતા હતા. શું આ પ્રક્રિયા ફરી ચાલુ કરવી, કે પછી શું અમારે…? મારો મતલબ, એક વાત કે એવું જણાવ્યું છે કે આધ્યાત્મિક ગુરુ…. લે છે તમે જાણો છો, તેઓ…. લે છે. તેમણે શિષ્યને શુદ્ધ કરવા પડે છે… આથી અમે એવું ઇચ્છતા નથી કે તમારે …, તમારી તબિયત એટલી સારી નથી, તેથી એવું ન થવું જોઈએ.... આ કારણસર અમે દરેકને રાહ જોવાનું કહેતા રહ્યા છીએ. હું કેવળ એટલું જ જાણવા માંગુ છું કે શું આપણે હજુ થોડો વધુ સમય રાહ જોઈએ.”
શ્રીલ પ્રભુપાદઃ  “ના. વરિષ્ઠ સંન્યાસીઓ…”
તમાલ કૃષ્ણઃ  “આથી તેઓએ ચાલુ રાખવું જોઈએ...”
શ્રીલ પ્રભુપાદઃ  “તમે મને સંન્યાસીઓની યાદી આપો. હું કહીશ કે કોણ…”
તમાલ કૃષ્ણઃ  “જરૂર.”
શ્રીલ પ્રભુપાદઃ  “તમે કરી શકો. કીર્તનાનંદ કરી શકે. તેમજ આપણા સત્‌‍સ્વરૂપ કરી શકે. આમ ત્રણ થયા, તમે આપી શકો, શરૂ કરો.”
તમાલ કૃષ્ણઃ  “આમ ધારોકે કોઈ અમેરિકામાં છે, શું તેઓએ સીધું જ કીર્તનાનંદ કે સત્‌‍સ્વરૂપને લખવું?”
શ્રીલ પ્રભુપાદઃ  “નજીક હોય તેને. જયતીર્થ આપી શકે.”
તમાલ કૃષ્ણઃ  “જયતીર્થ.”
શ્રીલ પ્રભુપાદઃ  “ભવાનંન…, અર, ભગવાન.”
તમાલ કૃષ્ણઃ  “ભગવાન.”
શ્રીલ પ્રભુપાદ: “અને તેઓ પણ કરી શકે… હરિકેશ.”
તમાલ કૃષ્ણઃ “હરિકેશ મહારાજ.”
શ્રીલ પ્રભુપાદ: “અને… પાંચ, છ વ્યક્તિઓ, જે નજીક હોય તેઓને તમે અલગ તારવો.”
તમાલ કૃષ્ણઃ “જે નજીક હોય. આથી લોકોએ શ્રી શ્રીમદ્‍ને ન લખવું પડે. તેઓ સીધું જ તે વ્યક્તિને લખી શકે?”
શ્રીલ પ્રભુપાદ: “હમ્મ”
તમાલ કૃષ્ણઃ “આમ ખરેખર તેઓ તે વ્યક્તિનું દીક્ષારંભ શ્રી શ્રીમદ્‍ વતી જ કરે છે. જે લોકોનું દીક્ષારંભ થયું તેઓ પણ તમારા જ…”
શ્રીલ પ્રભુપાદ: “દ્વિતીય દીક્ષારંભ વિશે આપણે વિચારીશું, દ્વિતીય દીક્ષારંભ.”
તમાલ કૃષ્ણ: “આ થયું પ્રથમ દીક્ષારંભ. બરાબર. તથા દ્વિતીય દીક્ષારંભ માટે, સમય પૂરતું તેઓએ…”
શ્રીલ પ્રભુપાદ: “ના, તેઓએ રાહ જોવી. દ્વિતીય દીક્ષારંભ, એ … અપાવું જોઈએ.”
તમાલ કૃષ્ણ: “શું… હમણાં કેટલાક ભક્તો દ્વિતીય દીક્ષારંભ માટે તમને લખે છે, અને હું તેમને થોડી રાહ જોવા લખું છું કારણ કે તમારી તબિયત સારી નથી. તો શું હું તેમને આમ કહેવાનું ચાલુ રાખું?”
શ્રીલ પ્રભુપાદ: “તેઓ દ્વિતીય દીક્ષારંભ કરી શકે છે.”
તમાલ કૃષ્ણ:   “તમને લખીને.”
શ્રીલ પ્રભુપાદ: “ના. આ વ્યક્તિઓને.”
તમાલ કૃષ્ણ: “આ વ્યક્તિઓ, તેઓ દ્વિતીય દીક્ષારંભ પણ કરી શકે છે. આમ પ્રથમ તેમજ દ્વિતીય દીક્ષારંભ માટે ભક્તોએ તમને લખવાની જરૂર રહેતી નથી. તેઓ તેમની નજીક હોય તે વ્યક્તિને લખી શકે છે. પરંતુ આ બધા લોકો પણ તમારા જ શિષ્યો છે. જે વ્યક્તિ દીક્ષારંભ આપે છે તેઓ તમારા વતી જ આવું કરે છે.”
શ્રીલ પ્રભુપાદ: “હા.”
તમાલ કૃષ્ણ: “તમને પેલો ચોપડો ખબર છે જેમાં હું તમારા તમામ શિષ્યોનાં નામની નોંધ રાખું છું? શું મારે તે ચાલુ રાખવું?”
શ્રીલ પ્રભુપાદ:   “હમ્મ.”
તમાલ કૃષ્ણ: “આમ જો કોઈ વ્યક્તિ દીક્ષારંભ આપે, જેમ કે હરિકેશ મહારાજ, એમણે તે વ્યક્તિનું નામ અહીં આપણને મોકલવું, અને તે હું આ ચોપડામાં ઉમેરી દઈશ. બરાબર. શું ભારતમાં બીજું કોઈ વ્યક્તિ તમને આમ કરવા લાગે છે?”
શ્રીલ પ્રભુપાદ: “ભારત, હું અહીં છું. આપણે જોઈશું. ભારતમાં, જયપતાકા.”
તમાલ કૃષ્ણ: “જયપતાકા મહારાજ.”
શ્રીલ પ્રભુપાદ: “તમે પણ તો ભારતમાં જ છો.”
તમાલ કૃષ્ણ: “હા.”
શ્રીલ પ્રભુપાદ: “તમે આ બધાં નામ નોંધી લો.”
તમાલ કૃષ્ણ: “હા, મારી પાસે જ છે.”
શ્રીલ પ્રભુપાદ: “કોણ કોણ છે?”
તમાલ કૃષ્ણ: “કીર્તનાનંદ મહારાજ, સત્‌સ્વરૂપ મહારાજ, જયતીર્થ પ્રભુ, ભગવાન પ્રભુ, હરિકેશ મહારાજ, જયપતાકા મહારાજ અને તમાલ કૃષ્ણ મહારાજ.”
શ્રીલ પ્રભુપાદ: “સારું, હવે તમે વહેંચાઈ જાવ.”
તમાલ કૃષ્ણ: “સાત. આ સાત નામ થયાં.”
શ્રીલ પ્રભુપાદ: “સમય પૂરતું સાત નામ પર્યાપ્ત છે. તમે રામેશ્વરને લઈ શકો.”
તમાલ કૃષ્ણ: “રામેશ્વર મહારાજ.”
શ્રીલ પ્રભુપાદ: “અને હ્રદયાનંદ.”
તમાલ કૃષ્ણ: “ઓહ, હા. સાઉથ અમેરિકા.”
શ્રીલ પ્રભુપાદ: “આમ મારી રાહ જોયા વગર, જ્યાં તમને યોગ્ય લાગે…., તે વિવેકબુદ્ધિ પર આધાર રાખે.”
તમાલ કૃષ્ણ: “વિવેકબુદ્ધિ પર.”
શ્રીલ પ્રભુપાદ: “હા.”
તમાલ કૃષ્ણ: “આ થયું પ્રથમ અને દ્વિતીય દીક્ષારંભ.”
શ્રીલ પ્રભુપાદ:   “હમ્મ.”
તમાલ કૃષ્ણ: “બરાબર. શ્રીલ પ્રભુપાદ, શું હું કીર્તન મંડળ મોકલી દઉં?”

ખંડ વાર્તાલાપ જુલાઈ ૧૯, ૧૯૭૭, વૃંદાવન

 તમાલ કૃષ્ણઃ   “હું અને ઉપેન્દ્ર છેલ્લા … થી તે જોઈ શકીએ છીએ (વિરામ).”
શ્રીલ પ્રભુપાદઃ  “ત્યાં તમને કોઈ ખલેલ નહિ પહોંચાડે. તમારું પોતાનું ક્ષેત્ર બનવો અને ઋત્વિક બનવાનું ચાલુ રાખો તથા મારા વતી કાર્યરત રહો. લોકો ત્યાં સહાનુભૂત બની રહ્યા છે. સ્થળ બહુ સારું છે.”
તમાલ કૃષ્ણઃ  “હા. તેઓ કહે છે, ‘ભગવદ્‍-ગીતા પરિચયનું તમિલમાં ભાષાંતર થયું છે, અને હવે મારું દ્વિતીય પ્રકરણ પતી જશે. પછી તાકીદે વિતરણ માટે એક નાની પુસ્તિકા પ્રકાશિત કરીશું.’”

ખંડ વાર્તાલાપ ઑક્ટોબર ૧૮, ૧૯૭૭, વૃંદાવન

શ્રીલ પ્રભુપાદઃ “હરે કૃષ્ણ. ન્યૂ યૉર્કથી એક બંગાળી બાબુ આવ્યા છે?” (એક વ્યક્તિ શ્રીલ પ્રભુપાદ પાસે દીક્ષા લેવા ન્યૂ યૉર્કથી આવ્યા હતા).
તમાલ કૃષ્ણઃ “હા. શ્રીમાન સુકમલ રોય ચૌધરી.”
શ્રીલ પ્રભુપાદઃ “તો મેં તમારામાંથી કેટલાકની નિમણૂક કરી છે. હમ્મ?”
તમાલ કૃષ્ણઃ “હા. ખરેખર તો… હા, શ્રીલ પ્રભુપાદ.”
શ્રીલ પ્રભુપાદઃ “જો જયપતાકા ઇચ્છે તો તેઓ તે કરી શકે છે. મેં નિમણૂક કરી દીધી છે. તેમને કહો.”
તમાલ કૃષ્ણઃ “હા.”
શ્રીલ પ્રભુપાદઃ “આમ શું નિયુક્તિઓમાં જયપતાકાનું નામ હતું ખરું?”
ભગવાન: “તે છે જ શ્રીલ પ્રભુપાદ. પેલી યાદીમાં તેમનું નામ હતું.”
શ્રીલ પ્રભુપાદઃ “તો હું તેમને માયાપુરમાં આમ કરવા માટે નિયુક્ત કરું છું, અને તમે તેમની સાથે જઈ શકો છો. હું સમય પૂરતું બંધ કરું છું. શું આ બરાબર છે?”
તમાલ કૃષ્ણઃ  “શું કરવાનું બંધ કર્યું, શ્રીલ પ્રભુપાદ?”
શ્રીલ પ્રભુપાદઃ “આ દીક્ષારંભ. તેથી મેં મારા શિષ્યોને નિયુક્ત કર્યા છે. શું આ સમજાયું કે નહિ?”
ગિરિરાજ: “સમજાયું.”
શ્રીલ પ્રભુપાદઃ “તમને નામવાળી યાદી મળી છે ખરી?”
તમાલ કૃષ્ણઃ “હા, શ્રીલ પ્રભુપાદ.”
શ્રીલ પ્રભુપાદઃ “અને જો હું કૃષ્ણ કૃપાથી આ સ્થિતિમાંથી સાજો થઈ જાઉં, તો હું ફરી ચાલુ કરીશ, અથવા આ સ્થિતિમાં દીક્ષારંભ માટે મારા પર દબાણ ન થવું જોઈએ. આ સારું નથી.”

ખંડ વાર્તાલાપ નવેમ્બર ૨, ૧૯૭૭, વૃંદાવન

(મહેમાનો સાથે શું ચર્ચા થઈ તે શ્રીલ પ્રભુપાદ સમજાવે છે)
શ્રીલ પ્રભુપાદઃ  “…કે “તમારા પછી, કોણ આગેવાની લેશે.?” અને “દરેક જણ લેશે, મારા બધા જ શિષ્યો. જો તમે ઇચ્છો, તો તમે પણ લઈ શકો. [હાસ્ય.] પરંતુ જો તમે અનુસરો તો. તેઓ સર્વસ્વ બલિદાન આપવા તૈયાર છે, તેથી તેઓ આગેવાની લેશે. હું કદાચ, એક, જતો રહીશ, પરંતુ ઘણા હશે અને તેઓ પ્રચાર કરશે. જો તમે ઇચ્છો તો તમે પણ આગેવાન બની શકો છો. અમને એવું નથી કે ‘આ જ આગેવાન છે.’ પુરોગામી આગેવાનીને જે કોઈ અનુસરે તે એક આગેવાન છે.”
તમાલ કૃષ્ણઃ  “હમ્મ.”
શ્રીલ પ્રભુપાદઃ  “‘ભારતીય’, અમને એવો કોઈ ભેદભાવ નથી, ‘ભારતીય’, ‘યુરોપિયન.’”
             ભક્તઃ “આગેવાન તરીકે તેઓ એક ભારતીય ઇચ્છતા હતા?”
શ્રીલ પ્રભુપાદઃ  “હા. [હાસ્ય.] “દરેક જણ, મારા તમામ શિષ્યો, તેઓ આગેવાન છે. જેટલી શુદ્ધતાથી તેઓ અનુસરે તે અનુસાર તેઓ આગેવાન બને. જો તમે અનુસરવા ઇચ્છતા હોવ તો તમે આગેવાન બની શકો–  તમે ભારતીય છો– પરંતુ તમે ઇચ્છતા નથી.” મેં તેઓને એવું કહ્યું.”
  તમાલ કૃષ્ણઃ  “હા, તેઓ કદાચ એવી વ્યક્તિનું નામ જાણવા માંગતા હતા જેઓ આપણા આંદોલનને સંભાળે.”
શ્રીલ પ્રભુપાદઃ  “હા. આગેવાન. બધું બકવાસ. આગેવાન તેને કહેવાય જેઓ ઉત્તમ-કક્ષાના શિષ્ય બન્યા હોય. તેઓ આગેવાન છે. એવમ પરંપરા પ્રાપ્ત… જેઓ ચુસ્તપણે અનુસરે છે... આપણી સૂચના છેઃ આર ના કરીહ મને આશા. આ તમને ખબર છે? શું છે તે? ગુરુ-મુખ-પદ્મ-વાક્ય, ચિત્તેતે કરીયા ઐક્ય, આર ના કરીહ મને આશા. કોણ આગેવાન છે? આગેવાન… આગેવાન બનવું એટલું મુશ્કેલ નથી, શરત કે તેઓ સંનિષ્ઠ ગુરુના આદેશોને અનુસરવા તૈયાર હોય.”

પિરામીડ ગૃહ એકરાર ડિસેમ્બર ૩, ૧૯૮૦

તમાલ કૃષ્ણ મહારાજઃ થોડા દિવસો પહેલાં મને કંઈક અનુભૂતિ થઈ. […] આમ જુઓ તો શ્રીલ પ્રભુપાદ તરફથી ઘણાં વિધાનો છે કે તેમના ગુરુ મહારાજે કોઈ ઉત્તરાધિકારીઓની નિમણૂક કરી ન હતી. […] પ્રભુપાદનાં પુસ્તકોમાં પણ તેઓ કહે છે કે ગુરુ યોગ્યતાના ધોરણે હોય. […]

એક પ્રેરણા જાગી કારણ કે મને એક પ્રશ્ન થયો, તેથી કૃષ્ણ બોલ્યા. ખરેખર પ્રભુપાદે કોઈ ગુરુઓની નિમણૂક કરી ન હતી. […] એમણે અગિયાર ઋત્વિકોની નિમણૂક કરી હતી. કદી એમણે તેઓને ગુરુ તરીકે નિયુક્ત કર્યા ન હતા. મેં અને જી.બી.સી.એ છેલ્લા ત્રણ વર્ષમાં આ આંદોલનને ભારે નુકસાન પહોંચાડ્યું છે કારણ કે અમે ઋત્વિકોની નિમણૂકને ગુરુઓ તરીકેની નિમણૂક સમજી બેઠા.

ખરેખર શું બન્યું તે હું સમજાઉં. મેં તે સમજાવ્યું, પરંતુ તેનું અર્થઘટન ખોટું છે. ખરેખર શું બન્યું હતું કે પ્રભુપાદે જણાવ્યું કે કદાચ તેઓ કેટલાક ઋત્વિકોની નિમણૂક કરશે, આથી જી.બી.સી. સભા ઘણાં કારણોસર મળી, અને અમારામાંથી પાંચ કે છ જણ પ્રભુપાદ પાસે ગયા. (આ ૨૮ મે ૧૯૭૭ના રોજ થયેલી સભાના સંદર્ભમાં છે). અમે તેમને પૂછ્યું, ‘શ્રીલ પ્રભુપાદ, તમારા પ્રસ્થાન બાદ, જો અમે શિષ્યો સ્વીકારીએ તો તેઓ કોના શિષ્યો કહેવાય, તમારા શિષ્યો કે પછી મારા?’

તે પછી દીક્ષારંભ લેવા ઇચ્છતા લોકોની યાદીનો ઢગલો થઈ ગયો, અને તે જમા થવા લાગ્યો. મેં કહ્યું, ‘શ્રીલ પ્રભુપાદ, તમે એક વખત ઋત્વિકોનો ઉલ્લેખ કરેલો. મને નથી ખબર કે શું કરવું. અમે તમારી પાસે આવવા માંગતા નથી, પરંતુ ભક્તોનાં નામ ઘણાં છે, અને મેં આ બધા પત્રો રહેવા દીધા છે. મને નથી ખબર તમે શું ઇચ્છો છો’.

શ્રીલ પ્રભુપાદે કહ્યું, ‘સારું, હું ઘણાની નિમણૂક કરીશ…,’ અને એમણે તેઓનાં નામ આપવાનું શરૂ કર્યું […] એમણે એકદમ સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના શિષ્યો છે. તે સમયે મારા મનમાં એકદમ સ્પષ્ટ હતું કે તેઓ તેમના જ શિષ્યો હતા. મેં પછી તેમને બે પ્રશ્નો પૂછ્યા, એકઃ ‘બ્રહ્માનંદ સ્વામી વિશે શું?’ મેં આવું તેમને એ કારણસર પૂછ્યું કે મને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે લાગણી હતી. […] આથી શ્રીલ પ્રભુપાદે કહ્યું, ‘ના, જ્યાં સુધી તેઓ લાયક ન બને ત્યાં સુધી નહિ’. હું પત્ર લખવા તૈયાર થાઉં તે પૂર્વે મેં તેમને પૂછ્યું, બેઃ ‘શ્રીલ પ્રભુપાદ શું આટલા જ છે કે પછી તમે બીજા ઉમેરવા માંગો છો?’. એમણે કહ્યું, ‘જરૂર જણાય ત્યારે બીજા ઉમેરી શકાય.’ હવે મને સમજાય છે કે એમણે જે કર્યું તે એકદમ સ્પષ્ટ હતું. તેઓ દીક્ષારંભ વિધિ કરવા પોતે શારીરિક રીતે સક્ષમ ન હતા; આથી એમણે તેમના વતી દીક્ષારંભ આપવા કાર્યકારી પૂજારીઓની નિમણૂક કરી. તેમણે ૧૧ જણ નિયુક્ત કર્યા, અને તેમણે એકદમ સ્પષ્ટપણે કહ્યું, ‘જે નજીક હોય તેઓ દીક્ષારંભ કરી શકે’. આ એક અતિ અગત્યનો મુદ્દો છે, કારણ કે જ્યારે દીક્ષારંભ કરવાની વાત આવે છે ત્યારે જે નજીક હોય એવું જો ન હોય તો જેમનામાં તમારી શ્રદ્ધા છે એવું હોય. જેમનામાં (તમે) તમારી શ્રદ્ધા હોય તેમની પાસેથી તમારે દીક્ષારંભ લેવું. પરંતુ જ્યારે તે કાર્યકારી હોય ત્યારે તે જે નજીક છે એમ થાય, અને તેઓ એકદમ સ્પષ્ટ હતા. તેમણે તેઓનાં નામ આપ્યાં. તેઓ આખા વિશ્વમાં ફેલાયેલા હતા, અને તેમણે કહ્યું, ‘તમે જેમની નજીક હોવ, તમે તે વ્યક્તિનો જ સંપર્ક કરો,  અને તેઓ તમને તપાસી લેશે. પછી, તેઓ મારા વતી દીક્ષારંભ કરશે.’

એવો પ્રશ્ન જ નથી કે તમે તે વ્યક્તિમાં તમારો વિશ્વાસ મૂકો- એવું કશું નથી. એ તો ગુરુનું કાર્ય છે. પ્રભુપાદે કહ્યું, ‘આ આંદોલનના વ્યવસ્થાપન હેતુ મને જી.બી.સી.ની રચના કરવી પડી અને હું આ લોકોની નિમણૂક કરીશ. લોકો આપણા આંદોલનમાં જોડાય અને તેઓનું દીક્ષારંભ થાય એ પ્રક્રિયા ચાલુ રાખવા મને મદદ કરવા માટે મારે કેટલાક પૂજારીઓની નિમણૂક કરવી પડે છે, કારણ કે જેમ કે હું બધું પોતે શારીરિક રીતે સંભાળી શકું એમ નથી, હું જાતે પ્રત્યક્ષ રીતે દરેક જણને દીક્ષારંભ આપી શકું એમ નથી.’

અને બસ આટલું, અને આથી વધુ કદી કશું જ ન હતું. જો આનાથી વધુ કશુંક હોત તો તમે શરત લગાડી શકો કે ગુરુઓ વિષયક આ મુદ્દાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ વિશે પ્રભુપાદ કલાકો અને દિવસો અને અઠવાડિયાઓ સુધી સદંતર બોલ્યા હોય, પરંતુ એમણે એવું કર્યું ન હતું કારણ કે આ એમણે અગાઉ ઘણી વખત જણાવી દીધું હતું. એમણે કહ્યું, ‘મારા ગુરુ મહારાજે કોઈની નિમણૂક કરી ન હતી. એ તો યોગ્યતાના ધોરણે હોય.’ અમે એક મોટી ભૂલ કરી. પ્રભુપાદના પ્રસ્થાન બાદ આ અગિયાર વ્યક્તિઓનું શું થયું? […]

પ્રભુપાદે જણાવ્યું કે ફક્ત સંન્યાસીઓ જ નહિ. એમણે બે વ્યક્તિઓનાં નામ આપ્યાં જેઓ ગૃહસ્થ હતા, જેઓ ઋત્વિકો તો બની જ શકતા હતા, આ દર્શાવે છે કે તેઓ કોઈ સંન્યાસીને સમકક્ષ હતા. આથી જે કોઈ આધ્યાત્મિક રીતે લાયક હોય– એવું હંમેશાં માનવામાં આવે છે કે તમારા ગુરુની હાજરીમાં તમે શિષ્યો સ્વીકારી ન શકો, પરંતુ જ્યારે ગુરુ જતા રહે, અને જો તમે લાયક હોવ અને કોઈ વ્યક્તિ તેમનો વિશ્વાસ મૂકે તો તમે શિષ્યો સ્વીકારી શકો. એ તો ખરું જ કે તેઓએ (ભાવિ શિષ્યો) યોગ્યતા ધરાવતા ગુરુ કોણ છે તેને અલગ કઈ રીતે તારવવું તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. પરંતુ જો તમે યોગ્યતા ધરાવતા ગુરુ હોવ અને તમારા ગુરુ હવે હાજર ન હોય તો તે તમારો અધિકાર બને છે. આ કોઈ માણસ બાળક ઉત્પન્ન કરી શકે તેના જેવું છે […] દુર્ભાગ્યે, જી.બી.સી.ને આ વાતનું ભાન ન થયું. તેઓએ તુરંત (ધારી લીધું, નક્કી કર્યું) કે આ અગિયાર વ્યક્તિઓ પસંદ કરાયેલા ગુરુઓ છે. હું ચોક્ક્સપણે મારા વિશે તો કહી જ શકું છું, અને તે માટે હું દરેક જણ પાસે નમ્રભાવે માફી માગું છું, કે ચોક્કસપણે કેટલેક અંશે નિયંત્રણ કરવાનો પ્રયાસ હતો […] આ બદ્ધ પ્રકૃતિ છે, અને એ સર્વોતમ કક્ષાએ પ્રગટ થઈ, “ગુરુ, કેટલું અદ્‍ભુત! હવે હું એક ગુરુ છું, અને અમે માત્ર અગિયાર જ જણ” […] જો આપણે હજુ બીજી ઘટનાઓ બનતા અટકાવવી હોય તો મને લાગે છે કે આ અનુભૂતિ અથવા આ સમજણ જરૂરી છે, કારણ કે, મારા પર વિશ્વાસ રાખો, આવું ફરી બનશે. જ્યાં સુધી થોડું શાંત ન પડે ત્યાં સુધીની જ વાર છે અને પછી ફરી બીજી ઘટના બનવાની, ક્યાં તો અહીં એલ.એ.માં અથવા બીજે કશે. જ્યાં સુધી તમે કૃષ્ણની સાચી આધ્યાત્મિક શક્તિને કોઈ અવરોધ વગર પ્રદર્શિત થવા ન દો ત્યાં સુધી આવું સતત બનતું જ રહેશે.[…] મને લાગે છે કે જી.બી.સી. મંડળ, જો તેઓ આ મુદ્દાને જલદીથી ન સ્વીકારે, જો તેઓ આ તથ્યને ન સમજેઃ તમે મને લખાણ અથવા ટેપ પર એવું ન બતાવી શકો જેમાં પ્રભુપાદ કહેતા હોયઃ “હું  આ અગિયાર જણની ગુરુ તરીકે નિમણૂક કરું છું”. આવું અસ્તિત્વમાં નથી કારણ કે એમણે ક્યારેય કોઈ ગુરુઓની નિમણૂક કરી ન હતી. આ એક કલ્પના છે. […] જે દિવસે તમારું દીક્ષારંભ થયું અને જો તમે યોગ્યતા ધરાવતા હોવ તો જેવા તમારા પિતાશ્રી જતા રહે ત્યારે તમને પિતા બનવાનો અધિકાર મળે છે. કોઈ નિયુક્તિ નથી. નિયુક્તિની જરૂર રહેતી નથી કારણ કે તે છે જ નહિ.